Home Blog Page 112

TCS કેસઃ આરોપી નિદા ખાન પર પીડિતાને બુરખો, પુસ્તકો આપવાનો આરોપ

નાસિકઃ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની કર્મચારી નિદા ખાનની આગોતરી જામીન અરજી પર નાસિકની કોર્ટ બીજી મેએ નિર્ણય આપશે. TCSની નાસિક સ્થિત BPO યુનિટમાં કથિત યૌન ઉત્પીડન અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના મામલે નિદા ખાન વોન્ટેડ આરોપી છે. સોમવારે કોર્ટે આ અરજી પર અંતિમ દલીલો સાંભળી હતી. અત્યાર સુધી નિદાને ધરપકડથી કોઈ રાહત મળી નથી અને નાસિક સિટી પોલીસ તેની શોધખોળમાં લાગી છે.

વધારાના સેશન જસ્ટિસ કે. જી. જોશીની કોર્ટે અભિયોજન અને બચાવ પક્ષના વકીલોની દલીલો ઇન-કેમેરા (બંધ દરવાજા પાછળ) સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

બુરખો, ધાર્મિક પુસ્તકો અને એપ્સ

આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં અભિયોજન પક્ષે દલીલ કરી હતી કે ખાને પીડિતાને બુરખો, ધાર્મિક પુસ્તકો આપ્યાં અને તેના ફોનમાં ધાર્મિક એપ્સ ઇન્સ્ટોલ કરીને કથિત ધર્મપરિવર્તનમાં ભૂમિકા ભજવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે પીડિતાના ઘરેથી કેટલાંક પુસ્તકો જપ્ત કરવામાં આવ્યાં છે.

તેના ફોનમાં કેટલીક ધાર્મિક એપ્સ મળી આવી છે, જેને ડાઉનલોડ કરવા અને વાપરવામાં નિદાએ મદદ કરી હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે નિદા ખાને પીડિતાને એક બુરખો પણ આપ્યો હતો. અભિયોજન પક્ષે દલીલ કરી હતી કે નિદા ખાનને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી જરૂરી છે, તેથી તેની આગોતરા જામીન અરજી નામંજૂર થવી જોઈએ.

આ પહેલાં બચાવ પક્ષે કહ્યું હતું કે નિદા ગર્ભવતી છે અને તેના સામેના આરોપો માત્ર એક જ કેસ સુધી મર્યાદિત છે, તેથી તેને આગોતરા જામીન આપવામાં આવે. સોમવારે બચાવ પક્ષે દલીલ કરી હતી કે જો આરોપોને સાચા માનવામાં આવે તો પણ મહારાષ્ટ્રમાં ધર્મપરિવર્તનવિરોધી એવો કોઈ કાયદો નથી જેને આધારે તેને આરોપી બનાવી શકાય. તેના પર વધુમાં વધુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ જ ચાલી શકે.

મુંબઈ: ધર્મ પૂછ્યો,કલમા વાંચવાનું કહ્યું… ના પાડતા ગાર્ડ પર ગંભીર હુમલો

મુંબઈના મીરા રોડ પર બે સુરક્ષા ગાર્ડ પર થયેલા હુમલાએ બધાને ચોંકાવી દીધા. આતંકવાદી કનેક્શન બહાર આવ્યા બાદ તપાસ હવે મહારાષ્ટ્ર ATSને ટ્રાન્સફર કરવામાં આવી છે.


મહારાષ્ટ્રના મીરા રોડના નયા નગર વિસ્તારમાં બે સુરક્ષા ગાર્ડ પર થયેલા હુમલાની તપાસ વધુ ઊંડી બની રહી છે. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના સાથે આતંકવાદી જોડાણ હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન આરોપી પાસેથી એક નોટ મળી આવી હતી, જેના પર ISIS, જેહાદ અને ગાઝા જેવા શબ્દો લખેલા જોવા મળ્યા હતા. આરોપીઓએ ગાર્ડને તેમના ધર્મ વિશે અને શું તેઓ કલમાનો પાઠ કરી શકે છે તે વિશે પૂછ્યું હતું.

કટ્ટરપંથી વિચારો ધરાવતી નોટ મળી આવ્યા બાદ શંકા વધુ ઘેરી બની

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી પાસેથી મળેલી નોટમાં ધમકીભર્યા નિવેદનો અને કટ્ટરપંથી વિચારોના સંકેતો હતા, જેનાથી તપાસ એજન્સીઓની શંકા વધુ ઘેરી બની હતી. નોટમાં “LONE WOLVES WILL POUNCE ON YOU, You mushrikeen will see real jihad in bilad Hind from now!” જેવું અસંગત લખાણ હતું, જેમ કે,”લોકો, પરિવાર, પત્નીઓ, માતા-પિતા… તમને છોડી દેશે. અલ્લાહ તેમને માર્ગદર્શન આપે. ગાઝા ફક્ત મુક્ત થશે…” પ્રારંભિક તપાસમાં શંકાસ્પદ સંજોગો બહાર આવ્યા પછી, કેસ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ને સોંપવામાં આવ્યો હતો. આરોપીના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, મોબાઇલ ડેટા, બ્રાઉઝિંગ ઇતિહાસ અને સંદેશાવ્યવહાર રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.

ધર્મ પૂછવામાં આવ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ઝુબૈર શરૂઆતમાં ઘટનાસ્થળે પહોંચ્યો, મસ્જિદ તરફ જવા માટે દિશા પૂછી અને પછી ચાલ્યો ગયો. તે થોડા સમય પછી પાછો ફર્યો, આ વખતે ગાર્ડને તેના ધર્મ વિશે પૂછ્યું અને કથિત રીતે તેને કલમા વાંચવાનું કહ્યું. ગાર્ડે તેમ કરવાનો ઇનકાર કર્યો. આરોપીએ અચાનક છરીથી હુમલો કર્યો. ત્યારબાદ તે સુરક્ષા કેબિનમાં પ્રવેશ્યો જ્યાં તેણે બીજા ગાર્ડ પર પણ એ જ રીતે હુમલો કર્યો.

આરોપીના ઘરની તપાસ દરમિયાન એવી નોંધો અને દસ્તાવેજો મળી આવ્યા હતા જે કથિત રીતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલી વિચારધારા તરફ સંકેત આપતા હતા. કેટલીક નોંધો પર “લોન વુલ્ફ,” “જેહાદ,” અને “ગાઝા” જેવા શબ્દો લખેલા મળી આવ્યા હતા.

આરોપી ઝુબૈર વિજ્ઞાન સ્નાતક છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે

ઝુબૈર અંસારી વિજ્ઞાન સ્નાતક છે જે ઘણા વર્ષોથી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતો હતો. ભારત પરત ફર્યા પછી, તે મીરા રોડમાં એકલો રહેતો હતો અને ઓનલાઈન રસાયણશાસ્ત્ર શીખવતો હતો. એવું નોંધાયું છે કે બેરોજગારી અને એકલતાને કારણે, તે ધીમે ધીમે ઓનલાઈન કટ્ટરપંથી સામગ્રી તરફ આકર્ષાયો. તપાસ એજન્સીઓને શંકા છે કે આરોપી સોશિયલ મીડિયા, વિડીયો પ્લેટફોર્મ અને મેસેજિંગ એપ્સ દ્વારા કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રીના સંપર્કમાં આવ્યો હતો.

આગામી દિવસોમાં ATS મહત્વપૂર્ણ ખુલાસા કરે તેવી શક્યતા છે

આરોપીