Home Blog Page 119

અમિત શાહ ગુજરાત મુલાકાતે, અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.  5થી લઈને 7 ડિસેમ્બર 2025 સુધી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.

5 ડિસેમ્બરે ગાંધીનગરમાં કોર્પોરેશનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમો છે. જેમાં કોર્પોરેશન સંચાલિત તળાવો અને બગીચાઓનો ઉદ્ધાટન સમારોહની સાથે વિવિધ કાર્યક્રમોમાં શાહ લોકો સાથે સંવાદ કરશે. 6 ડિસેમ્બરે બનાસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ ઉપરાંત બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લેશે. બનાસકાંઠાના મહિલા દૂધ ઉત્પાદકો સાથે પણ સંવાદ કરશે. 7 ડિસેમ્બરે અમદાવાદમાં વિવિધ લોકાર્પણ કરશે.

થલતેજમાં 861 EWS આવાસનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. સરખેજ અને બોડકદેવમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ થશે. ગોતામાં મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્ક, અને વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે. જયારે નવા  વાડજમા 350 EWS આવાસનું ઉપરાંત સાથે જ ગોતામાં વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તકનું વિમોચન થશે. તેમજ BAPS દ્વારા આયોજિત પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં અમિત શાહ ભાગ લેશે.

ગુજરાતની અર્થવ્યવસ્થા નવી ઊંચાઈએ, 8.42 ટકાના વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્ય

ગુજરાતની માથાદીઠ આવકે પહેલી વખત રૂપિયા 3 લાખ પાર કરી,  જે રાજ્યની સર્વગ્રાહી પ્રગતિ અને મજબૂત આર્થિક પાયા તરફ ઈશારો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૃષ્ટિ અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલા વિકાસ મોડેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મળતી ગતિએ રાજ્યની અર્થવ્યવસ્થાએ ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાવી છે.

 કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આર્થિક આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં દેશનો GDP વૃદ્ધિદર 8.2% રહ્યો છે, જેમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ગુજરાત આજે દેશની સૌથી ઝડપી વિકસતી અને મજબૂત અર્થવ્યવસ્થાઓમાં ગણાય છે. આ જ કારણે તેને ભારતનું ગ્રોથ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે.

2023-24ના આર્થિક વર્ષમાં રાજ્યનું કુલ ઘરેલું ઉત્પાદન (GSDP) રૂપિયા 24.62 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. આ પ્રદર્શન સાથે ગુજરાત મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી ભારતના ટોચના પાંચ સૌથી મોટા અર્થતંત્રમાં સ્થાન ધરાવે છે.

આર્થિક વિશ્લેષકોના જણાવ્યા મુજબ, વૃદ્ધિનું સાચું મૂલ્યાંકન કન્સ્ટન્ટ પ્રાઇસિસ પર થતું હોય છે, કારણ કે તે મોંઘવારીનો પ્રભાવ દૂર કરીને વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. આ માપદંડ પર જોવામાં આવે તો 2012-13થી 2023-24 વચ્ચે ગુજરાતે સરેરાશ 8.42 ટકાનો વાસ્તવિક વૃદ્ધિદર હાંસલ કર્યો છે. જે રૂપિયા 10 લાખ કરોડથી વધુ GSDP ધરાવતા મુખ્ય રાજ્યોમાં સૌથી ઊંચો છે. ગુજરાતે કર્ણાટક (7.69%) અને તમિલનાડુ (6.29%) જેવા રાજ્યોને પાછળ મૂકીને આ આગવી સિદ્ધિ હાંસલ કરી છે. મોટા રાજ્યો સામાન્ય રીતે સ્ટ્રક્ચરલ મુદ્દાઓને કારણે ધીમા પડતા હોય છે, પરંતુ ગુજરાત પોતાના સશક્ત ઔદ્યોગિક માળખા, રોકાણમૈત્રી નીતિઓ અને ઉચ્ચ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ઝડપી ગતિ જાળવી શક્યું છે.

