અંબાજીના પ્રસાદમાં નકલી ઘી કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી

અંબાજીના પ્રસાદમાં નકલી ઘી કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હવે આરોપીઓ જે સત્ય છે તે સામે લાવશે. તેમાં 2ને જામીન 2ના રિમાન્ડ મંજૂર થયા છે. મોહનથાળ પ્રકરણમાં કાર્યવાહી થતા અંબાજી પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. ત્યારે 2 આરોપીઓને જામીન મળ્યા છે.

અંબાજીમાં મોહનથાળમાં નકલી ઘીની ભેળસેળ મુદ્દે અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 4 લોકોની આ મામલે ધરપકડ કરી કોર્ટમાં હાજર કરાયા હતા. જેમાં 2ને જામીન મળ્યા તો 2ની રિમાન્ડ મંજૂર કરાઈ છે. અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ નકલી ઘીના કેસમાં મોહિની કેટરર્સના 4 લોકો કુલદીપ, સુનીલ, લાલસિંહ અને આલોકની ધરપકડ કરવામાં આવી હતી. સાબર દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને અંબાજી પોલીસે મોહિની કેટરર્સના 4 લોકોની ધરપકડ કરી હતી.

આ તમામ લોકોને લઈને દાંતા કોર્ટમાં તેમને અંબાજી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 2 આરોપી આલોક, લાલસિંહને 10 હજાર બોન્ડ પર જામીન મળી ગયા હતા. જેથી તેઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા અને કુલદીપ અને સુનીલ નામના 2 આરોપીના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેને લઈને કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે આ મામલે અંબાજી મોહનથાળના પ્રસાદ માટેની કામગીરી મોહિની કેટરર્સ પાસેથી લઈ લેવામાં આવી છે. હવે પ્રથમ નોરતેથી આ પ્રસાદની કામગીરી અક્ષયપાત્ર નામની સંસ્થા કરશે. આ બધાની વચ્ચે આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ દુષ્યંત સોની હજુ પણ ફરાર છે.