Home Blog Page 2243

સંસદભવનની બહાર બે દેખાવકારની ધરપકડ

નવી દિલ્હીઃ આજે લોકસભામાં મુલાકાતીઓની ગેલરીમાંથી કૂદીને બે શખ્સે સ્પીકરના મંચ પાસે પહોંચીને પીળા રંગનો ધૂમાડો છોડનાર સ્મોક સ્ટિક ફેંકી ફેંક્યાની અમુક જ મિનિટો બાદ સંસદભવનની બહાર, ટ્રાન્સપોર્ટ ભવનની નજીક પોલીસે બીજા બે જણની ધરપકડ કરી હતી. આમાં એક પુરુષ છે અને એક મહિલા છે. આ બંને જણ નારા લગાવતા હતાઃ ‘સરમુખત્યારશાહી, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓને સાંખી નહીં લેવાય.’

મહિલા દેખાવકારને 42 વર્ષીય નીલમ અને પુરુષ દેખાવકારને 25 વર્ષીય અમોલ શિંદે તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. મહિલા હરિયાણાના હિસ્સારની વતની છે જ્યારે પુરુષ દેખાવકાર મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે.

આ બંને જણ રંગીન ધૂમાડો છોડીને વિરોધ દર્શાવતા હતા. આ બંનેની ધરપકડ વખતે સાગર નામના શખ્સે લોકસભાની અંદર સ્મોક સ્ટીક ફેંકી હતી જેમાંથી રંગીન ધૂમાડો છૂટ્યો હતો.

સંસદ પર હુમલાની વરસીએ લોકસભાની સુરક્ષામાં છીંડાં

નવી દિલ્હીઃ સંસદ પર હુમલાની 22મી વરસીના દિને સંસદની સુરક્ષામાં ભારે ચૂક થઈ છે. લોકસભામાં બે લોકો દર્શક ગેલેરીથી કૂદી પડ્યા હતા અને તેમણે યલો ગેસ છોડ્યો હતો, જ્યારે સંસદ ભવનની બહાર પણ બે લોકોએ ધુમાડો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે આ ઘટનાની તપાસ થઈ રહી છે. બંને યુવકોને પકડી લેવામાં આવ્યા છે અને તેમની પાસેની સામગ્રી જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે સંસદની બહાર ઘટનાને અંજામ આપતાં એક મહિલા અને યુવકની પણ દિલ્હી પોલીસે હિરાસતમાં લઈ લીધા છે., જ્યારે અંદરવાળા શખસને સંસદની સિક્યોરિટીએ પકડી લીધા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

 આ શખસોએ ફ્લોરોસેન્ટ ગેસનો છંટકાવ કર્યો હતો. ભાજપના સાંસદ સત્યપાલ સિંહને કહ્યું હતું કે લોકસભામાં શૂન્યકાળની કાર્યવાહી દરમ્યાન અચાનક બે યુવકો વિઝિટર્સ ગેલેરીમાંથી નીચે કૂદી ગયા હતા. તેમણે પીળી ગેસ છોડ્યો હતો.

સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ઘસી ગયા હતા. આ કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

આ બાદ સાંસદોએ તેને પકડી લીધા હતા અને બાદમાં સુરક્ષા કર્મચારી તેને બહાર લઈ ગયા હતા. આ કારણે ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

 

 

 

 

 

‘સિંઘમ’ ફિલ્મના કલાકાર રવિન્દ્ર બેર્ડેનું મુંબઈમાં હાર્ટએટેકથી અવસાન

મુંબઈઃ હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા કલાકાર રવિન્દ્ર બેર્ડેનું આજે સવારે અહીં અવસાન થયું છે. એમને ગળાનું કેન્સર હતું અને એ માટે તેઓ ટાટા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. એમને બે દિવસ પહેલાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે હાર્ટ એટેક આવતાં એમનં નિધન થયું હતું. તેઓ 78 વર્ષના હતા.

રવિન્દ્ર બેર્ડેએ 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. અજય દેવગન અભિનીત ‘સિંઘમ’ ફિલ્મમાં એમણે જમીનદાર ચંદ્રકાંતની ભૂમિકા ભજવી હતી. 2001માં અનિલ કપૂર અભિનીત ‘નાયકઃ ધ રીયલ હીરો’ ફિલ્મમાં પણ એમણે કરેલા અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. રવિન્દ્ર બેર્ડે મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં વધારે જાણીતા હતા. ત્યાં એમની ફિલ્મી કારકિર્દી 6 દાયકા લાંબી રહી હતી.

