Home Blog Page 117

થરૂરે પાકિસ્તાન મુદ્દે ટ્રમ્પને આપ્યો આકરો સંદેશ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ કોંગ્રેસ નેતા શશિ થરૂરના નેતૃત્વમાં ભારતીય ડેલિગેશન બ્રાઝિલના બ્રાસીલિયામાં છે. ત્યાર બાદ આ ડેલિગેશન અમેરિકા જશે. જોકે આ પહેલાં જ થરૂરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત યુદ્ધ નથી ઈચ્છતું અને તેને સમજાવવા માટે કોઈની જરૂર નથી. ટ્રમ્પ સતત કહી રહ્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરવા માટે મધ્યસ્થી કરી છે. એટલેથી જ ન રોકાતા પણ એવું પણ કહે છે કે તેમણે બંને દેશના વેપારને બંધ કરવાની ચેતવણી પણ આપી હતી.

થરૂરે બ્રાસિલિયામાં પત્રકારો વાતચીત કરતાં કહ્યું હતું કે અમેરિકન પ્રમુખના પદ માટે અમારા મનમાં ખૂબ જ સન્માન છે અને અમે આ સન્માનને ધ્યાનમાં રાખીને નથી બોલતા, પરંતુ આ બાબતે અમારી સમજ થોડી અલગ છે. અમને રોકવા માટે કોઈને સમજાવવાની જરૂર નથી. જો અમેરિકન પ્રમુખ અથવા તેમના વરિષ્ઠ અધિકારીઓ તરફથી કોઈ સમજાવવાની જરૂર હોત તો તે પાકિસ્તાનીઓને સમજાવવાનું હતું. અમને સમજાવવાની જરૂર નથી કારણ કે અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમે સતત કહ્યું હતું કે સંઘર્ષને લાંબો ખેંચવામાં અમારી રુચિ નથી. આ કોઈ પણ પ્રકારના યુદ્ધની શરૂઆત નથી. આ ફક્ત આતંકવાદીઓ સામેનો બદલો છે. જો પાકિસ્તાને પ્રતિક્રિયા ન આપી હોત, તો અમે પણ પ્રતિક્રિયા ન આપત.બ્રાસીલિયાની યાત્રા બાદ શશિ થરૂરના નેતૃત્વમાં ડેલિગેશન પોતાની યાત્રાના અંતિમ તબક્કામાં અમેરિકા જશે. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે અમે વોશિંગ્ટનની જનતાનો અભિપ્રાય, સરકારી અધિકારી, ધારાસભ્યો, સેનેટરો અને કોંગ્રેસમેન, ગૃહ અને સેનેટમાં વિવિધ સમિતિઓ, વોશિંગ્ટનમાં ખૂબ જ પ્રભાવશાળી થિંક ટેન્કો, ખાસ કરીને વિદેશ નીતિ, મીડિયા અને કેટલાંક જાહેર સંબોધનો પર ધ્યાન કેન્દ્રિત કરતી સમિતિઓ સાથે બેઠકો કરીશું. મને છ અથવા સાત ઈન્ટરવ્યુ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ ઈન્ટરવ્યુ વ્યક્તિગત અમેરિકન ચેનલ અને બ્રોડકાસ્ટર્સ, પોડકાસ્ટરોની દેન છે.

થરૂરે કહ્યું હતું કે અમેરિકા અમારા માટે તમામ પ્રકારે મહત્ત્વપૂર્ણ છે કારણ કે, સ્પષ્ટ રૂપે સુરક્ષા પરિષદ અમેરિકા સાથે અમારા સંબંધોનો એક નાનકડો ભાગ છે. અમરો સંબંધ ખૂબ બહોળો છે, ભલે તે વેપારની વાત હોય, સંરક્ષણની વાત હોય, ગુપ્ત જાણકારી શેર કરવાની વાત હોય કે ભલે G-20 સ્ક્વોડમાં અમારી ભાગીદારીની વાત હોય.

થરૂરે જણાવ્યું હતું કે કાલે અમેરિકામાં ભારત અને પાકિસ્તાન બંનેનાં ડેલિગેશન હાજર રહેવાના છે. જોકે આ એક રસપ્રદ વાત છે. કદાચ આ વિશે રસ વધશે, કારણ કે એક જ શહેર વોશિંગ્ટનમાં બે હરીફ પ્રતિનિધમંડળ હાજર રહેશે.

