Home Blog Page 113

અદાણી પબ્લિક સ્કૂલ, મુંદ્રાના ૨૫ વર્ષ પૂર્ણ: ડૉ. પ્રીતિ અદાણીએ ઉજવણી કરી

મુંદ્રા: કચ્છના શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપતી અદાણી પબ્લિક સ્કૂલ (APS)એ પોતાના ગૌરવશાળી ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. આ રજત જયંતી નિમિત્તે શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. શાળામાં ભવ્ય અને ભાવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણી દ્વારા કચ્છના અત્યાધુનિક ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઑડિટોરિયમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.

ભવિષ્યના સપનાઓને સાકાર કરતી સંસ્થા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ સિદ્ધિ પર અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, “આ ૨૫ વર્ષ માત્ર એક સંસ્થાની સફર નથી, પરંતુ તે સેંકડો સપનાઓને પોષવાની અને ભવિષ્યને આકાર આપવાની સફર છે. મને આશા છે કે અહીંનો દરેક વિદ્યાર્થી મર્યાદા વગર સપના જોવાનો આત્મવિશ્વાસ અને મુશ્કેલીઓ સામે લડવાની ક્ષમતા કેળવીને બહાર આવશે.”ડૉ. પ્રીતિ અદાણીએ ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, “૨૫ વર્ષ પહેલાં કચ્છના દરિયાકાંઠે એક વિચાર બીજ રોપાયું હતું. દરેક બાળકને વિશ્વ કક્ષાનું શિક્ષણ મળવું જોઈએ. ૨૦૦૧ના ભૂકંપ બાદ આ પ્રોજેક્ટને વધુ ઝડપી બનાવવામાં આવ્યો હતો. જેથી શિક્ષણ દ્વારા સમુદાયમાં આશા અને સ્થિરતા લાવી શકાય.”

આધુનિક સુવિધાઓનું લોકાર્પણ

રજત જયંતીની ઉજવણીના ભાગરૂપે શાળામાં કેટલીક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે:

  • અત્યાધુનિક ઑડિટોરિયમ: ૫૫૮ લોકોની બેઠક ક્ષમતા ધરાવતું આ ઑડિટોરિયમ કચ્છના સૌથી મોટા ઓડિટોરિયમમાંનું એક છે.
  • ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને પિકલબોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
  • STEM અને રોબોટિક્સ: પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમ રજૂ કરવામાં આવ્યો હતો.

૨૩૩ થી ૨૩૦૦ વિદ્યાર્થીઓની સફર

માત્ર ૨૩૩ વિદ્યાર્થીઓ અને ૨૭ શિક્ષકોથી શરૂ થયેલી આ શાળા આજે ૨,૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૦૦થી વધુ શિક્ષકો સાથે વટવૃક્ષ બની ગઈ છે. કાર્યક્રમ દરમિયાન શાળાની સફર દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ અને ‘કોફી ટેબલ બુક’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

ફ્યુઅલ માટે ગભરાટઃ દેશના આ રાજ્યમાં 421 પેટ્રોલ પમ્પ બંધ

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં રાજ્યના જિલ્લા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. અનેક જગ્યાએ લોકો અચાનક મોટી માત્રામાં ફ્યુઅલની ખરીદી કરી રહ્યા છે  અને આ પરિસ્થિતિને તરત રોકવા માટે મુખ્ય મંત્રી સૂચના આપી છે. અચાનક વધેલી ખરીદીને કારણે રવિવારે 400થી વધુ ફ્યુઅલ આઉટલેટ્સને તાત્કાલિક રીતે બંધ કરવા પડ્યા હતા.

સરકારે આ મામલાને ગંભીરતાથી લેતાં જિલ્લા કલેક્ટરોને તરત જ એક્શન પ્લાન અમલમાં મૂકવા કહ્યું છે. એ સાથે જ દિવસના અંત સુધીમાં અહેવાલ સોંપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે, જેથી પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવી શકે અને કોઈ પણ પ્રકારની અફવા કે ગભરાટથી લોકોને મુશ્કેલી ન પડે.

CMએ ફ્યુઅલ સપ્લાય અને વપરાશ અંગે ટેલિકોન્ફરન્સ કરી

મુખ્ય મંત્રીએ મુખ્ય સચિવ જી. સાંઇ પ્રસાદે અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ટેલિકોન્ફરન્સ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના કુલ 4510 ફ્યુઅલ આઉટલેટ્સમાંથી આશરે 421 હાલમાં બંધ છે.

શનિવારે ડીલરોને 10,345 કિલોલીટર પેટ્રોલ અને 14,156 કિલોલીટર ડીઝલની સપ્લાય આપવામાં આવી હતી. છતાં લોકોમાં ફેલાયેલી ચિંતાને કારણે અનેક જગ્યાએ અચાનક ભીડ એકઠી થઈ અને વધારે ખરીદી જોવા મળી હતી.

સામાન્ય દિવસોથી વપરાશ વધી ગયો

સામાન્ય દિવસોમાં રાજ્યમાં પેટ્રોલનો સરેરાશ વપરાશ લગભગ 6330 કિલોલીટર અને ડીઝલનો 9048 કિલોલીટર રહે છે. પરંતુ હવે તે વધીને પેટ્રોલ 8489 કિલોલીટર અને ડીઝલ 10,556 કિલોલીટર સુધી પહોંચી ગયો છે, જેને કારણે કેટલાક પંપો પર પેટ્રોલ-ડીઝલ ખૂટી ગયું હતું.

અચાનક વધેલી માગથી સપ્લાય પર દબાણ

અધિકારીઓએ જણાવ્યું કે ફ્યુઅલની અચાનક વધેલી ખરીદીને કારણે ઘણા પેટ્રોલ પંપો પર સ્ટોક ઝડપથી ખતમ થવા લાગ્યો. સપ્લાય વધારવા છતાં લોકો ગભરાટમાં ખરીદી કરતા હોવાથી પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. એ ઉપરાંત લોકો ડ્રમમાં મોટી માત્રામાં ઈંધણ ખરીદી રહ્યા છે, જેને કારણે દબાણ વધુ વધી રહ્યું છે.

ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોનો નવો અધ્યાય: અમેરિકી એરફોર્સ જનરલ ભારત મુલાકાતે

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત થઈ છે. યુએસ પેસિફિક એરફોર્સના કમાન્ડર જનરલ કેવિન સ્નેડરે ભારતની મુલાકાત લીધી. ૧૯ થી ૨૫ એપ્રિલ દરમિયાન તેઓ ભારતમાં હતા. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષિત અને સ્થિર ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે બંને દેશોના સહિયારા વિઝનને આગળ ધપાવવાનો હતો.

સંરક્ષણ નેતૃત્વ સાથે મહત્વની બેઠકો

મુલાકાત દરમિયાન, જનરલ સ્નેડરે ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ અને ભારતીય સંરક્ષણ નેતૃત્વ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ બેઠકોમાં વર્ષો જૂના સૈન્ય સંબંધોને વધુ ગાઢ બનાવવા અને ઓપરેશનલ સહયોગ (operational collaboration) વધારવાની તકો પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ હવે માત્ર જમીન કે આકાશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે દરિયાઈ, અવકાશ અને સાયબર ડોમેન સુધી પણ વિસ્તરી રહ્યો છે.

લોજિસ્ટિક્સ અને ઇન્ટરઓપરેબિલિટી પર ધ્યાન

મુલાકાતનું એક મહત્વનું પાસું બંને દેશો વચ્ચે લોજિસ્ટિક્સ સહયોગને પ્રોત્સાહન આપવાનું હતું. મજબૂત લોજિસ્ટિક્સ ફ્રેમવર્ક દ્વારા બંને દેશો માનવતાવાદી કટોકટી કે પ્રાદેશિક જરૂરિયાતો સમયે વધુ ઝડપથી અને સંકલિત રીતે પ્રતિસાદ આપી શકશે. જનરલ સ્નેડરે વિવિધ ઓપરેશનલ અને ટ્રેનિંગ ફેસિલિટીઝની પણ મુલાકાત લીધી હતી. જે ભારત અને અમેરિકન દળો વચ્ચે વધતા જતા વિશ્વાસ અને એકીકરણને દર્શાવે છે.

શાંતિ અને સુરક્ષા માટે મજબૂત ભાગીદારી

અમેરિકા ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર માને છે. સંયુક્ત સૈન્ય અભ્યાસ અને ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન દ્વારા બંને દેશો આવનારા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે પોતાની ક્ષમતાઓને આધુનિક બનાવી રહ્યા છે.

