Home Blog Page 120

રાજ્યની માથાદીઠ આવક સૌપ્રથમ વાર રૂ. ત્રણ લાખને પાર

અમદાવાદઃ ગુજરાતે આર્થિક વિકાસના મામલે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. રાજ્યની પ્રતિવ્યક્તિ આવક સૌપ્રથમ વાર ત્રણ લાખ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે. સરકારી આંકડા પ્રમાણે 2023-24માં ગુજરાતની પ્રતિ વ્યક્તિની માથાદીઠ આવક રૂ. 3,00,957 રહી છે, જે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યો કરતાં વધુ છે. આ ઉપલબ્ધિ રાજ્યની ઊંચી શ્રમ ઉત્પાદકતા અને વ્યાપક આર્થિક ભાગીદારી દર્શાવે છે.

GSDPમાં ચાર ગણો વધારો

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે 2023-24માં ગુજરાતનું કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) વધીને રૂ. 24.62 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ આંકડાઓ સાથે ગુજરાત હવે ભારતની ટોચનાં પાંચ અર્થતંત્રોમાં સામેલ થયું છે. આ યાદીમાં પહેલેથી જ મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સ્થાન ધરાવે છે.

ગયા દાયકામાં ગુજરાતે પોતાના અર્થતંત્રનો ઝડપથી વિસ્તરણ કર્યું છે. 2011-12માં રાજ્યનું GSDP રૂ. 6.16 લાખ કરોડ હતું, જ્યારે 2023-24 સુધી તે લગભગ ચાર ગણું વધી રૂ. 24.62 લાખ કરોડ થયું છે.

GDP વૃદ્ધિમાં પણ ગુજરાતનું મજબૂત પ્રદર્શન

દેશની GDP વૃદ્ધિ 2023ના બીજા ત્રિમાસિક (સપ્ટેમ્બર 2023) દરમિયાન 8.2 ટકા રહી હતી. અહેવાલ મુજબ આ સમયગાળામાં પણ ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું છે, જેને કારણે તે દેશની સૌથી મજબૂત અર્થવ્યવસ્થામાં આગળ રહ્યું છે. ગુજરાતને લાંબા સમયથી રાષ્ટ્રનું “ગ્રોથ એન્જિન” કહેવામાં આવે છે અને તાજા આંકડા આ વાતને વધુ મજબૂત બનાવે છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક પ્રદર્શનને વાસ્તવિક (રીયલ) કિંમતો પર માપવું જરૂરી છે, જેથી મોંઘવારીના પ્રભાવને દૂર કરીને વાસ્તવિક ઉત્પાદન વૃદ્ધિનો અંદાજ મળી શકે.

2012-13થી 2023-24 દરમિયાન ગુજરાતે સરેરાશ 8.42 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે, જે રૂ. 10 લાખ કરોડથી વધુના અર્થતંત્ર ધરાવતાં તમામ મોટાં રાજ્યોમાં સૌથી વધુ છે. રાજ્યએ કર્ણાટક (7.69 ટકા) અને તામિલનાડુ (6.29 ટકા) કરતાં વધુ પ્રદર્શન કર્યું છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. કૃષિ, વન અને માછીમારી ક્ષેત્રે રૂ. 3.69 લાખ કરોડનું યોગદાન આપ્યું છે, જે સમાવેશી વિકાસને સુનિશ્ચિત કરે છે.

મુંબઈમાં ભારતીય સંસ્કૃતિના આદિપુરુષ રાજા ઋષભદેવના વૈશ્વિક પુનરુત્થાનનો મહાસંગમ

મુંબઈ: આગામી 19 થી 21 ડિસેમ્બરના રોજ ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને જ્ઞાન પરંપરાની એક ખાસ વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે સભ્યતાના સ્થાપક રાજા ઋષભદેવના વારસાનું વૈશ્વિક પુનરુત્થાન વિષય પર યોજાવાની છે. લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ (LVJST)  આ કોન્ફરન્સ અને ઇવેન્ટનું આયોજન કરી રહી છે. જેનું નામ ‘ઋષભાયન – ૨,  ભારતીય સંસ્કૃતિના પુરોધા’ છે.  ત્રણ દિવસ ચાલનારી આ વૈશ્વિક પરિષદનું ધ્યેય ભારતના પ્રાચીન વારસાને ઉજાગર કરવાનું છે. ભારતની માનવ સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાના જન્મદાતા રાજા ઋષભદેવ (આદિનાથ ભગવાન)ને ભારતની પ્રાચીન વિસરાયેલી ધારા સાથે ફરી પાછા જોડીને તેના વારસાને આજના યુવાનો સમક્ષ મૂકવી.

 કેમ ઋષભદેવ ભારતની સભ્યતાના મૂળનાયક?

ઋષભરાજા  ભારતના પ્રથમ રાજા છે, જેમણે સમાજ વ્યવસ્થા સ્થાપી. તેઓ પ્રથમ શિક્ષક છે, જેમણે માનવજાતને ૭૨ કૌશલ અને ૬૪ લલિત કલાઓ શીખવી. તેઓ પ્રથમ યોગી અને તપસ્વી છે, જેમણે  માનવ જીવનના આધ્યાત્મિક ધોરણો ઊભા કર્યા. તેઓ પ્રથમ ધાર્મિક સુધારક છે, જેમણે આદર, દયા અને આહિંસાને જીવનનો અવિભાજ્ય અંશ બનાવ્યો.

તેથી ઋષભદેવ માત્ર જૈન પરંપરા પૂરતા નથી, તેમનો પ્રભાવ શૈવ, વૈદિક, યોગિક, બૌદ્ધ અને જનજાતીય પરંપરાઓમાં આજે પણ જીવંત છે. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરનો આધાર હંમેશાં જ્ઞાન અને ત્યાગ રહ્યો છે. આ પવિત્ર ભૂમિ સદીઓથી વિશ્વ માટે ચેતનાનું કેન્દ્ર બની રહી છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ સ્થિરતા (Sustainability), શાંતિ અને સંતુલિત વિકાસના મોડેલની શોધમાં છે, ત્યારે આપણને પોતાની સંસ્કૃતિ તરફ, આપણા આદિપુરુષ રાજા ઋષભદેવના આદર્શોની તરફ ફરી જવાની  જરૂરિયાત છે.

ભારતવર્ષનું નામકરણ ઋષભરાજાના પુત્ર ભરતના નામ પરથી પડ્યું હતું, આ વિષેની વિગત માત્ર જૈન ગ્રંથોમાં જ નહીં, પરંતુ વૈદિક અને પૌરાણિક સાહિત્યમાંથી પણ થાય છે. મહર્ષિ વ્યાસ દ્વારા રચિત ગણાતા 18 પુરાણોમાં, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, લિંગ પુરાણ, અગ્નિ પુરાણ અને શ્રીમદ્ભાગવતમ્ જેવા અનેક ગ્રંથો સ્પષ્ટપણે ઘોષણા કરે છે કે આ ભૂ-ભાગનું નામ ‘ભારતવર્ષ’ રાજા ઋષભદેવના પુત્ર, ચક્રવર્તી ભરતના નામ પરથી પડ્યું છે.

ઋષભદેવ માત્ર જૈન પરંપરા પૂરતા નથી, તેમનો પ્રભાવ શૈવ, વૈદિક, યોગિક, બૌદ્ધ અને જનજાતીય પરંપરાઓમાં આજે પણ જીવંત છે. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરનો આધાર હંમેશાં જ્ઞાન અને ત્યાગ રહ્યો છે. આ પવિત્ર ભૂમિ સદીઓથી વિશ્વ માટે ચેતનાનું કેન્દ્ર બની રહી છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ સ્થિરતા (Sustainability), શાંતિ અને સંતુલિત વિકાસના મોડેલની શોધમાં છે, ત્યારે આપણને પોતાની સંસ્કૃતિ તરફ, આપણા આદિપુરુષ રાજા ઋષભદેવના આદર્શોની તરફ ફરી જવાની જરૂરિયાત છે.

આ કોન્ફરન્સની વિશેષતા :

1. ભારતીય એકતાનું પ્રદર્શન – અનેક ભારતીય સંતોની ઉપસ્થિતિ અને તેમની હાજરીમાં ગ્રંથોના સંદર્ભ સાથે પેનલ ડિસ્કશન, વક્તવ્ય અને ચર્ચા કરવામાં આવશે. આ કોઈ પણ ધર્મનો કાર્યક્રમ નથી પરંતુ ભારતીય પરંપરા અને તેના મૂળને સમજવાનો કાર્યક્રમ છે.

2. ૧,૧૧૧ ગ્રંથો : વિશ્વમાં પ્રથમવાર એક સમૃદ્ધ સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ થશે. ઋષભાયન – 2માં સૌથી મહત્ત્વનું આકર્ષણ છે, ૧,૧૧૧ દુર્લભ ગ્રંથો અને હસ્તપ્રતોની લાઇબ્રેરીનું વિશાળ લોકાર્પણ.

આ સંગ્રહમાં સામેલ છે:

  • રાજા ઋષભદેવના અસ્તિત્વ અંગેના પુરાવા
  • શિલાલેખો અને શાસ્ત્રીય ઉલ્લેખો
  • પ્રાચીન ઇતિહાસ, તત્વજ્ઞાન અને સંસ્કૃતિના ગ્રંથો
  • સમાજ, ધર્મ, કલા અને રાજધર્મના પુષ્ટિગ્રંથો
  • આદિવાસી અને લોકકથાઓના દસ્તાવેજો

આ સંગ્રહ વૈશ્વિક સંશોધકો માટે પ્રથમવાર એક જ જગ્યા એ ઉપલબ્ધ થશે જેથી સંશોધન કાર્યને વેગ મળશે. આને નામ આપ્યું છે, Research Corner’ – A Living Digital Heritage.

LVJSTની વેબસાઇટ પર આ લાઇબ્રેરી એક ડિજિટલ જ્ઞાનકોશરૂપે વિશ્વ માટે ખુલ્લી રહેશે.

3. આ પરિષદની વિશેષતા છે કે  જ્યાં પરંપરા અને ટેકનોલોજી સાથે મળે છે

વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી જેમાં વિશ્વભરના વિદ્વાનો નીચેના વિષયો પર સંશોધન રજૂ કરશે:

  • Indian Knowledge System
  • પ્રાચીન ટેક્નોલોજી અને કૌશલ્ય
  • ભારતીય સાંસ્કૃતિક મનોવિજ્ઞાન
  • મહાભારત પહેલાંની સાંસ્કૃતિક શાખાઓ
  • શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય
  • સામાજિક વ્યવસ્થાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ

સમગ્ર દેશમાંથી અધ્યાપકો, વિદ્ધાનો અને આંતર-રાષ્ટ્રીય વિદ્ધાનો પણ પોતાના પેપરો પ્રસ્તુત કરશે, આ સમગ્ર કાર્યક્રમ બે મોટા હોલમાં ચાલશે.

4. પ્રથમવાર બોરીવલી, મુંબઈની ભૂમિ પર ઋષભદેવની ૭૨ કૌશલ અને ૬૪ લલિત કલાઓનું  મનમોહક પ્રદર્શન થશે. જેનું કેન્દ્ર બળ આપણા યુવાનો છે. યુવાનોને રસ પડે તેવી રીતે પ્રાચીનથી લઈને આજ સુધીમાં આ કળામાં આવેલા પરિવર્તનોને પ્રસ્તુત કરાશે

  1.  સૌથી આકર્ષક એટલે યુવા ફિલ્મ ફેસ્ટિવલ અને સ્પર્ધા.

યુવાનો પ્રાચીન ભારતની વિચારધારા પર પોતાની સર્જનાત્મક ફિલ્મ પ્રસ્તુત કરશે. આ સ્પર્ધામાં રૂપિયા ૪ લાખના ઇનામો અપાશે. ફિલ્મના વિષયોમાં ચરિત્રની પહેચાન, અપની જડો કી તરફ લૌટના, ધરતી બચાવશો તો કાલ બચશે, હર જીવ જરૂરી છે, આવા પર્યાવરણલક્ષી, સંસ્કૃતિ અને ચરિત્રલક્ષી વિષયો અને મોદ્રણ ટેકનોલોજીનો સંગમ અહી સધાશે. આ બધી જ ફિલ્મો ત્રણેય દિવસ દરમ્યાન પ્રસ્તુત થશે.

  1. ભારતીય સંસ્કૃતિ બજાર અંતર્ગત ૨૦૦ જેટલા સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં રસપ્રદ અને જ્ઞાનવર્ધક ઉપરાંત રોજગારીલક્ષી સ્ટોલ પણ હશે. આ

૭. આ ઉપરાંત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું છે, જે સૌથી રસપ્રદ બનશે કારણ કે વિદ્યાર્થીઓ મોડલ બનાવશે અને તેનું પ્રદર્શન પણ યોજાશે. આજના વિદ્યાર્થીઓને પ્રભુની કળા સાથે જોડવાનો આ અનોખો અવસર છે.

