બજેટ 2020: આવકવેરાના દરનો ઘટાડો આવકાર્ય છે
અર્થશાસ્ત્રી અને ઇન્ડિયન મર્ચન્ટ્સ ચૅમ્બરની મૅનેજિંગ કમિટીના ભૂતપૂર્વ સભ્ય જિતેન્દ્ર સંઘવી કહે છે, આવકવેરાના દરનો ઘટાડો આવકાર્ય છે, ગ્રામીણ વિસ્તારોનો વપરાશ ખર્ચ વધશે કે કેમ? અંદાજપત્રના આંકડાઓની વિશ્વસનીયતા કેટલી?
ભારતીય અર્થતંત્ર વિશેષરૂપે આર્થિક સ્લોડાઉનનો સામનો કરી રહ્યું છે. ત્યારે એ એકસ્ટ્રા-ઓર્ડિનરી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે લેવાતાં પગલાં પણ એકસ્ટ્રા-ઓર્ડિનરી હોવાં જોઈએ એ વિશે કોઈ બેમત હોઈ શકે નહીં.
નિર્મલા સીતારામનનું 2020-21નું અંદાજપત્ર આ સંદર્ભમાં મૂલવવું જોઈએ. નાણાપ્રધાન સામેનો સૌથી મોટો પડકાર હતો ખાનગી વપરાશ ખર્ચના વધારા દ્વારા ચીજ-વસ્તુઓની માગ વધારવાનો અને તેના દ્વારા આર્થિક વિકાસનો દર વધારવાનો.
નાણાપ્રધાને અંદાજપત્રમાં આવક-વેરાના દર ઘટાડીને નોકરિયાત વર્ગના હાથમાં થોડા વધુ રૂપિયા આવશે તેવી વાત કરી છે. તે વાત સાચી. મુદ્દાની વાત એ છે કે દેશમાં પાંચ ટકાથી ઓછા નાગરિકો જ આવકવેરાના રિટર્ન ફાઈલ કરે છે. તેમના મોટા ભાગના રિટર્ન ઝીરો ટેક્સવાળા હોય છે. એટલે કર વેરાના દરની નજીવી રાહત આવકાર્ય હોય તો પણ, વપરાશ ખર્ચને જોઈતા પ્રમાણમાં પૂરા કરી શકે નહીં. ભારત ગામડાઓમાં વસે છે. આ ગ્રામ્ય વિસ્તારોના વપરાશ ખર્ચનો ઘટાડો મોટી ચિંતાનો વિષય હતો. આવકવેરાના દરના ઘટાડાથી ગ્રામીણ વિસ્તારના લોકોના વપરાશ ખર્ચ વધે એવી ખાસ સંભાવના નથી, એટલે નાણાપ્રધાનનું આ પગલું આર્થિક વિકાસનો દર વધારવામાં કેટલી મદદ કરશે તે સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે.
તેમણે વ્યક્તિગત આવકવેરાના કાયદામાં 100 જેટલી છૂટમાંની 70 છૂટ નાબૂદ કરી છે. એ પગલું વેરાની સરળતા વધારશે એ ખરું.
અંદાજપત્રની નાણાપ્રધાનની 165 મિનિટની લાંબી (કદાચ રેકોર્ડ બ્રેક) સ્પીચ પછી પણ આપણો સર્વ સામાન્ય અનુભવ એ છે કે બજેટ ડોક્યુમેન્ટની ફાઈન પ્રિન્ટ ન જોઈએ કે નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેનું ડિરેક્શન ન કરે ત્યાં સુધી બજેટ ગ્રોથ ઓરિએન્ટેડ છે કે ભાવ વધારામાં પરિણમે તેવું કે એવા કોઈ વિશેષણો આપવાથી દૂર રહેવું યોગ્ય ગણાય. ભૂતકાળમાં અંદાજપત્રના દિવસે નાણાપ્રધાનના બજેટને જે રીતે મૂલવાય છે તે ફાઈન પ્રિન્ટ જોયા પછી અપસાઈડ ડાઉન જેવો ફેરફાર થયો છે. શેરબજાર કે સેન્સેક્સ બજેટને જે પ્રતિભાવ આપે તે પણ પછીના થોડા દિવસોમાં બદલાતો હોય છે.
કંપનીઓ પાસેથી લેવાતો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અપેક્ષા પ્રમાણે નાબૂદ કર્યા પછી પણ સેન્સેક્સ ગગડ્યો છે એટલે કાં તો આ ફેરફારની અસર શેરધારકો કે ઈન્વેસ્ટરો પર કેવી પડશે તે વિષે કોઈ સ્પષ્ટ ચિતાર મળતો નથી.
સ્પીચમાં માત્ર એટલો ઉલ્લેખ છે કે ડિવિડન્ડ પરનો ટેક્સ શેરહોલ્ડર ભરશે. પણ તેમાં હાલ મળતી છૂટછાટ નાબૂદ કરાઈ છે, ઘટાડાઈ છે કે અકબંધ રખાઈ છે એ જાણ્યા પછી જ સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટરોનો જે પ્રતિભાવ આવે તે સાચો ગણાય.
નાણાપ્રધાને ટેક્સ-પેયર ચાર્ટરની અને ટેક્સ ભરવાની બાબતે હ્યુમન ઈન્ટરફેસ ઘટાડવાની વાત કરી છે તે આવકાર્ય છે. બેંકોમાં રખાતી ડિપોઝિટનો ઈન્સ્યૉરન્સ એક લાખથી વધારીને પાંચ લાખનો કરાયો છે તેને સારો પ્રતિસાદ મળશે.
થોડું લાંબુ વિચારીએ કે પ્રજાની જ સરકારી બેંકોમાં મૂકાતી ડિપોઝીટની પૂરેપૂરી સલામતી કે વીમો કેમ નહીં? આ પરસેવાની કમાણીનું ગમે ત્યારે હવામાં બાષ્પીભવન થઈ જાય એવા ડરના ઓછાયા નીચે જીવવું કેટલું વ્યાજબી ગણાય? સરકાર ધારે તો આ ડિપોઝીટોના વીમા પર નજીવા પ્રીમીયમ લઈને પણ સામાન્ય કે મધ્યમ વર્ગના માણસો કે સીનિયર સિટિઝન રાહતનો શ્વાસ લઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી શકે. લાઈફ ઈન્સ્યૉરન્સ હોય, એક્સિડન્ટ ઈન્સ્યૉરન્સ હોય, હેલ્થ ઈન્સ્યૉરન્સ હોય તો ડિપોઝિટ માટેનો ઈન્સ્યૉરન્સ કેમ નહીં?
આપણે અમેરિકા કે પશ્ચિમના બીજા દેશોની જેમ નાગરિકો માટેની સોશ્યલ સિક્યૉરિટી સ્કીમ પૂરી નથી પાડી શકતા, પણ તેમની પોતાની જીવનભરની નાની કમાણી સહીસલામત રહે તેવું કેમ ન વિચારી શકાય?
તે પછી બેંકોની સદ્ધરતા માટેના નોર્મ્સ એવા સ્ટ્રિક્ટ નક્કી કરવા જોઈએ કે બેંક ફેઈલ થવાનો વારો ભાગ્યે જ આવે. ઇન્ડસ્ટ્રી કે બિઝનેસ તેની લોન પરત કરવામાં નિષ્ફળ જાય તો તે NPAને સૂલ્ટાવવા પ્રજા પાસેથી કરવેરા રૂપે ઉઘરાવેલાં નાણાંમાંથી બેંકોના રીકેપિટલાઈઝેશન માટે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોને નાણાં ફાળવે જ છે. અંદાજપત્રમાં સીનિયર સિટિઝન્સને થતી વ્યાજની આવક પરના વેરાની મુક્તિમર્યાદા પણ વધારાઈ નથી.
સામાન્ય રીતે અંદાજપત્રનાં ભાષણોમાં શબ્દોના સાથિયા પુરાતા હોય છે પણ વાસ્તવિક્તા કંઈક જુદી જોવા મળતી હોય છે. કરવેરા ઉઘરાવતી વખતે નાગરિકોની કનડગત ન થાય એનો કાયદામાં ઉલ્લેખ કરાય છે, પણ જ્યારે કરવેરાની અંદાજિત આવકમાં ઘટાડો થાય ત્યારે ઓફિસરોને એવા સ્ટ્રિક્ટ ટાર્ગેટ અપાતા હોય છે જે પૂરા કરવા માટે કરદાતાઓની હેરાનગતિ કરાતી હોય છે.
નાણાપ્રધાને અર્થતંત્રનાં જુદાં-જુદાં ક્ષેત્રો માટે આવતા વરસ માટે જે રકમ ફાળવાઈ હોય તેનો ઉલ્લેખ કર્યો છે જે રૂટિન બાબત છે પણ આ ફાળવણી ચાલુ વરસની અંદાજિત રકમ સાથે અને સુધારેલ રકમ સાથે કેમ કમ્પેર થાય છે તે જાણ્યા વગર માત્ર આવતા વરસની ફાળવણીના આંકડાથી કોઈ નક્કર તારવણી ન કરી શકાય.
ગયા જુલાઈમાં રજૂ કરાયેલ બજેટમાં 2019-20ના આર્થિક વિકાસનો દર સાત ટકા મૂકવામાં આવ્યો હતો જે હવે પાંચ ટકા કે તેથી પણ ઓછો રહેવાની સંભાવના છે, જે છેલ્લાં 11 વરસનો સૌથી નીચો આંક છે.
એટલે અંદાજપત્રની સ્પીચનો સામાન્ય શિરસ્તો છે કે જે વરસનું અંદાજપત્ર હોય તે વરસ માટેના આંકડા સારા દેખાડવા અને આગલા વરસના સુધારેલા આંકડા નબળા બતાવવા તો વાંધો નહીં. કારણ એ કે સૌની નજર જે વરસનું બજેટ હોય તેના આંકડા પર જ કેન્દ્રિત થયેલી હોય.
આ અંદાજપત્રમાં સરકારે 2020-21ના વરસના નોમિનલ (ચાલુ ભાવે) જીડીપીને વધારાનો દર 10 ટકા દર્શાવ્યો છે પણ ઉપર દર્શાવેલ કારણોથી આ આંકડાની વિશ્વનીયતા ઘટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે ચાલુ વરસ (2019-20)માં નોમિનલ જીડીપી 7.5 ટકાના દરે વધવાની ગણતરી છે જે છેલ્લાં ચાલીસ વરસનો સૌથી નીચો આંક છે.
અંદાજપત્રની આટલી લાંબી સ્પીચનો થોડો હિસ્સો આની અગાઉના અંદાજપત્રના ઉલ્લેખ કરાયેલા નિર્ણયો અંગેના એક એક્શન ટેકન રિપોર્ટ માટે ફાળવાય તો સરકારની વિશ્વસનીયતા તો વધે જ પણ વહીવટની પારદર્શિતા (ટ્રાન્સપેરન્સી)ની છાપ પણ આપોઆપ ઊભી થાય.
અંદાજપત્રની સ્પીચમાં આ માટેની સ્પેસ ઊભી કરવા અર્થતંત્રને સીધી રીતે ન સ્પર્શતી હોય તેવી કરાયેલી વાતોને દૂર કરીને તેનો બજેટ ડોક્યુમેન્ટમાં સમાવેશ કરી શકાય.
નાણાપ્રધાને સ્પીચમાં આડકતરી રીતે નોકરીઓની નવી તકો ઊભી થશે તેવી અછડતી વાત કરી છે. દેશમાં આજે બેરોજગારીની ગંભીર સમસ્યા પ્રવર્તે છે. નાણાપ્રધાન છેલ્લા એક વરસમાં રોજગારી ક્ષેત્રે જેટલી નવી નોકરીઓ સર્જાઈ, કયા ક્ષેત્રમાં સર્જાઈ એની વિગતો આપે તો અંદાજપત્રની સ્પીચ વધુ અર્થસભર બને.
રોજગારીનું સર્જન એ તો આજની સળગતી સમસ્યા છે અને તે દ્વારા જ અર્થતંત્રની બધી સમસ્યાઓ (ઉત્પાદનની, માગની, વપરાશની, ભાવવધારાની) હલ કરી શકાય એ પણ નિર્વિવાદ છે.
આજે સીપીઆઈનો ભાવવધારો પણ છેલ્લાં પાંચ વરસની ટોચે છે. કહેવાની જરૂર નથી કે આર્થિક વિકાસના દરમાં પા કે અડધા ટકાની વધઘટથી કદાચ સામાન્ય માણસના જીવનને બહુ ઓછી અસર થાય છે પણ આજે સાત ટકાથી ઉપરનો ભાવવધારો અને તેમાં પણ ફૂડ આર્ટિકલ્સનો 14 ટકાનો ભાવવધારો સામાન્ય માણસ કે ગરીબને સૌથી વધુ સ્પર્શે છે તો તે આ બે પાયાની સમસ્યાઓ (બેરોજગારી અને ભાવવધારો) વિષે નાણાપ્રધાનની સ્પીચમાં અકળ મૌન કેમ?
આપણે અંદાજપત્ર રજૂ કરવાની તારીખ બદલવાની પહેલ કરી શકીએ, તેનો ટાઈમ (સાંજના પાંચને બદલે સવારના અગિયાર), રેલ્વે બજેટને મુખ્ય અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવાની પહેલ કરી શકીએ તો અંદાજપત્રની સ્પીચનો ઢાંચો બદલવાની અને તેને વધારે ધારદાર બનાવવાની પહેલ કેમ ન કરીએ?
રહી વાત ફિસ્કલ ડેફિસિટની સરકારી તિજોરી કોર્પોરેટ વેરાના ઘટાડાથી, ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સની નાબૂદીથી અને કરવેરાના દરના ઘટાડાથી હજારો કરોડની આવક ગુમાવવાની હોય તો સરકારની આવક ક્યાંથી વધશે અથવા તો ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યાંક કેવી રીતે જળવાઈ રહેશે એ વિષે જજમેન્ટ બેસવું આજે શક્ય નથી અને એ વાજબી પણ નથી એ માટે બજેટ પેપર્સની રાહ જોવી રહી.
છતાં એ ઉલ્લેખ કરવો રહ્યો કે ફિસ્કલ ડેફિસિટનાં આંકડા કરતા જેની ચર્ચા ભાગ્યે જ થતી હોય છે તે રિવેન્યુ ડેફિસિટનો આંકડો વધુ મહત્ત્વનો છે અને ફિસ્કલ ડેફિસિટ પરસન્ટેજ પોઈન્ટ વધી કે ઘટી તે કરતાં સરકારી ખર્ચનું કોમ્પોઝીશન (ઘટકો) અને ક્વોલિટી (ગુણવત્તા) વધુ મહત્ત્વના છે.
એ સાથે માત્ર કેન્દ્ર સરકારની ફિસ્કલ ડેફિસિટ નહીં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની કુલ ફિસ્કલ ડેફિસિટની ચર્ચા જ વધુ અર્થસભર ગણાય.