સ્કૂલ ચાલો અભિયાનને આંચકોઃ 41,823 સ્કૂલોમાં ન થયું એક પણ એડમિશન

લખનૌઃ ઉત્તર પ્રદેશના સરકારી શાળાઓમાં પહેલી એપ્રિલથી 15 એપ્રિલ સુધી “સ્કૂલ ચાલો અભિયાન” ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ રાજ્યની 1.33 લાખ બેઝિકક શાળાઓમાં વધુમાં વધુ નવા પ્રવેશ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. અભિયાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હાલ પણ શાળાઓમાં પ્રવેશપ્રક્રિયા ચાલુ છે, તેમ છતાં રાજ્યનાં યુવા માતા-પિતા સુવિધાઓને અભાવે સરકારી શાળાઓમાં બાળકોનો પ્રવેશ કરાવવાનું ટાળી રહ્યાં છે. તેને કારણે રાજ્યની 41,823 બેઝિક શાળાઓમાં એક પણ નવો પ્રવેશ થયો નથી.

સરકારી આંકડા મુજબ ધોરણ એકમાં શૂન્ય પ્રવેશ ધરાવતી શાળાઓની સંખ્યા 25,595 છે, જ્યારે ધોરણ છમાં કોઈ નવો પ્રવેશ ન થયેલી શાળાઓની સંખ્યા 16,228 છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યની 1.33 લાખ બેઝિક શાળાઓમાંથી લગભગ એક તૃતીયાંશ શાળાઓમાં અત્યાર સુધી નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો નથી.

આ જિલ્લાઓમાં નવા પ્રવેશ નથી થયા

યુપીના જે જિલ્લાઓની સરકારી શાળાઓમાં એક પણ નવા બાળકનો પ્રવેશ થયો નથી, તેમાં લખનૌની પણ 800 શાળાઓ સામેલ છે. તેવી જ રીતે આગ્રામાં 1136 શાળાઓમાં ધોરણ એકમાં કોઈ નવો પ્રવેશ થયો નથી. આગ્રામાં જ ધોરણ છમાં શૂન્ય પ્રવેશ ધરાવતી 507 શાળાઓ મળી આવી છે. પ્રયાગરાજમાં કુલ 2853 સરકારી બેઝિક શાળાઓ છે, જ્યાં ધોરણ એકમાં શૂન્ય પ્રવેશ ધરાવતી 172 અને ધોરણ છમાં 213 શાળાઓ મળી આવી છે. તેવી જ રીતે આંબેડકરનગરમાં ધોરણ એકમાં 255 અને ધોરણ 6માં 208 શાળાઓમાં પ્રવેશ થયો નથી. અમેઠીમાં ધોરણ એકમાં 152 અને ધોરણ છમાં 82 શાળાઓમાં શૂન્ય પ્રવેશ નોંધાયો છે.

આ જ રીતે અમરોહામાં 395 અને 242, આઝમગઢમાં 940 અને 615, બહેરાઈચમાં 945 અને 361 શાળાઓમાં પ્રવેશ થયો નથી. આ આંકડાઓ સામે આવતાં ઉત્તર પ્રદેશમાં શિક્ષણ સુધારણા અંગે કરાયેલા દાવાઓ પર સવાલો ઊભા થયા છે.

 મંત્રી સંદીપ સિંહનો દાવો

શિક્ષણ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) સંદીપ સિંહે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે 41,000થી વધુ શાળાઓમાં “સ્કૂલ ચાલો અભિયાન” દરમિયાન એક પણ નવા બાળકનો પ્રવેશ ન થવો શરમની બાબત છે, જ્યારે શિક્ષણ વિભાગમાં રાજ્યથી લઈને જિલ્લાઓ સુધી યોગ્ય અધિકારીઓ નિયુક્ત છે.

