Home Blog Page 4769

વિશ્વમાં કોરોના કેસોના મામલે ભારત હવે ચોથા નંબરે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. જેને લીધે હવે ભારત કોરોના દર્દીઓને મામલે વિશ્વમાં ચોથા ક્રમાંકે આવી ગયો છે. કોવિડ-19ને મામલે ભારતે હવે બ્રિટનને પાછળ છોડ્યું છે. ભારત હવે રશિયા, બ્રાઝિલ અને અમેરિકાથી પાછળ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં હવે કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,97,205 લાખને પાર પહોંચી છે, જ્યારે આ વાઇરસ અત્યાર સુધી 8400થી વધુ લોકોનાં મોત થયાં છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1,41,842 છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 1,47,195 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.  

દેશમાં કોરોનાના 2,97,205 કેસો

ભારત 2,93,754 કેસોની સાથે કોરોના પ્રભાવિત 10 ટોચના દેશોમાં ચોથા સ્થાને આવી ગયો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી 8498 લોકોનાં મોત થયાં છે. બ્રિટનમાં 2,91,558 કોરોના સંક્રમિત લોકોની સાથે પાંચમા સ્થાને સરક્યું છે. ભારતથી હવે માત્ર રશિયા બ્રાઝિલ અને અમેરિકા જ આગળ છે. અમેરિકામાં અત્યાર સુધી 20 લાખથી વધુ કોરોના સંક્રમિતના કેસો નોંધાયા છે.

બ્રાઝિલમાં સાડાસાત લાખ અને રશિયામાં 4.93 લાખ કોરોના સંક્રમિત લોકો

બ્રાઝિલમાં 7.50 લાખ અને રશિયામાં 4.93 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 75 લાખને પાર થઈ ચૂકી છે. વૈશ્વિક સ્તરે કુલ 4.20 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સૌથી મોટો વધારો

છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,956 નવા કેસો સામે આવ્યા છે અને 396 લોકોનાં મોત થયાં છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.  દિલ્હીમાં એક દિવસમાં રેકોર્ડ 1877, ઉત્તર પ્રદેશમાં 480, બંગાળમાં 440 અને રાજસ્થાનમાં 238 નવા કેસો નોંધાયા છે.

દેશમાં કોરોના કેસોની સંખ્યા રાજ્યવાર આ મુજબ છે.

 

 

કોકા કોલા, થમ્સ અપ પર પ્રતિબંધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ કોકા કોલા અને થમ્સ અપ પર પ્રતિબંધની મૂકવાની માગણી કરનાર એક અરજીકર્તાને ભારે પડી ગયું છે. ભારતમાં આ બંને ઠંડાં પીણાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી અને અરજીકર્તાને રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. ન્યાયમૂર્તિ ધનંજય વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની ખંડપીઠે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કેસની સુનાવણી કરતાં અરજીકર્તા ઉમેદસિંહ પી. ચાવડાની અરજીને કાઢી નાખી હતી. ખંડપીઠે કહ્યું હતું કે બંધારણ અનુચ્છેદ 32 હેઠળ આ પ્રકારની અરજી દાખલ કરવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે.

કોઈ ટેક્નિકલ માહિતી વગર દાખલ કરવામાં આવી અરજી

ખુદને સામાજિક કાર્યકર્તા બતાવનાર ચાવડાએ અરજીમાં દાવો કર્યો હતો કે આ ઠંડાં પીણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જોકે ખંડપીઠે અરજી ફગાવતાં કહ્યું હતું કે આ અરજી એ વિષય વિશે કોઈ ટેક્નિકલ માહિતી વગર દાખલ કરવામા આવી છે અને આમાં કરવામાં આવેલા દાવાના સમર્થનમાં કંઈ છે નહીં.

પાંચ લાખનો દંડ એક મહિનામાં જમા કરાવવાનો આદેશ

ખંડપીઠે અરજીકર્તા પર રૂ. પાંચ લાખનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે અને આ રકમ એક મહિનાની અંદર કોર્ટના રજિસ્ટ્રાર પાસે જમા કરાવવામાં આવે, જેને સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિયેશનને આપવામાં આવશે.