૮. અષ્ટાપદ – અષ્ટાપદ તીર્થ જૈન ધર્મના સૌથી પ્રાચીન અને પાવન તીર્થોમાંનું એક છે. અષ્ટાપદ પર્વત હિમાલય પાસે આવેલો છે અને અહીં ભગવાન આદિનાથ (પ્રથમ તીર્થંકર)નું નિર્વાણ થયું હતું. તેથી, એ જૈનો માટે અત્યંત પવિત્ર સ્થળ માનવામાં આવે છે. હાલના સમયમાં અષ્ટાપદનું ચોક્કસ સ્થાન સિદ્ધ નથી, પણ માન્યતા પ્રમાણે તે કૈલાસ પર્વત નજીક છે.

૯. બાળકો માટે રમતગમત અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ અને તે અંગેના પુસ્તકો પણ મૂકવામાં આવશે.

આ કાર્યક્રમમાં એક લાખ લોકો જોડાવાના છે, જેમાં અનેક રાજકીય, ફિલ્મ કલાકારો, બાળ કલાકારો, સંગીત જગતની વ્યક્તિઓ આવશે. ઉપરાંત મુંબઈની અનેક કોલેજો, યુનિવર્સિટીઓ, જે જે સ્કુલ ઓફ આર્ટસ આદિ સંસ્થાઓએ પોતાના સ્લોટ નોંધાવ્યા છે અને તેઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહેવાના છે. આ એક અલૌકિક અને યાદગાર કાર્યક્રમ છે.

શુક્રવાર અને શનિવારે બંને દિવસ રાતના સાંસ્કૃતિક કાર્યક્રમ અર્થાત સંગીત અને નાટક રહેશે. જેના માટે મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતના લોકોને પોતાના દેશ, સંસ્કૃતિ અને મૂલ્યો પ્રત્યે કેટલો લગાવ છે તેનો આ એક જીવંત નમૂનો છે.

(સેજલ શાહ- મુંબઈ)

શુભમન ગિલ ફિટ, દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝ રમશે

દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી પહેલા ભારત માટે સારા સમાચાર આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે ભારતના T20 ઉપ-કપ્તાન શુભમન ગિલ ફિટ થઈને પરત ફર્યા છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સે તેને T20 શ્રેણીમાં રમવા માટે મંજૂરી આપી છે. દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટ દરમિયાન ગિલને ગળામાં જકડાઈ ગઈ હતી, જેના કારણે તે ટીમમાં સામેલ થયો ન હતો. જોકે, તેણે હવે તેનું રિહેબિલિટેશન પૂર્ણ કરી લીધું છે.

શુભમન ગિલને તેની ફિટનેસના આધારે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, તેને ટીમમાં પાછા ફરવા માટે સંપૂર્ણ રિહેબિલિટેશન પ્રોટોકોલમાંથી પસાર થવું પડ્યું.

સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ટીમ મેનેજમેન્ટને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે શુભમન ગિલે સફળતાપૂર્વક તેનું રિહેબિલિટેશન પૂર્ણ કરી લીધું છે અને રમતના તમામ ફોર્મેટ માટે ફિટ છે. તે જરૂરી માપદંડો પૂર્ણ કરી ચૂક્યો છે. ઈજાને કારણે, શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાંથી બહાર હતો, પરંતુ હવે T20 શ્રેણીમાં તેના રમવા અંગેના તમામ સસ્પેન્સનો અંત આવ્યો છે.

‘ડંકી રૂટ’ પર બ્રેકઃ અમેરિકાથી 2025માં 3155 ભારતીયો ડિપોર્ટ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરનાર અથવા વિઝા નિયમોનો ભંગ કરનાર ભારતીયો સામે અમેરિકી તંત્રની કાર્યવાહી તેજ બની ગઈ છે. શુક્રવારે સરકારે સંસદમાં માહિતી આપી હતી કે 2025માં 21 નવેમ્બર સુધીમાં 3155થી વધુ ભારતીય નાગરિકોને અમેરિકા પરથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ડિપોર્ટેશનના તમામ કેસ વ્યક્તિની ભારતીય નાગરિકતા ‘વેરિફાય થતાં’ જ આગળ વધે છે.

ત્રણ વર્ષમાં ડિપોર્ટેશન ત્રણ ગણું

સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકા દ્વારા ભારતીયોને ડિપોર્ટ કરવાની સંખ્યામાં ભારે વધારો થયો છે. જોકે વિદેશ મંત્રાલયે તેમની વિશેષ માહિતીને લઈને ઇનકાર કર્યો છે. જેમણે અમેરિકામાં જવા માટે ‘ડંકી રૂટ’ (કાયદા વગર અન્ય દેશોમાં પ્રવેશવાનો રસ્તો)નો ઉપયોગ કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2025માં 3155 લોકો, 2024માં 1368 લોકો અને 2023માં 617 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા — જે અગાઉનાં વર્ષોની સરખામણીમાં લગભગ ત્રણ ગણો વધારો દર્શાવે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે અમેરિકી અધિકારીઓ સામાન્ય રીતે ગેરકાયદે પ્રવેશ, વિઝાની સમયસીમાથી વધુ રોકાવું, માન્ય દસ્તાવેજોની અછત અથવા ફોજદારી ગુનામાં દોષિત જાહેર થયેલી સ્થિતિમાં લોકોને દેશની બહાર મોકલે છે. આવાં ઓપરેશનોમાં ભારત સરકાર અમેરિકી તંત્ર સાથે મળીને કામ કરે છે.

કુવૈતની જેલોમાં 316 ભારતીયો

વિદેશ મંત્રાલયે અન્ય દેશોમાં ભારતીયોની સ્થિતિ અને રાજદ્વારી પહોંચ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ આંકડાં પણ શેર કર્યા. બીજા એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 31 ઓક્ટોબર, 2025 સુધી કુવૈતની જેલોમાં હાલમાં 316 ભારતીય નાગરિક કેદ છે.

દરેક ભારતીયનું બંધારણ ખતરામાં છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ દેશમાં છઠ્ઠી ડિસેમ્બરે ડો. ભીમરાવ અંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કાનૂનવિદ્, અર્થશાસ્ત્રી, શિક્ષાવિદ્ અને ભારતના બંધારણના સર્જક બાબાસાહેબ ભીમરાવ અંબેડકરની આજે 70મી પુણ્યતિથિ છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ડો. ભીમરાવ અંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યાર બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે અંબેડકરજી એક આદર્શ છે. તેમણે આખા દેશને દિશા બતાવી, અમને બંધારણ આપ્યું. તેથી અમે તેમને યાદ કરીએ છીએ અને તેમના વિચારો અને બંધારણની રક્ષા કરીએ છીએ, પણ દરેક ભારતીયનું બંધારણ જોખમમાં છે. અમે તેની રક્ષા કરીએ છીએ, નાગરિકો તેની રક્ષા કરે છે.

બંધારણની રક્ષા, મારો સંકલ્પ: રાહુલ ગાંધી

ત્યાર બાદ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીએ બંધારણીય મૂલ્યોની રક્ષા માટે તેમની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી.

સંસદ પરિસરમાં મનાયો મહાપરિનિર્વાણ દિવસ

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તરફથી ડો. આંબેડકર ફાઉન્ડેશન (DAF) દ્વારા 6 ડિસેમ્બર, 2025એ સંસદ ભવન પરિસરમાં આવેલા પ્રેરણા સ્થળે બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકરની પ્રતિમા પાસે 70મો મહાપરિનિર્વાણ દિવસ મનાયો હતો.

સંસદ ભવનના લોનમાં આવેલી બાબાસાહેબ ડો. બી.આર. અંબેડકરની વિશાળ પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર કાર્યક્રમ સામાન્ય જનતા માટે ખુલ્લો રાખવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં ડો. અંબેડકર ફાઉન્ડેશને (DAFએ) અનુયાયીઓના સામાનના ભંડાર માટે સ્ટોલની વ્યવસ્થા કરી. એ સાથે જ 25 બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા રજૂ કરાયેલા બૌદ્ધ મંત્રોચ્ચાર સાથે બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ઇન્ડિગો ફ્લાઇટ સંકટનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઈન ઇન્ડિગોની ફ્લાઇટ્સ મોટા પાયે રદ થવાને મામલે હવે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટના વકીલ નરેન્દ્ર મિશ્રાએ મુખ્ય ન્યાયાધીશ (CJI)ને પત્ર લખી આ સંકટ પર સ્વતઃ સંજ્ઞાન લેવા અને કેસમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. પત્ર મારફતે દાખલ કરેલી પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિગોએ છેલ્લા કેટલાક દિવસોમાં 2000થી વધુ ફ્લાઇટ રદ કરી અને ગંભીર વિલંબ સર્જ્યો, જેથી લાખો મુસાફરો દેશભરના એરપોર્ટ્સ પર ફસાઈ ગયા અને એક પ્રકારનું માનવીય સંકટ ઊભું થયું છે.