ગણપત યુનિવર્સિટી દ્વારા એક દિવસીય HR કોન્કલેવનું આયોજન

ગાંધીનગર: ગણપત યુનિવર્સિટીએ 25 એપ્રિલ, 2026ના રોજ ગિફ્ટ સિટી ક્લબ ખાતે એક દિવસીય એચ.આર. સંમેલન, “CHRO Conclave-2026″નું આયોજન કર્યું હતું.AI ટેકનોલોજી સમય સાથે સતત પરિવર્તન પામી રહી છે. તેવા સમયમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના ભાવિ પ્લાનિંગ સંદર્ભે સંપૂર્ણ વિચાર-વિમર્શ કરવાના ઉદ્દેશ સાથે આ આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ,  શિક્ષણ શાસ્ત્રીઓ, એચઆર લીડર્સ અને પ્રોફેશનલ્સ સૌએ એક મંચ ઉપર ભેગા થઈ નક્કર વિચારણા કરવાનું પસંદ કર્યું હતું. માનવતાવાદી અભિગમ ધરાવતી વ્યાપારિક સંસ્થાઓ – કંપનીઓ વચ્ચે સંવાદિતા સધાય તે એક હેતુ હતો. સાથે જ બધાં વચ્ચે એક સેતુ રચાય તે પણ આ કોન્કલેવનો ઉદ્દેશ્ય હતો. ભવિષ્યમાં પ્રતિભાશાળી માનવ સંસાધનોના વ્યવસ્થાપનમાં વધુ કાર્યક્ષમ નીતિ ઘડી શકાય તે આ કોનક્લેવનો એક મહત્વનો આશય હતો.ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ કોન્કલેવ માટે ખાસ અમેરિકાથી ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખીય સંબોધન દ્વારા તેમણે શુભકામનાઓ પાઠવી હતી. ટેકનોલોજીના વિનિયોગ સાથે થતાં એચ.આર.મેનેજમેન્ટમાં પણ માનવતાવાદી અભિગમની જરૂરિયાત ઉપર તેમણે ભાર મૂક્યો હતો.ગણપત યુનિવર્સિટીના જોઈન્ટ પ્રેસિડેન્ટ અને ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રો. ડો. મહેન્દ્ર જણાવ્યું હતું કે, કૌશલ્ય આધારિત અને ઉદ્યોગ અભિમુખ શિક્ષણની અનિવાર્યતા આજના સમયમાં જરૂરી છે. જેના દ્વારા ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચે એક મજબૂત સેતુ રચાશે.વિદ્યાર્થીઓને હવે આપણે “ફ્યુચર-રેડી કોમ્પિટન્સીસ” સાથે તૈયાર કરવા પડશે. જેથી તેઓ AI જેવી ટેકનોલોજી અને અન્ય વૈશ્વિક પડકારોનો યોગ્ય રીતે સામનો કરી શકે.આ કોનક્લેવમાં વજ્ર ફાઉન્ડેશનના સ્થાપક રૂઝાન ખંભાતા, જીઆઇડીસી સાણંદના પ્રેસિડેન્ટ અજિત શાહ,  ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કીલના એડવાઈઝર શ્રીનિવાસ, અદાણી ગ્રુપના મનોજ શર્મા, એસોચેમના ચિંતન ઠાકર, નાબાર્ડના નિધિ શર્મા,  રામકૃષ્ણ એક્સપોર્ટ્સના ડો. નિરવ મંદિર, તિરૂપતિ ઓઇલના પ્રિયાંશી પટેલ, મારીની ફયાતના સંજીવ કુમાર, પી.ડબલ્યુ.સી.ના સીએ સુરેશ સ્વામી, એપોલો ટાયરના રાજેશ સિંઘ, જીએસપી ક્રોપ સાયન્સના વિજયેન્દ્ર પુરોહિત, એપી મોલ્લરના ભૂષણ મલકાની, દિશમાન કાર્બોજેનના નિલેશ દેશમુખ, મેડિ ફાર્માના મનોજ ભટ્ટ, ક્વોન્ટમ કોમ્યુનિકેશનના રવિન્દ્ર બારલિંગય, ઓ.એન.જ઼ી.સી.ના પ્રદીપ સાને અને અરવિંદ એડવાન્સ મટીરીયલ્સના નિશિગંધા કુલકર્ણી સહિત અનેક નિષ્ણાતો, એચ.આર. પ્રોફેશનલ્સ તેમજ કેળવણીકારોએ ઉપસ્થિત રહી પોતાના વિચારો અને સૂચનો દ્વારા મૂલ્યવાન પ્રદાન કર્યું હતું.

ગણપત યુનિવર્સિટી દ્વારા સંપાદિત થયેલા AI વિશેના એક પુસ્તક ઉપરાંત એચ.આર.વિષે બે પુસ્તિકાઓનું તેમજ ઇન્ડસ્ટ્રી એલાઇન્ડ પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સના એક માહિતીસભર બ્રોશરનું પણ મહેમાન મહાનુભાવોના હસ્તે વિમોચન થયું હતું. વિવિધ કંપનીઓ અને સંસ્થાઓ સાથે વિદ્યાર્થીઓના લાભાર્થે ત્રણ જેટલા એમ.ઓ.યુ. પણ યુનિવર્સિટી દ્વારા સાઇન થયા હતા.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સાબરમતી નદી પર પુલનું કામ પૂરજોશમાં

અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર ૧૨ માળની ઇમારત (આશરે ૧૧૮ ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવતા ૩૬ મીટર ઊંચા પુલનું બાંધકામ સતત આગળ વધી રહ્યું છે. આ 480 મીટર લાંબો પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ–દિલ્હી મુખ્ય લાઇનની બાજુમાં બનાવવામાં આવી રહ્યો છે. વ્યૂહાત્મક રીતે સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે આવેલો આ પુલ, સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 1 કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 4 કિમી દૂર આવેલો છે.પુલના તમામ આઠ (08) વર્તુળાકાર પિયર્સ, જેમનો વ્યાસ 6 થી 6.5 મીટર છે, પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમાંના ચાર (04) નદીના પટમાં, બે (02) નદીના કિનારાઓ પર (એક-એક બન્ને બાજુએ) અને બે (02) નદીના કિનારાથી બહાર સ્થિત છે. પિયર્સની ઊંચાઈ 31 થી 34 મીટર વચ્ચે છે. નદીના પાણીના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ રહે તે માટે પિયર્સનું વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે.આ પુલ 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનથી બનેલો છે, જેમાં દરેક સ્પાનનું નિર્માણ 23 સેગમેન્ટ દ્વારા સાઇટ પર જ (ઇન-સિટુ) કરવામાં આવી રહ્યું છે. તેનું નિર્માણ બેલેન્સ્ડ કેન્ટિલીવર પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે. જે ઊંડા પાણી અને નદીઓ પર લાંબા સ્પાનવાળા પુલો માટે વિશેષ તકનીક છે. આ પદ્ધતિમાં પુલની નીચે સ્કેફોલ્ડિંગ લગાવ્યા વિના, દરેક પિયર પરથી બન્ને બાજુ સંતુલન જાળવી સેગમેન્ટને ક્રમશઃ જોડીને (પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા) સ્પાન તૈયાર કરવામાં આવે છે. આ રીતે સતત અને મજબૂત બ્રિજ ડેક તૈયાર થાય છે.પુલના નિર્માણ કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં પાયો અને સબસ્ટ્રક્ચર સંબંધિત તમામ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. 76 મીટરના ત્રણ સ્પાન પૂર્ણ થઈ ગયા છે, જ્યારે સુપરસ્ટ્રક્ચર સંબંધિત કામગીરી, જેમ કે પિયર હેડ નિર્માણ અને સેગમેન્ટ કાસ્ટિંગ, હાલમાં પ્રગતિ પર છે.નિર્માણ દરમિયાન નદીના પાણીનો પ્રવાહ અવિરત રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તાત્કાલિક એમ્બેન્કમેન્ટમાં હ્યુમ પાઇપ કલ્વર્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે અને સાથે જ કુદરતી ડ્રેનેજ ચેનલ જાળવી રાખવામાં આવી છે, જેથી પાણીનો સતત અને મુક્ત પ્રવાહ સુનિશ્ચિત થાય. આ પગલાંઓ ખાતરી આપે છે કે નિર્માણ પ્રવૃત્તિઓ છતાં નદીનો પ્રવાહ સતત અને અસરરહિત રહે છે.

રાઘવ ચઢ્ઢા સહિત આપના સાત સાંસદોના ભાજપપ્રવેશને રાજ્યસભામાં માન્યતા

નવી દિલ્હીઃ રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને આમ આદમી પાર્ટીના સાત સાંસદોના ભાજપમાં વિલયને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ ઉચ્ચ સદનમાં AAPની શક્તિમાં ભારે ઘટાડો થયો છે. પહેલાં રાજ્યસભામાં AAPના 10 સાંસદ હતા, પરંતુ હવે આ સંખ્યા ઘટીને માત્ર ત્રણ રહી ગઈ છે. બીજી તરફ ભાજપને આ રાજકીય ઘટનાક્રમથી સીધો લાભ થયો છે. તેની સંખ્યા 106થી વધી 113 થઈ ગઈ છે, જેને કારણે સદનમાં તેની સ્થિતિ વધુ મજબૂત બની છે.

