નવી દિલ્હીઃ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને જણાવ્યું છે કે તેમની સરકાર રાજસ્થાન પાસેથી 1.44 લાખ કરોડ રૂપિયાની માગ કરશે. મુખ્ય મંત્રી માનના જણાવ્યા મુજબ રાજસ્થાને વર્ષ 1960થી અત્યાર સુધી પંજાબમાંથી 18,000 ક્યુસેક પાણી લીધું છે અને તેના બદલામાં કોઈ ચુકવણી કરી નથી. મુખ્ય મંત્રી માનનો દાવો છે કે દેશની આઝાદી પહેલાં એક જૂના કરાર હેઠળ રાજસ્થાન આ પાણી માટે ચુકવણી કરતું હતું. હવે આ કરારની ફરી સમીક્ષા કરવાની માગ કરવામાં આવી છે. તેમના નિવેદન પછી નદીઓના પાણીના વહેંચણી અને ઐતિહાસિક કરારોને લઈને ચાલતો વિવાદ ફરી તેજ બનવાની શક્યતા છે.
1920નો કરાર શો હતો?
1920માં બિકાનેર રિયાસત અને બ્રિટિશ શાસન હેઠળના અવિભાજિત પંજાબ વચ્ચે એક કરાર થયો હતો. બિકાનેરના મહારાજા ગંગા સિંહે ફિરોઝપુર હેડવર્ક્સમાંથી નીકળતી ગંગા નહેર મારફતે સતલજ નદીનું પાણી મેળવવાનો અધિકાર મેળવ્યો હતો. આ એક પ્રકારનો વ્યાવસાયિક (કોમર્શિયલ) કરાર હતો, જે બિકાનેર રિયાસત અને બ્રિટિશ શાસન વચ્ચે થયો હતો. આ કરાર હેઠળ 1960 સુધી પાણીના ઉપયોગ બદલ ચુકવણી કરવામાં આવતી રહી હતી.
1960માં શું બદલાયું?
1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ થયા બાદ સ્થિતિ બદલાઈ. આ સંધિ મુજબ ભારતને પૂર્વીય નદીઓ — સતલજ, બિયાસ અને રાવી —ના પાણીના ઉપયોગનો સંપૂર્ણ અધિકાર મળ્યો. ત્યાર બાદ ભારતે આંતરિક સ્તરે પાણીના વહેંચણી માટે નવી વ્યવસ્થા બનાવી. પંજાબના પૂર્વ ચીફ એન્જિનિયર (નહેર વિભાગ) અમરજિત સિંહ દુલ્લેતના જણાવ્યા મુજબ આ સમયગાળામાં રોયલ્ટી આધારિત સિસ્ટમ બંધ કરી દેવામાં આવી અને પાણીના વહેંચણીને આંતર-રાજ્યીય વહેંચણી તરીકે માનવામાં આવ્યું. ત્યારથી રાજસ્થાને પાણી માટે ચુકવણી કરવી બંધ કરી દીધી.

ઇન્દિરા ગાંધીના સમયમાં શું બદલાયું?
વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના સમયમાં 1981માં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન વચ્ચે ત્રિપક્ષી કરાર થયો. તે સમયે ત્રણેય રાજ્યો અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. આ કરાર મુજબ રાવી-બિયાસ નદીના પાણીની ફરી વહેંચણી કરવામાં આવી, જે 17.17 મિલિયન એકર ફૂટ (MAF) પાણીની ઉપલબ્ધતા આધારે નક્કી થઈ હતી. આમાં રાજસ્થાનને 8.6 MAF જેટલો સૌથી મોટો હિસ્સો મળ્યો. ત્યાર બાદ ઇન્દિરા ગાંધી નહેર પ્રોજેક્ટનો વિસ્તાર થયો, જે પંજાબના તરન તારન જિલ્લાના હરિકે બેરેજથી થાર રણ સુધી પાણી પહોંચાડે છે.




