બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો, કારણો સમજવાથી ઉપાય સરળ બને

મુંબઈ: બ્રેઈન સ્ટ્રોક માનવીના સૌથી મહત્વના અંગ મગજ પરનું એક જોખમી આક્રમણ હોવાથી તેના પરિણામ પણ બહુ ગંભીર હોય છે. આનો નકકર અને સચોટ કોઈ ઉપાય હોય તો એ સ્ટ્રોક બાદ તાત્કાલિક ધોરણે મળનારી યોગ્ય સારવાર ગણાય. તાત્કાલિક એટલે સ્ટ્રોકના પ્રથમ ચાર કલાક, જેને ગોલ્ડન અવર્સ કહેવાય છે. જો આ સારવાર યોગ્ય સમયમાં મળી જાય તો તેના ઈલાજની સફળતા ઊંચી બની જાય છે. આ શબ્દો છે, ન્યુરોલોજિસ્ટ ડો. કેયુર પંચાલના.  આ સાથે બીજા વકતા ન્યુરોસર્જન ડો. દર્પણ ઠાકરેએ પણ બ્રેઈન સ્ટ્રોકના સંકેતો, લક્ષણો અને કારણો તેમજ ઉપાય વિશે સમજણ આપી હતી.આપણી બદલાયેલી જીવનશૈલી અને સ્ટ્રેસને કારણે નવાનવા રોગોનો પ્રવેશ અને જુના રોગોની તીવ્રતા વધી રહી છે. અગાઉ આપણે હાર્ટએટેક વિષે કયારેક જ સાંભળતા અને આજે હાર્ટ એટેક કોઈપણ વયજૂથ માટે સામાન્ય થઈ પડ્યો છે. હવે બ્રેઇન એટેક એટલે કે બ્રેઇન સ્ટ્રોકનાં મામલામાં પણ એવો જ ગંભીર માહોલ આકાર પામી રહયો છે. જોકે છેલ્લા દસ વર્ષમાં સ્ટ્રોકની સારવારમાં મેડિકલ સાયન્સે નોંધપાત્ર પ્રગતિ કરી છે.હવે આ સામાન્ય થઈ પડેલા રોગ વિષે આપણે પણ જાગરૂકતા કેળવવી ઘટે. અચાનક આવતા આ આક્રમણ વિષે જો જાગરૂકતા કેળવાય તો કોઇનું જીવન બચાવી શકાય છે. આ જ વિચારને લઈને કાંદિવલીમાં, ૨૧મી માર્ચ ૨૦૨૬ની સાંજે આ વિષયની જાગૃતિ માટે એઇડ્ઝ કૉમ્બેટ ઇન્ટરનેશનલ (ACI) અને મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંયુક્તપણે કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના સૌજન્યથી એક માહિતીસભર અને માર્ગદર્શક નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમયનું અદકેરું મહત્વ

જાણીતા ન્યુરોલૉજિસ્ટ ડૉ. કેયૂર પંચાલે આ અવેરનેસ સેમિનારમાં પોતાના સરળ અને સચોટ વકતવ્યમાં કહયું કે સ્ટ્રોકની સારવારના પરિણામ માટે સમયનું મહત્વ ખૂબ જ છે. સ્ટ્રોકના દર્દીને જેટલું બની શકે એટલું ઝડપથી યોગ્ય હોસ્પિટલમાં પહોંચાડી શકાય તો દર્દીની રિકવરીના પરિણામો સારા મેળવી શકાય છે. આવા દર્દીને ક્યારે, ક્યાં અને કેટલી ઝડપથી પહોંચવામાં આવે છે તેની ઉપર દર્દીની રિકવરી અને બાકીની જિંદગીનો આધાર રહેલો છે. બ્રેઇન સ્ટ્રોક માટે સમયના મહત્વ પર ભાર મુકતા તેમણે કહયું હતું કે સ્ટ્રોકના લક્ષણો દેખાય એ પછીના ચાર ક્લાકને ‘ગોલ્ડન અવર્સ’ કહેવામાં આવે છે.

સ્ટ્રોક કેવી રીતે થાય છે?