GSDPના તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે રાજ્યની અર્થવ્યવસ્થા વિવિધ ક્ષેત્રોમાં થયેલી વિકાસગતિને કારણે મજબૂત બની છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 2023-24માં રૂપિયા 7.43 લાખ કરોડનું યોગદાન આપ્યું છે, જે GSVAનો લગભગ એક-તૃતીયાંશ હિસ્સો બને છે. કન્સ્ટ્રક્શન અને યુટિલિટીઝ ક્ષેત્રનો ફાળો રૂપિયા 2.31 લાખ કરોડ રહ્યો, જ્યારે વેપાર, પરિવહન, નાણા, રિયલ એસ્ટેટ જેવા સેવા ક્ષેત્રોએ મળીને રૂપિયા 7.81 લાખ કરોડનું યોગદાન આપ્યું. કૃષિ, વન અને માછીમારી જેવા પરંપરાગત ક્ષેત્રોએ પણ રૂપિયા 3.69 લાખ કરોડનું ઉત્પાદન કરીને રાજ્યના સમાવેશી વિકાસને મજબૂત બનાવ્યો છે.

એક દાયકાની તુલનામાં જોવામાં આવે તો મૂળ કિંમતો પર ગુજરાતનું GSDP 2-11-12 રૂપિયા6.16 લાખ કરોડથી વધી 2023-24માં રૂપિયા 24.62 લાખ કરોડ થઈ ગયું છે. જે લગભગ ચાર ગણો વધારો છે અને રાજ્યની આર્થિક શક્તિને સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

ગુજરાતે પ્રથમ વખત માથાદીઠ આવક રૂપિયા 3,00,957ના આંકને પાર કરી છે. આ સિદ્ધિ રાજ્યના વધતા ઉત્પાદન, શ્રમક્ષમતાના સ્તર અને આર્થિક પ્રવૃત્તિઓમાં વ્યાપક ભાગીદારી બતાવે છે. આ આંકડો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યો કરતાં વધુ છે, જે ગુજરાતની આર્થિક કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે.

ઉચ્ચ વાસ્તવિક વૃદ્ધિદર, મજબૂત ઇકોનોમિક બેઝ અને ઉદ્યોગ–સેવા–કૃષિ ત્રણેય ક્ષેત્રોના સંતુલિત યોગદાન સાથે ગુજરાત આજે દેશના સૌથી તેજીયાર અને સ્થિર મુખ્ય અર્થતંત્રમાં સ્થાન પામ્યું છે. 8.42 ટકાની વાસ્તવિક વૃદ્ધિ સાથે રાજ્ય વિકાસ, સુશાસન અને વ્યૂહાત્મક અમલીકરણનું મોડેલ તરીકે ઉભર્યું છે.

અમે ભારતને સતત ઓઇલ સપ્લાય કરતા રહીશું: રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જણાવ્યું હતું કે રશિયા ભારતને સતત ઊર્જા સપ્લાય આપતું રહેશે. નવી દિલ્હીમાં 23મા ભારત-રશિયા વાર્ષિક સમિટ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાથે રાખીને યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પુતિને કહ્યું કે ભારતની ઝડપથી વધી રહેલી એનર્જીની માગ પૂર્ણ કરવા માટે રશિયા પ્રતિબદ્ધ છે.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતની તેજ ગતિથી આગળ વધી રહેલા અર્થતંત્રને ધ્યાનમાં રાખીને અમે તેલનો સપ્લાય કરતા રહીશું. એ સાથે જ તેમણે જણાવ્યું હતું કે બંને દેશો ધીમે-ધીમે રાષ્ટ્રીય ચલણમાં આપસી ચુકવણી તરફ આગળ વધી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે રશિયા ભારત માટે તેલ, ગેસ અને કોલસા જેવી ઊર્જાનો એક વિશ્વસનીય સપ્લાયર છે. ભારતીય અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ માટે ઇંધણની અવિરત શિપમેન્ટ ચાલુ રાખવા અમે તૈયાર છીએ.

