ડાંગના શબરી ધામમાં દશેરાએ રાવણનું દહન થશે

સુરત: રાજ્ય સરકાર નવરાત્રીના નવ દિવસ વિવિધ ઉજવણી કરતી હોય છે. કોરોના રોગચાળામાં ઉજવણીનો પ્રકાર બદલાયો છે, પણ ઉજવણી થઈ જ રહી છે. સામાન્ય રીતે રાજ્ય સરકાર નવરાત્રીની ઉજવણીની સાથે ક્યારેય દશેરાની ઉજવણી કરતી નથી, પરંતુ આ વર્ષે ખાસ ડાંગ જિલ્લાના શબરીધામમાં રાજ્ય કક્ષાની ઉજવણી થશે, એવું પ્રવાસનપ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રાલયના કેબિનેટપ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા છે અને એ વાત ભગવાન રામ સાથે જોડાયેલી છે. શ્રીરામ માતા શબરીને મળવા માટે રાજ્યના ડાંગ જિલ્લામાં આવ્યા હતા. દશેરાના દિવસે રાજ્ય કક્ષાની ઉજવણી શબરીધામ નજીકના  મેદાનમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરીને ભગવાન રામ અને માતા શબરીને યાદ કરવામાં આવશે.

નવરાત્રિમાં આ વખતે ભદ્રકાળી મંદિર, અમદાવાદ, ઉમિયાધામ, ઊંઝા, માતાનો મઢ, કચ્છ, ચોટીલા, ખોડીયાર માતાના રાજપરા ધામ, ભાવનગર, મહાકાલી શક્તિપીઠ, પાવાગઢ, અંબાજી માતાનું મંદિર અને ઉનાઈ માતાના મંદિર જેવા રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં આવેલા ધાર્મિક ધામ ઉપર જાણીતા કલાકારોએ રંગત જમાવી રહ્યા છે. નવરાત્રી પછીના દશેરાનું ઉજવણી અને એ પણ ડાંગમાં કરવા પાછળ અનેક રાજકીય ગણતરી હોવાનું પણ જાણકારો માની રહ્યા છે. ૨૦૦૬માં શબરીધામમાં પ્રથમ આદિવાસી કુંભ થયેલો, જેમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક સંત, મહાત્મા અને સંઘ પરિવારના લોકો સામેલ થયેલા. એ પછી અહી કોઈ મોટી ઉજવણી થઈ નથી. હવે ફરી વખત આ સ્થળની પસંદગી પાછળ પ્રધાન પૂર્ણેશ મોદીના અનેક સૂચિતાર્થો છે. પૂર્ણેશભાઈએ ડાંગમાં સંગઠનમાં પ્રભારી તરીકે કામગીરી કરી છે અને ડાંગને બખૂબી જાણે છે.

રાજ્ય સરકાર આ વખતે પ્રથમ વખત દશેરાએ રાવણનું દહન કરશે અને એ પણ ડાંગના શબરીધામમાં. પૂર્ણેશભાઈ એ આ વાત આજે સુરતમાં પત્રકાર સ્નેહ-મિલન વખતે કરી હતી. ગઈ કાલે તેમણે સુરતમાં પોતાના મતવિસ્તાર સુરત (પશ્ચિમ)માં જન આશીર્વાદ યાત્રા યોજી હતી.

 -ફયસલ બકીલી