Home Blog Page 319

બજેટ 2026: મધ્યમ વર્ગના કરદાતાઓ પર FMનું ખાસ ધ્યાન રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2020માં આવકવેરાની નવી રિજિમ રજૂ કરી હતી. એ  સાથે-સાથે તેમણે જૂની ટેક્સ રિજિમ પણ ચાલુ રાખી હતી. વ્યક્તિગત કરદાતાઓ પાસે જૂની અને નવી રિજિમમાંથી કોઈ એક પસંદ કરવાનો વિકલ્પ છે. શરૂઆતમાં નવી રિજિમ પ્રત્યે કરદાતાઓએ ખાસ રસ બતાવ્યો નહોતો, પરંતુ હવે મોટી સંખ્યામાં વ્યક્તિગત કરદાતાઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે સરકાર સતત નવી રિજિમને વધુ આકર્ષક બનાવવાના પ્રયાસો કરી રહી છે.

નવી રિજિમમાં કરદાતાઓની વધતી રસરુચિ

આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓની સંખ્યા હવે નવ કરોડથી વધુ થઈ ગઈ છે. એસેસમેન્ટ યર 2024-25માં 5.2 કરોડથી વધુ રિટર્ન નવી રિજિમ હેઠળ ફાઇલ કરવામાં આવ્યા હતા. નવી રિજિમમાં મોટા ભાગના એક્ઝેમ્પ્શન અને ડિડક્શન મળતા નથી, પરંતુ તેમાં ટેક્સના દર ઓછા છે. આ રિજિમ ખાસ કરીને તે વ્યક્તિગત કરદાતાઓ માટે લાભદાયી છે, જે ડિડક્શન અને એક્ઝેમ્પ્શનનો મોટો લાભ લેતા નથી.

નવી રિજિમના કરદાતાઓ માટે મોટા એલાન

નવી રિજિમને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને 75,000 રૂપિયા કરી દીધું છે, જ્યારે જૂની રિજિમમાં આ ડિડક્શન 50,000 રૂપિયા છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ માત્ર નોકરિયાત લોકોને મળે છે. યુનિયન બજેટ 2025માં નાણાં મંત્રીએ વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ-ફ્રી જાહેર કરી હતી. નોકરિયાત લોકોને હવે વાર્ષિક 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

 નાણાં મંત્રી કરી શકે છે વધુ રાહતોની જાહેરાત

એક્સપર્ટ્સનું માનવું છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારામન મધ્યમ વર્ગને રાહત આપવા માટે કેટલાંક વધારાનાં પગલાં લઈ શકે છે. નવી રિજિમમાં પણ ટર્મ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ડિડક્શનની મંજૂરી આપી શકે છે, જેથી મોટી સંખ્યામાં કરદાતાઓને લાભ મળશે. એ સાથે-સાથે ટેક્સ સ્લેબને મોંઘવારી સાથે જોડવામાં આવી શકે છે. આમ થવાથી મોંઘવારી વધે ત્યારે લોકો પર ટેક્સનો બોજ ઓછો પડશે અને ખાસ કરીને મધ્યમ વર્ગને મોટો લાભ થશે.

શું ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ તણાવ વચ્ચે ભારત આવશે ?

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે બંને દેશોના સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. પદભાર સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મિત્રતા સાચી, મજબૂત અને વિશ્વાસ પર આધારિત છે.

સર્જિયો ગોરે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માત્ર વ્યાપારિક ફાયદા પૂરતા સીમિત નથી, પરંતુ તે લાંબા ગાળાના સહકાર અને પરસ્પર સમજ પર ટકેલા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સચ્ચા મિત્રોમાં મતભેદ થઈ શકે છે, પરંતુ અંતે તે ઉકેલાઈ જ જાય છે.

ટ્રમ્પની ભારત મુલાકાત અંગે તેમણે સંકેત આપતાં જણાવ્યું કે આગામી એક કે બે વર્ષમાં અમેરિકી રાષ્ટ્રપતિ ભારત આવી શકે છે. તેમણે હાસ્યસભર અંદાજમાં કહ્યું કે ટ્રંપ ઘણી વખત રાત્રે 2 વાગ્યે ફોન કરે છે, જે નવી દિલ્હી માટે અનુકૂળ સમય બની જાય છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે રાજદૂતે કહ્યું કે બંને દેશો વચ્ચે સક્રિય ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ એક બેઠક યોજાવાની છે. વેપાર ઉપરાંત સુરક્ષા, ઊર્જા, ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ અને આતંકવાદ સામે લડત જેવા ક્ષેત્રોમાં પણ સહકાર વધારવામાં આવી રહ્યો છે.