સ્ટ્રોક બાબતે સમજાવતા તેમણે કહયું હતું કે બે પ્રકારે બ્રેઇન સ્ટ્રોક આવે છે. એક, જ્યારે મગજને લોહી પૂરું પાડતી રક્તવાહિનીમાં કલૉટ થાય ત્યારે મગજના ચોક્કસ હિસ્સામાં લોહીનો પુરવઠો રૂંધાય છે અને બીજું, રક્તવાહિની ફાટી જાય તો બ્લીડિંગ થાય અને બ્રેઇન હેમરેજ થાય ત્યારે સ્ટ્રોક આવે છે. ભારતમાં ૮૦ થી ૯૦ ટકા બ્રેઇન સ્ટ્રોક કલૉટને કારણે થાય છે. ૧૦ ટકા બ્લીડિંગને કારણે થાય છે. સ્ટ્રોકના લક્ષણો દેખાવાના બે કલાકની અંદર જો હોસ્પિટલમાં પહોંચી શકાય ત્યાર બાદ એક કલાકમાં સિટી સ્કેન અને એમઆરઆઈનાં રિપોર્ટ જોઈને ડૉક્ટર આગળની ટ્રીટમેન્ટ બાબતે નિર્ણય લઈ શકે છે.

સ્ટ્રોકસના પ્રકાર
ડૉ. દર્પણ જે. ઠાકરેએ જણાવ્યું કે બ્રેઈનને ઑક્સિજન તેમજ ન્યુટ્રીયન્ટ્સનો સતત પ્રવાહ જોઈએ છે. જો નસમાં બ્લોક થવાથી અથવા નસ ફાટી જવાથી આ પુરવઠામાં વિક્ષેપ પડે તો બ્રેઇન સ્ટ્રોક આવે છે. આથી વ્યક્તિનું ગણતરીની મિનિટોમાં મૃત્યુ થઈ શકે છે. ત્રણ પ્રકારના સ્ટ્રોક્સ હોય છે. રક્તવાહિનીમાં કલૉટ થવાથી જે થાય છે તે આઇઝેમીક સ્ટ્રોક કહેવાય છે. જ્યારે નસ ફાટી જવાથી બ્લીડિંગ થાય છે ત્યારે હેમોર્હાજીક સ્ટ્રોક અને ત્રીજો પ્રકાર ટ્રાન્ઝિયન્ટ આઇઝેમીક અટેક છે જે ઝડપથી સુધરી જાય છે. પરંતુ એ ભવિષ્યમાં સ્ટ્રોક થવાની નિશાની છે. તેમનું કહેવું હતું કે જ્યારે બધા જ પ્રયત્નો થઈ ચૂક્યા હોય અને બ્રેઈનમાં લોહીનો પુરવઠો શરૂ કરવાના પ્રયત્નો નકામા થઈ જાય ત્યારે ન્યૂરોસર્જીનની ભૂમિકા શરૂ થાય છે.

સ્ટ્રોકનાં લક્ષણો કેવી રીતે સમજાય ?

ડૉ. કેયૂર સમયનું મહત્વ સમજાવતા કહે છે કે આખી દુનિયામાં સ્ટ્રોકને ઓળખવા માટે BEFAST ન્યૂમૉનિક્સ વપરાય છે.

B – Balance : અચાનક જ શરીરનું સંતુલન ખોરવાય, શરીરના અંગોનો તાલમેલ ન રાખી શકાતુ હોય એવું લાગે અથવા ચક્કર આવે

E – Eyes : એક અથવા બંને આંખે ધૂંધળાપણું આવે, અંધારા આવે અથવા ડબલ દેખાવા માંડે અથવા દેખાતું બંધ થઈ જાય

F – Face drooping: ચહેરાની એક બાજુ ખેંચાઇ જાય અથવા ખોટી પડતી લાગે.

A – Arm weakness: એક હાથ અથવા પગમાં ઝણઝણાટી થતી હોય એવું લાગે અથવા નબળાઈ લાગે

S – Speech difficulty : બોલવામાં તકલીફ પડે, બોલવામાં લડખડાતા હોય એવું લાગે અથવા બીજાને સમજવામાં તકલીફ પડે

T – Time to call emergency : ઉપરના કોઈ પણ લક્ષણો જણાય તો ત્વરિત તબીબી સહાય માટે એમ્બ્યુલન્સ બોલાવીને યોગ્ય હોસ્પિટલમાં પહોંચવું.