Home Blog Page 2502

WC પહેલાં એનરિક નોર્ટઝ, સિસાંડા મગાલા SAની ટીમમાંથી બહાર

નવી દિલ્હીઃ ICC વનડે વર્લ્ડ કપ 2023 શરૂ થતાં પહેલાં દક્ષિણ આફ્રિકાને આંચકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર એનરિક નોર્ટઝે અને સિસાંડા મગાલા ઇજાને કારણે વિશ્વ કપમાંથી બહાર થયા છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના હેડ કોચ રોબ વોલ્ટરે આની પુષ્ટિ કરી હતી. એનરિક નોર્ટઝે અને સિસાંડા મગાલાની જગ્યાએ એન્ડિલ ફેહલુકવાયો અને લિઝાડ વિલિયમ્સને 15 ક્રિકેટરોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

એનરિકને પીઠમાં ફ્રેકચર થયું છે. જેથી તે ટીમમાંથી બહાર થયો છે. તેણે અત્યાર સુધી કુલ 465 વિકેટ લીધી છે. તેણે ફર્સ્ટ કલાસમાં 234, લિસ્ટ એમાં 89 અને T20 મેચોમાં 142 વિકેટ લીધી છે. આમાં તેણે 19 ટેસ્ટમાં 70, 22 વનડે ઇન્ટરનેશનલમાં 36 અને 31 T20 ઇન્ટરનેશનલમાં 38 વિકેટ પણ સામેલ છે.

સિસાંડા મગાલાએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ હાલમાં વનડે સિરીઝમાં ઘૂંટણમાં ઇજાની ફરિયાદ કરી હતી. તેને સાવધાનીરૂપે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સિસાંડા મગાલાને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતાં ઇજા થઈ હતી.સિસાંડા મગાલા અત્યાર સુધી કેરિયરમાં 275 ફર્સ્ટ ક્લાસ, 190 લિસ્ટ એ અને 140 T20 વિકેટ લીધી છે. તેણે અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ નથી રમી. તેણે આઠ વનડે ઇન્ટરનેશનલ રમી છે, એમાં તેણે 15 વિકેટ લીધી છે. તે છ T20 ઇન્ટરનેશનલમાં છ વિકેટ પણ લઈ ચૂક્યો છે.

 

 

 

 

 

 

પાકિસ્તાનમાં 2024ના જાન્યુઆરીના આખરી સપ્તાહમાં યોજાશે સંસદીય ચૂંટણી

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે દેશમાં સંસદીય ચૂંટણી આવતા વર્ષના જાન્યુઆરીના આખરી સપ્તાહમાં યોજાશે. એક નિવેદનમાં પંચે કહ્યું છે કે મતવિસ્તારોના સીમાંકન કામગીરીની સમીક્ષા કરી છે અને મતવિસ્તારોના સીમાંકન માટેની પ્રારંભિક યાદી 27 સપ્ટેમ્બરે અને આખરી યાદી 30 નવેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.

રાષ્ટ્રીય ધારાસભા (ભારતની લોકસભા)નું વિસર્જન કરાયાના 90 દિવસની અંતર નવેસરથી સંસદીય ચૂંટણી યોજવાનું નિર્ધારિત હોય છે. રાષ્ટ્રીય ધારાસભાનું આ વખતે મુદત કરતાં વહેલી, એટલે કે ગઈ 9 ઓગસ્ટે વિસર્જન કરવામાં આવ્યું હતું.

‘સ્વર્ગની સીડી’ ચઢનાર બ્રિટનની વ્યક્તિનું મોત

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પર યુવકોના સ્ટંટ કરેલા વિડિયો વાઇરલ થતા રહે છે. આવામાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ ‘સ્વર્ગની સીડી’ ચઢનાર વ્યક્તિને જોખમીભર્યો સ્ટંટ કરવો ભારે પડ્યો છે. વાસ્તવમાં ‘સ્વર્ગની સીડી’ ચઢનાર બ્રિટનની વ્યક્તિ સીધો સ્વર્ગમાં પહોંચી ગઈ છે. Stairway To Heaven પર ચઢી રહેલી વ્યક્તિ આશરે 300 ફૂટ નીચે પડ્યો હતો અને એનું મોત થયું હતું.

એક અહેવાલ અનુસાર ઓસ્ટ્રેલિયાના પર્વત પર એક બહુ સાંકડી સીડી પર ચઢતા 90 મીટરથી વધુ ઊંચાઈથી નીચે પડ્યા પછી એક બ્રિટિશ પર્યટકનું મોત થયું છે. એ પોઇન્ટ ઇન્સ્ટાગ્રામ ફોટો લવર્સવાળા પર્યટકોની વચ્ચે બહુ જાણીતો છે. અહીં હવામાં લટકતી સીડીઓ છે, જેને સ્થાનિક લોકો ‘સ્વર્ગની સીડી’ પણ કહે છે. આ સીડીઓ સાલ્જબર્ગની બહાર ડેચસ્ટીન પર્વત તરફ જાય છે.

આ ઘટના 12 સપ્ટેમ્બરે બની હતી. 42 વર્ષીય બ્રિટનની એક વ્યક્તિ વિના ગાઇડ એકલા જ સીડી પર ચઢવા લાગી હતી. એ દરમ્યાન તે સીડી પરથી લપસી પડી હતી અને નીચે 300 ફૂટ ખીણમાં પડી હતી. જેનાથી તેનું મોત થયું હતું. આ દુર્ઘટના પછી પોલીસ અધિકારી અને બચાવ દળના બે હોલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં, પણ તે વ્યક્તિને બચાવી ના શકાઈ. જોકે ત્યાર બાદ તેનો મૃતદેહ ખીણમાંથી બહાર કઢાયો હતો.

‘સ્વર્ગની સીડી’ ઓસ્ટ્રેલિયાના સાલ્જકેમરગુટ રિસોર્ટમાં આવે છે. 43 મીટર ઊંચી ગગનચુંબી સીડી જમીનથી 700 મીટર ઉપર લટકેલી છે. એ સીડીઓ લોખંડ અને અન્ય મેટલ્સ અને કેબલથી બનાવવામાં આવી છે.

 

 

 

 

 

 

 

વિવાદ વધતાં કેનેડિયનો માટે ભારતીય વિઝા સસ્પેન્ડ

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે છેડાયેલા રાજકીય ટેન્શનની વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે કેનેડામાં ભારતીય વિઝા સેવાને સસ્પેન્ડ કરી દીધી છે. વાસ્તવમાં બંને દેશો વચ્ચે ટેન્શન એ સમયે વધી ગયું, જ્યારે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનતરફી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત લગાવ્યો. જેથી ભારતે એ આરોપ ફગાવ્યા હતા.

BLS ઇન્ટરનેશનલ- એક ઓનલાઇન વિઝા અરજી કેન્દ્ર કે જે ભારત અને અન્ય દેશોની અરજીઓ સંભાળે છે, એણે એક નોટિસમાં વેબસાઇટ પર સંદેશ પોસ્ટ કર્યો છે કે ઓપરેશનલ કારણોસર 21 સપ્ટેમ્બર, 2023થી ભારતીય વિઝાને આગામી સૂચના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. કૃપયા વધુ માહિતી માટે BLSની વેબસાઇટ ચેક કરતા રહો.ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ આગામી નોટિસ સુધી સ્થગિત કરી દીધી છે. જૂનમાં ખાલિસ્તાની અલગાવવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની મિલીભગતના કેનેડાના વડા પ્રધાનના આરોપો પછી બંને દેશોના રાજકીય સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે.