સર્જિયો ગોરે ભારત માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે આવતા મહિને ભારતને PaxSilicaમાં પૂર્ણ સભ્યપદ માટે આમંત્રણ મળશે. આ પહેલનો હેતુ સેમિકન્ડક્ટર, AI, ઊર્જા અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં સુરક્ષિત સપ્લાય ચેન ઉભી કરવાનો છે.

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસઃ નિમણૂક પ્રક્રિયા પર કાનૂની જંગ શરૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ (ECI)ને એક નોટિસ ફટકારી છે. આ નોટિસ તે અરજીને આધારે આપવામાં આવી છે જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનો (ECs)ને પ્રોસિક્યુશનમાંથી ‘આજીવન મુક્તિ’ આપતા નવા કાયદાને પડકારવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે કોર્ટ આ ગંભીર બંધારણીય પ્રશ્નની ઊંડાણપૂર્વક તપાસ કરશે.

‘આજીવન સુરક્ષા’ પર વિવાદ

આ અરજીમાં ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક, સેવા શરતો અને કાર્યકાળ અધિનિયમ, 2023’ની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કાયદો CEC અને ECsને તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કોઈ પણ કાર્ય માટે નાગરિક અને ફોજદારી કાર્યવાહીમાંથી જીવનભર માટે સુરક્ષા આપે છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે બંધારણ રચનાકારોએ આવી વ્યાપક સુરક્ષા તો ન્યાયાધીશોને પણ આપી નથી. તો પછી સંસદ કેવી રીતે એવું ‘કવચ’ આપી શકે, જે અન્ય બંધારણીય ઉચ્ચ અધિકારીઓ પાસે પણ નથી?

નિમણૂક સમિતિ પર પણ પ્રશ્નો

આ અરજીમાં તે ફેરફારને પણ પડકારવામાં આવ્યો છે, જેમાં ચૂંટણી કમિશનરોની પસંદગી કરતી સમિતિમાંથી CJIને બહાર રાખવામાં આવ્યા છે. 2023ના કાયદા મુજબ સમિતિમાં વડા પ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને પ્રધાન મંત્રી દ્વારા નામિત એક કેન્દ્રિય કેબિનેટ મંત્રીનો સમાવેશ થાય છે. કોંગ્રેસ કાર્યકર જયા ઠાકુરની અરજીમાં કહેવામાં આવ્યું છે કે CJIને દૂર કરીને કેબિનેટ મંત્રીને સામેલ કરવાથી પસંદગી પ્રક્રિયામાં સરકારનું પલડું ભારે થઈ જાય છે, જે નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંત અને ચૂંટણી પંચની સ્વતંત્રતા વિરુદ્ધ છે.

 સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સંસદ

આ મામલો ન્યાયિક અને વિધાનસભાકીય શક્તિઓ વચ્ચેના ટકરાવ સાથે જોડાયેલો છે. માર્ચ, 2023ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સંસદ કોઈ કાયદો ન બનાવે ત્યાં સુધી નિમણૂકો વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને CJIની નિષ્પક્ષ પેનલ દ્વારા થવી જોઈએ. ડિસેમ્બર, 2023માં સરકારે શિયાળુ સત્ર દરમિયાન નવો કાયદો પસાર કર્યો અને પેનલમાંથી CJIને દૂર કરી દીધા. વિરોધ પક્ષે તેને કોર્ટના આદેશની ભાવનાને કચડવાનું પગલું ગણાવ્યું હતું.

આજના સંકટભર્યા યુગમાં દાદા લેખરાજના સિદ્ધાંતોની પ્રાસંગિકતા

અમદાવાદ: વિશ્વ જ્યારે અશાંતિ, સંઘર્ષ, માનસિક તણાવ અને મૂલ્યહ્રાસના યુગમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે બ્રહ્માકુમારી સંસ્થાના સાકારી સંસ્થાપક દાદા લેખરાજ (બ્રહ્મા બાબા) દ્વારા આપેલ આધ્યાત્મિક દૃષ્ટિ આજે વધુ પ્રાસંગિક બની છે. 18મી જાન્યુઆરી દાદા લેખરાજનો 57મો અવ્યક્ત દિવસ —જે માત્ર એક સ્મૃતિ દિવસ નહીં, પરંતુ માનવજાત માટેના તેમના દુરદર્શી વિચારોને ફરી વિચારવાનો અવસર છે.


