Home Blog Page 4689

સંજયની શરૂઆતની સારવાર મુંબઈમાં જ કરાશેઃ માન્યતા દત્ત

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સંજય દત્તને ફેફસાંનું કેન્સરનું નિદાન થયું છે ત્યારથી હિન્દી ફિલ્મજગતમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલો અનુસાર, સંજય તેની સારવાર માટે અમેરિકા જવા વિચારે છે. તે છતાં 18 ઓગસ્ટે એ પ્રારંભિક સારવાર માટે અંધેરી (વેસ્ટ)ની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ થયો છે.

સંજયની પત્ની માન્યતા દત્તે સંજય વિશેની માહિતી અપડેટ કરતું એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે સંજયની શરૂઆતની સારવાર મુંબઈમાં ચાલુ રહેશે અને કોરોના વાઈરસ રોગચાળાની પરિસ્થિતિ સુધરે એ પછી વધુ સારવાર માટે વિદેશમાં જવાનું દત્ત પરિવાર વિચારશે.

માન્યતાએ એમનાં નિવેદનમાં સંજુનાં તમામ ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્યો છે. એમણે લખ્યું છે કે, ‘સંજુ એના જીવનમાં અનેક ચડતી-પડતી જોઈ ચૂક્યો છે, પરંતુ એ દરેક તબક્કાએ એને વધારે દ્રઢ બનાવ્યો છે. એનો શ્રેય પ્રશંસકોના સાથ અને પ્રેમને જાય છે. એ માટે અમે આપ સૌનાં કાયમ આભારી રહીશું. હવે અમારી સમક્ષ એક નવો પડકાર આવ્યો છે. મને વિશ્વાસ છે કે અમે આ સમયમાંથી પણ પાર ઉતરી શકીશું. કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં સંજુ શ્રેષ્ઠ ડોક્ટરોની દેખભાળમાં છે. હું દરેક જણને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સંજુની બીમારીના તબક્કા વિશે અફવા ફેલાવવાનું બંધ થાય. ડોક્ટરોને એમનું કામ કરવા દઈએ. અમે સંજુની તબિયતની પ્રગતિ વિશે નિયમિત રીતે અપડેટ કરતાં રહીશું. સંજુ મારો પતિ છે એટલું જ નહીં, પરંતુ અમારાં સંતાનોનો પિતા છે, અંજુ અને પ્રિયા માટે પિતાસમાન ભાઈ છે, અમારા પરિવારનો હાર્દ અને આત્મા છે. ઈશ્વરની દયા અને ચાહકોની પ્રાર્થનાથી અમે આ સંકટમાંથી પણ પાર ઉતરીશું અને વિજેતા નિવડીશું એનો મને વિશ્વાસ છે.’

સંજય દત્તને તાજેતરમાં શ્વાસની તકલીફ ઊભી થતાં બાન્દ્રા (વેસ્ટ)ની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં એની સારવાર જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડો. જલિલ પરકારે કરી હતી. પરંતુ અમુક દિવસો બાદ એને ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું.

સંજયની નવી ફિલ્મ આવી રહી છે સડક 2. એમાં તે આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે.

ગણેશોત્સવ પર ભારે વરસાદનું સંકટ; મુંબઈ, થાણેમાં એલર્ટ ઘોષિત

મુંબઈઃ આગામી ચાર-પાંચ દિવસો દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં મુસળધાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

મુંબઈ અને પડોશના થાણે શહેરમાં પણ વરસાદનું જોર વધારે રહેશે. એટલું જ નહીં, પણ ગણપતિબાપાના આગમનના દિવસ, 22 ઓગસ્ટના શનિવારે પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે.

આજે, 19 ઓગસ્ટથી બંગાળના અખાતમાં હવાનું નીચું દબાણ ક્ષેત્ર તૈયાર થવાની સંભાવના છે. એને કારણે આગામી 24 કલાકમાં વરસાદનું જોર વધારે તીવ્ર બનવાની સંભાવના છે. એ પછીના 3-4 દિવસો દરમિયાન હવાના નીચે દબાણનું ક્ષેત્ર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સંભાવના છે. એને લીધે જ આવનારા 4-5 દિવસો દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં સર્વત્ર મુસળધાર વરસાદ પડી શકે છે એવું વેધશાળાએ જણાવ્યું છે.

