Home Blog Page 118

પંજાબના રાજકારણમાં ખળભળાટ: હરભજન સિંહના ઘરની દીવાલ પર લખાયું ‘ગદ્દાર’

પંજાબમાં AAP ના સાંસદોના પક્ષપલટા બાદ રાજકીય સંગ્રામ તેજ થયો છે. હરભજન સિંહના ઘરની બહાર ‘ગદ્દાર’ લખવામાં આવ્યું છે અને પક્ષના કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાઘવ ચઢ્ઢા અને હરભજન સિંહ સહિતના નેતાઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. માને આક્ષેપ કર્યો છે કે ભાજપ ડર અને લાલચ આપી પ્રાદેશિક પક્ષોને ખતમ કરી રહી છે, પરંતુ ગણતરીના નેતાઓના જવાથી પક્ષ નબળો નહીં પડે.

ચંદીગઢમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભગવંત માન અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે પક્ષ છોડીને જનારા નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, જેમને જનતા વચ્ચે ગયા વગર અને હાથ જોડ્યા વગર સીધા જ મોટા પદો મળી ગયા હતા, તેમણે આજે પોતાના અંગત સ્વાર્થ માટે પંજાબની જનતા સાથે દગો કર્યો છે. માને આક્ષેપ કર્યો હતો કે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે પરંતુ નેતાઓના મનની વાત વાંચી શકે તેવું મશીન હજુ સુધી બન્યું નથી. રાઘવ ચઢ્ઢાના ‘ગૂંગળામણ’ વાળા નિવેદન પર તંજ કસતા મુખ્યમંત્રીએ કહ્યું કે જેઓ અત્યાર સુધી સત્તાનો આનંદ માણતા હતા તેમને હવે અચાનક પાર્ટીમાં ગૂંગળામણ થવા લાગી છે.

ભગવંત માને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા તેને ‘બંદે ખાની પાર્ટી’ ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ જે પણ પક્ષ સાથે ગઠબંધન કરે છે તેને તે ધીમે ધીમે ગળી જાય છે. પંજાબમાં ભાજપ પાસે પોતાનો કોઈ મજબૂત આધાર નથી, તેથી તે પ્રાદેશિક પક્ષોને તોડવાની રણનીતિ અપનાવી રહી છે. તેમણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને મહારાષ્ટ્રમાં શરદ પવાર તેમજ ઉદ્ધવ ઠાકરેના ઉદાહરણો આપીને જણાવ્યું કે કેવી રીતે કેન્દ્રીય એજન્સીઓ અને દબાણની રાજનીતિ દ્વારા વિપક્ષને નબળો પાડવામાં આવી રહ્યો છે. માને કહ્યું કે પંજાબમાં જ્યારે ‘બેઅદબી’ સામે કડક કાયદો આવ્યો ત્યારથી ભાજપમાં બેચેની જોવા મળી રહી છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: CM ભૂપેન્દ્ર પટેલે કરી મતદારોને અપીલ

ગુજરાતમાં 26 એપ્રિલ, રવિવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મહત્વપૂર્ણ ચૂંટણી યોજાવાની છે. આ લોકશાહીના મહાપર્વને લઈને રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરિકોને મતદાન માટે ઉત્સાહભેર ભાગ લેવા અને “સંપૂર્ણ મતદાન”ના લક્ષ્યને સાકાર કરવા માટે વિશેષ અપીલ કરી છે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંદેશમાં જણાવ્યું કે, મતદાન માત્ર નાગરિકનો અધિકાર નથી પરંતુ લોકશાહીમાં જવાબદાર નાગરિક તરીકેનું એક મહત્વપૂર્ણ કર્તવ્ય પણ છે. દરેક મત રાજ્યના ગામ, શહેર, તાલુકા અને જિલ્લાની વિકાસયાત્રાને દિશા આપવાની શક્તિ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે જો દરેક નાગરિક પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરે તો સ્થાનિક શાસન વધુ મજબૂત અને પારદર્શક બની શકે છે.

CM ભૂપેન્દ્ર પટેલે તમામ મતદારોને વિનંતી કરી છે કે, તેઓ 26 એપ્રિલના દિવસે અવશ્ય પોતાના મતદાન મથકે પહોંચીને મતદાન કરે. માત્ર પોતે જ નહીં પરંતુ પરિવાર, મિત્રો અને આસપાસના લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે લોકશાહીના આ પર્વને સફળ બનાવવા માટે સમાજના દરેક વર્ગે મળીને “100 ટકા મતદાન”નો સંકલ્પ લેવો જોઈએ.