સુનિલ શેટ્ટી પર કેમ ભડકી ગૌહર ખાન?

અભિનેત્રી ગૌહર ખાન સોશિયલ મીડિયા પર સક્રિય છે અને લોકપ્રિય મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તેણીએ તાજેતરમાં જ પોતાના યુટ્યુબ પોડકાસ્ટ ‘માં નોરંજન’ લોન્ચ કર્યું છે, જેમાં તે માતા અને બાળકથી લઈને ગર્ભાવસ્થા સુધીની મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરશે. પહેલા એપિસોડમાં, તેણીએ તેના પુત્ર જહાનના જન્મ પહેલાં થયેલા કસુવાવડ વિશે વાત કરી અને સુનીલ શેટ્ટીની ‘સી-સેક્શનના કમ્ફર્ટ’ ટિપ્પણીની ટીકા કરી.

ગૌહર ખાને તેના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેની પહેલી ડિલિવરી સી-સેક્શન દ્વારા થઈ હતી.પોતાના આંસુ રોકીને તેણીએ કહ્યું કે જહાનના જન્મ પહેલાં જ તેણીનો ગર્ભપાત થયો હતો, ‘એક વાત છે જે મેં ક્યારેય કોઈને કહી નથી. જહાન પહેલાં પણ મારો ગર્ભપાત થયો હતો. તે સમયે મને જે લાગ્યું તે વિશે હું શું કહું? હું તેનું વર્ણન પણ કરી શકતી નથી. તે ગર્ભાવસ્થા હતી, લગભગ 9 અઠવાડિયા પછી મેં મારું બાળક ગુમાવ્યું. તે નુકસાન મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું.’

સુનિલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આથિયાએ સી-સેક્શનને બદલે નોર્મલ ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સી-સેક્શન એક આરામદાયક પ્રક્રિયા છે જે દરેક પસંદ કરે છે. ગૌહર ખાને આના પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું,’હું મોટેથી બૂમ પાડવા માંગુ છું અને કહેવા માંગુ છું કે તમે આ કેવી રીતે કહી શકો છો? મારો મતલબ કેવી રીતે? આ વિશે ઘણી બધી માન્યતાઓ છે કે જો કોઈ સી-સેક્શન કરાવી રહ્યું છે તો તે ખૂબ જ સરળ વિકલ્પ છે. આ વિશે આટલી બધી ખોટી માહિતી કેવી રીતે હોઈ શકે? અને એક પુરુષ સેલિબ્રિટી માટે આ કહેવું, જેણે ગર્ભાવસ્થામાંથી પસાર થયું નથી, જેણે બાળકને જન્મ આપ્યો નથી, તેને ખબર નથી કે સી-સેક્શન કેટલું પીડાદાયક છે.’

ગૌહર ખાને 2023 માં પુત્ર જહાનને જન્મ આપ્યો હતો. હવે તે પતિ ઝૈદ દરબાર સાથે તેના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તે ફરીથી ગર્ભવતી છે અને ટૂંક સમયમાં તેના ઘરે એક નાનો મહેમાન આવવાનો છે. અભિનેત્રીએ ‘બિગ બોસ સીઝન 7’ ની ટ્રોફી જીતીને પોતાની સ્પષ્ટવક્તા સાબિત કરી હતી. તે છેલ્લે સરગુન મહેતાના શોમાં જોવા મળી હતી.

