નવી દિલ્હીઃ બજેટ 2026-27 વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું એક મહત્વપૂર્ણ બજેટ માનવામાં આવે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન આવતી કાલે સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. ગયા વર્ષનું બજેટ લોકપ્રિય ગણાયું હતું, જેમાં મિડલ ક્લાસને મોટી રાહત આપવામાં આવી હતી. આ બજેટમાં ઇન્કમ ટેક્સમાં છૂટ, સેલેરીડ વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન, ખેડૂત ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો, સસ્તી દવાઓ અને ઇન્શ્યોરન્સ સેક્ટરમાં સુધારા જેવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ વર્ષે સરકારનું મુખ્ય ધ્યાન અર્થતંત્રના મજબૂતીકરણ પર કેન્દ્રિત છે.
ભારતીય શેરબજારમાં પણ કાલે સામાન્ય દિવસોની જેમ જ ટ્રેડિંગ થશે. બજેટને કારણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) રવિવારે ખુલ્લા રહેશે. ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટેકહોલ્ડર્સ સરકાર સમક્ષ પોતાની અપેક્ષાઓ રજૂ કરી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા બજેટમાં આ પ્રાથમિકતાઓને સ્થાન મળશે.
શું સોનું-ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થશે?
બજેટ 2026માં શું સરકાર સોનું અને ચાંદી પર લાગુ કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરશે? અને જો આવું થાય તો શું ઘરેલુ બજારમાં તેની કિંમતો ખરેખર ઘટશે? છેલ્લાં કેટલાંક વર્ષોના બજેટ નિર્ણયોને જોતાં સ્પષ્ટ થાય છે કે કસ્ટમ ડ્યુટીમાં ફેરફારની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર પડે છે, પરંતુ આ અસર હંમેશા લાંબો સમય સુધી ટકશે જ એવું જરૂરી નથી.
રામાસિવિલ ઈન્ડિયાના ડિરેક્ટર પરવીન ગુપ્તા કહે છે, યૂનિયન બજેટ 2026ના સંદર્ભમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને EPC સેક્ટર દેશની દીર્ઘકાલીન આર્થિક વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતાનો મજબૂત આધાર બની રહ્યા છે. શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક કોરિડોર અને લોજિસ્ટિક્સમાં મૂડી ખર્ચ પર સતત ફોકસ જાળવવું જરૂરી છે, જેથી કન્સ્ટ્રક્શન વેલ્યૂ ચેનમાં ગતિ બની રહે.