મોડકસાગર તળાવ છલકાયું; મુંબઈવાસીઓની મોટી ચિંતા દૂર

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાંનું એક, મોડકસાગર ભારે વરસાદને કારણે છલકાવા લાગ્યું છે. મુંબઈ શહેર અને શહેરીજનો માટે આ જળાશય જીવનવાહિની ગણાય છે. ચોમાસામાં આ સરોવર છલકાય તો મુંબઈ માટે આખું વર્ષ પીવાના પાણીની ચિંતા મહદ્દઅંશે દૂર થઈ જાય.

મોડકસાગર જળાશય મુંબઈની પડોશના થાણે જિલ્લાના શહાપુર તાલુકામાં આવેલી વૈતરણા નદી પર બાંધવામાં આવ્યું છે.

ગણપતિ વિસર્જન માટે દાદર, માહિમ ચોપાટી પર પ્રતિબંધ

મહાનગરપાલિકાએ આદેશ બહાર પાડ્યો છે કે દાદર અને માહિમ ચોપાટી ખાતે ગણેશભક્તોએ પ્રવેશ કરવો નહીં. ગણપતિ વિસર્જન માટે ગણપતિની મૂર્તિ મહાપાલિકાને સુપરત કરી દેવાની રહેશે. આ બંને ચોપાટી સ્થળ ગિરગાંવ ચોપાટીની સરખામણીમાં નાના હોવાથી ત્યાં ભાવિકોની ગીરદી ટાળવા માટે ગણપતિ વિસર્જન વખતે ત્યાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ ચોપાટી તરફ જતા રસ્તા પર લોખંડના માર્ગઅવરોધકો મૂકીને રસ્તા બંધ કરી દેવામાં આવશે. તેથી લોકોએ એમના ઘરમાં અથવા હાઉસિંગ સોસાયટીના પરિસરમાં અથવા મહાનગરપાલિકાએ તૈયાર કરેલા કૃત્રિમ તળાવોમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. આ બંને ચોપાટી ખાતે જવા માગતા ભાવિકોએ એમની ગણપતિ મૂર્તિઓ મહાપાલિકાને સુપરત કરી દેવાની રહેશે.

BSE ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર રૂ. એક લાખ કરોડની સપાટી વટાવી ગયું

મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવરે એક લાખ કરોડ રૂપિયાની સપાટી વટાવી રૂ.1,02,503 કરોડનો વિક્રમ કર્યો હતો. આ અગાઉ 14 ઓગસ્ટ, 2020ના રોજ રૂ.96,821 કરોડનું મહત્તમ ટર્નઓવર થયું હતું. એ પૂર્વે ૧૦ ઓગસ્ટનારોજ રૂ.૭૧,૭૯૧ કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું  હતું.

BSEએ સોમવારની એક્સપાયરી ધરાવતા S&P BSE સેન્સેક્સ 50 વીકલી ફ્યુચર્સ અને ઓપ્શન શરૂ કર્યા એ પછી એક્સચેન્જના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર સતત વધી રહ્યું છે. આ કોન્ટ્રેક્ટમાં દેશની ટોચની 50 કંપનીઓની કામગીરીનો સમાવેશ હોવાથી સહભાગીઓને તેમના ઈક્વિટી રિસ્કને આવરી લેવા માટેના શ્રેષ્ઠ સાધન છે.

એક્સચેન્જના સિદ્ધિ વિશે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે, BSEના સેન્સેક્સ 50 ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ બજારની અભૂતપૂર્વ સ્થિતિમાં અને અતિ વોલેટાઈલ હોય ત્યારે પણ  વધુ લિક્વિડિટી અને ડેપ્થ ધરાવે છે.

શેરબજારમાં તેજીની હેટટ્રિકઃ સેન્સેક્સ અને નિફ્ટી છ મહિનાની ઊંચાઈએ

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે તેજીની હેટટ્રિક થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી આશરે છ મહિનાની ઊંચાઈએ બંધ રહ્યા હતા. 27 ફેબ્રુઆરી પછી પહેલી વાર નિફ્ટી 11,400ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 86 પોઇન્ટ વધીને 38,615ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 23 પોઈન્ટ વધીને 11,408 પર બંધ થયો હતો. સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.  