મતદાન મથકો પર મતદારો માટે વ્યવસ્થાઓ ગોઠવાઇ

અમદાવાદ: એપ્રિલ મહિનાની આખરમાં અને વૈશાખ આગમનની વચ્ચે ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. આ સમયે જ 26 એપ્રિલને રવિવારે અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટેનું મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે.એક તરફ મહાનગર પાલિકાની ચુૂંટણી જાહેર થઇ ત્યારથી જ મોટાભાગના વિસ્તારોમાં નિરસતા જોવા મળી રહી છે. રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અને મતદારોમાં પણ ક્યાંક નારાજગી અને રસનો અભાવ જોવા મળી રહ્યો છે. એમાંય ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. એવા સમયે મતદાન ઓછું ન થાય એ માટે રાજકીય પક્ષો તેમજ તંત્ર સક્રિય થઇ ગયા છે.મતદાન થાય એ પહેલાં તમામ મતદાન મથકો પર મતદારોને ગરમીમાં ઉભાના રહેવું પડે એ માટે મંડપ બાંધવામાં આવ્યા છે. આ સાથે ગરમીમાં તરસ છીપાવવા ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને ગરમી સામે રક્ષણ મળે એવા તમામ પ્રયાસો મતદાન મથકની અંદર અને બહાર કરવામાં આવી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

અમે નહીં કેજરીવાલ છે ગદ્દારઃ સ્વાતિ માલીવાલનો આરોપ

નવી દિલ્હીઃ આપ પાર્ટીને શુક્રવારે અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો લાગ્યો હતો. પાર્ટીના સાત રાજ્યસભાના સાંસદોએ પક્ષ છોડી દીધો. ભાજપમાં જોડાયા બાદ સ્વાતિ માલીવાલે AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમના પર મારપીટ કરાવવાનો, સંસદમાં તેમનો અવાજ દબાવવાનો તેમ જ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીવાળી પાર્ટી ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.

 ‘અરવિંદ કેજરીવાલ ગદ્દાર છે’ – સ્વાતિ માલીવાલ

સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે આજના સમયમાં જો કોઈ ગદ્દાર છે, તો તે અરવિંદ કેજરીવાલ છે. તેમણે કહ્યું હતું કે જ્યારે અરવિંદ કેજરીવાલે આંદોલન શરૂ કર્યું હતું, ત્યારે તેઓ રૂ. બેની પેન વાપરતા, ફાટેલી શર્ટ પહેરતા અને જૂની ગાડીમાં ફરતા. આ બધું જોઈને અમે ખૂબ પ્રેરિત થતા અને દેશના લોકો પણ તેમનાથી પ્રભાવિત થયા હતા. પરંતુ જેમ જ તેમને સત્તા મળી, તેમણે તરત જ પોતાના માટે રૂ. 100 કરોડનું ઘર બનાવી લીધું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે હું AAP છોડીને ભાજપમાં જોડાઈ ગઈ છું. હું 2006થી અરવિંદ કેજરીવાલ સાથે કામ કરી રહી હતી અને દરેક આંદોલનમાં તેમનો સાથ આપ્યો હતો, પરંતુ અરવિંદ કેજરીવાલે મારા જ ઘરમાં એક ગુંડાથી મારી ઉપર હુમલો કરાવ્યો. જ્યારે મેં તેના વિરોધમાં અવાજ ઉઠાવ્યો, ત્યારે મને ધમકાવવામાં આવી અને આ ઘટનાની FIR પાછી ખેંચવા માટે મારા પર ભારે દબાણ કરવામાં આવ્યું. પાર્ટીએ મને બે વર્ષ સુધી સંસદમાં બોલવાની કોઈ તક આપી નહીં. આ ખૂબ શરમજનક છે. અરવિંદ કેજરીવાલ મહિલાવિરોધી છે.

પંજાબને કેજરીવાલે પર્સનલ ATM બનાવી દીધું

તેમણે AAP નેતૃત્વ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું હતું કે હવે તેઓ પંજાબમાં ઘૂસી ગયા છે અને રાજ્ય સરકારને રિમોટથી કન્ટ્રોલ કરવામાં આવી રહી છે. પંજાબને તેમનું વ્યક્તિગત ATM બનાવી દેવામાં આવ્યું છે. પંજાબમાં રેતી ખનન અને ડ્રગ્સનો ઉપયોગ ચરમસીમાએ છે. જે નેતાઓ તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેમની સામે FIR નોંધાય છે. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી માટે ઓળખાય છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: સીલબંધ બેગોમાં મતદાન સામગ્રી સુપ્રત