રવિન્દ્ર બેર્ડેના પરિવારમાં એમના પત્ની, બે સંતાન, પુત્રવધૂ અને પૌત્ર છે. તેઓ જાણીતા અભિનેતા સ્વ. લક્ષ્મીકાંત બેર્ડેના ભાઈ હતા.

આ છે ગુજરાતનું એકમાત્ર ગાય બજાર!

રાજય સહિત દેશભરમાં જુદી-જુદી જાતના પ્રાણીઓ અને પક્ષીઓના બજાર ભરાય છે. જેમાં વ્યક્તિ દામ આપી ઉચ્ચ કોટીના જાનવરોની ખરીદી કરે છે. ગધેડાઓથી લઈને ઘોડા સુધી અનેક જાનવરોની બોલી પણ લાગે છે. જોકે આજે આપણે વાત કઈંક જુદી જ કરવાની છે. અહીં અમે તમને ગાયોના બજારમાં લટાર મારવા લઈ જઈશું.

જી, હા ગુજરાતમાં એક એવી પણ જગ્યા છે જ્યાં ગાયોનું બજાર ભરાય છે. મજાની વાત એ છે કે અહીં વેચાણ માટે લવાતી ગાયો મોટાભાગે પંજાબથી આવે છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની ગાયો જોવા મળે છે. જેમાં કાંકરેજ, ગીર અને ડાંગી નસલની ગાયો જોવા મળે અને સંવર્ધન પણ થાય. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્યની ગીર સહિતની ઉત્કૃષ્ટ ગાયો બહારના રાજ્યો અને દેશોમાં ઉછેર વેપાર થઈ રહ્યો છે. જ્યારે બહારના રાજ્યો અને દેશોની મિક્સ બ્રીડ, જર્સી, એચ એફ, સાયવાલ પાકિસ્તાની જેવી અનેક ગાયોનું ધૂમ વેચાણ ગુજરાતમાં થઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં અરવલ્લી જિલ્લાના બાયડના મુખ્ય માર્ગ ઉપર પંજાબથી લાવવામાં આવતી ગાયોનું વેચાણ વધ્યુ છે.

પંજાબથી જુદી જુદી નસલની ગાયો લાવવામાં આવે છે. જેના વેચાણ અને ઉછેર જાળવણી માટે મોટી સંખ્યામાં બિહાર પ્રાંતના લોકો અહીં જોવા મળે છે. બાયડ જતા માર્ગ પર બંન્ને તરફ વિશાળ ટેન્ટની આસપાસ નાની મોટી વિવિધ જાતની ગાયોનું બજાર લાગ્યુ છે. પંજાબથી આવતી ગાયોના વેચાણને કારણે આસપાસના ગામડાંઓમાં એચ એફ, જર્સી, મિક્સ બ્રીડની ગાયોની વધતી સંખ્યા ઉડીને આંખે વળગે એવી છે.

મૂળ પંજાબ અમૃતસરના અને હાલમાં બાયડમાં ગાયોનું વેચાણ કરતા કસ્તુરીલાલ શર્મા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, હું 1983માં ગાયોનું વેચાણ કરવા અર્થે ગુજરાતમાં આવ્યો હતો. ત્યારથી અહીં જ વસી ગયો છું. પરિવારને મળવા ક્યારેક ક્યારેક અમૃતસર જવાનું થાય છે. હકીકતમાં ગાયોનું બજાર પહેલા માણસા, આણંદ, પણસોરા, બાપુદરા અને કપવંજમાં ભરાતું હતુ. પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી અમે બાયડમાં જ વેચાણ કરીએ છીએ.
વધુમાં કસ્તુરીલાલ કહે છે, વર્ષ દરમિયાન મે અને જૂન બે મહિના દરમિયાન આ બજાર બંધ રહે છે બાકી દસ મહિના માર્કેટ ધમધમે છે. આસપાસના ગામના લોકો ઉપરાંત ગુજરાતભરમાંથી લોકો ઉચ્ચ નસલની ગાયો લેવા માટે આ માર્કેટમાં આવે છે.