દાદા લેખરાજ કોઈ સામાન્ય સમાજસુધારક નહોતા. તેઓ એક સફળ હીરાના વેપારી હતા, પરંતુ પરમાત્મા દ્વારા પ્રાપ્ત જ્ઞાન તેમજ આંતરિક જાગૃતિએ તેમને ભૌતિક સફળતાથી આધ્યાત્મિક પરિવર્તન તરફ દોરી ગયા. તેમણે જીવનમાં અનુભવી લીધું કે સાચો વિકાસ બાહ્ય સમૃદ્ધિમાં નહીં, પરંતુ આત્મિક શુદ્ધતા અને ચેતનાના પરિવર્તનમાં છે. પરમાત્મા શિવ દ્વારા કરાયેલા સાક્ષાત્કારના આધારે તેમણે ભવિષ્યની પરિસ્થિતિઓને ઓળખી અને માનવ સમાજને નવીદિશા આપવાના સિદ્ધાંતો રજૂ કર્યા.

દાદા લેખરાજે આપેલા મુખ્ય સિદ્ધાંતોમાં આત્મજ્ઞાન, પરમાત્મા શિવ પિતાને યાદ કરવાની વિધિ અર્થાત રાજયોગ મેડિટેશન, પવિત્રતા, અહિંસા, સર્વપ્રત્યે સન્માન અને વિશ્વ બંધુત્વનો સમાવેશ થાય છે. તેમણે સ્પષ્ટ રીતે દર્શાવ્યું કે આવનારા સમયમાં માનવીને સૌથી મોટો સંઘર્ષ બાહ્ય નહીં પરંતુ આંતરિક હશે—મન, વિચાર અને સંબંધોના સ્તરે. આજે વિશ્વમાં વધતો તણાવ, અવસાદ, યુદ્ધો અને પર્યાવરણીય અસંતુલન તેમની આગાહીનો સાક્ષી પુરાવો આપે છે.
આ આધ્યાત્મિક દૃષ્ટિ પરથી જ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઈ. એક એવી સંસ્થા, જે કોઈ જાતિ, ધર્મ કે દેશની સીમામાં બંધાયેલી નથી, પરંતુ સમગ્ર માનવજાતને એક કુટુંબ તરીકે જોવાની ભાવનાને પ્રસારિત કરે છે.

દાદા લેખરાજનું એક અદ્વિતીય યોગદાન હતું મહિલાઓનું સશક્તિકરણ. જ્યારે સમાજમાં સ્ત્રીઓને નિર્ણયશક્તિ આપવાની કલ્પના પણ દુર્લભ હતી, ત્યારે તેમણે બહેનોને નેતૃત્વ સોંપ્યું. આજે આ જ દૃષ્ટિનું પરિણામ છે કે વિશ્વના 140થી વધુ દેશોમાં, આશરે 5,500થી વધુ સેવાકેન્દ્રો દ્વારા ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ ફેલાઈ રહી છે અને તેમાં 50,000થી વધુ બ્રહ્માકુમારી બહેનો તેમજ 10,000થી વધુ બ્રહ્માકુમાર ભાઈઓ સંપૂર્ણ સમર્પણ સાથે સેવા આપી રહ્યા છે.

આ ભાઇ-બહેનો માત્ર આશ્રમમાં સીમિત નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, વહીવટ, પોલીસ, સૈન્ય, રાજકારણ અને કોર્પોરેટ ક્ષેત્ર સુધી માનસિક શાંતિ અને મૂલ્યઆધારિત જીવનનો સંદેશ લઈ જઈ રહ્યા છે. સંસ્થા દ્વારા ભારતના છેવાડાના ગામડાઓમાં અભિયાન દ્વારા લાખો વ્યક્તિઓને વ્યસનથી મુક્ત કર્યા છે. સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપી છે. રાજયોગ ધ્યાન દ્વારા વ્યક્તિને અંદરથી મજબૂત બનાવવાનો આ પ્રયાસ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત બની ગયો છે.

