નવી દિલ્હીઃ કેરળના તિરુવનંતપુરમ લોકસભા ક્ષેત્રના સાંસદ શશિ થરુરે પાર્ટી સાથે મતભેદ હોવાની વાત કબૂલ કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં શશિ થરૂરે જણાવ્યું હતું કે હું છેલ્લાં 16 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું. પાર્ટી સાથે મારા કેટલાક મતભેદ છે અને આ મુદ્દે હું પાર્ટીની અંદર ચર્ચા કરીશ. આજે હું આ મુદ્દે વધારે કંઈ બોલવા માગતો નથી. મારે મળીને વાત કરવાની છે, સમય આવે પછી હું વાત કરીશ.
વડા પ્રધાન સાથેની મુલાકાત અંગે તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન સાથેની ચર્ચા માત્ર સાંસદોના પ્રતિનિધિમંડળ સંબંધિત મુદ્દાઓ પર જ થઈ હતી. જ્યારે દેશ માટે કોઈ મુદ્દો ઊભો થાય છે, ત્યારે દેશની સાથે ઊભા રહેવું આપણી જવાબદારી બને છે. જ્યારે દેશને મારી સેવા જોઈએ ત્યારે હું હંમેશાં તૈયાર છું.
STORY | Shashi Tharoor says he has differences of opinion with some in Congress leadership
READ: https://t.co/GoLY7yBK9X pic.twitter.com/nuuBKhNFD9
— Press Trust of India (@PTI_News) June 19, 2025
ભારત સરકારે ‘ઓપરેશન સિંદૂર’ અંગે માહિતી વિશ્વભરના દેશોને આપવા માટે સાત સર્વપક્ષી પ્રતિનિધિમંડળ મોકલ્યા હતા, જેમાં એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કર્યું હતું. થરૂરે અમેરિકાથી લઈને કોલમ્બિયા જેવા દેશોની મુલાકાત લીધી હતી. તેમની દલીલોના કારણે કોલમ્બિયાએ પાકિસ્તાનને સમર્થન આપતું નિવેદન પાછું ખેંચી લીધું હતું, જેને થરૂરની એક કૂટીનીતિની જીત તરીકે રજૂ કરવામાં આવી હતી.
શશિ થરૂર સહિત તમામ પ્રતિનિધિમંડળના નેતાઓ જ્યારે વિદેશ પ્રવાસથી પરત આવ્યા હતા, ત્યારે વડા પ્રધાન મોદીએ તેમના અનુભવ જાણવા માટે તેમની મુલાકાત લીધી હતી. થરૂરને લઈને રાજકારણ પણ એટલા માટે ગરમાયું છે કે કોંગ્રેસે જે નેતાઓના નામ પ્રતિનિધિમંડળ માટે મોકલ્યા હતા, તેમાં થરૂરનો સમાવેશ નહોતો. છતાં પણ ભારત સરકારે તેમને પ્રતિનિધિમંડળમાં માત્ર સામેલ જ નહીં કર્યા, પણ એક સંપૂર્ણ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પણ તેમને સોંપ્યું હતું.
