કોરોના રોગચાળોઃ નાગપુરમાં શાળા-કોલેજો 7-માર્ચ સુધી બંધ

નાગપુરઃ મહારાષ્ટ્ર રાજ્યના અનેક ભાગોમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. રોગચાળાને કાબૂમાં રાખવા માટે નાગપુર શહેરમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. રાજ્યના ઊર્જા પ્રધાન નીતિન રાઉતે કહ્યું છે કે નાગપુરમાં 7 માર્ચ સુધી તમામ શાળા-કોલેજો અને કોચિંગ સેન્ટરોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 2000થી વધારે દર્દીઓ કોરોના પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યું છે.

એવી જ રીતે, દર સપ્તાહે યોજાતી બજારોને પણ 7 માર્ચ સુધી રદ કરવામાં આવી છે. હોટેલ-રેસ્ટોરન્ટ્સને માત્ર રાતે 9 વાગ્યા સુધી અને 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાનો પણ આદેશ અપાયો છે. અમરાવતી શહેરમાં પણ આજથી એક સપ્તાહ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યાં 25 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી કોઈ પણ ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો, સભા, સરઘસો કાઢવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે.