શું શશિ થરૂર કોંગ્રેસથી થઈ રહ્યા છે દૂર?

નવી દિલ્હીઃ કોંગ્રેસ કાર્યસમિતિના સભ્ય અને સાંસદ શશિ થરૂર સંસદના શિયાળુ સત્ર પહેલાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કોગ્રેસ વ્યૂહાત્મક જૂથની બેઠકમાં હાજર નહોતા રહ્યા. જોકે થરૂરના કાર્યાલયે સ્પષ્ટ કર્યું હતું કે તે કેરળમાં હતા અને પોતાની 90 વર્ષીય માતા સાથેની ફ્લાઈટથી પાછા આવી રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારને કારણે કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં હાજર નહોતા રહી શક્યા.

SIR મુદ્દે પણ બેઠકમાં જોડાયા નહોતા થરૂર

હાલમાં જ, ખરાબ તબિયતનું કારણ આપીને થરૂર SIR મુદ્દે બોલાવવામાં આવેલી કોંગ્રેસની બેઠકમાં જોડાયા નહોતા, પરંતુ એક દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં તેમની હાજરી અને વડા પ્રધાનની પ્રશંસા કરતી ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે પાર્ટીની અંદર પ્રશ્નો ઊભા થયા હતા. વડા પ્રધાન મોદી વિશેની તેમની ટિપ્પણી બાદ તેઓ પાર્ટીના કેટલાક અન્ય નેતાઓના નિશાને આવી ગયા હતા.

PM મોદીની પ્રશંસા

થરૂરની પ્રશંસા PM મોદીના તે વિઝન પર કેન્દ્રિત હતી, જેમાં તેમણે ભારતમાં એક ઊભરતા બજારથી વૈશ્વિક પડકારો વચ્ચે લવચિકતા દર્શાવીને તેને એક ઉભરતા મોડલમાં રૂપાંતરિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ગુલામી માનસિકતાનો અંત લાવવા અને ભાષા, સંસ્કૃતિ અને વારસાના માધ્યમથી રાષ્ટ્રીય ગૌરવ વધારવાના પીએમ મોદીના અભિગમને પણ સ્વીકાર્યો હતો. આકરી પ્રતિક્રિયાઓ છતાં થરૂરે કોંગ્રેસ છોડવાની કોઈ યોજના હોવાનો ઇનકાર કર્યો છે અને પોતાની ટિપ્પણીઓને નારાજગી નહીં, પરંતુ મતભેદ ગણાવ્યા છે.

કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે શશિ થરૂરની સમસ્યા એ છે કે મને નથી લાગતું કે તેમને દેશ વિશે વધારે જાણકારી છે. જો તમારું માનવું છે કે કોઈ કોંગ્રેસની નીતિઓના વિરુદ્ધ જઈને દેશનું ભલું કરી રહ્યા છો, તો પછી તમારે પણ એ જ નીતિઓ અનુસરવી જોઈએ. તમે કોંગ્રેસમાં શા માટે છો?  જો તમને ખરેખર લાગે છે કે ભાજપ અથવા વડા પ્રધાન મોદીની વ્યૂહરચનાઓ તમારી પાર્ટી કરતાં સારી છે, તો તમારે સ્પષ્ટતા કરવી જોઈએ. જો તમે સ્પષ્ટતા નથી કરતા, તો તમે કપટ કરી રહ્યા છો.

થરૂરની ટિપ્પણીઓની અનેક કોંગ્રેસ નેતાઓએ આકરી ટીકા કરી હતી. પાર્ટી નેતા સંદીપ દીક્ષિતે સવાલ કર્યો હતો કે જો થરૂરને ભાજપ અથવા વડા પ્રધાનની વ્યૂહરચનાઓ વધુ સારી લાગે છે, તો તેઓ કોગ્રેસમાં શા માટે ટક્યા છે?