મુંબઈમાં 24માંથી 20 વોર્ડમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટતાં રાહત

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાથી મુંબઈ શહેર છેલ્લા પાંચ મહિનાથી ત્રસ્ત છે, પરંતુ હવે ધીમે ધીમે આ ચેપી બીમારીએ મુંબઈના અમુક વિસ્તારોમાંથી વિદાય લેવાની શરૂઆત કરતાં સત્તાવાળાઓની ચિંતા ઘટી છે અને રાહત વધી છે.

 

મુંબઈના 24 પૈકી 20 વોર્ડમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 1 ટકાનો ઘટાડો થયો છે. હવે માત્ર ચાર વોર્ડમાં જ દર્દીઓની સંખ્યાનો દર વધારો 1 ટકાથી વધારે છે.

મુંબઈમાં ડબલિંગ રેટની મુદત 85 દિવસ પર પહોંચી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મુદત સતત વધતી જોવા મળી છે. તેથી મહાનગરપાલિકાએ રાહતનો શ્વાસ લીધો છે.

હવે શહેરના માત્ર ચાર વોર્ડમાં જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારાનો દર એક ટકો અથવા એનાથી વધારે હોવાનું માલૂમ પડ્યું છે.

બાકીના 20 વોર્ડમાં રોગીઓની સંખ્યાનો વધારો ઘટી ગયો છે.

બોરીવલી (આર-મધ્ય), ગ્રાન્ટ રોડ (ડી-વોર્ડ), ફોર્ટ વિસ્તાર, ચંદનવાડી (સી-વોર્ડ), બાન્દ્રા પશ્ચિમ (એચ-વેસ્ટ)માં જ દર્દીઓની સંખ્યામાં થોડોક વધારો છે.

જે 20 વોર્ડમાં કોરોનાનો ચેપ ઘટી રહ્યો છે એમાંના સાત વોર્ડમાં રોગીઓની સંખ્યા અડધા ટકાથી વધારે છે. સાંતાક્રૂઝ (એચ-પૂર્વ), અંધેરી (કે-પૂર્વ) વોર્ડમાં 0.56 ટકા અને કુર્લા (એલ-વોર્ડ)માં રોગીઓની સંખ્યામાં વધારાનો દર 0.51 ટકા છે.

દાદર, ધારાવી વિસ્તારોમાં આ દર 0.76 ટકા, વરલી, પ્રભાદેવી વોર્ડમાં 0.77 ટકા વધારો છે. ભાયખલાના ઈ-વોર્ડમાં 0.81 ટકા છે જ્યારે અગાઉ જ્યાં કેસોની સંખ્યા ખૂબ વધુ હતી તે ભાંડુપનાન એસ-વોર્ડમાં હાલ પ્રમાણ 0.58 ટકા છે.

વોર્ડ વાર કેસ-વધારાના દરની સ્થિતિ આ મુજબ છેઃ ગ્રાન્ટ રોડ (ડી) 1.4 ટકા, બોરીવલી (આર-મધ્ય) 1.35 ટકા, ચંદનવાડી (સી) 1.18 ટકા, બાન્દ્રા (પશ્ચિમ) – 1.11 ટકા, ભાયખલા (ઈ) 0.81 ટકા, વરલી-પ્રભાદેવી (જી-દક્ષિણ) 0.77 ટકા, દાદર-ધારાવી (જી-ઉત્તર) 0.76 ટકા, ભાંડુપ (એસ) 0.58 ટકા, અંધેરી (પૂર્વ) 0.56 ટકા, સાંતાક્રૂઝ (એચ-પૂર્વ) 0.56 ટકા, કુર્લા (એલ) 0.51 ટકા.