શું તામિલનાડુ કોંગ્રેસ પતનની દિશામાં આગળ વધી રહી છે?

ચેન્નઈઃ વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં તામિલનાડુ કોંગ્રેસમાં મુશ્કેલીઓ વધી છે. પાર્ટીના આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવ્યા છે. કોંગ્રેસ સાંસદ અને પાર્ટીની અગ્રણી મહિલા નેતાઓમાંની એક જ્યોતિમણિએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પાર્ટીની અંદરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે થોડાક લોકોના વ્યક્તિગત સ્વાર્થને કારણે તામિલનાડુ કોંગ્રેસ પતનની દિશામાં આગળ વધી રહી છે.

જ્યોતિમણિનું કહેવું છે કે પાર્ટીમાં જે રીતે કામકાજ ચાલી રહ્યું છે, તે રાહુલ ગાંધીની ઈમાનદાર, વિચારધારા પર આધારિત અને નિર્ભય રાજકારણથી સંપૂર્ણપણે વિપરીત છે. તેમણે આંતરિક કલહ અંગે ખુલ્લેઆમ વાત કરી છે, જેને કારણે 2026ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છે.

આ દરમિયાન પાર્ટીના એક અન્ય પદાધિકારીએ પણ રાજ્ય કોંગ્રેસપ્રમુખ કે. સેલ્વાપેરુન્થાગઈ પર ડીએમકેના પક્ષમાં કામ કરવાનો આરોપ મૂકતા રાજીનામું આપી દીધું છે. આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે 2026ની ચૂંટણી પહેલાં તામિલનાડુ કોંગ્રેસ ગંભીર આંતરિક સંકટનો સામનો કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પાર્ટી ચૂંટણી દરમિયાન પોતાના સાંસદને ચૂંટણી પંચમાં મતદાન એજન્ટોની યાદી આપવાથી રોકતી નથી, પરંતુ તામિલનાડુ કોંગ્રેસમાં આવું થઈ રહ્યું છે. તેમના જણાવ્યાનુસાર પાર્ટીમાં જે ઘટનાઓ બની રહી છે તે અત્યંત ચિંતાજનક છે. તેમણે કહ્યું હતું કે પાર્ટીની નીતિઓ અને રાજકીય પ્રવૃત્તિઓને કમજોર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે બહુ દુઃખદ છે.

તેમણે વધુમાં કહ્યું કે તામિલનાડુ કોંગ્રેસ ઘણી વાર ખોટાં કારણોસર ચર્ચામાં રહે છે, જનતાના વાસ્તવિક મુદ્દાઓને લઈને નહીં. તેમણે ચેતવણી આપી કે રાજ્ય હાલમાં ધાર્મિક, અલગાવવાદી અને હિંસક શક્તિઓના મોટા ખતરા સામે ઊભું છે. તેમણે જણાવ્યું હતું કે તામિલનાડુ કોંગ્રેસ પોતાના નેતા રાહુલ ગાંધીની નિસ્વાર્થ, સિદ્ધાંતવાદી અને નિર્ભય રાજકારણથી સંપૂર્ણ વિપરીત દિશામાં જઈ રહી છે. અમે તેમની મહેનત અને અનન્ય બલિદાન સાથે દગો કરી શકતા નથી.