મુંબઈગરાંને તાકીદઃ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળશો તો રૂ. 200નો દંડ ભરવો પડશે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જેમ ગઈ કાલે જ કહ્યું કે મુંબઈમાં કોરોના વાઈરસ રોગચાળો સમાપ્ત થયો નથી, ઉલટાનું, એનાં કેસો વધી રહ્યા છે. એમની આ તાકીદને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે શહેરમાં જે લોકો માસ્ક પહેર્યા વગર બહાર ફરતા દેખાશે એમની પાસેથી રૂ. 200નો દંડ સખ્તાઈપૂર્વક વસૂલ કરવામાં આવશે.

અત્યાર સુધી આ દંડની રકમ રૂ. 1000 હતી, પણ હવે પ્રશાસને એમાં ધરખમપણે ઘટાડો કર્યો છે, પરંતુ આ નિયમનો અમલ સખ્તાઈથી કરશે અને નિયમનો ભંગ કરનારાઓ પાસેથી રૂ. 200નો દંડ વસૂલ કરશે.

આ નિયમનું પાલન કરવા અને દંડની રકમ વસૂલ કરવા માટે દરેક વોર્ડમાં 10-15 અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.

અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું છે કે અમે આ પગલું શિક્ષાત્મક રીતે નહીં, પરંતુ લોકોને તેઓ ઘરની બહાર નીકળે ત્યારે ફેસ માસ્ક પહેરવાની જરૂરિયાત વિશે જાગૃત કરવાના હેતુ સાથે લીધું છે.

જાહેર સ્થળોએ માસ્ક પહેર્યા વગર ફરતા લોકો વિરુદ્ધ પડોશના થાણે શહેરની મહાપાલિકાએ પણ કડક ઝુંબેશ હાથ ધરી છે. ગઈ કાલે 116 જણને પકડ્યા હતા.

કોરોના ચેપનો શિકાર બનેલાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે પણ એક વિડિયો નિવેદન દ્વારા નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માસ્ક પહેર્યાં વગર એમનાં ઘરની બહાન ન નીકળે.