શુક્રવારે AAP છોડીને BJPમાં જોડાયેલા સાંસદોમાં રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, અશોક કુમાર મિત્તલ, સંદીપ પાઠક, હરભજન સિંહ, રાજિંદર ગુપ્તા અને વિક્રમજિત સિંહ સાહનીનો સમાવેશ થાય છે. આ તમામના જોડાતાં રાજ્યસભામાં ભાજપનો પ્રભાવ વધ્યો છે. રાજ્યસભાની વેબસાઇટ પર હવે આ સાતેય સાંસદો ભાજપ સભ્યોની યાદીમાં દર્શાવવામાં આવ્યા છે.હવે રાજ્યસભામાં AAPના જે ત્રણ સાંસદ બાકી રહ્યા છે તેમાં પક્ષના નેતા સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સંત બલબીર સિંહનો સમાવેશ થાય છે. આ વિલય બાદ જ્યાં AAPની ભૂમિકા નબળી પડી છે, ત્યાં ભાજપ હવે વધુ મજબૂતી સાથે સદનમાં પોતાની વ્યૂહરચના આગળ વધારી શકશે. શુક્રવારે સાતેય સાંસદોએ રાજ્યસભાના સભાપતિને પત્ર લખીને વિલય બાદ તેમને ભાજપ સાંસદ તરીકે માન્યતા આપવા વિનંતી કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ રવિવારે રાજ્યસભાના સભાપતિને પત્ર લખીને પક્ષ છોડનાર સાતેય સાંસદોની સભ્યતા ખતમ કરવાની માગ કરી હતી. AAPના સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે તેમણે સભાપતિ રાધાકૃષ્ણનને પત્ર આપીને તાજેતરમાં પક્ષ છોડીને BJPમાં વિલય જાહેર કરનાર સાત સાંસદોને અયોગ્ય ઠરાવવાની માગ કરી છે.ગયા શુક્રવારે AAPને મોટો આંચકો ત્યારે લાગ્યો હતો, જ્યારે સાત રાજ્યસભા સભ્યોએ પક્ષ છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી પોતાના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ નૈતિક ધોરણોથી ભટકી ગઈ છે.

બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર 1448 ઉમેદવારો મેદાનમાં

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના બીજા તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કામાં 142 બેઠકો પર મતદાન થવાનું છે. આ આખો વિસ્તાર મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં 142માંથી 123 બેઠકો પર TMCએ જીત મેળવી હતી, જ્યારે ભાજપને માત્ર 18 બેઠકો મળી હતી. એક બેઠક પર અન્ય ઉમેદવાર જીત્યો હતો. તેથી બીજા તબક્કાની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને તે નક્કી કરશે કે બંગાળમાં કોની સત્તા આવશે. બીજા તબક્કામાં પ્રેસિડન્સી ડિવિઝનની બેઠકો પણ સામેલ છે, જ્યાં TMCનું પ્રભુત્વ રહ્યું છે.

 1448 ઉમેદવારોની કિસ્મત દાવ પર

પશ્ચિમ બંગાળના બીજા તબક્કામાં 142 બેઠકો પર કુલ 1448 ઉમેદવારો મેદાનમાં છે. TMC અને કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે ભાજપે એક બેઠક છોડીને 141 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. બીજા તબક્કામાં સાઉથ 24 પરગણા, નોર્થ 24 પરગણા, હાવડા, નદિયા, પૂર્વ મિદનાપુર, પશ્ચિમ મિદનાપુર, પૂર્વ બર્ધમાન અને પશ્ચિમ બર્ધમાન જિલ્લાઓની બેઠકો પર મતદાન થવાનું છે.

 સરહદી વિસ્તારોમાં પણ મતદાન

બીજા તબક્કામાં નોર્થ 24 પરગણાના બોંગાં, બગદા, બશીરહાટ, સ્વરૂપનગર અને સાઉથ 24 પરગણાના હિંગલગંજ તથા સંદેશખાલી જેવી બેઠકો બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલી છે. ગયા વખતે ભાજપ અહીં એક પણ બેઠક જીતી શક્યું નહોતું, પરંતુ ત્યારબાદ ભાજપે આ વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સતત કાર્યક્રમો કર્યા છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંદેશખાલી ખૂબ ચર્ચામાં રહ્યું હતું.

