નવી દિલ્હીઃ નીટ (NEET) અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા પેપર લીક વિવાદને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે શિક્ષણ મંત્રી પાસે માફી માગવાની અને રાજીનામું આપવાની માગ કરી છે.
તેમણે કહ્યું હતું કે સત્તાના અહંકારમાં ડૂબેલી મોદી સરકાર હવે એવી સ્થિતિએ પહોંચી ગઈ છે કે પોતાના હક, નિષ્પક્ષ પરીક્ષાઓ અને સુરક્ષિત ભવિષ્યની માગ કરનારા વિદ્યાર્થીઓને જ શિક્ષણમંત્રી ‘આતંકવાદી‘ કહી રહ્યા છે. જરા વિચારો—જેમની નિષ્ફળતાને કારણે અનેક પેપર લીક થયા, જેમના કાર્યકાળ દરમિયાન 20 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જેમણે કરોડો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી દીધું, તે જ આજે પીડિત વિદ્યાર્થીઓ અને તેમની તરફેણમાં અવાજ ઉઠાવનારાઓને ‘દહશતગર્દ‘ કહી રહ્યા છે.
જે પ્રશ્ન પૂછે તેને દેશદ્રોહી કહી દેવાની સરકારની નીતિ
તેમણે સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે જે કોઈ સરકારને પ્રશ્ન પૂછે છે અથવા તેની નીતિઓનો વિરોધ કરે છે, તેને કોઈને કોઈ ઉપાધિ આપી દેવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ખેડૂતો પોતાના હક માટે લડ્યા ત્યારે તેમને “આંદોલનજીવી” અને “પરજીવી” કહેવામાં આવ્યા હતા. સામાન્ય નાગરિક પ્રશ્ન પૂછે તો તેને “એન્ટી-નેશનલ” ગણવામાં આવે છે અને હવે જ્યારે દેશના યુવાનો પોતાના ભવિષ્ય માટે ન્યાય માગે છે, ત્યારે તેમને “દહશતગર્દ” કહેવામાં આવી રહ્યા છે.
STORY | Apologise to young people, resign for ‘failures’: Rahul on Pradhan’s ‘terrorist’ remark
Congress leader Rahul Gandhi on Thursday hit out at Education Minister Dharmendra Pradhan for his “terrorist” remark against protesting students, saying he must immediately apologise… pic.twitter.com/ECIrNFKe1m
— Press Trust of India (@PTI_News) June 25, 2026
“આ શિક્ષણ વ્યવસ્થા નહીં, વસૂલી તંત્ર છે”
તેમણે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પાસે તાત્કાલિક માફી અને રાજીનામાની માગ કરતાં કહ્યું હતું કે તેઓ સરકારના હુમલાઓથી ડરવાના નથી. તેમણે રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓ વચ્ચે આપેલા પોતાના અગાઉના નિવેદનને યાદ કરતાં કહ્યું હતું કે આજની શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે “વસૂલી તંત્ર” બની ગઈ છે, જ્યાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરીને પૈસા કમાવવામાં આવી રહ્યા છે. તેમણે સંકલ્પ વ્યક્ત કરતાં કહ્યું કે દરેક બાળકને સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમ જ નિષ્પક્ષ પરીક્ષા મળે તે માટે તેઓ સતત અવાજ ઉઠાવતા રહેશે.