આજે કેન્દ્ર સરકાર વધુને વધુ કરવેરાના નાણા રાજ્યોને ફાળવે છે અને રાજ્ય સરકારો સબસિડી (રોકડ સહાય) અને ખેડૂતોના દેવા માફ કરવાના તેનો કેવો ખોટો વ્યય કરે છે તેની વિગતે ચર્ચા હવે પછીના લેખમાં કરીશું.
કેન્દ્ર સરકારના પોતાના સબસિડીના ખર્ચનો ઉલ્લેખ કરવાનું પણ નાણાપ્રધાને ટાળ્યું છે. તે ઘટાડીને પણ ફિસ્કલ ડેફિસિટ સરભર કરી શકાય.
બદલાતા વિશ્વ સાથે અને વધતી જતી ગળાકાપ હરિફાઈમાં ઊભા રહેવા માટે પણ આપણે દોડવું પડશે. પાંચ ટ્રિલ્યન ડૉલરનું 2024ની સાલનું વડા પ્રધાનનું સ્વપ્ન સાકાર કરવાના ભગીરથ કામમાં આ બજેટ પુશ કરશે પણ ચાલુ વરસે કે આવતે એક વરસમાં આર્થિક ચિત્ર કેટલું સુધરશે એ કહેવું કઠિન છે. એ માટેની તક નાણાપ્રધાને ગુમાવી છે એમ તો ન કહી શકાય પણ એનો વધુ સારો ઉપયોગ જરૂર કરી શકાયો હોત.
શું બજાર તૂટ્યું એટલે બજેટ બુરું? બજેટમાં સારું ઘણું–ઘણું છે, તેને સમય આપો!

આ નવા દાયકાનું સૌથી કપરું ગણાયેલું બજેટ કપરું તો નહીં, કિંતુ થોડું કોમ્પલેક્ષ જરૂર નીકળયું એમ કહી શકાય. નાણાં પ્રધાને જેટલું લાંબું પ્રવચન આપ્યું તેટલું બજેટમાં કંઈ નકકર આપ્યું નથી એવું પહેલી નજરે ચોકકસ લાગી શકે. કિંતુ બજેટને બારીકાઈથી જોવામાં આવે તો સંખ્યાબંધ નાની-નાની જાહેરાત એવી છે જે અર્થતંત્રને , ઉત્પાદનને અને રોજગાર સર્જનને વેગ આપશે. ખાસ કરીને કૃષિ સેકટર અને ઉત્પાદનને વિશેષ વેગ આપશે. અલબત્ત, શેરબજારે એક હજાર પોઈન્ટનું ગાબડું પાડીને પહેલી ઈમેજ બજેટ બુરું હોવાની ઊભી કરી છે. આ ખરેખર તો બજારનો સ્વભાવ રહયો છે, ઊંચી અપેક્ષા રાખો, માત્ર પોતાની માટે આશા રાખો અને પછી ઊંચી નિરાશા દર્શાવો, પરંતુ હા, બજાર શાણું પણ હોય છે, તે સાવ અણસમજુ નથી, તેની માટે તાત્કાલિક કંઈ નથી , એટલે તેણે નિરાશા બતાવી છે. બાકી જેમ બજેટની જાહેરાતોનો ઉઘાડ થશે તેમ બજાર રિકરવી પણ બતાવશે. શોર્ટ ટર્મ માટે બજારને નિરાશા મળી છે, કિંતુ લોંગ ટર્મ માટે આશા રાખી શકાય એવું ઘણું છે, જેને સમય આપવો પડશે. આપણે અહિ આશા-નિરાશા બંનેને સમજવાનો પ્રયાસ કરીએ.
કરદાતાની વાતમાં કન્ફ્યુઝન
નાણાં પ્રધાને કરદાતાઓને ટેકસ સ્લેબમાં રાહત તો આપી,પરંતુ રાહત સાથે ગુંચવણ પણ આપી છે. ઈન્કમ ટેકસના દર ઓછાં કરવા સાથે નાણાં પ્રધાને સંખ્યાબંધ ડિડકશન (કર કપાત-રાહત) પાછાં ખેંચી લીધા છે. જો કે નાણાં પ્રધાને કરદાતાઓને વિકલ્પ આપ્યો છે, કાં કપાતનો લાભ લો અથવા નીચા દરનો લાભ લો. આ લાભ કયાં વધુ અને કઈ રીતે વધુ છે તે સમજવું કરદાતા માટે સરળ નહી હોય, તેણે ફરજિયાત ટેકસ કન્સલટન્ટની સલાહ લેવી પડશે. આમાં પણ હજી કયા ડિડકશન રહેશે કયા નાબુદ થઈ જશે એ પુરેપુરું સ્પષ્ટ નથી. આ સત્ય હવેપછી બહાર આવી શકે. જો કે એક સારું પરિબળ એ કહી શકાય કે જેઓ અત્યારસુધી માત્ર ટેકસ બચાવવા માટે રોકાણ કરતા હતા તેઓને હવે આવું કરવું પડશે નહીં. તેઓ નીચા કરના દરનો સીધો લાભ લઈ શકશે. એક વાત એ પણ નોંધવી રહી કે કરદાતાઓની પરેશાની-હેરાનગતિ ન થાય એ માટે સરકાર સક્રિય બની છે. નવી એસેસમેન્ટ સ્કીમમાં માનવ દરમ્યાનગીરી દુર કરીને સરકારે મોટી રાહત આપી ગણી શકાય. આ ઉપરાંત વિવાદ સે વિશ્વાસ તકની સ્કીમ પણ આવકાર્ય કહી શકાય. કર વિવાદ ઘટે એ દેશના હિતમાં છે. સરળીકરણ પણ આ વિષયમાં સૌથી મહત્ત્વનું પરિબળ છે. જીએસટી માટે પણ સરકાર એપ્રિલથી નવું સરળ ફોર્મ લાવશે.
નિરાશાની વાત
બજેટે કોઈ એક સેકટરને કંઈ જ નકકર કહી શકાય એવું આપ્યું નથી. દાખલા તરીકે ઓટો સેકટર, રિઅલ્ટી સેકટર, વગેરેને મોટી આશા હતી. નિકાસ માટે પણ સીધેસીધો લાભ દેખાય એવું પણ જાહેર થયું નથી. રોજગાર સર્જન માટે પણ સચોટ અને તાત્કાલિક પરિણામ આપે એવું પણ નહીંવત સમાન છે. બચતને પ્રોત્સાહન મળે કે સિનીયર સીટિઝનને રાહત થાય એવી કોઈ જાહેરાતનો અભાવ છે.
કંપનીઓને કર રાહત આવકાર્ય
આ વાત થઈ વ્યકિતગત આવક વેરાની. બાકી કોર્પોરેટ -કંપનીઓ પરના આવકવેરામાં બજેટે અગાઉની જાહેરાત મુજબ રાહત આપી જ છે, જેથી આ કરનો દર વિશ્વમાં ઘણાં દેશોની તુલનાએ નીચો થઈ ગયો છે. નવી કંપની ઉત્પાદન એક સ્થાપે ત્યારે તેને માત્ર 15 ટકા ઈન્કમ ટેકસ લાગશે. વિદેશી કંપનીઓ આને કારણે ભારતમાં ઉત્પાદન એકમ સ્થાપવા આગળ આવે એવું માની શકાય. ખાસ કરીને હાલ જયારે ચીનમાં કોરોનો વાઈરસની સ્થિતી ફેલાઈ છે અને ગ્લોબલ સ્તરે અનિશ્રિંતતા પ્રવર્તી રહી છે ત્યારે પણ ભારત ઈન્વેસ્ટમેન્ટનું આકર્ષક કેન્દ્ર બની શકે. પાવર સેકટરની કંપનીઓને પણ આ કર રાહતનો લાભ અપાયો એ નોંધવું મહત્ત્વનું છે. કંપનીઓને ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસમાં રાહત આપીને પણ બજેટે તેનો બોજ ઘટાડયો છે.
કૃષિ માટે નવો અભિગમ સમજવો જરૂરી
ખેડુતોની આવક બમણી કરવી , સામાજીક યોજનાઓ પાછળ મોટેપાયે નાણાં ખર્ચ કરવા વગેરે જેવી બાબતો સરકારે માત્ર ફરી-ફરી દોહરાવી છે. કિંતુ કિસાનને ધિરાણમાં સુવિધા, કિસાન રેલ, કિસાન ઉડાન વગેરે જેવી બાબતો નવી કહી શકાય. નોન-બેન્ંિકગ ફાઈનાન્સ કંપનીઓને તેમ જ કો-ઓ બેંકોને ધિરાણ બાબતે સક્રિય બનવાની બાબત આવકાર્ય કહી શકાય. આ જ રીતે વેરહાઉસિંગની સુવિધા , લોજિસ્ટીક , સોલાર એનર્જી, જળ પુરવઠાની વ્યવસ્થા, મહિલાઓ માટે રોજગાર તક, વગેરેનો સપોર્ટ પણ આવકાર્ય કહેવાય. આ સાથે હોર્ટીકલ્ચરને પ્રોત્સાહન વગેરે જેવા પગલાં આખરે તો નિકાસને વેગ આપવામાં મહત્ત્વની ભુમિકા ભજવશે.
બેંકના ડિપોઝિટ ધારકોને રાહત
હજી થોડા મહિના પહેલાની પીએમસી (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક) બેંકની કટોકટીમાં અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે બેંકમાં મુકાયેલા નાણાં કેટલા સલામત છે એ સવાલો ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મુકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ હતું . અર્થાત બેંક ડુબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળતી. આ રકમ લગભગ અઢી દાયકાથી એની એ જ રહી હતી. આ બજેટમાં આ વીમા રક્ષણની રકમ વધારીને પાંચ લાખ કરી દેવાઈ છે. આ કદમ મારફત બેંક ખાતા ધારકોને મોટી રાહત મળી છે.
સિનીયર સિટીઝન્સની અપેક્ષા ન ફળી
સિનીયર સિટીઝનને બેંકોમાં ડિપોઝીટ પર મળતા નીચા વ્યાજની ગંભીર ચિંતા રહેતી હોય છે, જે તેમની આવકનું મુખ્ય સાધન હોય છે. આ વર્ગની લાંબા સમયથી વ્યાજ વધારા તેમ જ અન્ય રાહત માટેની માગ ઊભી હતી. જેને બજેટે ધ્યાનમાં લીધી નહીં. પણ હા, સિનીયર સિટીઝન્સ સંબંધી યોજના માટે મોટી રકમ ફાળવીને કયાંક આશ્વાસન જેવી રાહત આપી છે. સરકારે આ વર્ગ માટે નકકર પગલાં ભરવાની જરૂર હતી.
કેપિટલ ગેઈન ટેક્સ રહયો, કિંતુ
મુડીબજારને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસની રાહતની આશા ખુબ હતી, જેને બજેટે નિરાશ કર્યા છે. સંભવત તેનો સમય ગાળો લંબાવીને પણ રાહત આપી શકાત ,કિંતુ બજેટે તે પરિબળની ઉપેક્ષા કરી છે, જો આ આશા ફળી હોત તો કમસે કમ સેન્સેકસ પાંચસો પોઈન્ટ ઓછો તુટયો હોત એવું ધારી શકાય. ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ દુર કરવાની માગને બજેટે પુરી કરીને કંપનીઓને મોટી રાહત આપી છે. આ રાહત મ્યુચયુઅલ ફંડસને પણ મળશે. આ ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની બોન્ડસમાં રોકાણ મર્યાદા વધારવાની અપેક્ષાને પણ પુરી કરાઈ છે. જેને પગલે બહુ જંગી વિદેશી રોકાણ આ માર્ગે ભારતમાં આવશે.
શિક્ષણ, સ્વાસ્થ્ય, વગેરે
બજેટે આ વખતે શિક્ષણ, સ્વાસ્થ્ય, જળ વ્યવસ્થા, સેનિટેશન, સ્વચ્છતા જેવી બાબતો પર વિશેષ ભાર મુકયો છે. જે સારી જાહેરાત છે. શિક્ષણ ક્ષેત્રમાં તો સરકારે સીધા વિદેશી રોકાણને પણ માર્ગ કરી આપ્યો છે. જેના દ્રારા સરકાર શિક્ષણનું સ્તર-ગુણવત્તામાં ધરખમ સુધારા લાવવા માગે છે. વિદેશોથી પણ લોકો અહીં અભ્યાસ માટે આવે એવું લક્ષ્ય પણ છે. આ સાથે ટુરિઝમ માટે પણ બજેટે કંઈક અંશે પ્રોત્સાહન આપ્યું છે.
ખાનગીકરણની દિશામાં
એક ખાસ નોંધવા જેવી વાત એ છે કે સરકારે બેંકોના મર્જરનો મામલો આગળ વધારવાનું અને ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત નાણાં ઊભા કરવાનું પગલું પણ ભર્યુ છે. ભવિષ્યમાં સરકાર વધુને વધુ ખાનગીકરણ તરફ તેમ જ ખાનગી ભાગીદારી તરફ આગળ વધશે એવો સ્પષ્ટ નિર્દેશ આ બજેટમાં અપાયો છે. રેલ્વે સહિત ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં ખાનગી રોકાણ વિના આગળ વધવું સરકાર માટે કઠિન જ નહીં, અસંભવ પણ છે. આથી જ સરકારે આ મામલે વિદેશી –ખાનગી રોકાણને રાહત પણ આપી છે. મોબાઈલ થી માંડી ઈલેકટ્રોનિકસ સાધનો, મેડિકલ ડિવાઈસીસના ઉત્પાદનને પણ વેગ આપવાનો પ્લાન જાહેર થયો છે, જેમાં સફળતાની પણ ઊંચી શકયતા છે. ખાસ કરીને નેશનલ મોબાઈલ મેન્યુફકેચરિંગ સ્કીમનો પ્રસ્તાવ મહત્ત્વનો છે. આ જ રીતે ઓઈલ અને ગેસ માટે પણ પ્લાન છે. ટેકનોલોજી અને ઈનોવેશન સહિત સ્ટાર્ટઅપ્સ માટે પણ બજેટે મહત્ત્વાકાંક્ષી પ્લાન ઘડયા છે. નેશનલ લોજિસ્ટીક પોલીસી લાવવી, 100 નવા એરપોર્ટ બનાવવા, ઈલેકટ્રિસીટી બચત સંબંધી યોજના પણ લાંબા ગાળાનું નકકર કદમ કહી શકાય.
સામાજીક કલ્યાણના માર્ગે
સામાજીક કલ્યાણ યોજનાના ભાગરૂપે બજેટે મહિલા, બાળકો, પછાત વર્ગ,વગેરે માટે પણ જંગી ફાળવણી કરી છે. આયુષમાન ભારત વિસ્તારવાની યોજના સાથે તેના લાભ હેઠળ વધુ માંદગીઓને આવરી લેવાનું લક્ષ્ય પણ ઘડયું છે. સરકાર ઈઝ ઓફ લિવિંગ મારફત , સુર ક્ષિત માહોલ મારફત રાષ્ટ્રમાંખુશીનો માહોલ બનાવવા માગે છે. આ વિચાર સામે કેટલાંક ચોકકસ વર્ગ દ્રારા સવાલ અને શંકા થઈ શકે છે.પરંતુ બજેટે આ લક્ષ્ય રાખ્યું છે એ હકીકત પણ જોવી જોઈશે.
એલઆઈસીનો આઈપીઓઃ અનોખી ઘટના
સરકારે બજેટમાં એલઆઈસીનો આઈપીઓ લાવવાની તેમ જ આઈડીબીઆઈ બેંકમાંથી પોતાનો હિસ્સો ઘટાડવાની જાહેરાત કરી તે નોંધપાત્ર ઘટના કહી શકાય. આ મારફત સરકાર પોતાના ખર્ચ માટે ભંડોળ ઊભું કરશે અને રોકાણકાર વર્ગને એલઆઈસીના શેરમાં જબરદસ્ત તક મળશે. જો કે એલઆઈસી આઈપીઓ લાવશે ત્યારે તેની સામે પારદર્શકતાના સવાલ ઊભા થવાની ભીતિ વ્યકત થઈ રહી છે, જેના કારણ જાહેર છે, તેની સ્પષ્ટતાની જરૂર નથી. આ એક સંવેદનશીલ મુદો્ કહી શકાય.
બુલિયન એકસચેંજ મહત્ત્વનું કદમ
લાંબા સમયથી ગોલ્ડ એકસચેંજની વાત ચાલતી હતી, આ બજેટે ગિફટ સીટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસ સેન્ટર ખાતે નેશનલ બુલિયન સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે, જેની લાંબા ગાળાની અસર જોવાશે. સોનાના ભાવ માટે ભારત મહત્ત્વનું કેન્દ્ર બની શકે એવી શકયતા આનાથી ઊભી થશે.
બજેટમાં કરાયેલી કેટલીક જાહેરાત વાયદા જેવી છે. તેનો નક્કર અમલ થાય તો જ સાર્થકતા છે. આવી વાતો અગાઉ પણ ઘણીવાર થઈ છે, આ વખતે સરકારે પરિણામ વહેલું લાવવું જોઈશે
આમ બજેટે ઘણું ઝીણું-ઝીણું આપ્યું છે , જે નરી આંખે દેખાશે નહીં, કિંતુ તેને સમજવું પડશે. સમજવા માટે સમય આપવો જોઈશે. માત્ર શેરબજાર તુટવાના કારણને લઈ બજેટને બુરું ગણાય નહીં.
(જયેશ ચિતલિયા – આર્થિક પત્રકાર)
‘સબકા સાથ સબકા વિકાસ’ની ભાવનાને અનુરૂપ ઉત્કૃષ્ટ બજેટ: આશિષ ચૌહાણ (BSE)

આશિષ ચૌહાણ (બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓ)ના અભિપ્રાય મુજબ, સર્વ વર્ગોને સ્પર્શતું વિકાસલક્ષી બજેટ રજૂ થયું છે, જેમાં માગ અને રોજગારીમાં વૃદ્ધિ માટેની ભરપૂર જોગવાઈઓ કરવામાં આવી છે. આ એવું બજેટ છે, જેમાં દરેક માટે કોઈને કોઈ જોગવાઈ છે અને ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવનાને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન છે.
ખેડૂતોને સોલર પંપ્સ, વિમા કવચ, ટેક્નૉલૉજીમાં રોકાણ અને અન્ય સુવિધાઓ પૂરી પાડી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ સાથેની પીએમ કુસુમ સ્કીમ, ફેરિયાઓને આરોગ્ય, શિક્ષણ અને વિકાસની સુવિધાઓ પૂરી પાડી સારું જીવનધોરણ પૂરું પાડવું અને પછાત વર્ગો માટેના કલ્યાણ માટે 85,000 કરોડ અને અન્ય પછાત વર્ગો માટે 53,700 કરોડ રૂપિયાની જોગવાઈ, વગેરે દર્શાવે છે કે સરકાર સર્વ વર્ગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
વ્યક્તિગત આવક પરના વેરાના ઘટાડાને પગલે મધ્યમ વર્ગ પાસે વધુ આવક રહેશે. સીનિયર સિટિઝન અને દિવ્યાંગ માટેની ફાળવણી વધારીને 9,500 કરોડ કરાઈ છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય નોટિફાઈડ ક્ષેત્રોમાં સોવરિન વેલ્થ ફંડ્સના મૂડીરોકાણ પરના વિથહોલ્ડિંગ ટૅક્સનો પાંચ ટકાનો દર, વ્યાજખર્ચ, ડિવિડંડ અને કેપિટલ ગેઈન્સને સંપૂર્ણ કરમુક્તિને પગલે વિદેશી રોકાણકારોને પણ આકર્ષણ પૂરું પાડવામાં આવ્યું છે.
એમએસએમઈ ક્ષેત્રમાં વિલંબિત ચુકવણી અને રોકડ પ્રવાહના અસંતુલનને નિવારવા ઈન્વોઈસિંગ ફાઈનાન્સ પૂરું પાડવામાં આવશે.
ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સની નાબૂદી, ઓડિટની ટર્નઓવર મર્યાદા એક કરોડ રૂપિયાથી વધારીને પાંચ કરોડ રૂપિયા કરાઈ અને અમુક શ્રમલક્ષી ઉત્પાદનનો પરની કસ્ટમ્સ ડ્યુટી વધારાઈ એને પગલે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ વધશે અને એમએસએમઈ વિશ્વની નિકાસ બજારમાં સ્પર્ધાત્મક બની રહેશે.
વેપાર સાહસિકતા અને સ્ટાર્ટ-અપ્સને ઉત્તેજન આપવા માટે ટર્નઓવરની લિમિટ રૂ।. 25 કરોડથી વધારીને રૂ।. 100 કરોડની અને ડિડક્શનના દાવા માટેનો સમયગાળો સાત વર્ષથી વધારીને 10 વર્ષનો કરવામાં આવ્યો છે.
શેરબજાર માટેની સારી દરખાસ્ત એ છે કે આઈડીબીઆઈ બેન્કમાંના હિસ્સાને સરકાર વેચી કાઢશે અને એલઆઈસીનો આઈપીઓ લાવશે.
આ સિવાય આઈએફએસસી ઝોનમાં બુલિયન એક્સચેન્જીસની સ્થાપના, રૂપી ડેરિવેટિવ્ઝ શરૂ કરવાની અને લિસ્ટેડ બોન્ડ્સ પરના વ્યાજ પરના વિથહોલ્ડિંગ ટૅક્સને પાંચ ટકાથી ઘટાડીને ચાર ટકાનો કરાયો, વેરાસંબંધિત વિવાદોમાં ઘટાડો કરવા માટેના માળખાને વિસ્તૃત કરવાની, એનબીએફસી, એચએફસી માટે પાર્શિયલ ગેરન્ટી સ્કીમ, આદિ અંગેની જોગવાઈઓ ધ્યાનાકર્ષક છે.
નૅશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટ માટે રૂ।. 103 લાખ કરોડની જોગવાઈ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપનીઓને ઈક્વિટી સપોર્ટ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવા માટે પણ પગલાં લેવામાં આવ્યાં છે. ટૂંકમાં, નાણાપ્રધાને ચાવીરૂપ ક્ષેત્રોના વિકાસ માટે ઉત્કૃષ્ટ બજેટ રજૂ કર્યું છે.
બજેટ-2020માં શું સસ્તું થયું, શું મોંઘું થયું?

સસ્તી થયેલી ચીજોઃ
વૃત્તપત્રોનો કાગળ (ન્યૂઝપ્રિન્ટ)
ખેલકૂદની સામગ્રી અને સાહિત્ય
અમુક ઈમ્પોર્ટેડ મિલિટરી સાધનસામગ્રી
ઈલેક્ટ્રિક વાહનો (ઈ-વાહનો)
માઈક્રોફોન
સોયા ફાઈબર
ભારતમાં ઉત્પાદિત મોબાઈલ ફોનના કેટલાક છૂટા ભાગો
સોયા પ્રોટીન
કાચી સાકર (Raw sugar)
અમુક આલ્કોહોલિક પીણા
સ્કિમ્ડ મિલ્ક
એગ્રો-એનિમલ બેઝ્ડ પ્રોડક્ટ્સ
લાઈટવેઈટ કોટેડ કાગળ
મોંઘી થયેલી ચીજોઃ
ઈમ્પોર્ટેડ જૂતાં-ચંપલ-પગરખાં
ઈમ્પોર્ટેડ રીફાઈન્ડ વેજિટેબલ ઓઈલ
ટ્રોફીઓ
કોફી અને ટી મેકર્સ
વોટર હીટર્સ
હેર ડાયર્સ
ઈલેક્ટ્રિક ઈસ્ત્રી
સિલીંગ ફેન
ટેબલ ફેન
પોર્ટેબલ બ્લોઅર્સ,
તમાકુ, હૂકા, સિગારેટ
ઈમ્પોર્ટેડ હેડફોન્સ/ઈયરફોન્સ
મોબાઈલ ફોન્સના ઈમ્પોર્ટેડ PCBA
ઈમ્પોર્ટેડ ગ્લાસ બીડ્સ
ઈમ્પોર્ટેડ કૃત્રિમ ફૂલો
લાકડાનું અને ધાતુનું ઈમ્પોર્ટેડ ફર્નિચર
ઈમ્પોર્ટેડ રમકડાં
ઈમ્પોર્ટેડ દાંતિયા, હેરપિન્સ
ઈમ્પોર્ટેડ ઝાડુ, બ્રશ, સફાઈ માટેના સાધનો
ઈમ્પોર્ટેડ ઘરેલુ ચીજવસ્તુઓ
ઈમ્પોર્ટેડ અખરોટ
ઈમ્પોર્ટેડ રાઉટર/મોડેમ પાવર એડેપ્ટર
ઈમ્પોર્ટેડ સેમી-કિંમતી સ્ટોન્સ
ઈમ્પોર્ટેડ ઘરેલુ અપ્લાયન્સીસ (ટોસ્ટર, કૂકર, ઓવન વગેરે)
ઈમ્પોર્ટેડ રફ-કલર્ડ જેમસ્ટોન્સ
ઈમ્પોર્ટેડ પેટન્ટ લેધર
ઈમ્પોર્ટેડ રફ-સિન્થેટિક જેમસ્ટોન્સ
ઈમ્પોર્ટેડ ઘી/બટર/તેલ/ચીઝ
MP3/MP4/MPEG4 પ્લેયર્સ
વિદ્યુત ઉત્પાદન માટે આયાત કરાયેલું નેપ્થા
ઈમ્પોર્ટેડ સરસવનું તેલ
ઈલેક્ટ્રિક મોટરસાઈકલો માટેના ભાગ
ઈમ્પોર્ટેડ ઈલેક્ટ્રિક વાહનો અને એનાં છૂટા ભાગ
ઈમ્પોર્ટેડ મોટર વેહિકલ્સ
અમુક ઈમ્પોર્ટેડ મેડિકલ સાધનસામગ્રી
સોયા પ્રોટીન
ચંપલ
શેવર્સ
હેર ક્લિપ્સ
હેર રિમુવિંગ વસ્તુઓ
ટેબલવેર
કિચનવેર
વોટર ફિલ્ટર
ગ્લાસવેર
બજેટમાં વિઝન અને એક્શનઃ વડાપ્રધાને વખાણ્યું બજેટને
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને આજે સંસદમાં નાણાકિય વર્ષ 2020-21 નું બજેટ રજૂ કર્યું. બજેટ બાદ વડાપ્રધાન મોદીએ બજેટના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ દશકના પહેલા બજેટ માટે, જેમાં વિઝન પણ છે અને એક્શન પણ છે. હું નાણામંત્રી નિર્મલા સીતારમનજી અને તેમની ટીમને ખૂબ શુભેચ્છાઓ આપું છું.
વડાપ્રધાને કહ્યું કે, ખેડુતોની આવક બેગણી થાય તેના પ્રયત્નોની સાથે જ 16 એક્શન પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે કે જે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારને વધારવાનું કામ કરશે. બજેટમાં નવા રિફોર્મ્સની પણ જાહેરાત કરવામાં આવી છે, તે આપણી અર્થવ્યવસ્થાને ગતિ આપવાનું, દેશના પ્રત્યેક નાગરિકને આર્થિક રુપે સશક્ત બનાવવાનું અને આ દશકમાં અર્થવ્યવસ્થાના મૂળને મજબૂત કરવાનું કામ કરશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રોજગારના પ્રમુખ ક્ષેત્રો એગ્રીકલ્ચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઈલ અને ટેક્નોલોજી છે. એમ્પ્લોયમેન્ટ જનરેશનને વેગ આપવા માટે આ ચારેય મુદ્દાઓ પર આ બજેટમાં જોર આપવામાં આવ્યું છે.
‘ભારતના કૃષિ પ્રાધાન્ય અર્થતંત્રના વિકાસના ભાવિને ડામાડોળ કરતું બજેટ’

કોમોડિટી વર્લ્ડ અને કૃષિપ્રભાતના તંત્રી મયૂર મહેતાના જણાવ્યા મુજબ, કૃષિપ્રધાન ભારતની ૬૦ ટકા પ્રજા ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, ભારતને પાંચ ટ્રિલિયન (લાખ કરોડ) ડૉલરની ઇકોનોમી બનાવવાનાં અને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનાં સપનાં આમપ્રજાને દેખાડવામાં આવ્યાં છે ત્યારે બજેટમાં ક્રાંતિકારી પગલાંની જાહેરાત થવાની અપેક્ષા હોવી સ્વાભાવિક છે, પણ કમનસીબે નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં કોઇ ક્રાંતિકારી પગલાં લેવાયાં નથી. ૧૬ મુદ્દાના એક્શન પ્લાનમાં બે-ત્રણ મુદ્દાઓ અને કૃષિ વાવેતર તથા એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટાને સચોટ કરવાની જાહેરાત કરાઇ; તે સિવાય કૃષિ ક્ષેત્રનો ઠોસ અને લાંબાગાળાનો વિકાસ થાય તેવી કોઇ જાહેરાત કરાઇ નથી.
દેશનો આર્થિક વિકાસ હાલ તળિયા તરફ જઇ રહ્યો છે અને બેરોજગારી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ એક માત્ર કૃષિ ક્ષેત્રના વિકાસ દ્વારા જ થઈ શકે છે. આથી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી તમામ સમસ્યાનું નિરાકરણ આ બજેટમાં આવવાની અપેક્ષા હતી.