પંચાંગ 12/06/2020

રાશિ ભવિષ્ય 12/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પહોંચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,  વાગવા, કફ, છાતી, પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

મુંબઈની ક્રાફર્ડ માર્કેટમાં ભીષણ આગ…

દક્ષિણ મુંબઈમાં આવેલી દાયકાઓ જૂની મહાત્મા ફૂલે માર્કેટ (જૂનું નામ ક્રાફર્ડ માર્કેટ)માં 11 જૂન, ગુરુવારે સાંજે લગભગ 6.15 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. આગ બુઝાવવા માટે અગ્નિશામક દળના જવાનો 10 ગાડીઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા. આગ લાગવાનું કારણ તત્કાળ જાણવા મળ્યું નહોતું. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

હોલસેલ બજાર ક્રાફર્ડ માર્કેટમાં શાકભાજી, ફળ, મરઘા-બતકાં, આયાતી ફૂડ આઈટમ્સ વગેરેની અસંખ્ય દુકાનો આવેલી છે. આ બજાર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનથી થોડેક જ દૂર આવેલી છે.

રાહતના સમાચારઃ ભારતમાં કોરોનાનો ફેલાવો, મૃત્યુદર ઓછો

નવી દિલ્હીઃ દેશના 83 જિલ્લાઓમાં 0.73 ટકા વસતિ જ કોરોના વાઇરસથી સંક્રમિત થઈ છે. સૌથી સારી વાત એ છે કે ભારતમાં કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે સર્વેનાં પરિણામોની માહિતી આપતાં કહ્યું હતું કે ભારતમાં પ્રતિ લાખની વસતિને આધારે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા અને મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો છે. જોકે આ લોકડાઉનના પાંચ-છ સપ્તાહ પછી 30 એપ્રિલ સુધીની સ્થિતિ છે.

મોટી વસતિ પર સંક્રમણનો ખતરો

તેમણે કહ્યું હતું કે દેશની મોટી વસતિ પર હજી પણ ખતરો ઝળૂંબી રહ્યો છે, એટલા માટે કે સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. ગ્રામીણ વિસ્તારોની તુલનાએ શહેરી ક્ષેત્રોમાં 1.09 અને શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 1.89 ગણું જોખમ છે. આવામાં આપણે સારવાર અને દવાઓ અને અન્ય બચાવ સાવધાની વર્તવા પર ભાર આપવો પડશે.  શહેરોના સ્લમ એરિયામાં સંક્રમણનું જોખમ સૌથી વધુ છે. રાજ્ય સરકારોએ સ્થાનિક સ્તરે લોકડાઉન લાગુ જારી રાખવું પડશે. કન્ટેનમેન્ટ ઝોનમાં સંક્રમણનું સ્તર સૌથી વધુ છે, એમ તેમણે કહ્યું હતું.

સિરો સર્વેથી મળી મહત્ત્વની જાણકારી

ડો. ભાર્ગવે સિરો સર્વે વિશે જણાવતાં કહ્યું હતું કે આનાથી કેટલીક મહત્ત્વની માહિતી મળી છે. સિરો સર્વે (sero survey)માં આમ આદમીની એન્ટિ બોડીની તપાસ કરવામાં આવે છે. આની તપાસ માટે લોકોનાં બ્લડ સેમ્પલ લઈને lgG એન્ટિબોડીઝની તપાસ થાય છે. જો કોઈ વ્યક્તિ lgG પોઝિટિવ છે તો એનો અર્થ એ થયો કે સાર્સ-કોવ-2થી સંક્રમિક થઈ હતી, એમ તેમણે કહ્યું હતું.

ડો. ભાર્ગવે કહ્યું હતું કે આ સર્વેથી માલૂમ પડ્યું હતું કે કુલ કેટલી ટકા વસતિ આ વાઇરસથી સંક્રમિત થઈ ચૂકી છે? કઈ-કઈ વ્યક્તિમાં સંક્રમણનું સૌથી વધુ જોખમ છે? કયા-કયા વિસ્તારોમાં બચાવના પ્રયાસોને વધારવાની જરૂર છે?

 83 જિલ્લાઓના 26,400 લોકો પર સર્વે

તેમણે કહ્યું છે કે આ સર્વે માટે દેશના 83 જિલ્લાઓના 28,595 ઘરોની તપાસ કરી અને 26,400 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. આ સર્વેમાં માલૂમ પડ્યું હતું કે આ જિલ્લાઓમાં 0.73 ટકા લોકોમાં જ સંક્રમણના પુરાવા મળ્યા. તેમણે કહ્યું હતું કે આનો અર્થ એ છે કે લોકડાઉનની સકારાત્મક અસર એ થઈ છે કે વાઇરસના સંક્રમણને ઝડપથી ફેલાવા પર અટકાવવામાં મદદ મળી છે.

તેમણે કહ્યું છે કે આના બે પાસાં છે- એક તો એ હજી પણ મોટી વસતિ પર વાઇરસના સંક્રમણનું જોખમ ઝળૂંબી રહ્યું છે, પણ બીજું પાસું છે કે આ સર્વેમાં જે 26,400 લોકોને સામેલ કર્યા છે, એમાં 0.08 ટકાનાં મૃત્યુ થયાં છે.

કોરોના આપત્તિને અવસરમાં બદલી નાખોઃ મોદીની કોર્પોરેટ જગતને અપીલ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC)ના 95મા વાર્ષિક દિવસના પ્રસંગે ઉદઘાટન ભાષણ આપ્યું હતું. આમાં ચર્ચાનો વિષય રોગચાળો અને એનાથી ઊભા થતા પડકારો હતા. આ દરમ્યાન તેમણે વિવેકાનંદનું આહવાન કર્યું હતું અને આત્મનિર્ભર ભારત માટે ભાર આપતાં બંગાળના વેપાર પુનરુદ્ધાર વિશે વાત કરી હતી. તેમણે પડકારોને અવસરમાં બદલવાની વાતને દોહરાવી હતી. આ ટર્નિંગ પોઇન્ટ છે. વડા પ્રધાને કહ્યું હતું કે ભારતીયોએ અર્થતંત્રને ‘કમાન્ડ એન્ડ કન્ટ્રોલ’માંથી બહાર કાઢવાનું છે અને ‘પ્લગ એન્ડ પ્લે’ તરફ લઈ જવાનું છે.

 આ સમય ટાઇમ એક બોલ્ડ ડિસિઝન અને બોલ્ડ ઇન્વેસ્ટમેન્ટનો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ રૂઢિવાદી દ્રષ્ટિકોણનો સમય નથી. આ ટાઇમ એક બોલ્ડ ડિસિઝન અને બોલ્ડ ઇન્વેસ્ટમેન્ટનો છે. ઉદ્યોગોને પોતાની ભૂમિકા નિભાવવાનો આગ્રહ કરતાં તેમણે કહ્યું હતું કે આ વિશ્વ સ્તરે પ્રતિસ્પર્ધી ઘરેલુ પુરવઠાની શૃંખલાને તૈયાર કરવાનો સમય છે. આપણે ઉત્પાદન ક્ષેત્રમાં બંગાળને મજબૂત કરવાનું છે. આપણે કાયમ સાંભળેલું છે કે બંગાળ જે આજે વિચારે છે, એ જ ભારત કાલે વિચારે છે. આપણે એનાથી પ્રેરણા લેવાની છે અને આગળ વધવાનું છે.

આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભરતાનો ભાવ

તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભરતાનો આ ભાવ વરસોથી દરેક ભારતીયએ એક એસ્પિરેશન તરીકે જીવ્યો છે. પાછલાં 5-6 વર્ષોમાં દેશની નીતિ અને રીતિમાં ભારતની આત્મનિર્ભરતાનું લક્ષ્ય સર્વોપરી રહ્યું છે. હવે કોરોના સંકટે આપણને એની ઝડપ તેજ કરવાનો પાઠ ભણાવ્યો છે. દરેક એ ચીજવસ્તુ –જેની આયાત કરવા માટે દેશ મજબૂર છે, એ દેશમાં જ કેવી રીતે બને અને એ ચીજવસ્તુની ભારતમાંથી નિકાસ કેવી રીતે થાય –એ દિશામાં આપણે ઝડપથી કામ કરવાનું છે.

LED બલ્બના ઉપયોગથી રૂ. 19,000 કરોડની બચત

તેમણે કહ્યું હતું કે LED બલ્બના ઉપયોગથી રૂ. 19,000 કરોડની બચત થઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગને લાભ થયો છે. પ્લાનેટને પણ લાભ થયો છે. ચાર કરોડ CO2નો ઉપયોગ ઓછો થયો છે.

મુંબઈ અનલોક થયું, કચરો વધવા માંડ્યો

મુંબઈઃ કોરોના વાઈરસ ચેપ લાગવાનું શરૂ થયા બાદ 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. એવા 4 લોકડાઉનનો દેશવાસીઓએ સામનો કરવો પડ્યો છે. આખરે અઢી મહિના કરતાંય વધારે સમય બાદ પાંચમા લોકડાઉનમાં, કેન્દ્ર સરકારે કેટલીક છૂટછાટ આપવાનું શરૂ કર્યું છે. એને અનલોક-1 નામ આપવામાં આવ્યું છે.

છૂટછાટો મળતાં જ લોકો મોટી સંખ્યામાં ફરી બહાર પડવા માંડ્યા છે. વાહનોની સંખ્યા પણ અનેક ગણી વધી ગઈ છે. સાથોસાથ, રસ્તાઓ પર કચરાનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે.

લોકડાઉન સંપૂર્ણ લાગુ હતું ત્યારે મુંબઈમાં પ્રતિદિવસ 3 હજાર મેટ્રિક ટન જેટલો કચરો શહેરમાં જમા થતો હતો જે અનલોક-1 બાદ વધીને પાંચ હજાર 400 મેટ્રિક ટનના આંકે પહોંચી ગયો છે.

આ ઉપરાંત હોસ્પિટલો તથા પ્રતિબંધિત ક્ષેત્રો (કન્ટેનમેન્ટ ઝોન)માં રોજ આશરે 16.7 મેટ્રિક ટન કચરો જમા થાય છે જેનો નિકાલ મહાનગરપાલિકા અલગ રીતે કરી રહી છે.

સામાન્ય દિવસોમાં મુંબઈમાં દરરોજ 7 હજાર મેટ્રિક ટન કચરો ભેગો થતો હતો. પરંતુ કોરોના મહાબીમારીએ પ્રવેશ કર્યા બાદ અને તાળાબંધી લાગુ કરાતા મુંબઈના રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા. માત્ર જીવનાવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે જ નાગરિકો ઘરની બહાર નીકળતા હતા. એને લીધે રસ્તાઓ પર કચરાનું પ્રમાણ સાવ ઘટી ગયું હતું.

પરંતુ હવે જેવું લોકડાઉન થોડુંક હળવું કરવામાં આવ્યું છે ત્યારે કચરાનું પ્રમાણ એકદમ વધીને પાંચ હજાર 400 ટન વધી ગયું છે.

મલાઈકા અરોરાની સોસાયટીમાં કોરોનાનો કેસ થયો; આખું મકાન સીલ

મુંબઈઃ કોરોના વાઈરસને કારણે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ઘણી ખરાબ છે. શહેરમાં ખૂબ જ ઝડપે વાઈરસ ફેલાઈ રહ્યો છે. દર્દીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે. બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં જ્યાં રહે છે તે ‘ટસ્કેની’ સોસાયટીના મકાનને મહાનગરપાલિકાએ સીલ કરી દીધું છે, કારણ કે એમાં રહેતા એક જણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

લોકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાઈરસ ભારતમાં ખૂબ જ ઝડપે ફેલાઈ રહ્યો છે. સાવચેતીના પગલા તરીકે મલાઈકાના સમગ્ર બિલ્ડિંગને ગઈ 8 જૂનથી સીલ કરી દેવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવી દેવામાં આવ્યો છે અને ત્યાં રહેતા લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

મલાઈકા લોકડાઉન શરૂ થયું ત્યારથી અભિનેતા અર્જૂન કપૂરની સાથે એના ઘરમાં રહેતી હતી. પણ ગઈ 1 જૂનથી લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવ્યા બાદ મલાઈકા એનાં પુત્ર અરહાનની સાથે ‘ટસ્કેની’માં રહેવા આવી ગઈ છે.

બોલીવૂડના અનેક કલાકારો અને હસ્તીઓ કોરોના સંબંધિત ઝપટમાં આવી ચૂક્યા છે. જાન્હવી કપૂર, કરણ જોહર, વિકી કૌશલ, રાજકુમાર રાવ સહિતના સેલિબ્રિટીના મકાનો પણ કોરોનાના પોઝિટીવ કેસ થવાને કારણે સીલ થઈ ચૂકી છે. જાન્હવી અને કરણ જોહરના ઘરમાં એમના નોકરોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

શ્રેષ્ઠ ટેકનોલોજી, મોડર્ન વિચારધારાના સંગમ દ્વારા આશિષકુમાર ચૌહાણે BSEને અતિ આધુનિક બનાવ્યું

વર્ષ 1875માં સ્થપાયેલું બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ભવ્ય ભૂતકાળ અને સુદીર્ઘ વિકાસ ગાથા ધરાવે છે અને તેના વર્તમાન સીઈઓ આશિષકુમાર ચૌહાણ 2009માં જોડાયા એ પછી તો તેની વિકાસયાત્રા પૂરપાટ વેગે ચાલી રહી છે.

જોકે સ્ટોક એક્સચેન્જ ક્ષેત્રમાં આશિષ ચોહાણની યાત્રાનો પ્રારંભ દેશના નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની સ્થાપના સાથે થયો. ફાઈ1990ના પ્રારંભમાં તેમણે જે કામગીરી કરી એને પરિણામે લોકો તેમને આધુનિક ફાઈનાન્સિયલ ડેરિવેટિવ્ઝના જનક તરીકે ઓળખે છે.

આશિષકુમારે એનએસઈને સ્ક્રીન આધારિત ટ્રેડિંગ શરૂ કરવામાં યોગદાન આપ્યું હતું, જે ભારત માટે જ નહિ પરંતુ દુનિયાનાં સ્ટોક અને કોમોડિટી એક્સચેન્જ ટ્રેન્ડ સેટર બની રહ્યું. “1990ના દાયકામાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ફ્લોર બેઝ્ડ ટ્રેડિંગ થતું હતું. ભારતે એક નવા સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરી જે સંપૂર્ણ સ્ક્રીન-બેઝ્ડ હતું. સોદાઓનું મેચિંગ ફોન અથવા અન્ય કોઈ માધ્યમથી માનવ દ્વારા નહિ પણ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવતું હતું. એક્સચેન્જની સ્થાપના માટેની પાંચ મેમ્બરની ટીમનો હું પણ હિસ્સો હતો અને ટીમમાં એકમાત્ર હું એન્જિનિયર હતો.

એનએસઈને એ સમયે ભારે સફળતા મળતાં બધી સંગઠિત બજારો ધીરે ધીરે ઓટોમેટેડ બનતી ગઈ. એને કારણે ભારતીય કંપનીઓનો મોટા આઈટી પ્રોજેક્ટ્સ હાથ ધરવાનો વિશ્વાસ પણ વધ્યો.”

“દેશમાં ઓટોમેટેડ એક્સચેન્જના શરૂ થયેલા ટ્રેન્ડમાં બીએસઈએ પણ ઝુકાવ્યું અને 1995માં તેણે સ્ક્રીન બેઝ્ડ ટ્રેડિંગ શરૂ કર્યું. એ પૂર્વે  બીએસઈ એડવાન્સ ટેકનોલોજીમાં ખર્ચ નહોતું કરતું એને કારણે બીએસઈ દર વર્ષે બજાર હિસ્સો ગુમાવી રહ્યું હતું. એક સંસ્થા તરીકે બીએસઈએ સંખ્યાબંધ સમસ્યાઓ સાથે ટેકનોલોજી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા હતી. એક્સચેન્જે તેની ટેકનોલોજી એત્યાધુનિક બનાવવા ઉપરાંત તેની નિયામક તરીકેની પ્રતિષ્ઠા વધારવા માટે કામ કરવાનું હતું, કારણ કે લોકોના મનમાં તેના વિશેની ખરાબ છાપ ઊભી થઈ હતી,” એમ આશિષકુમારે યાદ કરતાં કહ્યું.

“આ ટેકનોલોજીકલ ફેરફાર દરમિયાન એક કંપની તરીકે બીએસઈમાં ડેરિવેટિવ્ઝ અને ટેકનો-સાવી લોકોને લાવવાનું કામ મને સોંપવામાં આવ્યું, જે એ સમયે બીએસઈની પ્રતિષ્ઠા જોતાં મુશ્કેલ હતું. અત્યારે અમને સારો સ્ટાફ મેળવવામાં કોઈ સમસ્યા નથી. અમે ઉચ્ચ બુદ્ધિધનને આકર્ષી શક્યા છીએ અને હાલમાં અમારી પાસે ફેન્ટાસ્ટિક ટીમ છે,” એમ ચૌહાણે કહ્યું.

