કોરોનાથી ભોગ બનેલા કર્મચારીઓના પરિવારની કાળજી લેશે રિલાયન્સ

મુંબઈઃ કોવિડ-19 સંકટકાળમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) તેના કર્મચારીઓની વહારે આવી છે અને એક ઉમદા પહેલ શરૂ કરી છે. કંપનીએ કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા તેના કોઈ પણ કર્મચારીના પરિવારને આગામી પાંચ વર્ષ સુધી માસિક ધોરણે પગાર આપવાની ઘોષણા કરી છે. આટલું જ નહીં, કંપની દ્વારા પીડિતપરિવારને રૂ. 10 લાખ સુધીની આર્થિક મદદ પણ કરવામાં આવશે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કર્મચારીઓજોગ એક સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી છે.

કોરોનાથી મૃત કર્મચારીઓનાં બાળકોનો શિક્ષણ પણ ખર્ચ ઉઠાવશે RIL

‘રિલાયન્સ ફેમિલી સપોર્ટ એન્ડ વેલ્ફેર સ્કીમ’ અંતર્ગત કંપની કોરોનાથી મૃત્યુ પામનારા તેના કોઈપણ કર્મચારીનાં સંતાનો માટે ભારતમાં કોઈ પણ સંસ્થામાં શિક્ષણ ફી, હોસ્ટેલમાં રહેવાની સુવિધા અને સ્નાતક ડિગ્રી સુધીના પુસ્તકોની ફી માટે 100 ટકા ચુકવણી કરશે.

આ સાથે રિલાયન્સ રિલાયન્સ બાળકોના ગ્રેજ્યુએટ થવા સુધી પતિ અથવા પત્ની, માતા-પિતા અને બાળકો માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે પ્રીમિયમની 100 ટકા ચુકવણી કંપની કરશે.

જે કર્મચારી કોરોના સંક્રમિત હોય અથવા જે કર્મચારીના પરિવારજનો કોરોનાની ઝપટમાં આવ્યા હોય તો તેઓ શારીરિક  અને માનસિકરૂપે સંપૂર્ણ સ્વસ્થ થવા સુધી કોવિડ-19 લીવ લઈ શકે છે. ખાસ કરીને આ નીતિ એટલા માટે બનાવવામાં આવી છે કે કંપનીના બધા કર્મચારીઓ સંપૂર્ણ રીતે અથવા પોતાના કોરોના સંક્રમિત પરિવારના સભ્યોની સારવાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

‘ઓફ-રોલ’ કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ થવા પર પરિવારને રૂ. 10 લાખ

રિલાયન્સ ફાઉન્ડેશનનાં અધ્યક્ષા નીતા અંબાણીએ બીજી જૂને કહ્યું હતું કે કંપનીના બધા ‘ઓફ-રોલ’ કર્મચારીઓના શોકગ્રસ્ત પરિવારના સભ્યોને રૂ. 10 લાખની ચુકવણી કરશે, જેમણે કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.