મુંબઈઃ જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરનો સામનો કરી રહ્યું છે. આરબ દેશો, ઇઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે સમુદ્રી જહાજોની અવરજવર ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, જેને કારણે અનેક કન્ટેનર બંદરે અટવાઈ ગયાં છે. હાલમાં JNPT પર 1000થી વધુ એક્સપોર્ટ કન્ટેનર અટવાયેલાં છે. તેમાં દ્રાક્ષ, ડુંગળી અને પપૈયાં સહિતનાં કૃષિ ઉત્પાદનોની ખેપ સામેલ છે.
અટવાયેલાં કન્ટેનરમાંથી 150 કન્ટેનર નાસિકની ડુંગળીનાં છે. અહેવાલ મુજબ દરેક કન્ટેનરમાં સરેરાશ 29-30 ટન ડુંગળી છે, એટલે કુલ અંદાજે 5400 ટન ડુંગળી અટવાઈ ગઈ છે. આ ખેપ મુખ્યત્વે ખાડી દેશોમાં મોકલવાની હતી, જેમાંથી મોટા ભાગની દુબઈ મારફતે જવાની હતી, પરંતુ હાલની યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે દુબઈનું બજાર તાત્કાલિક રીતે બંધ કરવામાં આવ્યું છે. ખાડી દેશોમાં પહોંચી ગયેલા ભારતીય કન્ટેનરની સ્થિતિ પણ અલગ નથી. દુબઈ પહોંચી ગયેલા 370 કન્ટેનર પણ ત્યાં જ અટવાયેલાં હોવાનું જણાવવામાં આવે છે. આ જ માર્ગનો ઉપયોગ કેટલાક યુરોપિયન દેશોમાં નિકાસ માટે થતો હોવાથી તે વેપાર પણ પ્રભાવિત થયો છે. સૌથી મોટી ચિંતા નાશવંત વસ્તુઓના નિકાસકારોને છે. વધતા નાણાકીય દબાણને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.
પોર્ટ પર ઊભેલા કન્ટેનરને રેફ્રિજરેશન જાળવવા માટે પ્લગ-ઇન રાખવાના ખર્ચ તરીકે પ્રતિ કન્ટેનર દરરોજ અંદાજે રૂ. 8000 ખર્ચ થઈ રહ્યો છે. જો વિલંબ ચાલુ રહે, તો નિકાસકારોને માલ પોર્ટ પર ઉતારવો પડી શકે છે, જેને કારણે પ્રતિ કન્ટેનર રૂ. 5000-6000નો વધારાનો ખર્ચ આવશે. ઉદ્યોગ પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિ સ્પષ્ટ નહીં થાય, તો માલ બગડવાથી બચાવવા માટે તેને પાછો મગાવવો પડે એવી શક્યતા છે.

નિકાસમાં આવેલા અવરોધનો અસર સ્થાનિક બજારમાં પણ દેખાવા લાગી છે. ડુંગળી અને અન્ય ઉત્પાદનોના ભાવ, જે પહેલેથી જ દબાણ હેઠળ છે, સ્થાનિક પુરવઠો વધવાથી વધુ ઘટી શકે છે. ખેડૂતો આ સ્થિતિને “ડબલ માર” તરીકે વર્ણવી રહ્યા છે — એક તરફ વધતી ઉત્પાદન કિંમત અને બીજી તરફ નિકાસની અનિશ્ચિતતા, જે હવે વિદેશી શિપમેન્ટ લગભગ બંધ થવાથી વધુ ગંભીર બની ગઈ છે. હાલ નિકાસકારો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને આગામી 48થી 72 કલાકમાં સ્થિતિ સ્પષ્ટ થવાની આશા રાખી રહ્યા છે. જોકે, જો મધ્ય પૂર્વમાં તણાવ જલ્દી ઓછો નહીં થાય, તો JNPTમાં અટવાયેલા હજારો ટન કૃષિ ઉત્પાદનોને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.