અમેરિકાના ટેરિફ અને પ્રતિબંધોને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારત અને રશિયાએ શુક્રવારે આર્થિક અને વેપારી ભાગીદારીને મજબૂત કરવા માટે પાંચ વર્ષીય યોજના પર સહમતી બતાવી છે. તે જ સમયે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ વાતચીતથી સમાપ્ત કરવું જરૂરી છે. શિખર બેઠક પછી બંને નેતાઓએ આઠ દાયકાથી વધુ જૂની ભાગીદારીને નવી ગતિ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.બંને દેશોએ 2030ના આર્થિક કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવાનું ઉપરાંત આરોગ્ય, પરિવહન અને લોકો વચ્ચેના આદાનપ્રદાન જેવા અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે અનેક કરારો પર સહી કરી હતી. દ્વિપક્ષી શિખર બેઠક બાદ પોતાના નિવેદનમાં PM મોદીએ કહ્યું હતું કે ગત આઠ દાયકામાં દુનિયાએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. માનવજાતે અનેક પડકારો અને સંકટો વેઠ્યા છે. ત્યારે પણ ભારત-રશિયાની દોસ્તી ધ્રુવ તારા જેવી અડગ રહી છે.

PM મોદીની રિટર્ન ગિફ્ટઃ રશિયન નાગરિકોને મળશે 30 દિવસના ઈ-ટુરિસ્ટ વિઝા

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ રશિયન નાગરિકોને મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું હતું કે ‘અમે ટૂંક સમયમાં રશિયન નાગરિકો માટે મફત 30 દિવસના ઈ-ટુરિસ્ટ વિઝા અને 30 દિવસના ગ્રુપ ટુરિસ્ટ વિઝા શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારી મિત્રતા આવતા સમયમાં વૈશ્વિક પડકારોનો સામનો કરવા અમને શક્તિ આપશે.

ભારત-રશિયા વચ્ચેના સંબંધોને લઈને PM મોદીએ કહ્યું  હતું કે આજે રાષ્ટ્રપતિ પુતિન અને મને ભારત-રશિયા બિઝનેસ ફોરમમાં જોડાવાની તક મળી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ મંચ અમારા વેપારી સંબંધોને નવી શક્તિ આપશે. આથી એક્સપોર્ટ, કો-પ્રોડક્શન અને કો-ઇનોવેશનના નવા દરવાજા ખૂલશે. બંને પક્ષ યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથેના FTAના ઝડપથી સમાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

સામે પક્ષે પુતિને ન્યુક્લિયર પ્લાન્ટને લઈને મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે ભારત માટે ન્યુક્લિયર પ્લાન્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. છમાંથી ત્રણ રિએક્ટર પહેલેથી જ એનર્જી નેટવર્ક માટે કામ કરી રહ્યા છે. પુતિને કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન મોદીના આ ઉષ્માભર્યા સ્વાગત માટે હું દિલથી આભાર માનું છું. ગઇ કાલે ભોજન દરમિયાન જે ચર્ચા થઈ હતી, તે ખૂબ મહત્વપૂર્ણ હતી. તેના માટે આભાર. અમે મિત્રતા અને ભાગીદારીના ભાવથી વાતચીત કરી છે. અમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કર્યો છે.

અમદાવામાં 12 થી 14 ડિસેમ્બરે યોજાશે ‘ભારતકૂલ અધ્યાય–2’

ભારતકૂલ, ભારતના  સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ધર્મના શાશ્વત મૂલ્યોને ઉજવવાની પહેલ છે જેની ભવ્ય સફળતા બાદ ભરતકુલ અધ્યાય–2 સાથે પાછું આવી રહ્યું છે.12 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના પટાંગણમાં યોજાનાર  આ ત્રણ દિવસીય ઉત્સવ કલા, સાહિત્ય, સંગીત, સંવાદ અને અનુભવાત્મક કાર્યક્રમો દ્વારા ભારતની સાંસ્કૃતિક ઓળખને જીવંત, સંરક્ષિત અને પ્રદર્શિત કરવાનો હેતુ ધરાવે છે, જેમાં પરંપરા અને આધુનિક અભિગમનું સુસંગત સંયોજન જોવા મળશે.

