મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શનિવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. જેમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતાથી ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી.આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહિં ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઇ સોલંક પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલની વૈશ્વિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં દેશના રાજ્યોમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ, ખાતર અને અન્ન પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો સાથે શુક્રવારે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે આપેલા દિશા-નિર્દેશોના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે શનિવારે રાજ્યના વરિષ્ઠ સચિવોની બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, હાલના સમયે બધા જ વિભાગોએ સતર્ક રહીને સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,  રાજ્યમાં પી.એન.જી. કનેક્શનને અગ્રતા આપવાની જે માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકારે આપેલી છે તેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા પી.એન.જી. કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે. ખાસ કરીને રહેઠાણ સાથોસાથ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ્સને આવા કનેક્શનમાં અગ્રતા આપવા સૂચના આપવામાં આવી.

ગુજરાત દેશમાં સૌથી વધુ ૨૩ ટકા પી.એન.જી. ગેસ કનેક્શન ધરાવતું રાજ્ય છે. આ ઉપરાંત દેશના ૧૨ ટકા સી.એન.જી. ફિલીંગ સ્ટેશન પ્ણ રાજ્યમાં કાર્યરત છે. ઉપરાંત છેલ્લાં ૧૦ દિવસમાં ૧૨ હજારથી વધુ નવા પી.એન.જી. કનેક્શન્સ અને ૩૦૦થી વધુ નવા કોમર્શીયલ કનેક્શન્સ અપાયાં છે.

આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રજૂ થયેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ૧.૨૮ કરોડ ડોમેસ્ટિક એલ.પી.જી. કનેક્શન છે. એટલું જ નહિં આ ડોમેસ્ટિક કનેક્શન ધારકોને ગેસનો પુરવઠો નિયમિત મેળવવામાં કોઇ તકલીફ ન રહે તે માટે ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ સાથે રાજ્ય સરકાર સતત સંકલનમાં છે.

મુખ્યમંત્રીએ પેટ્રોલ, ડિઝલ, ગેસ જેવી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ પર નિગરાની રાખવા તથા કડકાઈથી દાખલારૂપ સજા થાય તે માટે તાકીદ કરી હતી. તેમણે કહ્યું કે આના પરિણામે લોકોના મનમાંથી અછત કે તંગીનો જે ખોટો ભય છે તે દૂર કરી શકાશે.

રાજ્યમાં ફર્ટીલાઇઝરનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ખેડૂતોને ખરીફ સીઝન માટે ખાતરની કોઈ સમસ્યા રહે નહીં તેવું આયોજન કૃષિ વિભાગે કર્યું છે. તેની પણ માહિતી આ બેઠકમાં આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યના પોર્ટ્સ પર કાર્ગોનું સરળ સંચાલન અને મોનિટરીંગ થાય તેમજ કન્જેશન થવાને કારણે સપ્લાય ચેનમાં રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવા અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં શ્રમિકોને પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિને કારણે આર્થિક મુશ્કેલી સહન કરવી ન પડે તે માટે તેમને મહેનતાણાની ચૂકવણી સમયસર થાય તે જોવાની સૂચના સબંધિત વિભાગોને આપવામાં આપી હતી. કેન્દ્ર સરકાર સાથેના સંકલન માટે અને જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જળવાઈ રહે તેના માર્ગદર્શન માટે મુખ્યસચિવના અધ્યક્ષ સ્થાને એક સ્ટેટ લેવલ કોર્ડિનેશન કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લા સ્તરની આવી કોર્ડીનેશન કમિટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કાર્યરત થશે.