સૌ પ્રથમ, દેશની ખાદ્યતેલોની આયાત સતત વધી રહી છે, કારણ કે દેશની ખાદ્યતેલોની વાર્ષિક જરૂરિયાત ૨૨૦થી ૨૨૫ લાખ ટનની છે. તેની સામે છેલ્લા બે દાયકાથી ખાદ્યતેલોનું ઉત્પાદન ૭૦થી ૭૫ લાખ ટનની આસપાસ સ્થિર થયું છે. દેશનો ખાદ્યતેલોનો વપરાશ દર વર્ષે બેથી ચાર ટકા વધી રહ્યો છે પણ ઉત્પાદન વધતું નથી. ખાદ્યતેલોમાં સ્વનિર્ભરતા મેળવવા માટે સરકારે ૨૦૧૮થી ખાદ્યતેલોની આયાત ડ્યુટી વધારવાનું શરૂ કર્યું છે. ૨૦૧૮ પહેલાં ખાદ્યતેલોની આયાત ડ્યુટી સાડા સાતથી સાડા બાર ટકા હતી, તે વધારીને ૪૫થી ૫૦ ટકા કરી હતી, જેમાં ટ્રેડ એગ્રીમેન્ટને કારણે તા. ૧ જાન્યુઆરીથી થોડો ઘટાડો થયો હતો, પણ અહીં બજેટમાં તે ફરી વધારી દેવામાં આવ્યો છે. માત્ર આયાત ડ્યુટી વધારવાથી ખાદ્યતેલોમાં સ્વનિર્ભરતા આવી શકે તેમ નથી, ત્યારે દેશનું તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની તાતી જરૂરિયાત છે.
વડાપ્રધાને બજેટ પૂર્વે ઓઇલ ડેવલપમેન્ટ ફંડ ઉભું કરવાની વાત કરી હતી, પણ ૧૯૯૧-૯૨માં પામ ડેવલપમેન્ટ ફંડની રચના થયા બાદ અત્યાર સુધીના દર બીજા બજેટમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારવા નાની-મોટી નાણાકીય ફાળવણી કરવામાં આવી રહી છે, પણ તેલીબિયાંનું ઉત્પાદન તસુભાર પણ વધતું નથી.
બજેટમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની દૃષ્ટિએ જીનેટિકલી મોડિફાઇડ રાયડાનું ઉત્પાદન વધારવાને મંજૂરી, પ્રાઇવેટ સેક્ટરને પામની ખેતી માટે પ્રોત્સાહન આપવાની અને તેલીબિયાંની ખેતી કરનારા ખેડૂતોને નાણાકીય પ્રોત્સાહન આપવાની જાહેરાત થવાની બજેટમાં અપેક્ષા હતી, પણ આવી કોઇ જાહેરાત થઇ નથી. ખાદ્યતેલોની આયાત પાછળ ગત નાણાકીય વર્ષમાં રૂા. ૭૫ હજાર કરોડનું વિદેશી હૂંડિયામણ વપરાયું હતું, જે વર્તમાન સીઝનમાં વધીને રૂા. એક લાખ કરોડે પહોંચવાનો અંદાજ છે.
દેશમાં સૌથી વધુ રોજગારી ટૅક્સટાઇલ સેક્ટર આપી રહ્યું છે, કોટન એસોસિયેશન ઑફ ઇન્ડિયાના અંદાજ પ્રમાણે ટૅક્સટાઇલ સેક્ટર દેશમાં ૧૨થી ૧૬ કરોડ લોકોને રોજગારી આપી રહ્યું છે ત્યારે રૂ, કોટન યાર્ન અને ટૅક્સટાઇલની નિકાસ એપ્રિલથી નવેમ્બર ૨૦૧૯ દરમિયાન ૧૪થી ૨૨ ટકા ઘટી હતી. કોટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા કપાસની ખરીદી કરીને ખેડૂતોને એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) આપી રહી છે પણ કોટન અને ટૅક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહી છે, કારણ કે એક્સપોર્ટ સતત ઘટી રહી છે. આવા સમયે બજેટમાં કોટન યાર્ન અને ટૅક્સટાઇલની એક્સપોર્ટ પર ડ્યુટી ડ્રૉ બૅક સ્કીમ દ્વારા પ્રોત્સાહન આપવાની અપેક્ષા હતી, પણ તેવી કોઇ જાહેરાત થઇ નથી.
ભારતની ટૅક્સટાઇલની નિકાસનો હિસ્સો ઝડપથી બાંગ્લાદેશ, વિયેટનામ અને પાકિસ્તાન તરફ જઇ રહ્યો છે ત્યારે કોટન અને ટૅક્સટાઇલ સેક્ટરનો વિકાસ કરીને દેશમાં રોજગારીની નવી તકો ઊભી કરવા કોઇ પગલાં બજેટમાં લેવાયાં હોત તો બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ થઇ શક્યું હોત પણ આવાં પગલાં લેવાયાં નથી.
આર્થિક સર્વેક્ષણમાં દેશના જીવીએ (ગ્રોસ વેલ્યુ એડેડ)માં એટલે કે આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રના વિકાસનો ફાળો ૨૦૧૪-૧૫માં ૧૮.૨ ટકા હતો તે ઘટીને ૨૦૧૮-૧૯માં ૧૬.૧ ટકા રહ્યો છે. આ આંકડા બતાવે છે કે દેશના ખેડૂતોને સરકારી સહાય દ્વારા મદદ મળી છે, પણ કૃષિ ક્ષેત્ર અધોગતિ તરફ જઇ રહ્યું છે. આ ઉપરાંત આર્થિક સર્વેક્ષણ અનુસાર ભારતમાં ફાર્મ મિકેનિઝમ માત્ર ૪૦ ટકા છે જેની સામે અમેરિકામાં ૯૫ ટકા, બ્રાઝિલમાં ૭૫ ટકા અને ચીનમાં ૫૯.૫ ટકા છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે બજેટમાં કોઇ ઠોસ કદમ લેવાવાની જરૂર હતી, જે લેવાયાં નથી. કૃષિ નિષ્ણાતોની અપેક્ષા હતી કે બજેટમાં કૃષિ ક્ષેત્રમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન, કૉર્પોરેટ ફાર્મિંગમાં ટૅક્સ બેનિફિટ અને વેરહાઉસિંગ કંપનીઓને ટૅક્સ બેનિફિટ આપવાની જાહેરાત થશે. ઉપરાંત, કોમોડિટી વાયદા બજારને સુદૃઢ કરીને પણ ખેડૂતોને માર્કેટ દ્વારા વધુ નાણાં મળી શકે તેવી વ્યવસ્થા થઇ શકે તેમ નથી. કોમોડિટી વાયદા બજારનો વ્યાપ વધારીને તેને વધુ પારદર્શક બનાવવા ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો અને બેન્કોને કોમોડિટી એક્સચેંજમાં ટ્રેડ કરવાની મંજૂરી મળવાની અપેક્ષા હતી. હાલ કોમોડિટી વાયદા બજારો એગ્રિકલ્ચર કોમોડિટીના ભાવ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે ત્યારે કોમોડિટી વાયદા બજારમાં આવતાં ભાવ વધુ પારદર્શક અને માર્કેટની સાચી સ્થિતિનું પ્રતિબિંબ પાડનારા બને તો કૃષિ ક્ષેત્રનો વિકાસ ઝડપી બની શકે તેમ છે, પરંતુ બજેટમાં આવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
દેશમાં જીરું, ધાણા, મસાલા અને અન્ય એગ્રિકલ્ચર પ્રોડક્ટોનું સરપ્લસ ઉત્પાદન થાય છે તેની એક્સપોર્ટ વધે તે માટે સરકાર દ્વારા એગ્રિકલ્ચર એક્સપોર્ટનો ટાર્ગેટ ૩૦ અબજ ડૉલરથી વધારીને ૧૦૦ અબજ ડૉલર કરાયો છે પણ એગ્રીકલ્ચર એક્સપોર્ટને પ્રોત્સાહન આપતી સ્કીમ તા. ૩૧મી માર્ચે બંધ થઇ રહી છે. આ સ્કીમ લંબાવવાની ઉપરાંત એક્સપોર્ટરોને લાભ આપતી નવી સ્કીમ લાવવાની જાહેરાત બજેટમાં થવાની ધારણા હતી, પણ એવું થયું નથી.