ઓગસ્ટમાં નિફ્ટી પાંચ ટકા વધ્યો

ઓગસ્ટમાં નિફ્ટી અત્યાર સુધી પાંચ ટકા વધ્યો હતો. મિડકેપમાં પણ લાલચોળ તેજી થઈ રહી છે. મિડકેપ ઇન્ડેક્સ 8.75 ટકા તેજી થઈ છે. સ્મોલકેપમાં પણ તેજી થઈ હતી.

રિલાયન્સ રિટેલ- નેટમેડ્સ વચ્ચે સોદો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલે ચેન્નઈ સ્થિત વિટાલિક હેલ્થ પ્રા. લિ. અને એની સબસિડિયરી નેટમેડ્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ નેટમેડ્સમાં 60 ટકા હિસ્સો આશરે 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જેની બજારના સેન્ટિમેન્ટ પર પ્રોત્સાહક અસર પડી હતી.

કેબિનેટની બેઠક પર બજારની નજર

મોદી કેબિનેટની બેઠક આજે યોજાઈ છે. જેમાં પાવર વિતરણ કંપનીઓને સસ્તી લોન લેવાની શરતો સરળ થાય એવી શક્યતા છે. આ ઉપરાંત શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 10નો વધારાને મંજૂર કરવામાં આવ્યો છે. આ સિવાય પણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.

મિડિયા, બેન્ક અને રિયલ્ટી શેરોમાં તેજી

મિડિયા, મેટલ, બેન્ક અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં તેજી હતી. ઝી ગ્રુપની આગેવાની હેઠળ મિડિયા શેરોમાં તેજી થઈ હતી. PSU બેન્ક શેરોમાં પણ જોરદાર તેજી થઈ હતી. રિયલ્ટી શેરોમાં શોભા ડેવલપરે સાત ટકાની છલાંગ મારી હતી. નિફ્ટી FMCG, ઓટો, આઇટી અને ફાર્મા ઇન્ડેક્સ તૂટ્યા હતા.

સરકારી બેન્કોમાં તેજી

સ્થાનિક શેરબજારોમાં સરકારી બેન્કોમાં સારીએવી તેજી હતી. સરકાર ટૂંક સમયમાં ચાર બેન્કોમાં હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. આ શેરવેચાણની કામગીરી ચાલુ નાણાકીય વર્ષમાં પૂરી થવાની આશા. આ ચાર બેન્કોમાં પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેન્ક અને IDBI બેન્ક સામેલ છે. આ બેન્કોમાં સરકારનો 50 ટકા કરતાં વધુ હિસ્સો છે.

ડોલરના મુકાબલે રૂપિયો નરમ

સ્થાનિક શેરબજારોમાં તેજીને પગલે ફોરેક્સ બજારમાં ડોલર સામે રૂપિયો બેતરફી વધઘટે છ પૈસા ઘટીને પ્રતિ ડોલર 74.82ના મથાળે બંધ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો 74.71ના મથાળે મજબૂત ખૂલ્યો હતો, પણ તેજી જળવાઈ નહોતી, ત્યાર બાદ ડોલર સામે એક સમયે 74.93 સુધી ઘટ્યો હતો, પણ અંતે છ પૈસા સુધરીને 74.82 (74.82) પર બંધ આવ્યો હતો.

79 શેરો 52 સપ્તાહની ઊંચી સપાટીએ

ટ્રેડિંગ સેશન દરમ્યાન 79 શેરો 52 સપ્તાહના ઊંચા સ્તરે પહોંચ્યા હતા. જ્યારે નવ શેરો 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા હતા.

નિફ્ટી 50ના 28 શેરો તેજી સાથે બંધ રહ્યા હતા, જ્યારે 22 શેરો ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં 14 શેરો તેજી સાથે અને 16 શેરો નરમ બંધ રહ્યા હતા. NSE પર 1532 શેરો તેજીમાં હતા, જ્યારે 797 શેરોમાં નરમીઈ હતી.  BSE પર 1790 શેરો તેજી સાથે અને 1000 શેરો મંદી સાથે બંધ થયા હતા.