અમદાવાદ: મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી 2026ની ચૂંટણીનું 26 એપ્રિલને રવિવારે સવારથી મતદાન શરૂ થશે. એ પહેલાં અમદાવાદ શહેરના નક્કી કરેલા ડીસ્પેચિંગ – રીસિવિંગ સેન્ટર પર ચૂંટણી પહેલાંની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. પોલિંગ ઓફિસરો દ્વારા ઇ.વી.એમ મશીન તેમજ મતદાનની સામગ્રી ડિસ્પેચિંગ સેન્ટરથી મતદાન મથક સુધી સુરક્ષિત પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે અમદાવાદ શહેરના પશ્વિમ વિસ્તારની નવરંગ સ્કૂલમાં ઇ.વી.એમ મશીનની સાથે મતદાન સામગ્રી પોલિંગ ઓફિસરો દ્વારા મતદાન મથક સુધી પહોંચાડવામાં આવી હતી. જેમાં 1.સુપ્રત કરેલ મત પત્રકો 2. મતદાર યાદી માર્ક કોપી 3.ધાતુનું સીલ 4. વિશિષ્ટતા દર્શક સિક્કો 5. એરોક્રોસ માર્ક 6. અવિલોપ્ય સાહીની બોટલ 7.પેપર સીલ 8. સ્પેશ્યલ ટેગ 9. મતદાન મથકનો વિસ્તાર દર્શાવતી નોટિસ 10. હરીફ ઉમેદવારોની યાદી 11.ઉમેદવાર તથા ચૂંટણી એજન્ટની સહીના નમુના 12. મત કુટિક – પરચુરણ કીટ જેવી મતદાન સામગ્રીનો સમાવેશ થાય છે. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં પોલીસ જવાનોના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ઇ.વી.એમ મશીન સ્ટ્રોંગ રૂમમાંથી પોલિંગ ઓફિસરોને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ વર્ષે વાદળી રંગની બેગોમાં સીલ મતદાનની સામગ્રી એ.એમ.ટી.એસ બસો દ્વારા મતદાન મથક સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

સુરતમાં સગીરાની છેડતી મુદ્દે આક્રોશ, સતત બીજા દિવસે પોલીસ સાથે ઘર્ષણ

સુરત: અલથાણ વિસ્તારમાં શુક્રવાર રાત્રિના સવા આઠ વાગ્યા આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે 35થી 40 વર્ષના મહંમદ અઝીઝ નામના યુવકે તેની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જેને કારણે લોકોએ 3 કલાક સુધી અલથાણ વિસ્તાર બાનમાં લઈ લીધો હતો. ત્યાર બાદ બીજા દિવસે પણ રિકન્સ્ટ્રક્શન સમયે 3 કલાક સુધી અશાંતિ અને આક્રોશ ભર્યો માહોલ સર્જાયો હતો.

રોષે ભરાયેલા લોકોએ પોલીસ બોલાવતા પહેલાં જ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલરૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો.

રાત્રિના સમયે સમયે હજારો લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો. પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અલથાણ પોલીસના બળપ્રયોગમાં SPGના સભ્યોને ઈજા પહોંચતા મજુરા નિર્મલ હોસ્પિટલમાં એડમિટ છે.

ટ્રમ્પના સાંસદોએ સંસદમાં H-1B વિઝા રોકવાનું બિલ કર્યું રજૂ

નવી દિલ્હીઃ અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના સાંસદોના એક જૂથે કોંગ્રેસ (અમેરિકી સંસદ)માં H-1B વિઝા કાર્યક્રમને ત્રણ વર્ષ માટે સ્થગિત કરવા સંબંધિત વિધેયક રજૂ કર્યું છે. રિપબ્લિકન સાંસદોનું કહેવું છે કે આ કાર્યક્રમનો દુરુપયોગ કરીને અમેરિકન કામદારોની જગ્યાએ ઓછા પગારમાં વિદેશી કર્મચારીઓને લાવવામાં આવે છે.

એલી ક્રેન (Eli Crane)એ ‘End H-1B Visa Abuse Act of 2026’ નામનું બિલ રજૂ કર્યું, જેને અન્ય સાત રિપબ્લિકન સાંસદોએ પણ સમર્થન આપ્યું છે. બિલમાં H-1B કાર્યક્રમમાં સુધારાના પ્રસ્તાવો છે, જેમાં વાર્ષિક મર્યાદા 65,000થી ઘટાડીને 25,000 કરવી, ન્યૂનતમ વાર્ષિક પગાર 2,00,000 અમેરિકન ડોલર નક્કી કરવો અને H-1B વિઝાધારકોને પોતાના આશ્રિતોને અમેરિકા લાવવાની મંજૂરી ન આપવી જેવા મુદ્દાઓ સામેલ છે.

 કયા સાંસદોએ હસ્તાક્ષર કર્યા?