ઉત્સવમાં ચર્ચા-સંવાદ, કવિ સંમેલન, કવયિત્રી સંમેલન, ઓસમાણ મીરની સંગીત રાત્રિ, આશરે 60 કલાકારોની ચિત્રકલા અને શિલ્પકલાના  પ્રદર્શનીનો સમાવેશ છે. આ કાર્યક્રમો દર્શકોને ભારતની કલાત્મક, સાહિત્યિક અને આધ્યાત્મિક વારસાનો ગહન અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

ઉત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ કરશે. આ પ્રસંગે  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પરિમલ નાથવાણી, જ્ઞાનવત્સલ સ્વામી તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

પ્રખ્યાત લેખકો, કવિઓ અને વકતાઓના સત્રો યોજાશે.  જેમાં પદ્મશ્રી કવિ તુષાર શુક્લ, ભાગ્યેશ જહા, હાસ્યલેખક શહાબુદ્દીન રાઠોડ, જય વસાવડા, બ્લોકબસ્ટર લેખક નિરણ ભટ્ટ, વીરેન ભટ્ટ, રામ મોરી, જયેન્દ્રસિંહ જાડેજા, જગદીશ ત્રિવેદી અને રામેશ્વરબાપુ હરિયાણી સામેલ છે. સાથે જ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની પૂર્ણ ટીમ પણ હાજર રહેશે અને દર્શકો સાથે સંવાદ કરશે.

આ કાર્યક્રમ ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત અને ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રયોજિત કરવામાં આવ્યો છે. ઉપરાંત  મુખ્ય પ્રાયોજકો અદાણી, GMDC, GIDC, RARU, RHETAN અને સહ-પ્રાયોજકો ગુજરાત સાહિત્ય અકાદમી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે. ભારતકૂલ અધ્યાય–2 ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજવવાનો એક વિશેષ પ્રસંગ બનશે, જે સમુદાયોને જોડશે, નવી પેઢીને પ્રેરણા આપશે અને રાષ્ટ્રની કલાત્મક અને આધ્યાત્મિક વારસાની ઊંડાઇને વધુ માણવા માટે પ્રેરિત કરશે.

ભારત-રશિયા વચ્ચે વર્ષ 2030 સુધી આર્થિક ક્ષેત્રોમાં સમજૂતી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને PM મોદીની હૈદરાબાદ હાઉસમાં થયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યાં હતાં. એ દરમિયાન PM મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ખૂબ પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું હતું કે આજે ભારત અને રશિયાના 23મા શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં ઘણો આનંદ થયો છે.

તેમણે કહ્યું હતું કે 15 વર્ષ પહેલાં, 2010માં અમારી ભાગીદારીને સ્પેશ્યલ પ્રિવિલેજ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપવામાં આવ્યો હતો. છેલ્લા સવા બે દાયકાથી, રાષ્ટ્રપતિ પુતિને પોતાની લીડરશિપ અને વિઝનથી આ સંબંધોને આગળ વધાર્યા છે. દરેક પરિસ્થિતિમાં તેમની આગેવાની અમારા સંબંધોને નવી ઊંચાઈએ લઈને ગઈ છે. હું આ ઊંડી મિત્રતા અને ભારત પ્રત્યેના મજબૂત વચન માટે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો દિલથી આભાર વ્યક્ત કરું છું.

આતંકવાદ વિરુદ્ધ છે ભારત અને રશિયા: PM મોદી

PM મોદીએ કહ્યું હતું કે ભારત અને રશિયા લાંબા સમયથી આતંકવાદ સામેની લડતમાં ખભેખભા મિલાવીને ઊભા રહ્યા છે. પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો હોય કે ક્રોકસ સિટી હોલમાં થયો કાયરતાપૂર્ણ હુમલો, આ તમામ ઘટનાઓની જડ એક જ છે. ભારતનું માનવું છે કે આતંકવાદ માનવતા પર સીધો હુમલો છે અને તેની સામે વિશ્વભરની એકતા જ આપણી સૌથી મોટી શક્તિ છે. ભારત અને રશિયાનું UN, G20, BRICS, SCO અને બીજા મંચો પર નજીકનો સહકાર છે. અમે આ બધા મંચો પર ચર્ચા અને સહકારને આગળ વધારતા રહીશું.

