વડા પ્રધાન મોદીએ કર્યું નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન

નોઇડાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ઝેવર ખાતે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જરાપુ રામ મોહન નાયડૂ, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરી અને સમાજવાદી પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું.

આજે આખું વિશ્વ ચિંતિત છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને કારણે ઘણા દેશોમાં ખાદ્ય પદાર્થો, પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવી જરૂરી ચીજવસ્તુઓની અછત ઊભી થઈ છે. દરેક દેશ આ સંકટનો સામનો કરવાની કોશિશ કરી રહ્યો છે અને આપણું ભારત પણ સંપૂર્ણ શક્તિ સાથે તેનો સામનો કરી રહ્યું છે. દેશવાસીઓની શક્તિના વિશ્વાસ પર આગળ વધી રહ્યું છે. ભારત મોટા પ્રમાણમાં કાચું તેલ અને ગેસ યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાંથી આયાત કરે છે. તેથી સરકાર એવાં તમામ પગલાં લઈ રહી છે કે જેથી સામાન્ય પરિવારો અને અમારા ખેડૂત ભાઈ-બહેનો પર ભાર ન પડે. સંકટના સમયમાં પણ ભારતે પોતાની ઝડપી વિકાસયાત્રા સતત ચાલુ રાખી છે.

સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે પહેલાં સપા સરકારે નોઇડાને પોતાની લૂંટનું ATM બનાવી દીધું હતું. પરંતુ આજે ભાજપ સરકારમાં એ જ નોઇડા ઉત્તર પ્રદેશના વિકાસનું શક્તિશાળી એન્જિન બની રહ્યું છે. પહેલા અંધશ્રદ્ધાને કારણે નોઇડાને અવગણવામાં આવતું હતું અને સત્તા ગુમાવવાના ડરથી અગાઉના શાસકો અહીં આવતાં પણ ડરતા હતા. મને યાદ છે કે જ્યારે અહીં સપા સરકાર હતી અને મેં નોઇડા આવવાનો કાર્યક્રમ બનાવ્યો, ત્યારે મુખ્ય મંત્રી એટલા ડરી ગયા હતા કે કાર્યક્રમમાં આવ્યા જ નહોતા.

મને પણ ડરાવવાનો પ્રયાસ થયો હતો — કહેવામાં આવ્યું કે ‘મોદીજી, નોઇડા ન જશો, તમે હમણાં જ પ્રધાનમંત્રી બન્યા છો.’ ત્યારે મેં કહ્યું હતું કે હું એ ધરતીના આશીર્વાદ લેવા જઈ રહ્યો છું, જે મને લાંબા સમય સુધી સેવા કરવાની તક આપશે. આજે એ જ વિસ્તાર સમગ્ર વિશ્વનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ વિસ્તાર આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવી રહ્યો છે.