ભવાનીપુરમાં સામસામે સુવેંદુ-મમતાબીજા તબક્કામાં ભવાનીપુર બેઠક પર પણ મતદાન થવાનું છે, જ્યાં સુવેંદુ અધિકારી અને મુખ્ય મંત્રી મમતા બેનર્જી આમને સામને છે. ભવાનીપુર મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. સુવેંદુ અધિકારી પહેલી વાર ભવાનીપુરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. 2021માં અહીં TMCએ મોટી જીત મેળવી હતી. જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી વચ્ચે મતનું અંતર આશરે 8000નું હતું અને TMCને લીડ મળી હતી. તેથી ભવાનીપુર બેઠક ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં સુવેંદુ અધિકારીએ નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા.

જસ્ટિસ સ્વર્ણકાંતાથી ન્યાયની આશા હવે ખતમઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હવે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચ સમક્ષ હાજર નહીં થાય. તેમણે સોમવારે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ દિલ્હી દારૂ નીતિ કેસમાં CBIની અપીલ અરજી પર તેમના સમક્ષ વ્યક્તિગત રીતે કે વકીલ મારફતે હાજર નહીં રહે. જોકે પત્રમાં તેમણે એ પણ લખ્યું હતું કે બેન્ચ તરફથી જે પણ નિર્ણય આવશે, તે તેઓ સ્વીકારશે.

આ પત્રમાં તેમણે લખ્યું હતું કે મને જસ્ટિસ સ્વર્ણકાંતા પાસેથી ન્યાય મળવાની આશા હવે ખતમ થઈ ગઈ છે અને તેથી મેં મહાત્મા ગાંધીના સત્યાગ્રહના માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો છે.  તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય તેમના અંતરાત્માની અવાજ પર આધારિત છે અને તેઓ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો અધિકાર પોતાના પાસે રાખે છે.

આ પત્ર ત્યારે સામે આવ્યો છે જ્યારે દિલ્હી હાઈકોર્ટે દારૂ નીતિ કેસમાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને કેસમાંથી દૂર કરવાની તેમની અરજી ફગાવી દીધી હતી. અરવિંદ કેજરીવાલે આરોપ મૂક્યો હતો કે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માનાં સંતાનો કેન્દ્ર સરકારના વકીલોના પેનલમાં સામેલ છે, જેથી કેસમાં હિતોના ટકરાવની સ્થિતિ ઊભી થાય છે. એ સાથે જ તેમણે દલીલ કરી હતી કે આથી પક્ષપાતની આશંકા ઊભી થાય છે.

ત્યાર બાદ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે જણાવ્યું હતું કે આ આરોપો માત્ર અટકળો પર આધારિત છે અને પક્ષપાતની આશંકા માટેના કાનૂની માપદંડોને પૂર્ણ કરતા નથી. હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે કોર્ટરૂમ માત્ર ધારણાઓનું મંચ બની શકતું નથી. એ સાથે જ ચેતવણી આપી હતી કે કોઈ પણ પ્રભાવશાળી રાજકીય વ્યક્તિને મજબૂત પુરાવા વિના કાર્યરત ન્યાયાધીશ પર આરોપ લગાવવાની મંજૂરી મળી શકતી નથી.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ન્યાયપાલિકા પર આરોપ લગાડવામાં આવે ત્યારે પણ નિષ્પક્ષતાનું એ જ માપદંડ લાગુ પડે છે અને આવી અરજીઓ પર વિચાર કરવાથી સંસ્થાની વિશ્વસનીયતા નબળી પડી શકે છે.

બાળકોનો ઉછેર: પ્રેમ અને સ્વતંત્રતાથી ખીલતું બુદ્ધિચાતુર્ય

સદગુરુ: દરેક બાળક પોતાનું જીવન પૂર્ણપણે જીવવા માટે જરૂરી બુદ્ધિશક્તિ ધરાવે છે. માતા-પિતા તરીકે તમારે કેવળ એવી પરિસ્થિતિ ઊભી કરવી છે, જે તેની બુદ્ધિશક્તિના વિકાસને પ્રોત્સાહિત કરે. તેમને બુદ્ધિશાળી અને સજાગ રહેવા માટે પ્રેરણા આપો. દરેક માનવીને તેનું જીવન પરિપૂર્ણ કરવા માટેનું જરૂરી બુદ્ધિચાતુર્ય આપવામાં આવ્યું છે.

કીડીનું અવલોકન કરો – તે કીડી તરીકેનું જીવન સંપૂર્ણ રીતે જીવવા માટે જરૂરી બધું બુદ્ધિચાતુર્ય ધરાવે છે. તે કદાચ તમે જે કરો છો તે ન કરી શકે, પરંતુ એક કીડી તરીકે જીવવા માટે તે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ વાત દરેક જીવ માટે સાચી છે.

સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે તમે ઇચ્છો છો કે તમારું બાળક તમારી ઇચ્છા મુજબ બુદ્ધિશાળી બને, તેની સ્વભાવિક ઇચ્છા મુજબ નહીં. તમારા માટે બુદ્ધિનો અર્થ એ હોય છે કે તમારું સંતાન ડોક્ટર કે એન્જિનિયર બને. કદાચ તે એક ઉત્તમ સુથાર બની શકતું હોત, પરંતુ તમે તેને ડોક્ટર બનાવવા માંગો છો – કારણ કે સમાજમાં તે પ્રતિષ્ઠા આપે છે. “મારું સંતાન ડોક્ટર છે!” — આ વિચાર પાછળ ઘણી વાર તમારી પોતાની અધૂરી ઇચ્છાઓ કાર્યરત હોય છે. આ રીતે તમે તમારા બાળકો દ્વારા તમારું જીવન જીવવાનો પ્રયત્ન કરો છો, જે તેમના માટે હાનિકારક બની શકે છે.

બાળકોનો ઉછેર કરતી વખતે સૌથી અગત્યની બાબત એ છે કે તેમના મનને તમારા વિચારો દ્વારા બાધિત ન કરો. જો તમે એમ માનો છો કે બાળક જન્મે ત્યારથી જ તેને શીખવવાનું શરૂ કરવું જોઈએ, તો તે તેની કુદરતી વૃદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે. હકીકતમાં, બાળક તમારા જીવનમાં આવે ત્યારે તે તમારું શીખવાનો સમય હોય છે. કારણ કે આપણે જીવનમાં ઘણું ગુમાવી દીધું હોય છે, જ્યારે બાળક જીવનને નવી નજરથી જુએ છે.

તેથી, બાળક માટે તમારે મુખ્યત્વે બે જ વસ્તુઓ આપવાની છે – પ્રેમ અને સહયોગ. એટલું પૂરતું છે, જેથી તેની બુદ્ધિશક્તિ સ્વાભાવિક રીતે ખીલી શકે.

હા, બાળક વિવિધ પ્રકારના લોકોના સંપર્કમાં આવશે – શિક્ષકો, મિત્રો અને સમાજના અન્ય લોકો તેને પ્રભાવિત કરશે. તેને સંપૂર્ણ રીતે એમાંથી અલગ રાખવું શક્ય નથી. પરંતુ માતા-પિતા તરીકે તમે એક પ્રેમાળ અને સકારાત્મક વાતાવરણ ઉભું કરી શકો છો, જ્યાં બાળકની આંતરિક બુદ્ધિ અને ક્ષમતા સ્વાભાવિક રીતે વિકસે.

તમારું બાળક તમે જે કર્યું તે જ કરે, એવી જરૂર નથી. તે કંઈક એવું કરે, જેની તમે કલ્પના પણ ન કરી હોય. ફક્ત ત્યારે જ સમાજ અને વિશ્વમાં સાચી પ્રગતિ શક્ય બને છે.

સંપાદકની નોંધ: માનસિક સ્વાસ્થ્યના પડકારોની વધતી લહેર વચ્ચે, મિરેકલ ઓફ માઈન્ડ એપ એ સદ્‍ગુરુની તાજેતરની પેશકશ છે જે ઓછામાં ઓછા 3 અબજ લોકોને તેમના માનસિક સુખાકારીનો હવાલો લેવા અને દિવસમાં માત્ર 7 મિનિટમાં મનની અણઉપયોગી ક્ષમતાને શોધવા માટે સશક્ત બનાવવા માટે છે! 

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.