ભારત-રશિયાની મિત્રતા ધ્રુવ તારાની જેમ

PM મોદીએ કહ્યું હતું કે છેલ્લા આઠ દાયકામાં દુનિયાએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. માનવજાત અનેક પડકારો અને સંકટોમાંથી પસાર થઈ છે અને આ બધાની વચ્ચે ભારત-રશિયાની મિત્રતા ધ્રુવ તારાની જેમ તેજસ્વી રહી છે.

એનર્જી સિક્યોરિટી ભારત-રશિયા પાર્ટનરશિપનો મહત્વપૂર્ણ સ્તંભ

PM મોદીએ જણાવ્યું હતું કે એનર્જી સિક્યોરિટી ભારત-રશિયા પાર્ટનરશિપનો મજબૂત અને અત્યંત મહત્વનો પિલર રહ્યો છે. સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં અમારો દાયકાઓ જૂનો સહકાર અમારી સાથોસાથની ક્લીન એનર્જી પ્રાથમિકતાઓને પૂર્ણ કરવામાં બહુ જરૂરી રહ્યો છે. અમે આ વિન-વિન સહકારને આગળ વધારતા રહીશું.

મહત્વપૂર્ણ ખનિજોમાં અમારો સહકાર, વિશ્વભરમાં સુરક્ષિત અને વિવિધ સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવા માટે અગત્યનું છે. આ ક્લીન એનર્જી, હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને નવા યુગની ઇન્ડસ્ટ્રીઝમાં અમારી ભાગીદારીને મજબૂત સપોર્ટ આપશે.

શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં અમારો ઊંડો સહકાર ‘મેક ઇન ઇન્ડિયા’ને મજબૂત કરવાની ક્ષમતા ધરાવે છે. આ આપણી વિન-વિન ભાગીદારીનું એક બીજું ઉત્તમ ઉદાહરણ છે, જે રોજગાર, કુશળતા અને પ્રાદેશિક કનેક્ટિવિટી વધારશે.

વ્લાદિમિર પુતિન શું બોલ્યા?

23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જણાવ્યું હતું કે હું ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભારતના વડા પ્રધાન અને અમારા બધા ભારતીય મિત્રોનો રશિયન પ્રતિનિધિમંડળનું ગરમજોશીથી સ્વાગત કરવા બદલ આભાર માનું છું. હું ગઈ કાલે નિવાસસ્થાને ડિનર માટે પીએમ મોદીને ધન્યવાદ આપું છું.

ટ્રેડ એગ્રીમેન્ટ પર પુતિન શું કહ્યું?

રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું હતું કે ગયા વર્ષે આપણા દ્વિપક્ષી વેપારનું ટર્નઓવર 12 ટકાથી વધ્યું, જે એક નવો રેકોર્ડ છે. અમને આશા છે કે આ વર્ષે પણ ટ્રેડ એગ્રીમેન્ટ એ જ શાનદાર સ્તર પર ટક્યો રહેશે.

કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર પુતિનનું નિવેદન

23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જણાવ્યું હતું કે અમે કુડનકુલમમાં ભારતનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા માટે એક ફ્લેગશિપ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ. છ રિએક્ટર યુનિટમાંથી બે પહેલાથી જ ગ્રીડ સાથે જોડાઈ ચૂક્યા છે, જ્યારે ચાર અન્યનું નિર્માણ ચાલી રહ્યું છે. પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલશે ત્યારે ભારતની ઊર્જા જરૂરિયાતમાં મોટો ફાળો મળશે, જેથી ઉદ્યોગો અને ઘરોને સસ્તી અને સ્વચ્છ વીજળી મળશે.

અમે સ્મોલ મોડ્યુલર રિએક્ટર, ફ્લોટિંગ ન્યુક્લિયર પ્લાન્ટ અને ન્યુક્લિયર ટેક્નોલોજીના નોન-એનર્જી ઉપયોગ પર પણ ચર્ચા કરી શકીએ છીએ, જેમાં ચિકિત્સા અને કૃષિનો સમાવેશ થાય છે. અમે અમારા ભારતીય ભાગીદારો સાથે મળીને નવા આંતરરાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ રૂટ બનાવવા પર કામ કરી રહ્યા છીએ, જેમાં રશિયા અને બેલારુસથી હિંદ મહાસાગર સુધીનો આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પણ સામેલ છે. આ કોરિડોરના વિસ્તરણ સાથે — જેમાં તેનું મુખ્ય લિંક ‘નોર્ધન સી રૂટ’ પણ છે — બંને દેશો વચ્ચે વેપારની મોટા તકો છે.