ભારત-કેનેડા વિવાદ

વાસ્તવમાં ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈ પણ વિદેશી સરકારની ભાગીદારી અમારી અખંડિતતાનું ઉલ્લંઘન છે ને એ અસ્વીકાર્ય છે. ભારતે પણ આ આરોપો બેજવાબદારીવાળાં અને વ્યક્તિગત હિતોથી પ્રેરિત ગણાવ્યા હતા. આ મામલે કેનેડા દ્વારા એક ભારતીય અધિકારીને કાઢી મૂકવામાં આવ્યા પછી જવાબમાં ભારતે એક વરિષ્ઠ કેનેડિયનને કાઢી મૂક્યો હતો.

 

 

 

 

 

 

 

‘3 ઈડિયટ્સ’ ફિલ્મના અભિનેતા અખિલ મિશ્રા (58)નું આકસ્મિક રીતે નિધન

મુંબઈઃ આમિર ખાન, શર્મન જોશી અને માધવન અભિનિત હિન્દી ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં લાઈબ્રેરિન દુબેનો રોલ ભજવનાર અભિનેતા અખિલ મિશ્રાનું ગઈ કાલે સાંજે અહીં એમના નિવાસસ્થાને આકસ્મિક રીતે અવસાન થયું હતું

અહેવાલો અનુસાર તેઓ એમનાં ઘરના રસોડામાં કામ કરતા હતા ત્યારે પડી ગયા હતા. એને કારણે એમને માથામાં ઈજા થઈ હતી. તેઓ લોહીના ખાબોચિયામાં પડેલા મળી આવ્યા હતા. એમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં એમને આંતરિક હેમરેજ શરૂ થયું હતું. ડોક્ટરોના અથાગ પ્રયાસો છતાં એમનો જાન બચાવી શકાયો નહોતો.

અખિલ મિશ્રા 58 વર્ષના હતા. એમના પરિવારમાં એમના જર્મન પત્ની સુઝેન બર્નેટ છે. જેઓ પણ એક અભિનેત્રી છે. સુઝેન એક શૂટિંગ માટે હૈદરાબાદમાં હતાં. પતિનાં મૃત્યુના સમાચાર જાણ્યા બાદ તેઓ ભાંગી પડ્યાં હતાં અને કહ્યું, ‘મારું દિલ તૂટી ગયું છે. મારો અડધો હિસ્સો જતો રહ્યો છે.’ અખિલ મિશ્રાના પાર્થિવ શરીરને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ મિશ્રાના મૃત્યુનું ખરું કારણ જાણવા મળશે. મિશ્રાએ ‘ડોન અબ્બા’, ‘ગાંધી: માઈ ફાધર’, ‘ઉત્તરન’, ‘ઉડાન’, ‘શ્રીમાન શ્રીમતી’ જેવી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

સુઝેન અખિલ મિશ્રાની બીજી પત્ની છે. પહેલી પત્ની હતી મંજુ મિશ્રા. 1983માં અખિલ-મંજુએ લગ્ન કર્યાં બાદ 1997માં એમણે છૂટાછેડા લઈ લીધાં હતાં. તે પછી મિશ્રાના જીવનમાં સુઝેન આવી હતી અને 2009માં બંનેએ લગ્ન કર્યા હતા.

મહિલા અનામત બિલની વિરુદ્ધ બે સાસંદોએ મતદાન કેમ કર્યું? જાણો…

નવી દિલ્હીઃ મહિલા અનામત બિલ લોકસભામાં ગઈ કાલે પસાર થયું હતું. આ બિલના પક્ષમાં 454 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં માત્ર બે મત પડ્યા હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બે તૃતીયાંશથી વધુ મતોની સાથે બિલ પાસ થવાની ઘોષણા કરી હતી. જે બે સાંસદોએ બિલનો વિરોધ કર્યો છે, એ બંનેમાં અસદુદ્દીન ઓવેસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમિન (AIMIM)થી છે. એમાં એક તો ઓવૈસી ખુદ છે અને બીજા ઇમ્તિયાઝ જલીલ.

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલના વિરોધનું મુખ્ય કારણ બિલમાં OBC અને મુસ્લિમ મહિલાઓને સામેલ ના કરવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે એની વિરુદ્ધ મતદાન એટલે કર્યું કે દેશને માલૂમ પડે કે સંસદના બે સભ્યો છે, જે ક્વોટામાં OBC અને મુસ્લિમને સામેલ કરવા માટે લડી રહ્યા છે.

તેમણે એ તર્ક સમજાવતાં કહ્યું હતું કે OBC લોકો દેશની વસતિના 50 ટકાથી વધુ છે. આ બિલમાં એ મહિલાઓ માટે જોગવાઈ કરાવવાની છે, જેમના સંસદ અને અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી. એ સરકાર એ સમાજની મહિલાઓને અનામત આપવાથી ઇનકાર કેમ કરી રહી છે, જે દેશની વસતિના 50થી વધુ છે?

તેમણે કહ્યું હતું કે દેશની વસતિમાં મુસ્લિમ મહિલાઓની વસતિ સાત ટકા છે, પરંતુ સંસદ સહિત અમારી રાજ્યની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ માત્ર 0.7 ટકા છે.

 

 

 

 

બે પેઢી વચ્ચેની મજબૂત સીડીઃ પરસ્પર સમજૂતિ

અંગ્રેજીના બે શબ્દ છે, જેનો આપણે અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએઃ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અર્થાત્ પરસ્પર સમજૂતિ. એક પ્રસંગ છેઃ સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર બિપિને અમેરિકાથી આવીને દાદાજીને એટલે વલ્લભભાઈને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. પિતા ડાહ્યાભાઈએ તેને કહ્યું, ‘તું આવાં મિલમાં બનેલાં કપડાં પહેરીને દાદાને મળવા જાય તો એમને કેવું લાગશે? તે તો ખાદીનાં વસ્ત્રના આગ્રહી છે.’ પરંતુ બિપિને એમની વાત ગણકારી નહીં ને એ વલ્લભભાઈ પાસે પહોંચી ગયો. તેનાં કપડાં જોઈને સરદારની સંભાળ રાખતાં તેમનાં પુત્રી અને બિપિનનાં ફઈ મણિબહેન પણ ખિજાયાં- ‘આવાં કપડાં પહેરીને દાદા પાસે જઈશ તો એ તને વઢશે, પણ બિપિને એમની વાત પણ કાને ન ધરી.

સરદારની ચકોર નજરે બિપિનનાં આધુનિક કપડાંની નોંધ લઈ લીધી. હવે બિપિનને જરા બીક લાગી, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે સરદાર આ બાબતે કંઈ જ ન બોલ્યા. મણિબહેને એનાં વિદેશી કપડાં અંગે ટકોર કરી તો સરદારે શાંતિથી કહ્યું, ‘બિપિન હવે નાદાન બાળક નથી કે આપણે એને લખી વાત સમજાવવો પડે. એને શ્રદ્ધા ન હોય તો એ ખાદી ન પહેરે… એમાં વળી શું મોટી વાત છે? શ્રદ્ધા વગર પરાણે ખાદી પહેરવાનો અર્થ નથી.’

દાદાજી પોતાને સમજી શકે છે એ જાણીને બિપિન રાજી થઈ ગયો. તે પછી એણે ખાદી પહેરવી શરૂ કરી કે નહીં એ લખીને વાત લંબાવવાનો અર્થ નથી, પણ મૂળ વાત છે પરસ્પર સમજૂતિ. વાલીઓ ઘણી વાર પોતાના વિચારો સંતાનો ઉપર પરાણે ઠોકી બેસાડવાના પ્રયત્ન કરે છે. સંતાનોની પસંદ-પસંદને, એની સમજૂતિને જાણવા-સમજવાનો પ્રયાસ પણ કરતાં નથી. આથી બન્ને વચ્ચે એક ખાઈ રચાય છે, અંતર વધવા માંડે છે.