 

 

 

પંડિત જસરાજનું પાર્થિવ શરીર મુંબઈ નિવાસસ્થાને લવાયું…

સુર સમ્રાટ ‘પદ્મવિભૂષણ’ પંડિત જસરાજનું પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર માટે અમેરિકાથી 19 ઓગસ્ટ, બુધવારે મુંબઈ લાવવામાં આવ્યું. વર્સોવા, અંધેરી (વેસ્ટ)સ્થિત નિવાસસ્થાને એમના પરિવારજનોએ દિવંગતને શ્રદ્ધાંજલિ આપી. 90 વર્ષીય મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું ગઈ 17 ઓગસ્ટે ન્યૂજર્સીસ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું હતું. મુંબઈ નિવાસસ્થાને પિતાના પાર્થિવ શરીરના આગમન બાદ પુત્રી દુર્ગા જસરાજ અને પુત્ર શારંગ દેવે મિડિયાકર્મીઓનો આભાર માની હાથ જોડીને એમને વિદાય કર્યા હતા. પંડિત જસરાજના અંતિમ સંસ્કાર ગુરુવારે બપોરે વિલે પારલે સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. (તસવીરોઃ દીપક ધુરી)


તસવીરમાં (ડાબેથી જમણે): પુત્રી દુર્ગા જસરાજ, પત્ની મધુરા જસરાજ, પુત્ર શારંગ દેવ. (તસવીરઃ પ્રિતમ શર્મા, મિડિયા કોઓર્ડિનેટર, જસરાજ પરિવાર)

મોદી કદાચ ધોનીને T20 WCમાં રમવાની અપીલ કરેઃ અખ્તર

લાહોરઃ ભારતનો ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તાત્કાલિક રીતે અસરમાં આવે એ રીતે ગઈ 15મી ઓગસ્ટે નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે. ધોનીનો નિર્ણય માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાન સહિત વિદેશોમાં પણ ચર્ચાસ્પદ બન્યો છે.

પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ ચર્ચામાં સામેલ થયો છે અને એણે એક નવી જ વાત કરી છે. એણે એક ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું છે કે ધોની 2021ની T20 વર્લ્ડ કપ સ્પર્ધામાં રમી શક્યો હોત. ભારત જે રીતે એના સ્ટાર ખેલાડીઓને સમર્થન આપતું આવ્યું છે, પ્રેમ દર્શાવતું આવ્યું છે એ જોતાં લોકોએ ઈચ્છા રાખી હશે કે ધોની T20 વર્લ્ડ કપમાં રમે, પણ રમવું, ન રમવું એ ધોનીની અંગત પસંદગી છે.

અખ્તરે ‘બોલવસિમ’ યૂટ્યૂબ ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે ધોની વિજેતા જ રહ્યો છે. એક રાંચીનિવાસીએ આખા ભારતમાં ધમાલ મચાવી દીધી. તમારે બીજું શું જોઈએ. આખી દુનિયા એને યાદ રાખશે. ભારત દેશ તો એને ક્યારેય નહીં ભૂલે.

ધોની 2004માં તેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો અને ચોથી જ મેચથી એણે ભારતીય ક્રિકેટની સીકલ બદલી નાખી હતી – એના શાંત અને ધીરગંભીર સ્વભાવ વડે, આક્રમક રમત વડે અને કુશળ નેતૃત્ત્વ વડે. આઈસીસી ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી, એમ આઈસીસી યોજિત ત્રણેય મોટી ટુર્નામેન્ટ જીતનાર એ દુનિયાનો એકમાત્ર કેપ્ટન છે.

અખ્તરનું માનવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરે તો ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરી શકે છે. કંઈ કહી ન શકાય. વડા પ્રધાન મોદી ધોનીને મળવા બોલાવે અને 2021ની T20 વર્લ્ડ કપમાં રમવાની વિનંતી કરે. આમ થવું શક્ય છે. ઈમરાન ખાને 1987 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમવાનો નિર્ણય લીધો હતો, પણ જનરલ ઝીયા ઉલ હકે એને તેમ ન કરવાનું કહ્યું હતું અને ઈમરાન બાદમાં ફરી રમ્યો હતો. તમે વડા પ્રધાનને ના પાડી ન શકો. આમ, મોદીએ ધોનીને વિનંતી કરવી જોઈએ કે એ 2021ની T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્ત્વ કરે.

