મારા જાહેર જીવનની આ સૌથી પીડાદાયક ચૂંટણી રહી: રૂપાલા

રાજકોટ: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે 7મી મેના રોજ મતદાન પૂર્ણ થયું. આજે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને આખી ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહેલા પરશોત્તમ રૂપાલાએ એક  મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી રહી છે. પણ આ ચૂંટણીમાં મારા એક નિવેદનથી ક્ષત્રિય આંદોલન થયું અને જે સ્થિતિ સર્જાઇ તેનાથી મારા આખા રાજકીય કરિયરમાં સૌથી પીડાદાયક ચૂંટણીનો અનુભવ મેં કર્યો છે.”

આજે રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં સૌ પહેલા શાંતિથી ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ તે માટે પરશોત્તમ રૂપાલાએ સહુનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, “હું નિખાલસતાથી કબૂલ કરું છું કે આ ચૂંટણીનો દોર મારા માટે કઠિન રહ્યો છે. મારી જ ભૂલ હતી અને ત્યારબાદ જે સ્થિતિ ઊભી થઈ તેના માટે હું જ જવાબદાર છું. મારા કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મારા પક્ષના સાથીદારોને પણ ક્યાંક સહન કરવું પડ્યું છે તેનો મને રંજ છે.”આજે રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી હતી અને આગામી દિવસોમાં રાષ્ટ્રના વિકાસના પ્રવાહમાં ભળી જવા અને હવે કોઈ વૈમનસ્ય ઉભુ ન થાય તે માટે સહુએ સાથે મળીને પ્રયાસો કરવા અપીલ કરી. મતદાન બાદ ચૂંટણીના પરિણામો અંગે તેમણે અટકળો કરવાનું ટાળ્યું હતું. તેમણે આ તકે કહ્યું કે,”હવે ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે મતનો કોઈ વિષય નથી એટલે આજે ફરી સૌનો આભાર માનવા અને માફી માગવા આવ્યો છું.”

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીર – નિશુ કાચા)