IPL 2025 ફાઇનલ: અમદાવાદમાં દેશભક્તિ અને ક્રિકેટનો સંગમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ મંગળવાર, 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. અમદાવાદમાં ત્રીજી વખત યોજાનારી આ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) ટાઇટલ માટે ટકરાશે. ઓપરેશન સિંદૂરની થીમ પર આયોજિત સમાપન સમારોહ દેશભક્તિનો સંદેશ આપશે, જેમાં શંકર મહાદેવનનું પર્ફોર્મન્સ ચાહકોને ઉત્સાહિત કરશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 4:30 વાગ્યે પ્રેક્ષકોની એન્ટ્રી શરૂ થશે, અને 6:00 વાગ્યે સમાપન સમારોહ શરૂ થશે. શંકર મહાદેવન ‘મા તુજે સલામ’, ‘લક્ષ્ય’, અને ‘આઇ લવ માય ઇન્ડિયા’ જેવાં ગીતો રજૂ કરી ઓપરેશન સિંદૂરના શહીદો અને પહલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપશે. ઇનિંગ્સ બ્રેકમાં લેસર શો અને ગુજરાતી ગરબાનું આયોજન થશે. અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, અને અભિષેક બચ્ચન જેવા બોલિવૂડ સ્ટાર્સની હાજરીની સંભાવના છે. 85,000થી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે, જ્યારે 25,000 રિઝર્વ રાખવામાં આવી છે. સ્ટેડિયમ તિરંગાના રંગો અને વિશાળ સ્ક્રીન પર સેનાને આભારના સંદેશાઓથી શણગારાશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, અને સાંજે 5 વાગ્યા સુધી હળવા ઝાપટાંની શક્યતા છે, પરંતુ 7 વાગ્યા બાદ વરસાદની સંભાવના નથી. ભેજનું પ્રમાણ વધુ હોવાથી પ્રેક્ષકોને ઉકળાટનો સામનો કરવો પડી શકે. સ્ટેડિયમમાં ખાણી-પીણીની વસ્તુઓના ઊંચા ભાવ (જેમ કે, 20 રૂપિયાની પાણીની બોટલના 100 રૂપિયા, સેન્ડવિચના 200 રૂપિયા) ચાહકો માટે ચિંતાનો વિષય છે. ઓનલાઇન ટિકિટ બુકિંગની અપૂરતી વ્યવસ્થાએ પણ નારાજગી ફેલાવી છે. અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવર બમણી થશે, અને બેંગલુરુ-અમદાવાદનું એરફેર 26,000 રૂપિયાને પાર થયું છે.

જાતીય સતામણીના કેસમાં ફસાયેલા એજાઝ ખાને આગોતરા જામીન માટે અરજી કરી

ઉલ્લુ એપના હાઉસ અરેસ્ટ વિવાદ પછી હવે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. મનોરંજન કોરિડોરમાં પોતાની હરકતો માટે કુખ્યાત એજાઝ ખાન પર વધુ એક ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. હા, એક મહિલાના જાતીય સતામણી કેસમાં આરોપી અભિનેતાએ બોમ્બે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે.

આ અરજી એજાઝ વતી વકીલ અશોક સારાઓગી દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તેના પર અગાઉ અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ અંબોલી પોલીસે VHP કાર્યકરની ફરિયાદના આધારે FIR નોંધી હતી.

એજાઝ ખાને કામની લાલચ આપીને બળાત્કાર કર્યો

અભિનેતાએ તેના વકીલ અશોક સારાઓગી દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે જ્યાં એક મોડેલે આરોપ લગાવ્યો છે કે એજાઝ ખાને શોમાં કામ અપાવવાના નામે તેનું જાતીય શોષણ કર્યું હતું. મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ અભિનેતા દ્વારા મહિલા પર લગ્ન અને ઓનલાઈન શોમાં કામ અપાવવાના બહાને બળાત્કાર કરવામાં આવ્યો હતો. મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ આ વર્ષે 4 એપ્રિલના રોજ બપોરે 2:15 વાગ્યે, એજાઝે તેણીને જોગેશ્વરી (વેસ્ટ) સ્થિત તેના ઘરે બોલાવી અને ત્યાં તેનું જાતીય શોષણ કર્યું. ત્યારબાદ 24 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 3:15 વાગ્યે, તે બળાત્કાર પીડિતાના ઘરે આવ્યો અને ફરી એકવાર મહિલાનું જાતીય શોષણ કર્યું.

એજાઝ ખાને આગોતરા જામીન અરજી દાખલ કરી

મુંબઈની દિંડોશી કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હવે એજાઝ ખાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની અરજીમાં તેમણે ફરિયાદી પર ખંડણીનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે તેણીએ તેમની પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ બાદમાં તે પાછી હટી ગઈ હતી. આગોતરા જામીન અરજી પર ટૂંક સમયમાં બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થશે.

20 નહીં, 28 વિસ્તારોને ભારતે કર્યા ધ્વસ્ત’: પાકિસ્તાનની કબૂલાત

નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાની ઘણી પ્રશંસા થઈ છે. આ દરમિયાન ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાંને નષ્ટ કરવામાં આવ્યાં હતાં. હવે ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના ડોઝિયરમાં મોટો ખુલાસો થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સેના દ્વારા જેટલું કહેવામાં આવ્યું હતું, તે કરતાં ઘણી વધુ હાનિ પાકિસ્તાનને પહોંચી છે.

ભારતે ઓપરેશન સિંદૂરમાં માત્ર આતંકી ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતા, પણ ત્યાર બાદ પાકિસ્તાની સેના દ્વારા નવો મોરચો ખોલવામાં આવ્યો હતો. પાકિસ્તાને ભારતનાં ઘણાં શહેરોને ડ્રોન અને મિસાઈલથી ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેના એ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા. આ ઉપરાંત ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનનાં ઘણાં વાયુસૈનિક મથકોને ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં, જેમાં ભારે નુકસાન થયું.

ભારતે 20 નહિ, પણ 28 જગ્યાઓને બનાવ્યાં નિશાન

ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાન અનેક વખત ખોટા દાવાઓ કરી ચૂક્યું છે, પણ હવે તેના ડોઝિયરમાંથી તેનું સાચો ચહેરો સામે આવ્યો છે. આ ડોઝિયરમાંથી ખબર પડી છે કે ભારતે અંદર સુધી જઈને જવાબી કાર્યવાહી કરી હતી. તેણે પાકિસ્તાનમાં માત્ર 20 નહિ, પરંતુ 28 સ્થળોએ હુમલા કર્યા હતા. ભારતીય સેના દ્વારા પત્રકાર પરિષદમાં આ તમામ સ્થળોના ઉલ્લેખ વગર જ માહિતી આપવામાં આવી હતી, પણ હવે ડોઝિયરમાંથી પેશાવર, સિંધ, ઝાંગ, ગુજરાંવાલા, બહાવલનગર અને છોર સહિતની જગ્યાઓને નુકસાન પહોંચ્યું હોવાની પાકિસ્તાને કબૂલાત કરી છે.

ભારતે પાકિસ્તાનના અનેક સૈન્ય ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં હતાં. તેણે નૂર ખાન, રફfકી, મુરીદકે, સુક્કુર, સિયાલકોટ, પસરુર, ચુનિયાન અને સરગોધા સહિત કુલ 11 એરબેઝ પર જવાબી કાર્યવાહી કરી હતી. તાજેતરમાં મૈક્સાર ટેકનોલોજીઝે સેટેલાઈટ ઈમેજ જાહેર કરી હતી. જેના દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાંઓને થયેલા નુકસાનનો ખુલાસો થયો હતો.

અમદાવાદ ગુજરાતમાં કોરોનાનું એપિસેન્ટર, એક સગર્ભાનું મૃત્યુ

ગુજરાતમાં કોરોનાના વધતા કેસોમાં અમદાવાદ એપિસેન્ટર બની રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 50 નવા કેસ નોંધાયા, જ્યારે 18 વર્ષની સગર્ભા યુવતીનું કોરોનાથી મૃત્યુ થયું, જે અમદાવાદમાં બીજી મૃત્યુની ઘટના છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 338 સુધી પહોંચી છે. આ સ્થિતિ આરોગ્ય વિભાગ અને નાગરિકો માટે ચિંતાનો વિષય બની છે.