એરપોર્ટ્સ પર કલાકો સુધી ફસાયેલા લોકો

વકીલ નરેન્દ્ર મિશ્રાએ આને મુસાફરોના મૌલિક અધિકારો, ખાસ કરીને કલમ 21 (જીવન અને માન-મર્યાદાના અધિકાર)નું ગંભીર ઉલ્લંઘન ગણાવી સુપ્રીમ કોર્ટ પાસે તરત કાર્યવાહી કરવાની અપીલ કરી છે. તેમની વિગતવાર યાચિકામાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ સતત ચોથા દિવસે (5 ડિસેમ્બર 2025) પણ અસરગ્રસ્ત રહી છે. છ મોટાં મેટ્રો શહેરોમાં એરલાઈનનો ઓન-ટાઈમ પરફોર્મન્સ 8.5 ટકા સુધી ઘટી ગયો. હજારો મુસાફરો (જેમા વૃદ્ધ, બાળકો, દિવ્યાંગ અને બીમારીથી પીડાતા લોકો પણ સામેલ છે) એરપોર્ટ્સ પર કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા.

 ઇન્ડિગોની ખોટી યોજના અને રોસ્ટરિંગથી વ્યવસ્થા ઠપ

એરપોર્ટ્સ પર ખાવા-પીવાના, આરામ, કપડાં, દવાઓ અને રહેવાની મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નહોતી, જ્યારે એરલાઈન પોતે માને છે કે તેના પાસે પૂરતી વ્યવસ્થા નહોતી. ઘણા કેસોમાં તો તાત્કાલિક તબીબી જરૂરિયાતોની પણ અવગણના કરવામાં આવી. યાચિકામાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિગોએ નવી ફ્લાઇટ ડ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL) ફેઝ-2 અમલમાં ગંભીર ભૂલ કરી. આ નિયમ પાઇલટ્સની સુરક્ષા અને થાકને ધ્યાનમાં રાખી લાગુ થયો હતો, પરંતુ એરલાઈનની ખોટા પ્લાનિંગ અને રોસ્ટરિંગને કારણે આખું ઓપરેશન બગડી ગયું. તેને ગંભીર મેનેજમેન્ટ અને મુસાફરો પ્રત્યે અન્યાય ગણાવવામાં આવ્યો છે.

મુર્શિદાબાદમાં બાબરી જેવી મસ્જિદની આધારશિલા મુકાશે: હુમાયુ કબીર

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા વિધાનસભ્ય હુમાયુ કબીર આજે મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદની તર્જ પર બનનારી નવી મસ્જિદની આધારશિલા મૂકવાના છે. હુમાયુના સમર્થકો સવારથી જ માથા પર ઈંટો લઈને મસ્જિદના નિર્માણસ્થળે પહોંચવા લાગ્યા છે. બેલડાંગા અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં કેન્દ્રીય સશસ્ત્ર દળ, રેપિડ એક્શન ફોર્સ, BSF સહિત 3000થી વધુ સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

મસ્જિદની તૈયારીઓ અંગે હુમાયુ કબીરે મિડિયાથી વાત કરતાં કહ્યું હતું કે બધું એકદમ ઠીક છે. 12 વાગવા દો, અને 12 વાગ્યે અહીં કુરાન પઠન શરૂ થશે. ત્યાર બાદ શિલાન્યાસ એટલે કે પાયો મૂકવામાં આવશે. મને પ્રશાસન તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

કલકત્તા હાઈકોર્ટ દ્વારા બંગાળ સરકારને મહત્વના નિર્દેશ

કલકત્તા હાઈકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતાં બંગાળ સરકારને આ કાર્યક્રમને લઈને કોઈ પણ સાંપ્રદાયિક અશાંતિ ન ફેલાય તે માટે તમામ જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સુજોય પાલની અધ્યક્ષતા હેઠળની બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું કે રાજ્યએ એ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાને કડક રીતે જાળવી રાખવી જોઈએ અને લોકોને સુરક્ષિત રાખવા માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ.

