વડોદરામાં વિશ્વામિત્રી ભયજનક સપાટી પર પહોંચી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

વડોદરા: જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયા છે.વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વરસાદી પાણીની ભરપૂર આવક થતા છલકાઈ ગઈ છે. જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરાના વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી છે. તે સાથે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્યો આખી રાત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.વરસાદી પાણીના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે સમા હરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રિજ પર 36 ફૂટ, મંગલ પાંડે બ્રીજ પર 35 ફૂટ પર પહોંચી ગઈ છે. અનેક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સોસાયટીના ઘરોમાં, દુકાનો, ગોડાઉનમાં પાણી ફરી વળ્યા છે.