કોરોના-પોઝિટીવ હોવા છતાં શાહરૂખ લગ્ન સમારોહમાં ગયો?

મુંબઈઃ દક્ષિણી ફિલ્મોની જાણીતી અભિનેત્રી નયનતારા અને એનાં બોયફ્રેન્ડ તથા દિગ્દર્શક વિગ્નેશ શિવન આજે ચેન્નાઈમાં મહાબલીપુરમ રિસોર્ટ ખાતે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. આ લગ્નસમારંભમાં દક્ષિણી ફિલ્મસૃષ્ટિ અને હિન્દી ફિલ્મ જગતના અનેક દિગ્ગજ કલાકારો અને કસબીઓએ હાજરી આપી હતી. આમાં શાહરૂખ ખાનનો પણ સમાવેશ થાય છે.

પરંતુ શાહરૂખને જોઈને ઘણાં મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં, કારણ કે શાહરૂખને તો હાલમાં જ કોરોનાવાઈરસ બીમારી લાગુ પડી હોવાના અહેવાલો હતા. કોરોના-પોઝિટીવ હોવા છતાં શાહરૂખ લગ્ન સમારંભમાં કેવી રીતે ઉપસ્થિત રહી શક્યો તેવા સવાલો પૂછાઈ રહ્યા છે. નયનતારા અને વિગ્નેશનાં લગ્ન સ્થળની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈઅ છે. એમાં શાહરૂખની પણ તસવીરો છે. ઉલ્લેખનીય છે કે, ગઈ 4 જૂનના રવિવારે એવા અહેવાલો આવ્યા હતા કે શાહરૂખને કોરોના થયો છે. તેથી એ કોરોનાનો સારવાર માટે પોતાના ઘરમાં જ રહેતો હશે એવું લોકોએ માની લીધેલું. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ તો શાહરૂખ સાજો થઈ જાય એ માટે પ્રાર્થના પણ કરી હોવાનું કહેવાય છે. પરંતુ, માત્ર ચાર દિવસમાં જ શાહરૂખને બહાર ફરતો જોઈને ઘણાયને આશ્ચર્ય થયું છે.

શાહરૂખે તાજેતરમાં નિર્માતા કરણ જોહરે એમના 50મા જન્મદિન નિમિત્તે મુંબઈના અંધેરીમાં ભવ્ય પાર્ટી યોજી હતી. એમાં શાહરૂખ ગયો હતો. એ પાર્ટીમાંથી જ અનેક જણને કોરોના થયાનો અહેવાલ હતો. નયનતારા-વિગ્નેશનાં લગ્નમાં શાહરૂખ ખાન ઉપરાંત એની આગામી હિન્દી ફિલ્મ ‘જવાન’ના દિગ્દર્શક એટલી, અન્ય બોલીવુડ નિર્માતા બોની કપૂર, તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલીન, દક્ષિણી ફિલ્મી અભિનેતાઓ – રજનીકાંત, વિજય, કમલ, ચિરંજીવી, દિગ્દર્શ મણિરત્નમે પણ હાજરી આપી હતી.