57મો અવ્યક્ત દિવસના આ પાવન અવસરે દાદા લેખરાજનું જીવન આપણને એક જ સંદેશ આપે છે— વિશ્વ પરિવર્તન પહેલાં સ્વ-પરિવર્તન જરૂરી છે. જો આજનો માનવી તેમના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારે, તો વર્તમાન સંકટ પણ સંભાવનામાં પરિવર્તિત થઈ શકે છે. દાદા લેખરાજ આજે વ્યક્ત સ્વરૂપે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમના વિચારો, સંકલ્પ અને સંસ્થાના માધ્યમથી તેઓ આજે પણ વિશ્વને શાંતિ, પવિત્રતા અને આશાના માર્ગે દોરી રહ્યા છે.

 ઉદગમ સુર પ્રભાતમાં સવારના રાગોની પ્રસ્તુતિ

અમદાવાદ: ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્સંધન સારું એકમાત્ર ઉદગમ ટ્રસ્ટ કાર્યક્રમોનું નિયમિત આયોજન કરે છે. શાસ્ત્રીય સંગીતના આરાધક ગાંધીનગરના યુવા કલાકારોને મંચ પૂરો પાડવાના આશયથી ઉદગમ દ્વારા ઉદગમ સુર પ્રભાતની શરૂઆત કરવામાં આવી.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદગમ સુર પ્રભાત – ધ મોર્નિંગ રાગ કોન્સર્ટ”નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રભાત સંગીત કાર્યક્રમ 11 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાયો હતો.

ઉદગમ સુર પ્રભાત કાર્યક્રમમાં ગાંધીનગરના યુવા ગાયક કંદર્પ શુક્લાએ અનેક રાગ પર આધારિત ગીતો રજૂ કર્યા. પ્રારંભ રાગ આહિર ભૈરવ: મેરી અરજ સુન લી જે દિન દયાલ…થી કર્યો. ત્યારબાદ અલબેલા સજન આયો રે…થી વૃંદાવનની સારંગ: ટ્રેડિશનલ બંદીશ: બન બન ઢુંઢન જાઊં… રજૂ કરી. ત્યારબાદ મરાઠી અભંગ: હરિ મહણા તુંમી ગોવિંદ મ્હાના હરિ નારાયણ, પ્રભાતિયા : રાગ માંડ પર..જાગને જાદવા અખંડ રોજી, ઓધાજી મારા વાલા ને.., રાગ ભોપાલી: ઓમ નમઃ શિવાય, માંડ મિશ્રિત ખમાજ: રામસભામાં અમે રમવાને ગ્યાતા અને જાગોને અલબેલા કાના…. રજૂ કર્યાં. થોડાંક વિરામ સમયે: સચિન મોદીએ વાંસળીની ધૂન પર મારા ઘટમાં બિરાજતા અને કૃષ્ણ સીરીયલનું ટાઈટલ મ્યુઝિક, હનુમાનજીની ક્લાસિકલ સ્તુતિ રાગ જોગ પર હનુમાનલલા, મેરે પ્યારે લલા.., પ્રેક્ષકની પસંદ : રાગ કેદાર: દર્શન દો ઘનશ્યામ, અંતમાં ક્લાસિકલ રામધૂન રામ જય રામ જય જય રામ રજૂ કર્યા હતા.

કંદર્પ શુક્લની સાથે મોહિત વિશ્વકર્મા – હાર્મોનિયમ પર, સાહિલ ચૌહાણ – તબલા પર, સત્યમ કાનાબાર – મંજીરા પર, સચિન મોદી – વાંસળીની સાથે ભક્તિ, શાસ્ત્રીય સંગીત તથા પ્રભાતમાં ગવાતા રાગની રજૂઆત કરી હતી. પ્રભાતના શાંત અને પવિત્ર વાતાવરણમાં રજૂ થયેલા સંગીતથી ઉપસ્થિત શ્રોતાઓએ આત્મિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ કર્યો હતો.