ભારે સુરક્ષા દળો તહેનાતરાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સુરક્ષા અનેક સ્તરો પર ગોઠવવામાં આવી છે. CISFની 19 કંપનીઓ વિસ્તારમાં તહેનાત છે, જ્યારે રેપિડ એક્શન ફોર્સની યુનિટ્સ અને સ્થાનિક પોલીસ રેજીનગર અને આજુબાજુના વિસ્તારોમાં મુકાયેલી છે.

કબીર પાસે શુક્રવાર સાંજના સમયે રેજીનગર પોલીસ સ્ટેશનમાં અનેક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી, તેમ છતાં દિવસ દરમિયાન તેઓ તૈયારીઓનું નિરીક્ષણ કરતા રહ્યા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હાજર લોકોને લગભગ 30,000 બિરયાનીના પેકેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમણે ભારપૂર્વક કહ્યું કે કાર્યક્રમ શાંત અને બિનરાજકીય રહેશે. આ વિસ્તારમાં વિવિધ ધાર્મિક જૂથોના સમર્થનનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે અહીં કોઈ ભાષણ નહીં થાય, કોઈ પાર્ટીનો ઝંડો નહીં હોય, કોઈ રાજકીય વાત નહીં થાય. બે કલાક સુધી કુરાનનું પઠન થશે. આ કોઈ નવી વાત નથી.

સ્મૃતિના હાથમાં ન દેખાઈ સગાઈ રિંગ, શું તૂટ્યો સંબંધ?

સ્મૃતિ મંધાનાના પલાશ મુછલ સાથેના લગ્ન મુલતવી રાખ્યા પછી ક્રિકેટરે તેની પહેલી પોસ્ટથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા, જેમાં તેના હાથમાંથી સગાઈની રિંગ જોવા મળી નહીં.

ભારતીય ક્રિકેટ ટીમની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 23 નવેમ્બર, 2025 ના રોજ ગાયક-સંગીતકાર પલાશ મુછલ સાથેના લગ્ન મુલતવી રાખ્યા પછી સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરી હતી. જોકે, ચાહકો સ્મૃતિની ગુમ થયેલી સગાઈની રિંગ તરફ આકર્ષાયા હતા, જે તેના હાથમાં દેખાતી નહોતી. લગ્ન મુલતવી રાખ્યા પછી સ્મૃતિ મંધાનાનો સોશિયલ મીડિયા પર આ પહેલો વીડિયો હતો અને તે હવે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

5 ડિસેમ્બર, 2025 ના રોજ, સ્મૃતિએ તેના લગ્ન મુલતવી રાખ્યા પછી તેની પહેલી પોસ્ટ શેર કરી, અને નવી લગ્ન તારીખ વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ટૂથપેસ્ટ બ્રાન્ડ કોલગેટ સાથેની પેઇડ પાર્ટનરશિપ પોસ્ટમાં, વર્લ્ડ કપ વિજેતા ઉપ-કેપ્ટને ફાઇનલ મેચ જીત્યા પછી પોતાની લાગણીઓ વ્યક્ત કરી. જો કે, ચાહકોએ તરત જ તેની આંગળીમાંથી ગુમ થયેલી સગાઈની વીંટી જોઈ, જ્યારે કેટલાકને આશ્ચર્ય થયું કે શું આ વીડિયોસગાઈ અથવા પ્રપોઝલ દિવસ પહેલા શૂટ કરવામાં આવ્યો છે. એક ચાહકે ટિપ્પણી કરી, “તે ઉદાસ કેમ લાગે છે? તે હસતી હોય છે, પરંતુ તેનો અવાજ અને તેની આંખો ઉદાસ લાગે છે, અને તેણે તેની સગાઈની રિંગ પહેરી નથી.” બીજાએ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે તેના હાથમાં મહેંદી નહોતી, એટલે કે તે તેની સગાઈ પહેલા શૂટ કરવામાં આવ્યુ હશે.

 

View this post on Instagram

 

A post shared by Smriti Mandhana (@smriti_mandhana)

તાજેતરમાં, ઘણા અહેવાલોમાં જણાવાયું હતું કે ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના 7 ડિસેમ્બર, 2025 ના રોજ સંગીતકાર પલાશ મુચ્છલ સાથે લગ્ન કરશે. જોકે, સ્મૃતિના ભાઈ શ્રવણ મંધાનાએ આ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની એક મુલાકાતમાં શ્રવણે જણાવ્યું હતું કે તેમને આ અફવાઓ વિશે કોઈ જાણકારી નથી, પરંતુ લગ્ન હજુ પણ મુલતવી રાખવામાં આવ્યા છે.