ઝડફિયાની હત્યા માટે આવેલા શાર્પ શૂટરની ધરપકડ

અમદાવાદઃ રાજ્યની એન્ટિ-ટેરરિસ્ટ ફોર્સે (ATS)એ અંડરવર્લ્ડની એક મોટી ઘટના બને એ પહેલાં નિષ્ફળ બનાવી છે. ATSએ અન્ડરવર્લ્ડ ડોન છોટા શકીલના શાર્પ શૂટરની અમદાવાદની રિલીફ રોડની વિનસ હોટેલમાંથી ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમ્યાન એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જેની તપાસ કરવામાં આવી છે. ATSની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શાર્પ શૂટર વર્ષ 2002માં રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયા સહિત ભાજપના અન્ય નેતાઓની હત્યા કરવાનું આયોજન કરી રહ્યા હતા.

ગુજરાત રમખાણો દરમ્યાન ઝડફિયા ગૃહપ્રધાન હતા

વર્ષ 2002ના ગુજરાતનાં રમખાણો દરમ્યાન ઝડફિયા રાજ્યના ગૃહપ્રધાન હતા. એ વખતે તેમની પર આરોપ લાગ્યા હતા કે તેમણે સાંપ્રદાયિક તોફાનો દરમ્યાન કડક પગલાં નહોતાં લીધાં.

એ પછીથી ઝડફિયા મોદીના કટ્ટર વિરોધી બની ગયા હતા અને ભાજપથી છૂટા પડીને કેશુભાઇ પટેલ સાથે મહાગુજરાત જનતા પક્ષની સ્થાપના કરી હતી. જોકે વર્ષ 2014માં તેમણે ફરી ભાજપમાં પુનરાગમન કર્યું હતું.

બે પિસ્તોલની સાથે શાર્પ શૂટર ઇમરાનની ધરપકડ

ATSના વડા હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે અમને અન્ડરવર્લ્ડ ડોન છોટા શકીલ ગેગના બે શાર્પ શૂટરો અમદાવાદની એક હોટેલમાં છુપાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતીને આધારે બુધવારે સવારે આશરે ત્રણ કલાકે ટીમે વિનસ હોટેલમાં દરોડા પાડ્યા હતા. આ હોટેલમાંથી ઇમરાન નામના શૂટરની ધરપકડ કરવામાં આવી છે, પણ ફાયરિંગમાં બીજો આરોપી ભાગી ગયો હતો. ઇમરાન શેખની પાસેથી અમે બે પિસ્તોલ પણ જપ્ત કરી છે. ઇમરાન કેટલાય દિવસોથી ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમની રેકી કરી રહ્યો હતો.  હાલ તપાસ ચાલી રહી છે.

ક્યાં-ક્યાં કનેક્શન છે એની થશે તપાસ

ATS DYSP કે. કે. પટેલે જણાવ્યું હતું કે બંને શૂટરોએ રેઇડ દરમ્યાન શૂટરોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. એ દરમ્યાન PSI શૂટર પર ધસી ગયો હતો અને ગોળી છતની દીવાલને લાગી હતી. આ ઝપાઝપીમાં PSIએ આરોપીને પકડી પાડ્યો હતો. હાલ શાર્પ શૂટરોના રાજ્યમાં ક્યાં-ક્યાં કનેક્શનો છે એની તપાસ ચાલી રહી છે.

ગોરધન ઝડફિયાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો

ભાજપના નેતા હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફોન કરીને તેમને એવી માહિતી આપી છે કે એક શાર્પ શૂટર પકડાયો છે. જે તેમની હત્યા કરવા માગતો હતો. ગૃહરાજ્ય મંત્રીએ તાત્કાલિક રીતે તેમની સુરક્ષા વધારી દેવાનો આદેશ કર્યો છે.

 

 

 

 

 

જજે બંધારણની કલમના સહારે સુશાંત મૃત્યુ કેસ સીબીઆઈને સોંપ્યો

નવી દિલ્હીઃ અત્યંત વિવાદાસ્પદ અને પ્રશંસકો માટે આઘાતજનક એવા બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અચાનક મૃત્યુના કેસની તપાસ સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને હવાલે કરી છે.

સર્વોચ્ચ અદાલતના એક-જજની બનેલી બેન્ચે આપેલો ચુકાદો દેશના અદાલતી ઈતિહાસમાં પહેલા કેસ તરીકે લેખાશે, કારણ કે જસ્ટિસ ઋષિકેશ રોયે આ નિર્ણય લેવા માટે દેશના બંધારણની 142મી કલમ અંતર્ગત બેન્ચની અસાધારણ સત્તાનો ઉપયોગ કર્યો છે.

