પીએમ મોદીનાં યુવાજીવન પરની ટૂંકી ફિલ્મનું પોસ્ટર અક્ષયે રિલીઝ કર્યું

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યુવાન વયના જીવન પર આધારિત એક ફિલ્મ સંજય લીલા ભણસાલીએ બનાવી છે. એનું પહેલું પોસ્ટર આજે બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલ પર રિલીઝ કર્યું છે.

પદ્માવતમા સર્જક ભણસાલીએ અને મહાવીર જૈને બનાવેલી આ નવી ફિલ્મનું શિર્ષક છે ‘મન બૈરાગી’.

અક્ષયે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવા સાથે લખ્યું છે કે વડા પ્રધાન મોદીના આજે જન્મદિવસે એમના જીવનને પ્રસ્તુત કરતી સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈનની સ્પેશિયલ ફિચર ‘મન બૈરાગી’નું ફર્સ્ટ લુક રિલીઝ કરતાં હું આનંદની લાગણી અનુભવું છું.

આ ફિલ્મ એક કલાકની છે, જેને ટૂંકી ફિલ્મ કહી શકાય. આ ફિલ્મ ક્યારે રિલીઝ કરાશે એની હજી સુધી કોઈ જાણકારી મળી નથી.

સાહો ફિલ્મના અભિનેતા પ્રભાસે પણ જ પોસ્ટર શેર કર્યું છે. એણે પણ વડા પ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા આપતા લખ્યું છે કે આજના વિશેષ દિવસે, વિશેષ નિર્માતાએ બનાવેલી વિશેષ વ્યક્તિ વિશેની વિશેષ ફિલ્મ.

ફિલ્મનું દિગ્દર્શન સંજય ત્રિપાઠીએ કર્યું હોવાની જાણકારી પણ પ્રભાસે આપી છે. ફિલ્મને સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈને સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે.

વડા પ્રધાન મોદીના જીવન પર આધારિત આ કંઈ પહેલી જ ફિલ્મ બની નથી. આ વર્ષના આરંભમાં અભિનેતા વિવેક ઓબેરોયે પણ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ બનાવી હતી, જેમાં એ પોતે મોદી બન્યો છે.

તે ઉપરાંત, મોદી વિશેની એક વેબ-સિરીઝ પણ બનાવવામાં આવી છે જેનું નામ છેઃ ‘મોદીઃ જર્ની ઓફ અ કોમન મેન.’