એક સમયે સંતાન માતા-પિતાથી જુદું પડતાં હીજરાતું હોય તે સંતાન પછીથી તેમની સાથે વાત કરવામાં પણ નામરજી બતાવવા માંડે, મિત્રો સાથે કલાકો સુધી ગપ્પાં મારે, પણ વાલી સાથે જરૂર પૂરતી પણ વાત નથી કરતું. આમ થવાનું કારણ શું? સંતાનોને એવું લાગે છે કે વાલી અમને સમજતા જ નથી. પરિણામે ખાઈ વધુ ને વધુ ઊંડી થતી જાય છે.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને એક વાર અમદાવાદમાં કેટલાક કિશોરો આવ્યા. તેમાંના એકે કાનમાં બૂટિયાં પહેર્યાં હતાં તેથી તે વરણાગી જેવો દેખાતો હતો. એના વડીલે સ્વામીશ્રીને કહ્યું, ‘જુઓને, આ બૂટિયાં પહેરે છે. કેવો લાગે છે. એણે બૂટિયાં પહેરવાં જોઈએ?’

 

સ્વામીશ્રી કહે, ‘કેમ, એમાં શું વાંધો છે? તમને આ નવું લાગે છે, પણ પહેલાં તો ચરોતરમાં અને બધે પહેરતા હતા.’

સ્વામીશ્રી પોતાના પક્ષમાં હતા એટલે યુવક રાજી થયો. એવામાં પેલા વડીલે ફરી પૂછ્યું, ‘એટલે પહેરી રાખે તો વાંધો નહીંને?’

ત્યારે સ્વામીશ્રી કહે, ‘આપણે પહેરી રાખીએ ને એ મેળવવા ચોર કાન ફાડી નાખે, એવું ઘરેણું શા કામનું?’ એમની વાણીમાં આગ્રહ નહોતો, પણ કેવળ એક સમજણ હતી. આ સાંભળીને પેલા યુવાને તરત જ યરિંગ્ઝ કાઢી નાખ્યાં.

પરસ્પર આદર, પરસ્પર મરજી ન હોય છતાં કંઈ કરાવવું તેમાં ભલીવાર ન આવે. આનો અર્થ એ નહીં કે દરેક વાતે અનુકૂળ થઈ જ જવું. જરૂર પડ્યે સંતાનોને ટોકવાં, પણ તે પહેલાં સંતાનો સાથે સ્નેહતંતુથી જોડાઈ જવું. સ્નેહ એવો હોવો જોઈએ કે સંતાનો પોતાના અવિચારી નિર્ણયો છોડીને તમે  કહો તેમ અનુસરવા તૈયાર થઈ જાય.

-અને આ વાત માત્ર સંતાનો પૂરતી જ સીમિત નથી. બીજાને સમજતા શીખીએ, સ્નેહપૂર્વક સમજાવતા અને અનુકૂળ થતા શીખીએ. બીજાને સમજતાં શીખીશું તો બને કે તમને લોકો સાથે જે સમસ્યા હોય તે આપોઆપ દૂર થઇ જાય. કંઇ કેટલાંય સંબંધાએ આ જ રીતે સચવાઇ જશે અને બગડ્યાં હોય તો સુધરી જશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

લોરેન્સ બિશ્નોઇ ગેન્ગે કેનેડાના સુખાની હત્યા કરી

નવી દિલ્હીઃ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેન્ગે વિનીપેગ સિટીમાં ભારતમાંથી ફરાર ગેન્ગસ્ટર સુખદૂલ  સિંહ ઉર્ફે સુખા દુનુકેની હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઇના એક ફેસબુક પ્રોફાઇલથી પોસ્ટ કરવામાં આવી છે, જેમાં કેનેડામાં થયેલી હત્યાની જવાબદારી લેવામાં આવી છે. એ સાથે એ પોસ્ટમાં અન્ય ગેન્ગસ્ટરોને પણ ધમકી આપવામાં આવી છે કે જ્યાં મરજી હોય ભાગી જાઓ, પણ પાપોની સજા જરૂર મળશે.