જજ રોયે કહ્યું કે બંધારણની કલમ 142 અંતર્ગત સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાનો કોર્ટ હૂકમ આપે છે.

જસ્ટિસ રોયે કહ્યું કે, તપાસમાં જનતાને વિશ્વાસ થાય અને કેસમાં સંપૂર્ણપણે ન્યાય અપાય એ માટે આ અદાલત માને છે કે બંધારણની કલમ 142માં આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરવાનું કોર્ટ માટે ઉચિત છે.

કેસની તપાસ સીબીઆઈને આપવાનો વિરોધ કરતી મહારાષ્ટ્ર સરકાર વતી ઉપસ્થિત થયેલા સિનિયર લોયર અભિષેક મનુ સિંઘવીએ ઉઠાવેલા વાંધાને કોર્ટે ફગાવી દીધો હતો.

સિંઘવીએ એવી દલીલ કરી હતી કે કોઈ સિંગલ જજની બેન્ચ બંધારણની 142મી કલમ હેઠળ સત્તાનો ઉપયોગ કરી શકે નહીં. એવી બેન્ચમાં કમસે કમ બે જજ હોવા જોઈએ.

પરંતુ, જસ્ટિસ રોયે સિંઘવીની દલીલને માન્ય રાખી નહોતી અને કહ્યું કે, આ અદાલત સોંપેલું કામ કરવા માટે તેના કાયદેસરના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરે છે એટલે એમાં અવરોધ પેદા કરવો ન જોઈએ. બંધારણની કલમ 142માં આ શબ્દો છેઃ સંપૂર્ણ ન્યાય આપવા માટે જરૂરી હોય એવા તમામ આદેશો સુપ્રીમ કોર્ટ તેના અધિકારક્ષેત્રનો અમલ કરતી વખતે આપી શકે છે. તેથી કોઈ સિંગલ જજની બેન્ચ માટે બંધારણ હેઠળ કોઈ મનાઈ નથી. આ કેસ જવાબદારી અનુસાર સોંપવામાં આવેલો છે.

બંધારણની 142 કલમ સર્વોચ્ચ અદાલતને કોઈ પણ કેસમાં સંપૂર્ણ ન્યાય આપવા માટે જરૂરી કોઈ પણ આદેશ આપવાની સત્તા આપે છે.

સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) સ્થિત એના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે એવી શંકા વ્યક્ત કરી હતી કે સુશાંતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એ ડીપ્રેશનમાં હતો.

પરંતુ, સુશાંતના પરિવારજનો મુંબઈ પોલીસની તપાસથી સંતુષ્ટ નહોતા અને પટનામાં રહેતા સુશાંતના પિતા કે.કે. સિંહ રાજપૂતે બિહાર સરકારને વિનંતી કરી હતી કે તે આ કેસની તપાસ સીબીઆઈને સુપરત કરવાની કેન્દ્ર સરકારને વિનંતી કરે. બિહારમાં નીતિશ કુમારની સરકારે તરત જ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી, પરંતુ, મહારાષ્ટ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો. સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિએ કેસની તપાસ સીબીઆઈને સુપરત કરવાની સૌથી પહેલા વિનંતી કરી હતી. એણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તે વિનંતી કરી હતી.

કોવિડ19થી એક દિવસમાં સૌથી વધુ 1092 લોકોનાં મોતઃ 64,531 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 64,531 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1092 લોકોનાં મોત થયાં છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 27,57,273 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 52,889 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 20,37,870 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,76,514 પહોંચી છે. દેશમાં સક્રિય કેસની 24.45 ટકા છે અને મૃત્યુદર 1.91 ટકા છે.

વિશ્વમાં 2.52 લાખ નવા કેસ, 6287 લોકોનાં મોત

વિશ્વમાં અત્યાર સુધી 2.52 લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે 7,83,491થી વધુનાં મોત થયાં છે. જોકે આ બીમારીથી ઠીક થવાવાળા લોકોની સંખ્યા 1.50 કરોડને પાર પહોંચી છે. જોકે હજી 65 લાખ સક્રિય કેસ છે.

અમેરિકામાં 56 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

અમેરિકા કોરોના સંક્રમિત કેસોને મામલે પહેલા સ્થાને છે. અત્યાર સુધી અહીં 56 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 43,000થી વધુ નવા કેસ નોંધાયા છે અને 1358 લોકોનાં મોત થયાં છે. બ્રાઝિલમાં 24 કલાકમાં 48,000 નવા કેસ નોંધાયા છે.