ઉદગમ સુર પ્રભાતના અંતે ઉદગમના મે. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ આવી અદભૂત પ્રસ્તુતિ બદલ કલાકારો અને સહુ ઉપસ્થિતિ શ્રોતાઓનો આભાર માન્યોં હતો. કાર્યક્રમનું મંચ સંચાલન પારૂલબેન મહેતાએ કર્યું અને સમગ્ર સફળ બનાવવા દીપાંશ છાબડા, વાગ્મી જોષી, કિરાત જોષી, કૃણાલ વાઘેલા એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ચાણક્ય જોષી, દીક્ષિતા જોષી, અનિતા ચાવડા, શરદ વ્યાસ, ડો. રાજેન્દ્ર જોષી, પન્નાબેન જોષી વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

ઉત્તરાયણને ઉજવવા પતંગ બજારમાં ભારે ભીડ

અમદાવાદ: મકર રાશિમાં સૂર્ય પ્રવેશ થાય એટલે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની ઉજવણી થાય. હિંદુ સંસ્કૃતિ પ્રમાણે મકરસંક્રાંતિને દરેક પ્રાંતમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. શુભ પ્રસંગોની શરુઆત સાથે મેળવવાનું આયોજન મકરસંક્રાંતિ બાદ કરવામાં આવે છે.ગુજરાતના અમદાવાદ સહિત અનેક નાના-મોટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણમાં પતંગ ઉડાડી ઉજવણી કરવામાં આવે છે. 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના ઉત્સવ માટે પહેલાં હેરિટેજ સિટી અમદાવાદના રાયપુર દરવાજા, દિલ્હી દરવાજા, કાલુપુર ટંકશાળ વિસ્તારમાં ઉતરાયણના પર્વને માણવા પતંગની મોજ માટે મળતી સામગ્રી માટે લોકો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હતાં. હવે અમદાવાદ શહેર ચારેય તરફ વધ્યું છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના માર્ગોની બંને તરફના ખુલ્લા પ્લોટો પર પતંગ દોરીના મંડપ, ખૂમચા, લારીઓ, પાથરણાં લાગી ગયા છે.

પશ્ચિમના નવા વાડજ, અંકુર, નારણપુરા, આર.સી.ટેકનિકલ રોડ, સાયન્સ સિટી રોડ, ચાંદલોડિયા વંદેમાતરમ રોડ જ્યારે પૂર્વના મણીનગર, નિકોલ નરોડા સહિત અનેક વિસ્તારોમાં પતંગ, દોરી, ચશ્મા, ગુંદર પટ્ટી, આંગળીના રક્ષણ માટેની ટોટીઓ, પીપૂડા, બલૂન, વિવિધ આકારની ટોપીઓ અને અજબ ગજબના મુખોટાનું વેચાણ થઈ રહ્યું છે.પતંગની ખરીદી કરવા આવેલ નેહાંગ ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે કોટ વિસ્તારમાં એટલે કે શહેરની મધ્યમાં દોરી રંગાવવાની અને પતંગોની ખરીદી કરવાની મજા કંઈક અલગ જ છે.શહેરમાં સાંકડા રસ્તા અને અતિશય ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યાના કારણે કેટલાક પતંગ પ્રેમીઓ બહારના વિસ્તારમાંથી જ ખરીદી કરી લેતા હોય છે.

આ વર્ષે પ્રાણીઓ, અવનવા સંદેશા, રાષ્ટ્રધ્વજ અને વેલકમ-2026 ના પ્રિન્ટિંગ સાથેની પતંગોનું ભારે વેચાણ થઈ રહ્યું છે. પતંગ દોરી ખરીદી માટે રવિવારનો સમય મળી જતાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. દિલ્હી દરવાજા વિસ્તારમાં બંને તરફના રોડ ડિવાઈડર ઉપર જ પતંગો દોરી સાથે અન્ય ચીજવસ્તુઓનું વેચાણ થતું જોવા મળ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ:અમદાવાદ)

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર AIIMS માં દાખલ

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સોમવારે નવી દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં તેઓ બે વખત અચાનક બેભાન થયા હતા, જેના પગલે તબીબોએ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી હતી.

10 જાન્યુઆરીના રોજ વોશરૂમ તરફ જતા સમયે ધનખડને બે વખત ચક્કર આવી બેભાન થવાની સ્થિતિ સર્જાઈ હતી. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા તરીકે જોવામાં આવી હતી, પરંતુ ફરીથી આવું બનતાં પરિવારજનો અને ડોક્ટરો ચિંતિત બન્યા હતા. સોમવારે તેઓ નિયમિત મેડિકલ ચેકઅપ માટે AIIMS પહોંચ્યા હતા, પરંતુ ડોક્ટરોએ MRI સહિતની વિસ્તૃત તપાસ માટે તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો.