આશિષ ચૌહાણ સાત વર્ષથી બીએસઈના સીઈઓ છે અને બીએસઈની વર્તમાન ટીમ માટે તેમને વિશેષ અભિમાન છે. “અમે અત્યારે શહેરની શ્રેષ્ઠ ટેકનોલોજી ટીમ ધરાવીએ છીએ. અત્યારે બીએસઈની સિસ્ટમનો રિસ્પોન્સ ટાઈમ છ માઈક્રો સેકંડ્સ છે અને તે ઉચ્ચ કેપેસિટી ધરાવે છે. અમારી પાસે નિયામકે મંજૂર કરેલાં બધાં પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ઉદ્યોગમાં અમારી ઊંચી પ્રતિષ્ઠા છે.”

બીએસઈ અત્યારે 50 ટકા બજાર હિસ્સો ધરાવે છે. “અમારી સફળતા અમારી ટેકનોલોજીની અસરકારકતા, વધુ સારી સર્વિસીસ અને નિયામક તરીકેની અમારી પ્રતિષ્ઠાને દર્શાવે છે.”

“અમે છેલ્લાં દસ વર્ષમાં નવાં પ્રોડક્ટસ લોન્ચ કર્યાં છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રિબ્યુશન અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.” હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડ્સની બજારમાં બીએસઈ 25 ટકા હિસ્સો ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડ્સને એક્સચેન્જ મારફત કામ કરવાની આવશ્યકતા નથી. તેઓ તેમનું નેટવર્ક ધરાવે છે, પરંતુ અમારી ટેકનોલોજી અને સર્વિસીસ મોટા ભાગના ડિસ્ટ્રિબ્યુટર્સ અને મ્યુચ્યુઅલ ફંડસને અમારા પ્લેટફોર્મ ભણી આકર્ષે છે. તેમને અહીં કામગીરી માટેનો બહુ ઓછો ખર્ચ આવે છે.”

આશિષકુમાર કહે છે, ટેકનોલોજી જેમ ઉચ્ચ થતી ગઈ એમ સ્ટોક માર્કેટમાં પારદર્શિતાનું પ્રમાણ વધ્યું છે જે બહુ હકારાત્મક બાબત છે. અગાઉ લોકો પાસેથી રિપોર્ટ પ્રાપ્ત કરવા મુશ્કેલ હતા. અત્યારે આપણને ક્વાર્ટલી રિઝલ્ટ્સ પ્રાપ્ત થાય છે. કંપનીઓ ઓટોમેટિકલી એ ફાઈલ કરે છે અને તેને તત્કાળ બજારમાં જાહેર કરવામાં આવે છે. કોર્પોરેટ ગવર્નન્સનાં ધોરણો ચુસ્ત બન્યાં છે અને હવે વધુ માહિતી ઉપલબ્ધ થાય છે.

“બીએસઈએ ગાંધીનગર શહેરમાં નવા એક્સચેન્જ નામે ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જની સ્થાપના દ્વારા પોતાના પ્રભાવનો વિસ્તાર કર્યો છે. આ દેશનું સૌપ્રથમ ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર છે. આ એક્સચેન્જનું ઉદ્ઘાટન વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વિશ્વનું આ સૌથી ઝડપી એક્સચેન્જ છે,” એમ આશિષકુમાર ચૌહાણે કહ્યું.

બીએસઈની કામગીરીની વિસ્તરણ યોજનાઓનો અહીં અંત નથી. આશિષકુમાર કહે છે અમારો ઈરાદો માત્ર પરંપરાગત સ્ટોક એક્સચેન્જ નહિ પરંતુ ફાઈનાન્સિયલ બિઝનેસ ટેકનોલોજી સેન્ટર બનવાનો અને બીએસઈ ગ્રુપમાં કે એક્સચેન્જના પ્લેટફોર્મ પર વધુ પ્રવૃત્તિઓ શરૂ કરવાનો છે.

(સૌજન્યઃ ‘ધ સીઈઓમેગેઝિન.કોમ’, શબ્દાંકન એશટોન કોબલર)