બજેટમાં કૃષિ વાવેતર અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટા સચોટ મળે તે માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત, રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની એગ્રિકલ્ચર અને માર્કેટ રિફૉર્મની સ્કીમનો અમલ કરવા પ્રોત્સાહન આપવાની જાહેરાત કરાઇ હતી. કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો કરીને પરંપરાગત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ વધારવાની સ્કીમ અને કિશાન રેલ, કૃષિ ઉડાન જેવી કેટલીક કાગળ પર સારી દેખાતી સ્કીમની જાહેરાત કરાઇ છે પણ તેનો અમલ ઢંગથી થશે તો જ તેનો લાભ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે થશે. બજેટમાં જાહેર થયેલી સ્કીમોથી ખેડૂતોની આવક બમણી થવાનું નથી અને ફાર્મ માર્કેટ લિબરાઇઝેશન જેવા અગાઉ દેખાડવામાં આવેલાં સપનાં પૂરાં થવાનાં નથી તે હકીકત છે.
આમ, એકંદરે દેશના કૃષિ ક્ષેત્રને ધબકતું કરીને આર્થિક વિકાસના લક્ષ્યને હાંસલ કરવા માટે બજેટમાં અનેક ક્રાંતિકારી જાહેરાત થવાની અપેક્ષા હતી, પણ ધારણા પ્રમાણેની કોઇ જાહેરાત થઇ નથી. આથી ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કઇ રીતે થશે, ફાર્મ માર્કેટ લિબરલાઇઝેશન થશે કે કેમ અને પાંચ અબજ ડૉલરનું અર્થતંત્ર ભારત બની શકશે કે કેમ તે અંગે શંકાઓ વધી હતી, જેના કારણે ભારતના આર્થિક વિકાસનું ભાવિ ડામાડોળ બન્યાનો અહેસાસ બજેટ બાદ થઇ રહ્યો છે.
બજેટને સરકારે વખાણ્યું તો વિરોધીઓએ વખોડ્યું
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકાર 2.0 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. જો કે વિપક્ષે આ બેજટને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.જાણીએ કોણો શું કહ્યું…
રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં તેવો કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગારી મળે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલા લાંબા બજેટમાં માત્ર આંકડાનો જુમલો હતો. વારંવાર વસ્તુ રિપીટ થતી હતી. તેમણે કહ્યું કે, સરકારને ખ્યાલ છે શું થઈ રહ્યું છે? અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે?
ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે, નાદાર સરકારનું નાદાર બજેટ છે. ભાજપ અર્થવ્યવસ્થાને લઈને નિષ્ફળ છે. યૂપીમાં ભાજપની સરકાર છે, પરંતુ રોકાણ લાવવાના નામ પર કંઇ નથી. રોજગાર કેમ ઉભો થશે, મોદી સરકાર બેરોજગાદી કેમ દૂર કરશે? આ બજેટ આંકડાની માયાજાળ છે જેથી અન્ય મુદ્દાથી ધ્યાન ભટકાવી શકાય.
અરવિંદ કેજરીવાલે બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દિલ્હીને બજેટમાંથી મોટી અપેક્ષાઓ હતી. પરંતુ એકવાર ફરીથી દિલ્હી વાળા લોકો સાથે સોતેલા જેવો વ્યવહાર થયો છે.દિલ્હી ભાજપની પ્રાથમિકતાઓમાં નથી આવતું, તો પછી દિલ્હીના લોકો ભાજપને શાં માટે વોટ આપે? પ્રશ્ન એપણ છે કે ચૂંટણી પહેલા જ જ્યારે ભાજપ દિલ્હીને નિરાશ કરી રહી છે તો પછી ચૂંટણી પછી પોતાના વચનો કેવી રીતે નિભાવશે?
બજેટ રજૂ કર્યા પછી નાણામંત્રી નિર્મલા શું બોલ્યા?
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સિતારમને આજે બજેટ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે ભારત હવે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે અને કેન્દ્ર સરકાર ઋણ ઘટાડીને જીડીપીના 48.7 ટકા પર આવી ગયું છે જે માર્ચ 2014 માં 52.2 હતું. નાણામંત્રીએ આજે બજેટ2020-21 નું બજેટ રજૂ કરતા કહ્યું કે 2014-19 દરમિયાન સરેરાશ વૃદ્ધિ દર 7.4 ટકાથી વધારે રહ્યો. બજેટ રજૂ કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.
- પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, ગ્રેજ્યુટી અને એનપીએસ પર છૂટ મળતી રહેશે. તેમણે કહ્યું કે, ટેક્સ સિસ્ટમને સરળ બનાવવામાં આવી છે. હવે ટેક્સ ભરવા માટે એક્સપર્ટની પણ જરુર નહી પડે.
- નાણામંત્રીએ કહ્યું કે, નવી આવકવેરા વ્યવસ્થા વૈકલ્પિક હશે, કરદાતાઓને જૂની વ્યવસ્થા અથવા નવી વ્યવસ્થા બંન્નેમાંથી એકને પસંદ કરવાનો વિકલ્પ મળશે.
- અઢી લાખ રુપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હશે. અઢી લાખ રુપિયાથી પાંચ લાખ રુપિયા સુધીની આવક પર પાંચ ટકાના દરથી ટેક્સ લાગશે, પરંતુ છૂટ બાદ પાંચ લાખ રુપિયાની આવક પર ટેક્સ નહી લાગે.
- નાણામંત્રીએ કહ્યું કે, દેશમાં જલ્દી જ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવશે. શિક્ષણ માટે 99 હજાર 300 કરોડ તેમજ કૌશલ વિકાસ માટે 3000 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.
- આ બજેટનું લક્ષ્ય લોકોને રોજગારી ઉપ્લબ્ધ કરાવવાનું, વ્યાપારને મજબૂત કરવાનું, તમામ અલ્પસંખ્યકો, અનુસૂચિત જાતિ/જનજાતિની મહિલાઓની અપેક્ષાઓને પૂરી કરવાનું છે.
- કે ટેક્સ અંગે કોઈને પરેશાન નહીં કરવામાં આવે. કાયદા પ્રમાણે ટેક્સ ચાર્ટર લાવવામાં આવશે. લોકોના મનમાં ટેક્સ અંગેનો ડર ખતમ કરવામાં આવશે. ટેક્સ કલેક્શન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. કુલ મળીને સરકાર ટેક્સ અંગે કરદાતાઓને પરેશાન નહીં કરે. જ્યારે ટેક્સ ચોરી કરનારાઓ માટે કાયદો કડક કરવામાં આવશે.