જ્યારે 1987થી આ માર્કેટમાં કસ્તુરીલાલની સાથે ગાયોનું વેચાણ કરતા બિહારના બિટ્ટુભાઈ યાદવ ચિત્રલેખા.કોમને કહે છે.. ગીરથી લઈને પાકિસ્તાનની ખાસ કહેવાતી સાયવાલ ગાય આ બજારમાં મળી રહે છે. નાનામાં નાની ગાય રોજનું 8થી 10 લીટર દૂધ આપે છે. જ્યારે મોટી ગાયો 15 લીટર સુધી રોજનું દૂધ આપે છે.

નવાઈની વાત તો એ છે કે આ બજારમાં બધી જ ગાયો પંજાબથી લાવવામાં આવે છે. એટલુ જ નહીં અહીં ગાયોનું વેચાણ કરનાર વેપારીઓ મોટાભાગે બિહારના કે પંજાબના જ છે. જયારે ગાયોની ખરીદી કરનાર ગુજરાતી.

છેલ્લા 15 વર્ષથી આ માર્કેટમાં ગાયો લઈને આવતા ગુડ્ડુકુમાર યાદવ ચિત્રલેખા.કોમને કહે છે, અહીંની બધી જ ગાયો પંજાબના ગંગાનગરમાંથી લાવવામાં આવે છે. 45 હજારથી લઈને 90 હજાર અને ક્યારેક ખરીદદાર સારો હોય તો ઉંચી નસલની ગાયના લાખ રૂપિયા પણ મળી રહે છે. હું દસ મહિના ગુજરાતમાં આવીને ગાયોનું વેચાણ કરું છુ અને બે મહિના પરિવાર પાસે બિહાર જવુ છુ. પરત ફરતા પંજાબથી ગાયો લઈને આવુ છું.

અરવલ્લી જિલ્લાના બાયડ આસપાસના વિસ્તારમાં જ્યારે ખેતીમાંથી ઉપજ નહોતી થતી ત્યારે પશુપાલને જ પરિવારોને સહારો આપ્યો હતો. હાલ ગામડાંઓમાં ઠેર ઠેર ગાયોનું સંવર્ધન થતું જોવા મળે છે.

(હેતલ રાવ)

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

હાઇકોર્ટે રખડતા ઢોરોનાં મોત મામલે સરકારને ફટકાર લગાવી

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરના અને બિસ્માર રસ્તાઓ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિર્દોષ પશુઓના મૃત્યુ બાબતે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. એ સાથે જ નડિયાદ અને અમદાવાદમાં ગાયોનાં મોતના મુદ્દા અંગે પણ કોર્ટે ગંભીરતાથી નોંધ લેતાં ચિંતા વ્યક્ત કરી હતી.

રાજ્યભરમાં રખડતાં ઢોર અને બિસ્માર રોડ રસ્તા મામલે થયેલી જાહેર હિતની અરજી પર આજે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીની શરૂઆત દરમિયાન નિર્દોષ પશુઓનાં મોત મામલે હાઇકોર્ટ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. જેમાં હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે કે માણસોના સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓનાં મોત ચલાવી લેવાશે નહીં.

નડિયાદ અને અમદાવાદમાં ગાયોનાં મોતના મુદ્દાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે, જેમાં ઢોર વાડાઓમાં પશુઓને રાખવાની ક્ષમતા ઉપરાંત તેમને અપાતા ચારા અને મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની વિગતો તાત્કાલિક ધોરણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મગાવવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર ઉપરાંત નડિયાદ કલેકટર અને જવાબદાર પક્ષકારોને આ તમામ મુદ્દે 24 કલાક એટલે કે એક જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે અને આ મામલે હવે હાઇકોર્ટમાં વિગતવાર સુનવણી હાથ ધરાશે.

હાઇકોર્ટ દ્વારા કડક ટકોર બાદ રાજ્યભરમાં રખડતા ઢોરને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં પશુઓનાં મોત થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. આજની સુનાવણી દરમિયાન પશુમાલિકો દ્વારા ઢોરના મોત મામલે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને જે બાદ હાઇકોર્ટ આ મામલે વિગતવાર અહેવાલ મગાવ્યો છે.

