નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે તેણે સોનમ વાંગચુકની ધરપકડ રદ કરવાનો નિર્ણય લીધો છે. વાંગચુકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લેહમાં થયેલા વિરોધ પ્રદર્શનના મામલે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને NSA હેઠળ અટકાયતમાં રાખીને રાજસ્થાનની જોધપુર જેલમાં રાખવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારે નિવેદનમાં જણાવ્યું હતું કે “સોનમ વાંગચુકને 26 સપ્ટેમ્બર, 2025એ NSAની જોગવાઈ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેઓ આ કાયદા હેઠળની અટકાયતની અવધિનો લગભગ અડધો સમય પસાર કરી ચૂક્યા છે. સરકાર લદ્દાખના વિવિધ હિતધારકો અને સમુદાયના નેતાઓ સાથે સક્રિય રીતે વાતચીત કરી રહી છે જેથી વિસ્તારમાં રહેનાર લોકોની આશાઓ અને ચિંતાઓનો ઉકેલ લાવી શકાય.સરકારના જણાવ્યા મુજબ હાલ બંધ અને વિરોધ પ્રદર્શનનું વાતાવરણ સમાજના શાંતિપૂર્ણ સ્વભાવ માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. તેનો પ્રભાવ વિદ્યાર્થીઓ, નોકરી શોધનારાઓ, વેપારીઓ અને પર્યટકો સહિત સમાજના અનેક વર્ગો તેમ જ અર્થતંત્ર પર પડી રહ્યો છે. સરકારે વધુમાં જણાવ્યું હતું કે NSA હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં 17 માર્ચે સુનાવણી
સુપ્રીમ કોર્ટ વાંગચુકની અટકાયતને પડકારતી અરજી પર સુનાવણી 17 માર્ચ સુધી મુલતવી રાખી હતી. સુનાવણી દરમિયાન સરકારના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું કે વાંગચુકનાં નિવેદનો યુવાનોને નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં થયેલાં આંદોલનો જેવી રીતે વિરોધ પ્રદર્શન કરવા પ્રેરિત કરી શકે છે. સરકારનું કહેવું હતું કે આવાં નિવેદનો સંવેદનશીલ સરહદી વિસ્તારમાં અસ્થિરતા પેદા કરી શકે છે.

વાંગચુકને કેમ અટકાયત કરવામાં આવી હતી?
પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને ગયા વર્ષે 26 સપ્ટેમ્બરે લદ્દાખ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની અને છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની માગને લઈને ‘લેહ એપેક્સ બોડી’ (LAB) દ્વારા બોલાવવામાં આવેલા બંધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને લગભગ 90 લોકો ઘાયલ થયા હતા. કેન્દ્રના ગૃહ મંત્રાલયે આ હિંસાની જવાબદારી વાંગચુક પર મૂકી હતી.


