ભારત વિ. પાકિસ્તાનઃ રોહિતની ટીમ ફેવરિટ, પણ શાહીન, વરસાદ તરફથી જોખમ

અમદાવાદઃ કેપ્ટન રોહિત શર્માનો સંયમ, સ્ટાર બેટર વિરાટ કોહલીની તીવ્રતા અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની દિમાગી કલાત્મક્તાને કારણે ભારતીય ટીમ આવતીકાલે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમાનાર વર્લ્ડ કપ મેચ જીતવા માટે ફેવરિટ ગણાય છે. કાગળ ઉપર તો ભારતીય ટીમ પાકિસ્તાન કરતાં ઘણી જ શક્તિશાળી દેખાય છે. બેટિંગ હરોળ તો ભારે મજબૂત છે, પરંતુ આવતીકાલે તેઓ પાકિસ્તાનના ડાબોડી ઝંઝાવાતી બોલર શાહીન શાહ અફરિદીનો સામનો કેવી રીતે કરે છે તેની પર બધો આધાર રહે છે.

ભારતનો ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂ બીમારીમાંથી સાજો થઈ ગયો છે. તેને આવતીકાલની મેચમાં રમાડવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું. તાજેતરમાં કોલંબોમાં એશિયા કપ સ્પર્ધામાં તો ગિલે શાહીનનો હિંમતથી સામનો કર્યો હતો. જો આવતીકાલની મેચમાં રમાડવામાં આવશે તો માસ્ટર પૂલર ગિલ પાકિસ્તાની બોલરો પર છવાઈ જવાની એક વધુ તક ઝડપી લેવાનું પસંદ કરશે. મિડલ ઓર્ડર કોહલી, શ્રેયસ ઐયર અને કે.એલ. રાહુલને કારણે ઘણું જ મજબૂત છે.

એક જોખમ અમદાવાદમાં હવામાનનું પણ છે. આવતીકાલે અમદાવાદ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં સાત વખત ટકરાઈ ચૂક્યા છે અને એ સાતેય વખત ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે.