ટીમ ઈન્ડિયાએ અતિઉત્સાહમાં આવી જવાનું નથીઃ દ્રવિડ

કોલકાતાઃ રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર ન્યૂઝીલેન્ડને ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 73 રનથી હરાવીને સિરીઝ 3-0થી વ્હાઈટવોશ પરિણામ સાથે જીતી લીધી. ભારતે શર્માના 56 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 184 કર્યા હતા. એના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 17.2 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડાબોડી સ્પિનર અક્ષર પટેલને 3 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લેવા બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો જ્યારે રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરાયો. બંને ટીમ વચ્ચે હવે બે-મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. પહેલી ટેસ્ટ 25 નવેમ્બરથી કાનપુરમાં રમાશે અને બીજી મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલી નહીં રમે અને એમાં કેપ્ટનપદ અજિંક્ય રહાણે સંભાળશે.

ગઈ કાલની મેચના પરિણામ બાદ ભારતીય ટીમના નવા હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ટીમના દેખાવથી પોતે પ્રભાવિત થયા છે, પરંતુ ખેલાડીઓએ અતિ ઉત્સાહમાં આવી જવાનું નથી અને એમણે વાસ્તવવાદી બનવાની જરૂર છે. ન્યૂઝીલેન્ડની ટીમ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં હારી ગયા બાદ તરત જ ભારત આવી હતી. બેક-ટુ-બે મેચો રમવાનું એમને માટે એટલું આસાન નહોતું. ભારતને ખરેખર સરસ શ્રેણીવિજય મળ્યો છે. અમારા દરેક ખેલાડી શરૂઆતથી જ સરસ રમ્યા હતા. સારો આરંભ થયો છે. પણ અમારે થોડાક વાસ્તવવાદી બનવાની પણ જરૂર છે.