ભારત-રશિયાનું સહયોગ કોઈના વિરોધમાં નથી : વ્લાદિમિર પુતિન

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જણાવ્યું હતું કે ભારત અને રશિયાન વચ્ચેનો સહયોગ કોઈ પણ દેશના વિરોધમાં નથી અને તેનો હેતુ માત્ર બંને દેશોનાં રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાનો છે. પુતિને આ ટિપ્પણી અમેરિકા દ્વારા ભારત અને રશિયા પ્રત્યે અપનાવાયેલા આક્રમક વલણની પૃષ્ઠભૂમિમાં કરી છે.

રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધોની દ્રષ્ટિએ પિતીને કહ્યું હતું કે કેટલાંક તત્વો રશિયા સાથે ભારતના ગાઢ સંબંધોને લઈને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની વધતી ભૂમિકા પસંદ કરતાં નથી અને રાજકીય કારણોસર ભારતના પ્રભાવને મર્યાદિત કરવા માટે કૃત્રિમ અવરોધો ઊભા કરવાની કોશિશ કરી રહ્યા છે. રશિયાએ વિરુદ્ધ લાગુ પશ્ચિમી પ્રતિબંધોની ચર્ચા કરતાં પુતિને કહ્યું હતું કે તેમના દેશનો ભારત સાથેનો ઊર્જા સહકાર ઘણો અંશે અસરરહિત રહ્યો છે.રશિયાના રાષ્ટ્રપતિનો ભારત પ્રવાસ એવા સમયગાળામાં થઈ રહ્યો છે જ્યારે ભારત-અમેરિકા સંબંધો છેલ્લા બે દાયકામાં કદાચ સૌથી ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને અમેરિકાએ ભારતીય માલ પર 50 ટકા જેટલો ભારે ટેરિફ લગાવ્યો છે, જેમાં રશિયાથી કાચા તેલની ખરીદી પર 25 ટકા ટેક્સ પણ સામેલ છે.

અમેરિકાના આક્રમક વલણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પુતિને જણાવ્યું હતું કે કેટલાંક બાહ્ય દબાણો છતાં ન તો મેં અને ન  તો પ્રધાનમંત્રી મોદીએ ક્યારેય અમારી ભાગીદારીનો ઉપયોગ કોઈના વિરોધમાં કર્યો નથી.

PM મોદીએ પુતિનને કહ્યું, અમે શાંતિના પક્ષમાં છીએ

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. શુક્રવાર સવારે રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ તેમણે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હૈદરાબાદ હાઉસ પહોંચી ગયા છે અને PM મોદીની સાથે તેમની આ પ્રવાસની સૌથી મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. અહીં PM મોદીએ પુતિનને કહ્યું હતું કે ભારત કોઈ તટસ્થ દેશ નથી. ભારતનો પક્ષ શાંતિનો છે. ભારત-રશિયા આર્થિક સંબંધોનું વિસ્તરણ થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે યુક્રેન સંકટ બાદ સતત બન્ને દેશો ચર્ચા કરી રહ્યા છે અને શાંતિનો રસ્તો બધાએ મળીને શોધવો પડશે.

હૈદરાબાદ હાઉસમાં પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે, જ્યાં અનેક આંતરરાષ્ટ્રીય તથા પ્રાદેશિક મુદ્દાઓ એજન્ડામાં હશે. તે પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત બાદ પુતિન રાજઘાટ ગયા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.

રાજઘાટ જવા પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પુતિનને ભારતની ત્રણેય સેનાઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યો. પુતિનને તોપોની સલામી પણ આપવામાં આવી. બન્ને રાષ્ટ્રપ્રમુખો — દ્રૌપદી મુર્મુ અને પુતિને એકબીજાના પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી હતી.

