Home Blog Page 2434

મોદી સરકાર મધ્યમવર્ગ માટે લાવી રહી છે જબરદસ્ત યોજના

નવી દિલ્હીઃ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લક્ષમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ધમાકેદાર નિર્ણય લીધો છે. રાંધણગેસ સસ્તો કર્યા બાદ હવે સરકાર શહેરોમાં વસતા મધ્યમવર્ગનાં લોકોને મોટી ભેટ દેવાની તૈયારીમાં છે. સરકાર ટૂંક સમયમાં જ શહેરી ગરીબ અને મધ્યમવર્ગનાં લોકો માટે નવી ગૃહનિર્માણ (હાઉસિંગ) યોજનાની ઘોષણા કરે એવી શક્યતા છે.

દેશ આઝાદ થયો તે પછી મોટા પ્રમાણમાં લોકસંખ્યાનું સ્થળાંતર શહેરો તરફ થતું રહ્યું છે. આનાં મુખ્ય કારણો છે – સારું શિક્ષણ અને રોજગારની તક. પરંતુ હવે સમસ્યા એ છે કે શહેરીકરણ ખૂબ વેગથી થઈ રહ્યું છે. આને કારણે શહેરોમાં જગ્યા અને પ્રોપર્ટીના ભાવ પ્રચંડ ગતિએ વધી ગયા છે. હાઉસિંગ માટે વિવિધ પ્રકારની યોજનાઓ છે, પરંતુ લોન લઈને ઘર ખરીદવાનું અને લોન પરત કરવાનું સામાન્ય લોકો માટે પડકારજનક હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મોદી સરકાર લોનના વ્યાજ પર મોટી સબસિડી આપનારી ખાસ યોજના લાવવાની તૈયારીમાં છે. આ યોજના રૂ. 60,000 કરોડની હશે, એવું ફાઈનાન્શિયલ એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે.

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૧ ઓક્ટોબર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૧ ઓક્ટોબર, ૨૦૨૩

આઇસી15 ઇન્ડેક્સમાં 452 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વિશ્વની ભૂરાજકીય પરિસ્થિતિની અસર તળે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.29 ટકા (452 પોઇન્ટ) ઘટીને 34,652 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,104 ખૂલ્યા બાદ 35,109ની ઉપલી અને 34,253ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ડોઝકોઇન સિવાયના બધા કોઇન ઘટ્યા હતા, જેમાંથી અવાલાંશ, એક્સઆરપી, પોલીગોન અને પોલકાડોટમાં 1થી 4 ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમના અલગ અલગ રાજકીય પક્ષોના સભ્યોએ એનએફટીના સર્જકોનું કોપીરાઇટના ભંગથી રક્ષણ કરવા માટે પગલાં ભરવાનો અનુરોધ કર્યો છે. એમણે એનએફટીના ઉપયોગ સંબંધે આચારસંહિતા ઘડવાની વિનંતી કરી છે. બીજી બાજુ, ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગનું નિયમન કરવા માટે સાયપ્રસ મની લોન્ડરિંગ કાયદામાં ફેરફાર કરી રહ્યું છે. એણે ક્રીપ્ટોકરન્સી સર્વિસ પ્રોવાઇડર્સનું ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

જે. પી. મોર્ગને બ્લેકરોક દ્વારા વપરાતી બ્લોકચેઇન કોલેટરલ સિસ્ટમ – ટોકનાઇઝ્ડ કોલેટરલ નેટવર્કનો ઉપયોગ શરૂ કર્યું છે. આ સિસ્ટમની મદદથી શેરનું ટોકનાઇઝેશન કરવામાં આવશે અને ઓવર ધ કાઉન્ટર ડેરિવેટિવ્ઝ સોદાઓના કોલેટરલ માટે બાર્કલેઝને એ ટ્રાન્સફર કરવામાં આવશે.

અંબાજીના પ્રસાદમાં નકલી ઘી કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી

અંબાજીના પ્રસાદમાં નકલી ઘી કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હવે આરોપીઓ જે સત્ય છે તે સામે લાવશે. તેમાં 2ને જામીન 2ના રિમાન્ડ મંજૂર થયા છે. મોહનથાળ પ્રકરણમાં કાર્યવાહી થતા અંબાજી પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. ત્યારે 2 આરોપીઓને જામીન મળ્યા છે.

અંબાજીમાં મોહનથાળમાં નકલી ઘીની ભેળસેળ મુદ્દે અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 4 લોકોની આ મામલે ધરપકડ કરી કોર્ટમાં હાજર કરાયા હતા. જેમાં 2ને જામીન મળ્યા તો 2ની રિમાન્ડ મંજૂર કરાઈ છે. અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ નકલી ઘીના કેસમાં મોહિની કેટરર્સના 4 લોકો કુલદીપ, સુનીલ, લાલસિંહ અને આલોકની ધરપકડ કરવામાં આવી હતી. સાબર દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને અંબાજી પોલીસે મોહિની કેટરર્સના 4 લોકોની ધરપકડ કરી હતી.