2 જૂન, 2025ના રોજ અમદાવાદમાં 50 નવા કોરોના કેસ નોંધાયા, જેમાંથી 16 દર્દીઓ સાજા થયા. વિંઝોલની 18 વર્ષીય સગર્ભા યુવતી, જે શ્વાસની તકલીફ સાથે બે દિવસ પહેલાં એલ.જી. હોસ્પિટલમાં દાખલ થઈ હતી, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને સોમવારે સવારે તેનું મૃત્યુ થયું. અગાઉ 47 વર્ષની મહિલાનું પણ આ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અમદાવાદમાં કુલ 270 કેસ નોંધાયા, જેમાંથી 72 દર્દીઓ સાજા થયા અને 2નાં મૃત્યુ થયાં. હાલ 197 એક્ટિવ કેસ છે, જેમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 61, પશ્ચિમમાં 53, અને દક્ષિણ-પશ્ચિમમાં 37 કેસ છે.

અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 44 વર્ષનો પુરુષ, 74 વર્ષનો પુરુષ, અને 8 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે, જે ચાર દિવસથી ઓક્સિજન પર છે. ગુજરાતમાં 338 એક્ટિવ કેસમાંથી 11 દર્દીઓ સાજા થયા છે. રાજ્યના અન્ય શહેરોમાં રાજકોટ (23), જામનગર (11), અને સુરત (9) કેસ નોંધાયા છે. કોરોનાના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલાય છે. નિષ્ણાતોના મતે, હાલના કેસોમાં લક્ષણો હળવાં છે, પરંતુ શંકાસ્પદ લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવું જરૂરી છે.

કચ્છમાં ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવવા યોજના

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જે સફળ રહ્યું હતું. હવે ગુજરાત સરકારે કચ્છમાં ઓપરેશન સિંદૂરને સમર્પિત સ્મારક બનાવવાની યોજના તૈયાર કરી છે. આ સંબંધમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પાર્ક સુરક્ષા દળો પ્રત્યે સન્માન સાથે-સાથે રાષ્ટ્ર દ્વારા દર્શાવેલી એકતાનું પ્રતિબિંબ હશે.

ગુજરાત સરકાર દ્વારા આયોજન કરાયેલા આ પાર્કને ‘સિંદૂર વન’ નામ આપવામાં આવશે. તે ભારત-પાકિસ્તાન સરહદ નજીક કચ્છ જિલ્લામાં બનાવાશે, જે પાકિસ્તાન તરફથી થયેલા હુમલાઓનો ભોગ બન્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્મારક આશરે દોઢ વર્ષમાં બનાવીને તૈયાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે જમીન પર પ્રારંભિક કામગીરી શરૂ થઈ ગઈ છે.

કલેક્ટર આનંદ પટેલે આપી માહિતી

કચ્છના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સમાજ, સૈન્ય, વાયુ સેના, BSF અને અન્ય દળોએ જે એકતા દર્શાવી હતી, તેની યાદમાં વન વિભાગ દ્વારા ‘સિંદૂર વન’ તરીકે એક સ્મારક પાર્ક બનાવવાની યોજના છે.

ઓપરેશન સિંદૂર માટે બનાવાતાં ‘સિંદૂર વન’ ને ભૂજ-માંડવી માર્ગ પર મિર્ઝાપુરમાં વન વિભાગની આઠ હેક્ટર જમીન પર સ્થાપિત કરાશે. કલેક્ટર પટેલે જણાવ્યું કે આ જમીનનો તે ભાગ પણ સામેલ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતની પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન જાહેર સભા યોજી હતી.

પીએમ મોદીને આપ્યો હતો ‘સિંદૂરનો છોડ’

માધાપારની મહિલાઓએ  26 મેએ જાહેર સભા દરમિયાન વડા પ્રધાનને ‘સિંદૂરનો છોડ’ ભેટ આપ્યો હતો. આ મહિલાઓએ 1971ના યુદ્ધ દરમિયાન ભૂજ એરબેસના રનવેને 72 કલાકની અંદર મરામત કરવામાં મદદ કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે તેઓ આ છોડને પીએમ હાઉસ લઈ જશે, જ્યાં તે એક ‘વટવૃક્ષ’ બની જશે.