એ પહેલાં, ગુરુવાર ચોથી ડિસેમ્બરની સાંજે પુતિનનું વિમાન નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઊતર્યું હતું. અહીં PM મોદીએ પ્રોટોકોલ તોડી પોતે જ પુતિનને રિસીવ કર્યા. બન્ને નેતાઓ એરપોર્ટથી એક જ કારમાં PM નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનનું તેમના સરકારી નિવાસ પર ડિનર માટે સ્વાગત કર્યું હતું. બન્ને વચ્ચે લગભગ 3 કલાક સુધી બેઠક પણ થઈ હતી.

ધર્મેન્દ્રના 90મા જન્મદિવસ પર દેઓલ પરિવારનો મહત્વપૂર્ણ નિર્ણય

અભિનેતા ધર્મેન્દ્રનું 90મા જન્મદિવસના થોડા દિવસો પહેલા 24 નવેમ્બર, 2025 ના રોજ અવસાન થયું. હવે, દેઓલ પરિવાર હી-મેનની પુણ્યતિથિને ખાસ રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યું છે.

આ વર્ષે દેઓલ પરિવાર ધર્મેન્દ્રના 90મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ સમય અને ભાગ્યની યોજના કંઈક અલગ જ હતી. દુઃખની વાત છે કે, આ હી-મેનનું તેમના જન્મદિવસના થોડા દિવસો પહેલા જ અવસાન થયું. દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની જન્મજયંતિ 8 ડિસેમ્બરે આવે છે. દેઓલ પરિવાર તેને યાદગાર રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યો છે.

આ કાર્યક્રમ ખંડાલાના એક ફાર્મહાઉસમાં યોજાશે. અભિનેતા ધર્મેન્દ્રનો 90મો જન્મદિવસ ખંડાલાના તેમના ફાર્મહાઉસમાં ઉજવવામાં આવશે. સની દેઓલ અને બોબી દેઓલ તેમના પિતાના 90મા જન્મદિવસની ઉજવણી ભવ્ય રીતે કરવાનું આયોજન કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ આ ઉજવણીમાં ધર્મેન્દ્રના ચાહકોને પણ સામેલ કરશે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ, સની દેઓલ અને બોબી દેઓલે આ ખાસ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવાનું નક્કી કર્યું છે.

ચાહકો પણ આ ઉજવણીનો ભાગ બનશે.

અહેવાલો અનુસાર સની દેઓલ અને બોબી દેઓલ, પરિવારના સભ્યો સાથે ધર્મેન્દ્રના વારસાને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના 90મા જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમ અભિનેતાના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં યોજાશે. દિવસને ખાસ બનાવવા માટે ચાહકો પણ તેમાં સામેલ થશે. આ દિવસે ફાર્મહાઉસ ચાહકો માટે તેના દરવાજા ખોલશે.

આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ

અભિનેતા ધર્મેન્દ્રના અવસાન પછી ચાહકો તેમને છેલ્લી વાર જોઈ શક્યા નહીં. પરિવારે ઉતાવળમાં ગુપ્ત રીતે તેમના અંતિમ સંસ્કાર કર્યા. અહેવાલો અનુસાર દેઓલ પરિવારે વિચાર્યું કે ઘણા ચાહકો ધર્મેન્દ્રને છેલ્લી વાર મળવા અથવા જોવાની તક ઇચ્છતા હતા. તેથી, દિગ્ગજ અભિનેતાની 90મી જન્મજયંતિ પર તેમણે ફાર્મહાઉસના દરવાજા એવા ચાહકો માટે ખોલવાનો નિર્ણય લીધો છે જેઓ આવવા, શ્રદ્ધાંજલિ આપવા અને પરિવારને મળવા માંગે છે. આ સરળ કાર્યક્રમની તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે ગત વર્ષે ધર્મેન્દ્રનો 89મો જન્મદિવસ પણ પરિવાર દ્વારા ખાસ રીતે ઉજવવામાં આવ્યો હતો, જ્યાં ઘણા ચાહકોએ પણ મુલાકાત લીધી હતી