ટ્રમ્પના સમર્થક સંસદસભ્યોએ આ બિલના મૂળ સહ-પ્રાયોજક તરીકે હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાની IT કંપનીઓ વિદેશી કર્મચારીઓને નોકરી આપવા માટે મોટા પાયે H-1B વિઝા કાર્યક્રમનો ઉપયોગ કરે છે.

 અમેરિકન કર્મચારી ન મળે તો પુરાવો આપવો પડશે

IT ક્ષેત્રના કર્મચારીઓ અને ડોક્ટરો સહિત ભારતીય વ્યાવસાયિકો H-1B વિઝાધારકોમાં સૌથી મોટા જૂથોમાંથી એક છે. આ બિલમાં H-1B કાર્યક્રમમાં ફેરફાર તરીકે લોટરી સિસ્ટમને પગાર આધારિત પસંદગી સિસ્ટમથી બદલવાનો પ્રસ્તાવ છે.

નિયોજકો માટે એ સાબિત કરવું ફરજિયાત બનાવવામાં આવશે કે તેમને કોઈ યોગ્ય અમેરિકન કર્મચારી મળ્યો નથી અને તેમણે તાજેતરમાં છટણી પણ કરી નથી.

 H-1B કર્મચારીઓ માટે નવા નિયમોબિલ મુજબ H-1B કર્મચારીઓને એકથી વધુ નોકરી કરવાથી રોકવામાં આવશે અને તૃતીય-પક્ષ ભરતી એજન્સીઓ દ્વારા રોજગાર આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

એ સાથે જ સંઘીય એજન્સીઓ દ્વારા બિનપ્રવાસી કર્મચારીઓને પ્રાયોજિત કરવા અથવા રોજગાર આપવા પર પ્રતિબંધ, OPT કાર્યક્રમ સમાપ્ત કરવો અને H-1B ધારકોને સ્થાયી નિવાસી બનતા રોકવાની જોગવાઈ પણ છે, જેથી બિનપ્રવાસી વિઝા માત્ર તાત્કાલિક જ રહે.

ભાષાને નામે હિંસા સહન નહીં કરવામાં આવેઃ CM ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઓટો અને ટેક્સીચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાની જાહેરાત બાદ રાજકીય વિવાદ તેજ બન્યો છે. આ વચ્ચે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે રાજ્ય સરકાર બિનમરાઠી ભાષાચાલકોને મરાઠી શીખવશે, પરંતુ ભાષાને નામે કોઈ પણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં. મુખ્ય મંત્રીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પહેલી મેથી અમલમાં આવનારા આ નિયમને લઈને રાજકીય પક્ષો, ડ્રાઈવર સંગઠનો અને સામાજિક જૂથો વચ્ચે તીવ્ર ચર્ચા ચાલી રહી છે.

 શું છે આખો મામલો?

મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યમાં ઓટો-રિક્શા અને ટેક્સીચાલકો માટે મરાઠી ભાષાનું મૂળભૂત જ્ઞાન ફરજિયાત રહેશે. આ પ્રસ્તાવને કાનૂની સ્વરૂપ આપવા માટે મોટર વાહન નિયમોમાં સુધારાની તૈયારી ચાલી રહી છે.

* પહેલી મેથી રાજ્યભરમાં ભાષા પરીક્ષણ અને તપાસ અભિયાન શરૂ થશે.

* નિયમોનું પાલન ન કરનાર સામે લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.

* સરકારનો દાવો છે કે મુસાફરો અને ચાલકો વચ્ચે વધુ સારો સંવાદ થશે અને સ્થાનિક ભાષાનું સંરક્ષણ થશે.

 ફડણવીસનું નિવેદન: સંતુલન સાધવાનો પ્રયાસ

મુખ્ય મંત્રી ફડણવીસે કહ્યું હતું કે મુંબઈ હોય કે મહારાષ્ટ્ર, મરાઠીને પ્રાથમિકતા આપવી ખોટું નથી, પરંતુ સરકારની ભૂમિકા એ સુનિશ્ચિત કરવાની છે કે કોઈ વિવાદ ન થાય, જે ચાલકો મરાઠી નથી જાણતા, તેમને અમે શીખવીશું… ભાષાને નામે જબરદસ્તી કે હિંસા સ્વીકાર્ય નથી.

 વિરોધ અને રાજકીય ઘમસાણ

આ નિર્ણયથી રાજકીય વિવાદ પણ ઊભો થયો છે. કેટલાક નેતાઓએ કહ્યું કે ભાષા ડરથી નહીં, લાગણી અને અપનાવાથી વિકસે છે. શિવસેનાની અંદર પણ મતભેદ સામે આવ્યા છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય નિરુપમે પોતાની જ પાર્ટીના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકને પત્ર લખીને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગ કરી છે.

Nutshell in 99