World Bicycle Day: દરરોજ 30 મિનિટ સાયકલ ચલાવવાથી થાય છે આ ફાયદા

એક સમય હતો જ્યારે લોકો ચાલીને લાંબા અંતર કાપતા હતા. સમય જતાં, સાયકલની શોધ થઈ અને લોકો તેનો ઉપયોગ કરવા લાગ્યા. સાયકલ ચલાવવી એ આખા શરીર માટે કસરતનો એક પ્રકાર હતો અને તેમાં કોઈ પ્રદૂષણ નહોતું. પરંતુ ધીમે ધીમે વિકાસ વધ્યો અને બાઇક, સ્કૂટર અને કાર આવી. આ પછી, સાયકલ ચલાવવાનો ટ્રેન્ડ લગભગ સમાપ્ત થઈ ગયો.

આજના સમયમાં, જો કોઈને 500 મીટરનું અંતર કાપવું પડે તો પણ લોકો સ્કૂટર, બાઇક કે કારનો ઉપયોગ કરે છે. પરંતુ જેમ જેમ આપણે સાયકલ ભૂલી ગયા છીએ, તેમ તેમ આપણી માટે ઘણી સમસ્યાઓ પણ વધી ગઈ છે. રસ્તાઓ પર વાહનોની કતારથી વાયુ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી ગયું છે, જ્યારે શારીરિક પ્રવૃત્તિના અભાવે લોકોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી છે. સાયકલનું મહત્વ જણાવવા માટે દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day)ઉજવવામાં આવે છે. આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો જાણો.

વિશ્વ સાયકલ દિવસની ઉજવણી 2018 માં શરૂ થઈ હતી. એપ્રિલ 2018 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વ સાયકલ દિવસ ઉજવવાનો નિર્ણય લીધો અને 3 જૂનને આ માટે તારીખ તરીકે નક્કી કરવામાં આવી. આ પછી આ દિવસ પહેલીવાર 3 જૂન, 2018 ના રોજ ઉજવવામાં આવ્યો.

સાયકલિંગ એ પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. તે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે કારણ કે તેને ચલાવવા માટે પેટ્રોલ કે સીએનજી જેવા કોઈ બળતણની જરૂર પડતી નથી. ઉપરાંત, તેને ચલાવવાથી શરીરને સારી કસરત મળે છે. તે કેલરી બર્ન કરે છે, આપણા શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને આખા શરીરને કસરત આપે છે. આ દિવસની શરૂઆત લોકોને સાયકલિંગની ઉપયોગીતા વિશે જણાવવા અને રોજિંદા કામમાં સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.

દરરોજ 30 મિનિટ સાયકલ ચલાવવાના ફાયદા

વજન નિયંત્રિત રહે છે

સ્નાયુઓ મજબૂત રહે છે

ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે

બીપીને નિયંત્રિત કરવામાં મદદરૂપ

માનસિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર

વિશ્વના ઘણા દેશોમાં સાયકલ દિવસ ઉજવવામાં આવે છે

જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૩ જૂને સાયકલ દિવસ ઉજવવાની જાહેરાત કરી ત્યારે ઘણા દેશોએ તેને ટેકો આપ્યો હતો. આ અંગે એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેને 56 થી વધુ દેશોએ ટેકો આપ્યો હતો. આજે વિશ્વના ઘણા દેશો આ દિવસની ઉજવણી કરે છે. આ દિવસે સાયકલ ચલાવવાના ફાયદાઓ પર ઘણી જગ્યાએ સેમિનાર યોજવામાં આવે છે. ઘણી જગ્યાએ સાયકલ રેસનું આયોજન કરવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયમાં ભારતીય મૂળની વ્યક્તિ લાઈફ સપોર્ટ પર, પોલીસ પર હિંસાનો આરોપ

કેનબેરા: ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય મૂળના વ્યક્તિ પર પોલીસે જમીન પર પછાડીને કથિત રીતે ઘૂંટણ તેના ગળા પર મૂકીને ઈજા પહોંચાડવાનો આરોપ છે. આજે તે વ્યક્તિ પોતાના જીવન માટે લડી રહ્યો છે. એડિલેડમાં પોલીસ સાથેની હિંસક અથડામણ બાદ બેતાલીસ વર્ષીય ગૌરવ કુંડીના મગજને નુકસાન થવાની શંકા હોવાથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા ટુડેના એક અહેવાલ મુજબ, ગુરુવારે વહેલી સવારે એડિલેડના પૂર્વીય ઉપનગરમાં ગૌરવ કુંડી અને તેમના પત્ની અમૃતપાલ કૌર જાહેરમાં દલીલ કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી પેટ્રોલિંગ પોલીસે આ ઘટનાને ઘરેલું હિંસા સમજી લીધી હતી. જો કે ગૌરવના પત્ની અમૃતપાલે પોલીસને જણાવ્યું હતું કે તે માત્ર નશામાં છે અને મોટેથી બોલાચાલી થઈ રહી હતી, હિંસા નહીં.