જાહેર જીવન દરમિયાન પણ જગદીપ ધનખડને ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવતા સમયે કચ્છના રણ, ઉત્તરાખંડ, કેરળ તેમજ દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન તેઓ અસ્વસ્થ થયા હતા અને કેટલીક વખત બેભાન પણ થયા હતા. આ ઘટનાઓએ તેમના સ્વાસ્થ્યને લઈને પહેલેથી જ પ્રશ્નો ઊભા કર્યા હતા.

ગત વર્ષે 21 જુલાઈના રોજ ધનખડએ પોતાની ખરાબ તબિયતનું કારણ આપતાં ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હવે તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા સ્વાસ્થ્ય છે અને તેઓ ડોક્ટરોની સલાહને ગંભીરતાથી અનુસરવા માંગે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખેલી પત્રમાં તેમણે સંવિધાનના અનુચ્છેદ 67(એ) હેઠળ પદ છોડવાનો ઉલ્લેખ કર્યો હતો.

હાલ AIIMSમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દેશના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેમના વહેલા સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

ડિજિટલ સ્ટ્રાઈકઃ 86 લાખ સિમ કાર્ડ બ્લોક દ્વારા કરોડો રૂપિયા બચાવાયા

નવી દિલ્હીઃ સરકારે ઓનલાઈન ફ્રોડ સામે મોટી ‘ડિજિટલ સ્ટ્રાઈક’ કરી છે. છેલ્લા છ મહિનામાં લોકોના 1000 કરોડ રૂપિયાથી વધુ પૈસા બચાવવામાં આવ્યા છે. આ દરમિયાન સરકારે 86 લાખથી વધુ નકલી સિમ કાર્ડ બ્લોક કર્યા છે. ટેલિકોમ વિભાગે ભારતની ડિજિટલ ક્રાંતિ સાથે જોડાયેલા આંકડા શેર કર્યા છે, જેમાં આ માહિતી સામે આવી છે. અનેક મામલાઓમાં ભારત અમેરિકા, ચીન અને જાપાન જેવા વિકસિત દેશોથી પણ આગળ નીકળી ગયું છે.

ટેલિકોમ વિભાગે પોતાના અધિકૃત X (પૂર્વે ટ્વિટર) હેન્ડલ પરથી માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે ભારતમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. અહીં મોબાઇલ ડેટા માત્ર 8.27 રૂપિયા પ્રતિ GB છે, જે અનેક દેશોની સરખામણીએ ઘણો સસ્તો છે. આ ઉપરાંત 5G યુઝર્સની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. 2022માં 5G સેવા શરૂ થયા બાદ ભારતમાં 5G યુઝર્સની સંખ્યા હવે 40 કરોડને પાર પહોંચી ગઈ છે.

આ ઉપરાંત ભારતમાં ટેલિકોમ યુઝર્સની કુલ સંખ્યા 1.23 બિલિયન એટલે કે 123 કરોડથી વધુ થઈ ગઈ છે. ભારત દુનિયાનો બીજો સૌથી વધુ ટેલિકોમ યુઝર્સ ધરાવતો દેશ બની ગયો છે.

ઓનલાઈન ફ્રોડ પર ડિજિટલ સ્ટ્રાઈક

વધતા ટેલિકોમ યુઝર્સ અને ડેટા વપરાશ વચ્ચે ટેલિકોમ વિભાગે ઓનલાઈન ફ્રોડ પર પણ મોટા પાયે નિયંત્રણ મેળવ્યું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય નંબરોમાંથી આવતા સ્પૂફ કોલ્સમાં 99 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ફ્રોડ અટકાવવા માટે સરકારે અનેક મોટા પગલાં લીધા છે. ‘સંચાર સાથી’ એપ અને વેબસાઇટ દ્વારા દરરોજ હજારો ફ્રોડ કેસોની ફરિયાદ કરવામાં આવી રહી છે.

AIમાં પણ અગ્રેસર ભારત

ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર  દેશમાં AI યુઝર્સની સંખ્યા પણ કરોડોમાં છે. DoT મુજબ વૈશ્વિક સ્તરે કુલ ચેટ જીપીટી યુઝર્સમાં 13.5 ટકા યુઝર્સ ભારતમાંથી છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતીય યુઝર્સ AIના ઉપયોગમાં પણ કોઈ વિકસિત દેશથી પાછળ નથી.

જર્મનીના ચાન્સેલર PM મોદી સાથે અમદાવાદના મહેમાન બન્યા

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા હતા. આ પછી, ફ્રેડરિક મેર્ઝ આજે સવારે 9:30 વાગ્યે પીએમ મોદી સાથે સાબરમતી આશ્રમ પહોંચ્યા. બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને રિવરફ્રન્ટ પણ જોશે. આ પછી, સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. અહીં ઉલ્લેખનિય છે કે, ફ્રેડરિક મેર્ઝ 12-13 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાત માટે પહોંચ્યા છે.

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે, જેણે તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. ગ્રીન એમોનિયા, સબમરીન સોદો, વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંરક્ષણ અને સુરક્ષા, વિજ્ઞાન અને નવીનતા પર પણ ચર્ચા થશે.

ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે 25 મુખ્ય જર્મન કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ્સ સહિત એક વિશાળ વ્યાપારી પ્રતિનિધિમંડળ છે. જર્મની ભારતમાં નવમું સૌથી મોટું વિદેશી રોકાણકાર છે. ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વેપાર $51.23 બિલિયન હોવાનો અંદાજ છે, જે ભારતના કુલ EU વેપારના આશરે 25 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. 2024-25માં સેવાઓનો વેપાર $16.65 બિલિયન હતો. એપ્રિલ 2000 થી જૂન 2025 સુધીમાં, જર્મનીથી ભારતમાં $15.40 બિલિયન FDI આવ્યું.

રશિયા કે વેનેઝુએલા, ભારત માટે કોનું ઓઈલ સસ્તું પડે ?

અમેરિકી હસ્તક્ષેપ બાદ વેનેઝુએલામાં થયેલા રાજકીય ફેરફારો પછી ત્યાંનું કાચું તેલ ફરીથી વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા વેનેઝુએલાથી 50 મિલિયન બેરલ તેલ ખરીદવાની જાહેરાત બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે જો વેનેઝુએલાનું તેલ વૈશ્વિક બજારમાં આવે છે તો તે માર્કેટ પ્રાઇસ પર જ વેચાશે.

જો વેનેઝુએલાનું તેલ અમેરિકાના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ વેચાય છે તો તેની કિંમત WTI બેચમાર્ક મુજબ નક્કી થવાની શક્યતા છે, જે હાલ લગભગ 60 ડોલર પ્રતિ બેરલ છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ધોરણે આ કિંમત 63 ડોલર પ્રતિ બેરલથી ઉપર જઈ શકે છે. ભૌગોલિક રીતે વેનેઝુએલા ભારતની તુલનામાં નજીક હોવા છતાં, સપ્લાય ચેન અને રાજકીય નિયંત્રણો કારણે ભાવ પર મોટો અસર પડે છે.

બીજી તરફ, રશિયાથી ભારતને કાચું તેલ ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. હાલ ભારતને રશિયન તેલ માર્કેટ ભાવની સરખામણીમાં 10થી 15 ડોલર પ્રતિ બેરલ સસ્તું મળે છે. શિપમેન્ટ ખર્ચ ઉમેર્યા બાદ પણ રશિયન તેલ વેનેઝુએલાની તુલનામાં વધુ સસ્તું હોવાનું નિષ્ણાતો માને છે.

વેનેઝુએલાના તેલ અંગે અનિશ્ચિતતા એ પણ છે કે સપ્લાય સીધા વેનેઝુએલાથી આવશે કે પછી અમેરિકા મારફતે. જો શિપમેન્ટ અમેરિકા પરથી થશે તો ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. રોઇટર્સના અહેવાલ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વેનેઝુએલાથી તેલ ખરીદવા માટે અમેરિકાની મંજૂરી માગી છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી.

રશિયન તેલ પર અમેરિકા અને યુરોપિયન યુનિયનના પ્રતિબંધોના કારણે સપ્લાયમાં ઘટાડો થયો છે, છતાં 2025માં ભારતના કુલ તેલ આયાતમાં રશિયાની હિસ્સેદારી નોંધપાત્ર રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં ભારત માટે રશિયન કાચું તેલ જ વધુ સસ્તું અને વ્યવહારૂ વિકલ્પ છે.