ઘટતો આત્મવિશ્વાસ અને વાસ્તુનો પ્રભાવ

જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ માણસની ધીરજ અને સહનશક્તિ ઘટતી જાય છે. એ ઉપરાંત મન વધુ આળું બનતું જાય છે. કોઈ જરાક કંઈ કહે તો સીધો સામે પ્રહાર કરવાની વૃત્તિ આવી રહી છે. કોઈ વખાણ કરે તો પણ શંકા થાય કે ક્યાંક વ્યંગ તો નથી ને? તેનો અર્થ એ કે માણસનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. આત્મવિશ્વાસ વિના જીવન શક્ય જ નથી. જો સામાન્ય વાતમાં પણ ભૂલો દેખાય કે અન્ય નકારાત્મક અર્થ દેખાય, તો પોતાની જગ્યાનું વાસ્તુ તપાસવું જરૂરી છે, કારણ કે આવી નકારાત્મકતા વ્યક્તિનું પોતાનું જ નુકસાન કરે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો નીચે આપેલા ઈમેઈલ પર પૂછો.

સવાલ: મને ક્યારેક જીવનલક્ષી પ્રયોગો કરવાની ટેવ છે. એક વાર મેં બધાને કારણ વિના “હેપી બર્થડે” લખ્યું, તો છેલ્લા બે વર્ષથી જે લોકો કંઈ જ બોલતા નહોતા, એમના પણ મેસેજ આવ્યા કે “આ શું હતું?” ત્યારબાદ મેં એમ જ એક વખાણ કરતો મેસેજ કર્યો, ત્યારે પણ આવું જ થયું. તો સવાલ ઉદ્ભવે છે કે શું લોકોને આપણી ભૂલોમાં જ રસ છે? આટલા સમયથી જે માહિતી આપતા મેસેજ જાય છે તેનું કંઈ નથી?

જવાબ: સ્વીકારવું એ શ્રેષ્ઠ ઘટના છે. લોકો તમને સ્વીકારી લીધા હોય એટલે એ દરરોજ વખાણ નથી કરતા. એમને વિશ્વાસ હોય છે કે તમે સારું જ બોલશો. એટલે વખાણ ન કરે, પરંતુ જ્યારે તમે કંઈક એવું કરો કે જેની અપેક્ષા ન હોય, ત્યારે તેઓ પૂછે — એ સ્વાભાવિક છે. એક સારી વાત એ છે કે લોકો તમને ધ્યાનથી સાંભળે છે. જો સાંભળતા ન હોય, તો સવાલ જ ન ઉદ્ભવે. તમે ખુશ થવાનું બદલે દુઃખી થાઓ છો. તમે જે કરો છો તે કરતા રહો. બધા જાણે છે કે તમે એમને ટાર્ગેટ કરીને નથી બોલતા — એ અગત્યનું છે.

સવાલ: તમે વાસ્તુના નિષ્ણાત છો, એવું સાંભળ્યું છે. તો મારા એક સવાલનો જવાબ આપો — છોકરો ભણતો ન હોય તો વાસ્તુમાં કયા ફેરફાર કરીએ?

જવાબ: સંતાન અભ્યાસ ન કરે એ માટે અનેક કારણો હોઈ શકે છે. તેના માટે એક આખું પુસ્તક લખાય એટલી વિગત છે.

તમારું બાળક પશ્ચિમના રૂમમાં પશ્ચિમમુખી બેસીને અભ્યાસ કરે છે, જેના કારણે તેને વાંચેલું યાદ નથી રહેતું. ઉપરાંત, તમારી પૂર્વ દિશાની દીવાલ કોમન દીવાલ છે. ગભરાઈને ઘર બદલવાની કે તોડફોડ કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય વાસ્તુમાં તોડફોડનો નિષેધ છે.

તમારા ઘરના ઈશાન ખૂણાના રૂમમાં બાળકને પૂર્વમુખી બેસાડી અભ્યાસ કરાવો — ચોક્કસ ફાયદો થશે. ઉપરાંત, પૂર્વની દીવાલ પર લેમન યેલો (લીંબુ જેવો પીળો) રંગ કરાવો. બાળકને વહેલું ઉઠવાની ટેવ પાડો અને સૂતા પહેલા ટીવી જોવાનું બંધ કરાવો. આ બદલાવથી ચોક્કસ લાભ મળશે.

સૂચન: જે કામ પશ્ચિમ તરફ મુખ રાખીને કરવામાં આવે છે તેમાં ઇચ્છિત પરિણામ મળતા નથી અને અટકાવાની લાગણી થાય છે. તેથી આવી વ્યવસ્થા ટાળવી જોઈએ.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )