એવા વિદેશી ફરિયાદીઓને ‘ચલ-ફૂટ’ કહી દો: ગાવસકર

અમદાવાદઃ જૉ રૂટની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમ ભારતમાં ચાર-મેચોની ટેસ્ટશ્રેણી 1-3થી શરમજનક રીતે હારીને સ્વદેશ પાછી ફરી છે. અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી બંને ટેસ્ટ મેચ – ત્રીજી અને ચોથીમાં ઈંગ્લેન્ડ ટીમનો પરાજય થયો હતો. એમાંય ત્રીજી ટેસ્ટ, જે ડે-નાઈટ હતી, એ તો માત્ર બે જ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. તે પરિણામને પગલે ઘણા વિદેશી ભૂતપૂર્વ ક્રિકેટરો અને સમીક્ષકોએ મોદી સ્ટેડિયમની પિચની ટીકા કરી છે, પરંતુ ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન તથા કોમેન્ટેટર સુનીલ ગાવસકર આ મુદ્દે તડ-ફડ મંતવ્ય ધરાવે છે.

ગઈ કાલે મોદી સ્ટેડિયમમાં સમાપ્ત થયેલી ભારત-ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટ અને મેચ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ સાથેની વાતચીતમાં ગાવસકરને જ્યારે પિચ વિશે સવાલ પૂછાયો ત્યારે એમણે કહ્યું કે, ‘વિદેશી ખેલાડીઓ આપણે ત્યાંની પિચો વિશે અગણિત અભિપ્રાય આપે તો આપણે ભારતીયોએ એમને મહત્ત્વ આપવું જ ન જોઈએ. એમને ‘ચલ ફૂટ’ કહી દેવું જોઈએ. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં એડીલેડ ખાતેની ડે-નાઈટ ટેસ્ટમેચમાં જ્યારે ભારતીય ટીમ 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી ત્યારે આપણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ જે કંઈ કહ્યું હતું એનું ઓસ્ટ્રેલિયાના મિડિયાએ કોઈ મહત્ત્વ આપ્યું નહોતું તો પછી આપણી પિચની ટીકા કરનાર વિદેશીઓને આપણે પણ મહત્ત્વ આપવું ન જોઈએ. મોદી સ્ટેડિયમની ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનો ક્લીન બોલ્ડ અને એલબીડબલ્યુ થયા હતા તો પિચ ખરાબ હતી એમ કઈ રીતે કહી શકાય?’

(તસવીર સૌજન્યઃ @rohangava9 અને @BCCI)