 

 

 

એવિયેશન મંત્રી સિંધિયાનો એરલાઇન્સ કંપનીઓને વાજબી ભાડાં રાખવા નિર્દેશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કામકાજ અને ગ્રાહકોને લગતી સેવાઓથી સંબંધિત મુદ્દાઓના સમાધાન માટે એરલાઇન ઉદ્યોગના મુખ્ય પ્રતિનિધિઓની સાથે સલાહકાર ગ્રુપની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકનું પ્રાથમિક ફોકસ પ્રત્યેક એરલાઇન માટે ઓન-ટાઇમ પ્રદર્શન (OTP)માં સુધારો કરવાનો હતો.

સિંધિયાએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને VFR- સુસજ્જિત (વિઝ્યુઅલ ફ્લાઇટ રુલ્સ) એરપોર્ટો પર ટેક્નિકલ વિશિષ્ટતાઓનું પુનર્મૂલ્યાંકન કરવાના નિર્દેશ આપ્યા હતા, જેનો ઉદ્દેશ એરલાઇન્સના OTPને વધારવાનો અને પેસેન્જરો માટે વધુ કુશળ પ્રવાસનો અનુભવ કરાવવાનો હતો. તેમણે OTPની તપાસ કરવા સિવાય પ્રત્યેક એરલાઇન દ્વારા કાર્યાન્વિત ફ્લાઇટ્સના ભાડા સંબંધિત સ્વ-નિગરાની તંત્ર પર ચર્ચા કરી હતી. તેમણે એરલાઇન્સને વિશિષ્ટ માર્ગો પર વાજબી ભાડાં જાળવી રાખવાનો આગ્રહ કર્યો હતો.

એક અધિકારીએ કહ્યું હતું કે DGCA ટેરિફ મોનિટરિંગ યુનિટને પસંદગીના માર્ગો પર ફ્લાઇટ્સના ભાડાં પર નિયમિત દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. સિંધિયાએ ટિયર 2 અને ટિયર 3 શહેરો અને આંતરરાષ્ટ્રીય સ્થાનો વચ્ચે કનેક્ટિવિટી વધારવાની દ્રષ્ટિએ એરલાઇન્સને આગામી છ મહિનાઓમાં યોજનાઓ શરૂ કરવા આહવાન કર્યું હતું. તેમણે પોઇન્ટ-ટુ-પોઇન્ટ સીધી ક્નેક્ટિવિટીને પ્રાથમિકતા આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે એરલાઇન્સને પહોળી બોડી અને નેરો બોડી- લાંબા અંતર માટેનાં વિમાનોનો ઉપયોગ કરવા પર ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહિત કરી હતી. તેમણે એરોસ્પેસ નિર્માતાઓ અને MROના સલાહકાર ગ્રુપથી પણ મુલાકાત કરી હતી અને નિયામકના મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો હતો.

 

 

 

 

 

કોરાનાના 166 નવા કેસો, એકનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 166 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,03,341 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,308 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,69,194 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 173 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1091 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,78,453 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 114 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

મહાદેવ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ

દુબઈઃ ઓનલાઈન બેટિંગ (સટ્ટાખોરી)ની મોબાઈલ એપ મહાદેવ એપના બે મુખ્ય માલિકોમાંના એક, રવિ ઉપ્પલની દુબઈમાં સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે. ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)ની વિનંતી પર ઈન્ટરપોલ સંસ્થાએ ઈશ્યૂ કરેલી રેડ નોટિસના આધારે દુબઈ પોલીસે ઉપ્પલની ધરપકડ કરી છે. 43 વર્ષનો ઉપ્પલને ભારત લાવવા માટે ઈડી સત્તાવાળાઓ દુબઈના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે.

ઈડી એજન્સીએ ગેરકાયદેસર સટ્ટાખોરી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઉપ્પલ સામે તપાસ આદરી છે. આ મામલે મુંબઈ અને છત્તીસગઢ પોલીસ પણ તપાસે કરે છે. ઈડી એજન્સીએ ઉપ્પલ ઉપરાંત ઈન્ટરનેટ-આધારિત પ્લેટફોર્મ મહાદેવ એપના અન્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે પણ મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો છે. આ કેસ ગયા ઓક્ટોબરમાં છત્તીસગઢના રાજધાની શહેર રાયપુરમાં સ્પેશિયલ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં નોંધવામાં આવ્યો હતો.