સ્મૃતિ અને પલાશના લગ્ન ક્રિકેટરના વતન સાંગલીમાં થવાના હતા, પરંતુ તેના પિતા શ્રીનિવાસ મંધાનાને તબીબી કટોકટીના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં લગ્ન અચાનક મુલતવી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. એક દિવસ પછી, સ્મૃતિ મંધાનાના વરરાજાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નેશનલ હેરાલ્ડ કેસમાં ઉપ મુખ્‍ય મંત્રી ડી. કે. શિવકુમારને નોટિસ

નવી દિલ્હીઃ દિલ્હીની પોલીસની આર્થિક ગુનાઓની શાખાએ નેશનલ હેરાલ્ડ કેસમાં કર્ણાટકના ઉપ મુખ્‍ય મંત્રી ડી.કે. શિવકુમારને નોટિસ જારી કરી છે. શિવકુમારને 19 ડિસેમ્બર સુધીમાં નાણાકીય તથા લેવડદેવડ સંબંધિત માહિતી અને દસ્તાવેજો જમા કરવા કહેવામાં આવ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ મામલો ત્રીજી ઓક્ટોબરે નોંધાયો હતો, જેમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ આરોપ છે કે તેમણે યંગ ઇન્ડિયન મારફતે એસોસિયેટેડ જર્નલ્સને છેતરપિંડીથી હાંસલ કરવાનું કાવતરું રચી. આ FIR EDના હેડક્વાર્ટર તપાસ વિભાગની ફરિયાદ પર આધારિત છે.

ઉપમુખ્‍ય મંત્રીએ જે દસ્તાવેજો જમા કરવાની માગ કરવામાં આવી છે, તેમાં નાણાકીય વિગત, ઇન્કમ ટેક્સ રિટર્ન અને દાન સંબંધિત પ્રમાણપત્રો સામેલ છે. પોલીસે તેમનાં રાજકીય જોડાણો, કોંગ્રેસ સાથેના સંબંધો તથા તેમના અથવા તેમની સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા યંગ ઇન્ડિયનને આપવામાં આવેલાં નાણાંનું વિગતવાર વર્ણન માગ્યું છે. તપાસકર્તાઓએ પણ તપાસ કરી રહ્યા છે કે નાણાં ટ્રાન્સફર કરવાનો હેતુ શો હતો, શું આ ટ્રાન્સફર કોઈ ત્રીજા પક્ષના આદેશ પર કરવામાં આવ્યા હતા અને એ નાણાંનો અંતિમ ઉપયોગ શું થયો તેની જાણકારી હતી કે નહીં.

નેશનલ હેરાલ્ડ કેસમાં સેમ પિત્રોડા, ગાંધી પરિવારમાંનાં નામ સામેલ

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો, તેમના છ અન્ય સહયોગીઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ વિરુદ્ધ એસોસિયેટેડ જર્નલ્સને છેતરપિંડીથી હાંસલ કરવાની આરોપિત અપરાધિક કાવતરાના કેસમાં FIR નોંધવામાં આવી હતી. એ સમયે એસોસિયેટેડ જર્નલ્સ કોંગ્રેસની માલિકીની સંસ્થા હતી અને તેની સંપત્તિ લગભગ 2000 કરોડ રૂપિયા હતી.

આ હસ્તાંતરણ યંગ ઇન્ડિયન મારફતે કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધી પરિવારની 76 ટકા હિસ્સેદારી હતી.

દિલ્હી પોલીસની 3 ઓક્ટોબરની FIR EDનું મુખ્યાલય તપાસ એકમ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ પર આધારિત છે, જેમાં 2008થી 2024 સુધી ચાલેલી નેશનલ હેરાલ્ડ મની-લોન્ડરિંગ કેસની તપાસના વિગતવાર નિષ્કર્ષ રજૂ કરવામાં આવ્યા છે. સોનિયા અને રાહુલ ગાંધી ઉપરાંત, દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલી FIRમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા સહિત અન્ય ત્રણ વ્યકિતઓનાં નામ સામેલ છે.