પોલીસે સ્થાનિક ન્યૂઝ ચેનલોને જણાવ્યું હતું કે ગૌરવે ધરપકડનો “હિંસક રીતે પ્રતિકાર” કર્યો હતો અને તે પહેલાં તે બેભાન થઈ ગયો હતો. તેના પત્નીએ ઝઘડાનું શૂટિંગ કર્યું હતું – જેનો ફૂટેજ 9ન્યૂઝ દ્વારા મેળવવામાં આવ્યો હતો. ક્લિપમાં કુંડી ચીસો પાડતો દર્શાવવામાં આવ્યો હતો જ્યારે ઘણા અધિકારીઓએ તેને પોલીસ કાર સામે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ‘મેં કંઈ ખોટું કર્યું નથી,’ તેણે બૂમ પાડી, જ્યારે કૌરે આ ઘટનાનું ફિલ્માંકન કર્યું, અને પોલીસને તેના સાથીને છોડી દેવા કહ્યું કે તેઓ અન્યાયી વર્તન કરી રહ્યા છે.

કુંડીને જમીન પર પછાડવામાં આવ્યા બાદ તે બેભાન થઈ ગયો હોવાના અહેવાલ છે, એક પોલીસ અધિકારીએ તેના ગળામાં ઘૂંટણ ટેકવી દીધું – આ પગલું યુનાઇટેડ સ્ટેટ્સમાં 2020ના જ્યોર્જ ફ્લોયડ કેસનો પડઘો પાડે છે.

“મેં ફિલ્માંકન બંધ કરી દીધું કારણ કે જ્યારે અધિકારી તેના પર ઘૂંટણિયે પડ્યો ત્યારે હું ગભરાઈ ગઈ હતી,” કૌરે 9ન્યૂઝને કહ્યું, ધરપકડ દરમિયાન કુંડીનું માથું પોલીસ કાર અને રસ્તા પર અથડાયું હતું. ત્યારબાદ ભારતીય મૂળના ગૌરવને રોયલ એડિલેડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ કહ્યું કે તેમને મગજ અને ગરદનના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ છે.

દરમિયાન, દક્ષિણ ઓસ્ટ્રેલિયા પોલીસે આ બાબતમાં આંતરિક તપાસ શરૂ કરી છે અને બોડી-કેમ ફૂટેજની સમીક્ષા કરી રહી છે. સ્થાનિક ન્યૂઝ અહેવાલ મુજબ, કાર્યકારી સહાયક કમિશનર જોન ડીકેન્ડિયા માને છે કે તેના અધિકારીઓએ પ્રારંભિક પુરાવાના આધારે યોગ્ય રીતે કાર્ય કર્યું છે, પરંતુ તપાસ ચાલી રહી છે.

ચોરની મા ઘડામાં મોઢું ઘાલીને રડે

                     

                 ચોરની મા ઘડામાં મોઢું ઘાલીને રડે

 

 

ચોરનાં કર્મો બાબત એની માને દુ:ખ થાય પણ એ દુખ એને છુપાઈને જ વેઠવું પડે. ગુનેગાર માણસ પોતાને થયેલું નુકશાન જાહેરમાં કહી શકતો નથી.

આમ કોઈ પણ દુષ્કર્મ કરનાર અથવા ગુનેગાર સાથે સંકળાયેલ વ્યક્તિ લોકલજ્જાએ પોતાનું દુ:ખ જાહેરમાં રડી શકતી નથી.

ખોટું કરનાર વ્યક્તિ પોતાનો દીકરો હોય તો પણ એના પ્રત્યેનો લગાવ જાહેરમાં વ્યક્ત કરી શકાતો નથી અને મન મારીને બધું વેઠી લેવું પડે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)