આ તમામ લોકોને લઈને દાંતા કોર્ટમાં તેમને અંબાજી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 2 આરોપી આલોક, લાલસિંહને 10 હજાર બોન્ડ પર જામીન મળી ગયા હતા. જેથી તેઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા અને કુલદીપ અને સુનીલ નામના 2 આરોપીના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેને લઈને કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે આ મામલે અંબાજી મોહનથાળના પ્રસાદ માટેની કામગીરી મોહિની કેટરર્સ પાસેથી લઈ લેવામાં આવી છે. હવે પ્રથમ નોરતેથી આ પ્રસાદની કામગીરી અક્ષયપાત્ર નામની સંસ્થા કરશે. આ બધાની વચ્ચે આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ દુષ્યંત સોની હજુ પણ ફરાર છે.

World Cup : અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો છે. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન શાહિદીએ 80 રનની ઇનિંગ રમી હતી અને ઓમરઝાઇએ 62 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કોઈ પણ બેટ્સમેન મોટી શરૂઆત કરી શક્યો ન હતો. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બર્થડે બોય હાર્દિક પંડ્યાને બે વિકેટ મળી હતી.

 

પાંચ અધ્યાપકોનો ટોચના બે ટકા સાયન્ટિસ્ટની યાદીમાં સમાવેશ

ચાંગા: ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી)ની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા દુનિયાના ટોપ બે ટકા સાયન્ટિસ્ટ્સ-2023ની પ્રકાશિત કરવામાં આવેલી યાદીમાં યુનિવર્સિટીના પાંચ અધ્યાપકોના સમાવેશ કરવામાં આવ્યો છે. ચારુસેટ પરિવાર માટે આ ગૌરવપ્રદ ક્ષણ છે.

ચારુસેટ યુનિવર્સિટીના પાંચ અધ્યાપકોમાં ચારુસેટના સાયન્ટિફિક એડવાઇઝર ડો. દત્તા મદમવાર (PDPIAS), ડો. સી. કે. સુમેશ (PDPIAS), ડો. અર્પણ દેસાઇ (CSPIT), ડો. વી. પ્રકાશ (ARIP-ફિઝિયોથેરાપી) અને ડો. પ્રતીક પાટણિયા (PDPIAS)નો સમાવેશ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક ક્ષેત્રે માતબર પ્રદાન કરવા બદલ અને સમગ્ર શૈક્ષણિક કારકિર્દીમાં તેમના દ્વારા કરવામાં આવેલા રિસર્ચને ધ્યાનમાં રાખીને તેમનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગૌરવ સમાન બાબત એ છે કે બાયોટેક્નોલોજી ક્ષેત્રમાં માતબર પ્રદાન કરવા બદલ ડો. દત્તા મદમવારનો અત્યાર સુધીમાં ચાર વાર આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  ડો. દત્તા મદમવારના અત્યાર સુધીમાં 280 રિસર્ચ પેપર્સ ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયા છે. જ્યારે ડો. અર્પણ દેસાઈએ એન્ટેના ડિઝાઇન ક્ષેત્રમાં કરેલી નોંધપાત્ર કામગીરી બદલ સમાવેશ કરવામાં આવ્યો છે. 

દર વર્ષે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિશ્વના અગ્રણી સાયન્ટિસ્ટ્સની યાદી સંકલિત કરવામાં આવે છે અને એલ્સેવિયર પબ્લfશર દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જેમાં વિશ્વના ટોપ બે ટકા સાયન્ટિસ્ટ્સ હોય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત વિશ્વના ટોચના બે વૈજ્ઞાનિકો- 2023 યાદી, વૈશ્વિક શૈક્ષણિક સમુદાયમાં એક દીવાદાંડી તરીકે કામ કરે છે. પસંદગી પ્રક્રિયામાં પ્રકાશનો, સાઇટેશન, ઇન્ડેક્સ વગેરેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

 

 

 

એશિયન ગેમ્સ-2023માં ગોલ્ડ મેડલ જીતનાર હોકી ખેલાડીઓનું સ્વાગત…

હાલમાં જ ચીનના હાંગ્ઝોઉમાં રમાઈ ગયેલી એશિયન ગેમ્સ-2023ની હોકી રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય પુરુષ ટીમના ખેલાડીઓ 11 ઓક્ટોબર, બુધવારે અમૃતસર આવી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર એમના પરિવારજનો તથા પ્રશંસકોએ ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું.

ભારત-પાકિસ્તાન મેચ પહેલાં ક્રિકેટચાહકોમાં ભારે ઉત્સાહ

અમદાવાદઃ શહેરના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચોની શરૂઆત થઈ ચૂકી છે. આગામી મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે શનિવારે રમાશે. જેની તમામ ક્રિકેટરસિયાઓ રાહ જોઈને બેઠા છે. આ રસપ્રદ, રસાકસીવાળા મુકાબલાને રૂબરૂ માણવા તૈયાર કેટલાક લોકોએ શરીર પર ટેટુ અને પેઇન્ટિંગ કરાવ્યાx છે. અમદાવાદના અતિ ઉત્સાહી અરુણ હરિયાણી અને અનિલે ભારત-પાકિસ્તાનના મુકાબલા પહેલાં બોડી પર ચિતરામણ કર્યું છે.

અરુણ હરિયાણી ચિત્રલેખા.કોમને કહે છે મને મારા રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે ખૂબ જ આદર છે. એ આદરને મેં શ્રીનગરના લાલ ચોકમાં સતત બે વખત જઈને પણ વ્યક્ત કર્યો છે. એ જ રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું ત્યાર પછી તમામ મેચો કાર્યક્રમમાં ભારતની શાન તિરંગાના બોડી પેઇન્ટ સાથે જઈ મારી લાગણી વ્યક્ત કરું છું. મારા મિત્ર અનિલે પણ પાકિસ્તાનના ફ્લેગનું બોડી પર ચિતરામણ કરાવ્યું છે. જે સૌને આવકારવા ઉત્સાહ વધારવા છે બાકી એની તમામ લાગણીઓ ભારત જીતે એ માટેની છે.

અરુણ કહે છે, આ રીતે દેશપ્રેમ વ્યક્ત કરતાં સચિન તેંડુલકર પ્રેમી સુધીરને જોયા પછી મારા જીવનના ઉતાર-ચઢાવ દુઃખો ભૂલી ગયો. ક્રિકેટ અને કેટલાક કાર્યક્રમમાં દેશભક્તિ વ્યક્ત કરવાથી આનંદ મળવા લાગ્યો. મારા શરીર પર ભારતના ફ્લેગનું પર્મનેન્ટ ટેટુ પણ છે.

વર્લ્ડ કપને કારણે ક્રિકેટ ટુર્નામેન્ટ વેળાએ ક્રિકેટ, ક્રિકેટરોના ચાહકો મેદાનમાં અને બહાર અવનવી રીતે આકર્ષણનું કેન્દ્ર બનવા પ્રયાસ કરે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

રાજસ્થાન ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો

ચૂંટણી પંચે રાજસ્થાન ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ મતદાનની તારીખ 23મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 25મી નવેમ્બરે મતદાન થશે. તારીખ બદલવા માટે વિવિધ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી. કારણ કે દેવ ઉથની એકાદશી 23 તારીખે છે અને તેથી તે દિવસે મોટી સંખ્યામાં લગ્નો થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે સોમવારે રાજસ્થાનની સાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. પાંચ રાજ્યોમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે મતદાન થવાનું છે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજસ્થાનમાં અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનોએ 23 નવેમ્બર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 23મી નવેમ્બરે ઘણા લગ્ન છે, તેથી તેમને મતદાનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, “વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને મીડિયા પ્લેટફોર્મ તરફથી મતદાનની તારીખમાં ફેરફાર અંગે માંગણીઓ કરવામાં આવી રહી હતી. તેમણે કહ્યું કે મતદાનના દિવસે મોટા પાયે લગ્ન થાય છે. આનાથી મોટી સંખ્યામાં લોકોને અસુવિધા થઈ શકે છે. લોજિસ્ટિક્સ પ્રભાવિત થઈ શકે છે. આનાથી મતદાન દરમિયાન મતદારોની ભાગીદારી ઘટી શકે છે.

વાઇબ્રન્ટ ગુજરાતઃ ઉદ્યોગ સંચાલકો સાથે CMની વન-ટુ-વન બેઠક

અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત શિખર સમિટ 10થી 12 જાન્યુઆરી મહાત્મા મંદિરમાં યોજાવાની છે. એ આયોજન રોકાણકારોને ગુજરાત સાથે જોડાવા અને વિકાસ અને સમૃદ્ધિ માટે એક સોનેરી તક છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ નિમિત્તે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી.

