પાકિસ્તાન ટ્રેન હાઇજેક: 30 સૈનિકો-16 વિદ્રોહીઓ માર્યા ગયા; સેનાએ 104 લોકોને બચાવ્યા

પાકિસ્તાન: બલુચિસ્તાનમાં, બલોચ લિબરેશન આર્મી (BLA) એ જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી છે અને 214 પાકિસ્તાની નાગરિકોને બંધક બનાવ્યા છે. બંધકોમાં સેનાના જવાનો, અર્ધલશ્કરી દળો, પોલીસ અને ગુપ્તચર એજન્સીના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. BLA એ દાવો કર્યો છે કે 30 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. હવે BLA એ પાકિસ્તાની જેલોમાં બંધ બલૂચ કેદીઓને મુક્ત કરવા માટે શાહબાઝ શરીફ સરકારને 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યું છે. જો કે, પાકિસ્તાની સેના-પોલીસે હજુ સુધી આ ઘટના પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.ન્યૂઝ એજન્સી AFP અનુસાર, સુરક્ષા દળોએ 104 બંધકોને મુક્ત કર્યા છે. આમાં 58 પુરુષો, 31 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. બાકીના લોકોને મુક્ત કરવાની કામગીરી ચાલુ છે.

BLA એ બંધકોને યુદ્ધ કેદીઓ તરીકે વર્ણવ્યા છે અને બદલામાં પાકિસ્તાની જેલમાં બંધ બલૂચ કાર્યકરો, રાજકીય કેદીઓ, ગુમ થયેલા વ્યક્તિઓ, આતંકવાદીઓ અને અલગતાવાદી નેતાઓની બિનશરતી મુક્તિની માગ કરી છે.

આ માટે BLA એ મંગળવારે રાત્રે 10 વાગ્યે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. BLA કહે છે કે આ નિર્ણય બદલાશે નહીં.

હુમલો બલુચિસ્તાનના બોલાન જિલ્લામાં થયો

જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ. સિબી પહોંચવાનો સમય બપોરે 1.30 વાગ્યાનો હતો. આ પહેલા, બપોરે લગભગ 1 વાગ્યે, બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મશ્કાફ વિસ્તારમાં હુમલો થયો હતો. રાત્રે 10 વાગ્યે 8 કલાક પછી પણ, ટ્રેન સંપૂર્ણપણે BLA લડવૈયાઓના નિયંત્રણમાં હતી.

ગયા વર્ષે, 25 અને 26 ઓગસ્ટ 2024 ની રાત્રે, BLA એ આ ટ્રેનના રૂટ પર કોલપુર અને માખ વચ્ચેનો પુલ ઉડાવી દીધો હતો. જેના કારણે ટ્રેન સેવા બંધ થઈ ગઈ હતી. 11 ઓક્ટોબર 2024થી ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.

લડવૈયાઓ મહિલાઓ અને બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ

પાકિસ્તાનના ગૃહ રાજ્યમંત્રી તલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ કેટલાક મુસાફરોને મુક્ત કર્યા છે. ઘણા લોકોને ટ્રેનમાંથી ઉતારીને પહાડી વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા. BLA લડવૈયાઓ મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

સેનાના જવાનો સાવધાની સાથે કામ કરી રહ્યા છે કારણ કે જીવનું જોખમ છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ લડવૈયાઓ કાયર છે. તેઓ સરળ લક્ષ્યો પસંદ કરે છે અને ચોરીછૂપીથી હુમલો કરે છે.

પાકિસ્તાની સેનાએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.