ઈડીનો આરોપ છે કે ઉપ્પલે આ ગુનામાંથી આવક મેળવી હતી અને તેને છુપાડી હતી. તે ચંદ્રભૂષણ વર્મા નામના એક શખ્સ મારફત છત્તીસગઢના સરકારી અધિકારીઓ અને નેતાઓને ગેરકાયદેસર રીતે નાણાં પહોંચાડતો હતો. આ કેસમાં ગુનાખોરીની રકમ રૂ. 6,000 કરોડ જેટલી થવા જાય છે.

નવા વર્ષથી એર ઈન્ડિયા નવા લુકમાં

મુંબઈઃ દેશની અગ્રગણ્ય એરલાઈન કંપની એર ઈન્ડિયા નવા વર્ષથી નવા લુક સાથે ગ્રાહકો/વિમાનપ્રવાસીઓની સેવામાં હાજર થશે. જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ એર ઈન્ડિયાના કેબિન અને કોકપિટ ક્રૂ સભ્યોનાં નવા ગણવેશની ડિઝાઈન તૈયાર કરી છે. એર ઈન્ડિયાએ X પ્લેટફોર્મ પર આ સમાચાર, તસવીરો અને વીડિયો શેર કર્યાં છે. એર ઈન્ડિયાએ 60 વર્ષ પછી પોતાનાં કેબિન ક્રૂ અને પાઈલટ્સનાં યૂનિફોર્મમાં ફેરફારો કર્યા છે.

આ વીડિયો પરથી જોઈ શકાય છે કે મનીષ મલ્હોત્રાએ એર ઈન્ડિયાનાં ફ્લાઈટ એટેન્ડન્ટ્સનાં યૂનિફોર્મ્સને આધુનિક વળાંક આપ્યો છે. નવા યૂનિફોર્મ્સમાં રંગોની વિવિધતા અને કાલાતીત ડિઝાઈન જોવા મળે છે.

દર્શકોને સૌથી વધારે એ ગમ્યું છે કે અમુક ફ્લાઈટ એટેન્ડન્ટ્સ સાડી અને પેન્ટમાં જોવા મળી છે. આ ભારતીય-પશ્ચિમી લુક ખૂબ જ કમ્ફર્ટેબલ જણાય છે.

એર ઈન્ડિયાનાં વિમાનકર્મીઓ આ નવા ડ્રેસ સાથે નવા વર્ષના અંતભાગમાં, સૌ પ્રથમ A350 વિમાનમાં જોવા મળશે. એર ઈન્ડિયા પાસે 10,000થી વધારે ફ્લાઈટ ક્રૂ સભ્યો, ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ છે. એર ઈન્ડિયાએ નવા 470 વિમાનોનો ઓર્ડર પણ આપ્યો છે.

મનીષ મલ્હોત્રાએ કહ્યું છે કે, ‘એર ઈન્ડિયાનાં કર્મચારીઓ માટે નવા ગણવેશની ડિઝાઈન તૈયાર કરવાની મને તક આપવામાં આવી એને હું મારું ગૌરવ સમજું છું.’

ઉલ્લેખનીય છે કે, મહાન ઉદ્યોગપતિ જે.આર.ડી. ટાટાએ શરૂ કરેલી એર ઈન્ડિયા સમય જતાં ભારત સરકારે પોતાને હસ્તક લીધી હતી. પરંતુ, હવે તે ફરી ટાટા ગ્રુપની માલિકીની થઈ ગઈ છે. 1962ની સાલ સુધી એર ઈન્ડિયાની મહિલા ક્રૂ સભ્યો સ્કર્ટ, જેકેટ અને હેટ પહેરતી હતી, પણ જે.આર.ડી. ટાટાએ એમનાં ગણવેશમાં મોટો ફેરફાર કરાવ્યો હતો. મહિલા ક્રૂ સભ્યો સાડી પહેરે તે આઈડિયા ટાટાનો હતો. એ સાડીઓ એમણે બિન્ની મિલ્સમાંથી ખરીદી હતી.

૧૩ ડિસેમ્બર, ૨૦૨૩

૧૩ ડિસેમ્બર, ૨૦૨૩