આ સમિટમાં તેમણે L&Tના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યન, ભારત અને દક્ષિણ એશિયા P&Gના એમડી  એલ.વી. વૈદ્યનાથન, UPLના ચેરમેન અને ગ્રુપ CEO  જય શ્રોફ, ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન, કોટક મહિન્દ્રા બેંક MD અને CEO દીપક ગુપ્તા, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ગ્રુપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી, કેમટ્રોલ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિ.ના ચેરમેન અને MD નંદકુમાર, આદિત્ય બિરલા ગ્રુપ ચેરમેન કુમારમંગલમ બિરલા, ITC લિમિટેડના ચેરમેન અને MD સંજીવ પુરી, બેન્ક ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ કાકુ નખાતે સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. મુખ્ય મંત્રીશ્રી આ બધા ઉદ્યોગપતિઓને વાઇબ્રન્ટ ૨૦૨૪માં જોડાવા આમંત્રણ આપ્યું હતું.

આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કંપનીએ હઝીરામાં આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ આધારિત ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ કર્યું છે અને આ માટે રૂ. 1000 કરોડનું રોકાણ કર્યું છે તેની ભૂમિકા આપી હતી. કંપની રૂ. 7000 કરોડના મૂડીરોકાણથી વડોદરામાં IT અને IT- સક્ષમ સેવાઓ (ITeS) પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્ય મંત્રીએ P&Gના એમડી એલ.વી. વૈદ્યનાથન સાથે વન-ટુ-વન મુલાકાત બેઠક કરી હતી. કંપનીનો ૨૦૧૫થી અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત છે તેની પણ ચર્ચા તેમણે કરી હતી. મુખ્ય મંત્રીએ UPLના ચેરમેન જય શ્રોફ સાથે બેઠક યોજી હતી., તેમણે ગુજરાતમાં એક ગ્રાઉન્ડબ્રેકિંગ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પણ સ્થાપ્યો છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્ય મંત્રીએ ટાટા એન્ડ સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. ટાટા ગ્રુપે સાણંદમાં રૂ.૧૩,૦૦૦ કરોડના ખર્ચે EV બેટરી પ્લાન્ટનું નિર્માણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મુખ્ય મંત્રીએ તાજેતરમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ નીતિ અંગે તેમને માહિતગાર કર્યાં હતા.

મુખ્ય મંત્રીએ કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO  દીપક ગુપ્તા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુપ્તાએ કોટક મહિન્દ્રા બેંકે ગિફ્ટ સિટીમાં શરૂ કરેલા તેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર સ્થાપના બેંકિંગ યુનિટ (IBU)ની વિગતો આપી હતી.

મુખ્ય મંત્રીએ વન-ટુ-વન બેઠક અંતર્ગત ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ગ્રુપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી સાથે બેઠક યોજી હતી. સ્વામીએ દહેજમાં એકમમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારાના રૂ. ૩૦૦ કરોડ રૂપિયાના રોકાણ અંગે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્ય મંત્રીએ બેંક ઓફ અમેરિકાના કન્ટ્રી હેડ અને પ્રેસિડેન્ટ સુશ્રી કાકુ નખાતે કર્ટેન રેઇઝર ઇવેન્ટ પૂર્વે વન-ટુ-વન બેઠક યોજી હતી.

તેમને ગિફ્ટ સિટી ગાંધીનગરમાં બેંક ઓફ અમેરિકાનું ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર સફળતાપૂર્વક કાર્યરત છે તેની વિગતો આપવા સાથે રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪ના સંદર્ભમાં ગિફ્ટ સિટીમાં ૧૦મી જાન્યુઆરીએ યોજાનારી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં અને વાયબ્રન્ટના મુખ્ય ઇવેન્ટ સાથે યોજાઈ રહેલી ટેકેડમાં પણ જોડાવા આમંત્રણ આપ્યું હતું. મુખ્ય મંત્રીએ બેંક ઓફ અમેરિકાને ગુજરાતમાં તેના આગામી રોકાણો અન્વયે ઓપરેશન્સમાં રાજ્ય સરકાર યોગ્ય મદદ રૂપ થશે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાને રિલાયન્સ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. તેમની સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તથા ઔદ્યોગિક મૂડીરોકાણ અંગે તેમ જ ગુજરાતમાં ફ્યુચર-રેડી મેગા પ્રોજેક્ટ્સમાં સહભાગિતાનું ફલક વ્યાપક બનાવવા અંગે ફળદાયી ચર્ચા કરી હતી.

મુખ્ય મંત્રીએ વન-ટુ-વન બેઠકોની શૃંખલામાં ITC લિમિટેડના ચેરમેન અને MD સંજીવ પુરીએ મુલાકાત બેઠક યોજી હતી. ગ્રુપ હોટેલ્સ, પેકેજિંગ, એગ્રી બિઝનેસ જેવાં ક્ષેત્રોમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારી રહ્યું છે તે અંગે પુરીએ તેમને માહિતગાર કર્યા હતા.

મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવો  પંકજ જોશી, એસ. જે. હૈદર, જે. પી. ગુપ્તા અને ગિફ્ટના MD તપન રે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.