આ ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે- હા જી, રામરામ- વિશ્વના બંબિહા ગ્રુપનો ઇનચાર્જ હતો એની હત્યા થઈ છે કેનેડાના વિનિપેગ સિટીમાં. તેની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગ્રુપ લે છે.  એ ડ્રગ એડિક્ટેડ નશાબાજ અને માત્ર નશાને કરવા માટે –પૈસા માટે તેણે બહુ ઘર બર્બાદ કર્યા છે. અમારા ભાઈ ગુરલાલ બરાડ, વિક્કી મિદ્દુખેડાના મર્ડરમાં તેણે બહાર રહીને બધું કર્યું હતું. સંદીપ નંગલની હત્યા પણ તેણે કરાવી હતી, પણ હવે તેને તેનાં પાપોની સજા મળી ગઈ છે. બસ, હવે એક વાત કરવી છે કે જે દુક્કિયાં ટિક્કિયાં હજી રહી ગઈ છે- જ્યાં મરજી થાય, ત્યાં ભાગી જાઓ, વિશ્વમાં કોઈ પણ દેશ ચાલ્યા જાઓ. વિચારો નહીં કે અમારી સાથે દુશ્મની લઈને બચી શકશો. સમય ઓછોવધતો લાગી શકે, પણ સજા બધાને મળશે.

ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (KTF)ના આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે કેનેડામાં A કેટેગરીના ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા કરવામાં આવી છે. તે નકલી પાસપોર્ટ તૈયાર કરીને વર્ષ 2017માં પંજાબથી કેનેડા ભાગી ગયો હતો. ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાનો રાઇટ હેન્ડ હતો.

પ્રાથમિક માહિતી મુજબ સુખા દુન્નાકેને કેનેડાના વિનીપેગમાં ગોળી મારવામાં આવી છે. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. NIAએ તૈયાર કરેલું 41 આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના લિસ્ટમાં તે સામેલ હતો, કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુન્નાકે પર લગભગ 15 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

 

 

 

 

 

 

 

કોરાનાના 47 નવા કેસો, એક પણ જણનું મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,294 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,836 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 53 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 471 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 24,287 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.51 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,70,471 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 175 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

કેનેડિયન PM ટ્રુડોના સંસદસભ્યએ ખાલિસ્તાન માગણીને વખોડી કાઢી

ઓટ્ટાવાઃ શીખ લોકો માટે ભારતથી અલગ ખાલિસ્તાનની કેનેડામાં વસતા કેટલાક શીખ લોકો દ્વારા કરાયેલી માગણીને લીધે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો હાલ તંગ થઈ ગયા છે. આ દરમિયાન, કેનેડાના ભારતીય મૂળના સંસદસભ્ય ચંદ્ર આર્યએ એવો આક્ષેપ કર્યો છે કે આતંકવાદી તત્ત્વો કેનેડામાં વસતા હિન્દૂ-કેનેડિયન લોકો પર હુમલા કરી રહ્યા છે અને એમને ધમકાવી રહ્યા છે કે તેઓ ભારત પાછા જતાં રહે. ચંદ્ર આર્યએ કેનેડામાં વસતાં તમામ હિન્દૂ-કેનેડિયન લોકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવે અને સતર્ક રહે તેમજ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો પોલીસતંત્રને જાણ કરે.

ચંદ્ર આર્ય કેનેડાની લિબરલ પાર્ટીના સંસદસભ્ય છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પણ આ જ પાર્ટીના નેતા છે. ચંદ્ર આર્યએ X (અગાઉના ટ્વિટર) પર વિસ્તારપૂર્વક સંદેશ પોસ્ટ કર્યો છે અને તેની મારફત કેનેડામાં વસતાં હિન્દૂઓને સાવચેત કર્યા છે.