મદરેસા આતંકવાદીઓને પેદા કરતી ફેક્ટરીઃ કેશવ પ્રસાદ મૌર્ય

લખનૌઃ બાંગ્લાદેશી લેખિકા તસ્લિમા નસરીને મદરસા શિક્ષણ પ્રણાલી પર તીખો પ્રહાર કરતાં આરોપ લગાવ્યો હતો કે કેટલીક સંસ્થાઓ જિહાદીઓને તૈયાર કરતી ફેક્ટરીઓ બની ગઈ છે. તેમના આ નિવેદન પર ઉત્તર પ્રદેશના ઉપ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મદરેસા આતંકવાદીઓને પેદા કરતી ફેક્ટરી છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું મદરેસા બાંગ્લાદેશની હોય, પાકિસ્તાનની હોય કે ભારતની હોય, મદરેસા વાસ્તવમાં અઘોષિત રીતે આતંકવાદીઓને પેદા કરતી ફેક્ટરી છે.

તસ્લિમા નસરીને શું કહ્યું હતું?

કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં તસ્લિમા નસરીને આરોપ લગાવ્યો કે ઘણી મદરેસાઓ પૂરતી સરકારી દેખરેખ વિના ચાલી રહી છે અને દાવો કર્યો હતો કે કેટલીક સંસ્થાઓમાં ગેર-મુસ્લિમો પ્રત્યે દ્વેષ શીખવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં મદરેસાઓમાં ઉગ્રવાદીઓને તૈયાર કરવામાં આવે છે. કેટલીક મદરેસા ‘જિહાદીઓ’ પેદા કરતી ફેક્ટરીઓ બની ગઈ છે. આવી સંસ્થાઓમાં બાળ શોષણના કેસો સામે આવ્યા છે. મારા મત મુજબ મદરેસાઓનું અસ્તિત્વ હોવું જોઈએ નહીં. બળાત્કારની ઘટનાઓ પણ સામે આવી છે.

નસરીને શિક્ષણ પ્રણાલીમાં સુધારા પર ભાર મૂક્યો

નસરીને કહ્યું હતું કે માત્ર સજા આપવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય અને શિક્ષણ પ્રણાલીમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે રાજકીય કારણોસર સરકારો મદરેસાઓને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું હતું કે મોટા ભાગના કિસ્સાઓમાં આ મદરેસાઓ પર સરકારનું કોઈ અસરકારક નિયંત્રણ નથી. દરેક સરકાર મત મેળવવા માટે ધાર્મિક કટ્ટરપંથીઓ સાથે સમાધાન કરે છે. આ જ કારણ છે કે આવી સંસ્થાઓમાં ‘જિહાદીઓ’ તૈયાર થાય છે. તમામ મદરેસાઓ પર સરકારનું નિયંત્રણ હોવું જોઈએ અને શિક્ષણ પ્રણાલીમાં સુધારો જરૂરી છે.

સપામાં ફૂટ પડવાની શક્યતા અંગે રાજકીય નિવેદનો

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે બુધવારે દાવો કર્યો હતો કે સમાજવાદી પાર્ટી (સપા)માં મોટું વિભાજન થવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે પાર્ટીના ઘણા નેતાઓ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. બીજી તરફ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ઓપી રાજભરના આ દાવાને નકારી કાઢ્યો હતો. હવે ભાજપના નેતા કેશવ પ્રસાદ મૌર્યએ પણ કહ્યું છે કે સપામાં ટૂંક સમયમાં ફૂટ પડવાની છે.