3.17 કરોડ લોકોનાં ટેસ્ટિંગ કરાયાં

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 18 ઓગસ્ટે દેશમાં 8,01,518 લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 18 ઓગસ્ટ સુધી કુલ 3,17,42, 782 લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

રિલાયન્સ રિટેલે નેટમેડ્સનો 60 ટકા હિસ્સો 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલે ચેન્નઈ સ્થિત વિટાલિક હેલ્થ પ્રા. લિ. અને એની સબસિડિયરી નેટમેડ્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ નેટમેડ્સમાં 60 ટકા હિસ્સો આશરે 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કંપનીનાં ડિરેક્ટર ઇશા અંબાણીએ કહ્યું હતું કે બધાને ડિજિટલ સુવિધા આપવા માટે આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે. ઓનલાઇન ફાર્મસી કંપની નેટમેડ્સ મોટા ફાર્માસિસ્ટોને સાંકળે છે અને ગ્રાહકોને દવાઓની ડોર સ્ટેપ ડિલિવરી પણ કરે છે. આ રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લોકડાઉનમાં તત્કાળ સોદો કરવાવાળી કંપની બની ગઈ છે.

વિટાલિક હેલ્થ અને તેની સબસિડિયરીઓ સામૂહિક રીતે નેટમેડ્સના રૂપે જાણીતી છે.  રિલાયન્સ રિટેલે નેટમેડ્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ વિટાલિક હેલ્થ પ્રા. લિ.ના ઇક્વિટી શેર કેપિટલમાં 60 ટકા હોલ્ડિંગની સાથે એની સબસિડિયરી કંપની ટ્રિસારા, નેટમેડ્સ અને દાધા ફાર્માની 100 ટકા ડિરેક્ટર ઇક્વિટી ઓનરશિપ ખરીદી લીધી છે.

આ મૂડીરોકાણ થકી દેશમાં દરેક જણ પાસે ડિજિટલ માધ્યમથી અમે દવા પહોંચાડી શકીશું. નેટમેડ્સ અમારી સાથે જોડાવાથી રિલાયન્સ રિટેલની સારી ગુણવત્તા અને એફોર્ડેબલ હેલ્થકેર પ્રોડક્ટ્સ અને સર્વિસ પૂરી પાડવાની ક્ષમતા વધારો થયો છે અને ગ્રાહકોને દૈનિક જરૂરી ચીજવસ્તુઓને પૂરી પાડવામાં મદદ મળી રહેશે, એમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડનાં ડિરેક્ટર ઇશા અંબાણી કહ્યું હતું.  

નેટમેડ્સના સંસ્થાપક અને CEO પ્રદીપ દાધા ( નેટમેડ્સ માર્કેટપ્લેસ)નું કહેવું છે કે રિલાયન્સની ડિજિટલ, રિટેલ અને ટેક પ્લેટફોર્મની સંયુક્ત શક્તિની સાથે અમે વધુ ગ્રાહકોની વચ્ચે અમારી સપ્લાય ચેઇનને મજબૂત કરવા સક્ષમ થઈશું. આ કરાર પછી અમે અમારી સર્વિસ વધુ સારી રીતે આપી શકીશું, એમ તેમણે કહ્યું હતું.

2015માં વિટાલિક અને એની સબસિડિયરી કંપનીઓ ફાર્મા ડિસ્ટ્રિબ્યુશન, સેલ્સ અને બિઝનેસ સપોર્ટ સર્વિસિસના વેપારમાં છે. એની સબસિડિયરી કંપની ગ્રાહકોને ફાર્માસિસ્ટોથી જોડવા અને દવાઓ, ન્યુટ્રિશિનલ હેલ્થ અને વેલનેસ ઉત્પાદનોની ડિલિવરી કરવા માટે એક ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ નેટમેડ્સ પૂરું પાડે છે.

નેટમેડ્સ માટે રિલાયન્સ પરિવારમાં સામેલ થવું અને પ્રત્યેક ભારતીય માટે ગુણવત્તાયુક્ત આરોગ્યની દેખભાળ સસ્તી અને સુલભ બનાવવા માટે એકસાથે કામ કરવા માટે આનંદની ક્ષણ છે, એમ CEO પ્રદીપ દાધાએ જણાવ્યું હતું.