બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાએ વિવાદિત VB-G RAM G અધિનિયમ સામે એક પ્રસ્તાવ પાસ કર્યો છે. વિરોધ પક્ષ ભાજપે તરત જ આ પ્રસ્તાવને ગેરકાયદે ગણાવ્યો છે, જેને કારણે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે કાનૂની અને રાજકીય ટકરાવની શક્યતા ઊભી થઈ છે.
કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીની અંદર જ મુખ્ય મંત્રી બદલવાની માગ ઊઠવા લાગી છે. વિધાનસભાના ઘણા સભ્યો (MLA) અને તેમના સમર્થકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ડી.કે. શિવકુમારે હાલના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાની જગ્યાએ પદ સંભાળવું જોઈએ.
કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાના પુત્ર અને કોંગ્રેસ MLC યતીન્દ્ર સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે આ ગેરકાયદે નથી. આ કેવી રીતે ગેરકાયદે થઈ શકે? સરકારને સંપૂર્ણ અધિકાર છે, અને અમારા રાજ્યના ધારાસભ્યોને પણ સંપૂર્ણ અધિકાર છે કે જો આ કર્ણાટકના લોકોના હિત વિરુદ્ધ હોય તો તેઓ પ્રસ્તાવ પાસ કરી શકે છે.
મુખ્ય મંત્રી બદલવાની અટકળો
મુખ્ય મંત્રી બદલવાના પ્રશ્ન પર યતીન્દ્ર સિદ્ધારમૈયાએ જવાબ આપ્યો હતો, “લોકો એવી વાતો કરી રહ્યા છે, પરંતુ હાઈ કમાન્ડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં થાય. મને લાગતું નથી કે નેતૃત્વ બદલાશે તેવી કોઈ શક્યતા છે. કોંગ્રેસમાં ઘણા લાયક નેતાઓ છે, જે મુખ્ય મંત્રી બની શકે છે. પરંતુ અંતિમ નિર્ણય હાઈ કમાન્ડનો હોય છે. હાઈ કમાન્ડે નેતૃત્વ બદલવા વિશે કંઈ કહ્યું નથી. તેથી હાલ માટે મને લાગે છે કે વર્તમાન મુખ્ય મંત્રી પાંચ વર્ષ સુધી પદ પર રહેશે.
કર્ણાટકમાં કોંગ્રેસ નેતાઓએ આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને બદલે પરંપરાગત બેલેટ પેપરનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આ પ્રસ્તાવનો હેતુ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને ચૂંટણી પ્રક્રિયા અંગે પક્ષના કેટલાક સભ્યોની ચિંતાઓ દૂર કરવાનો છે.




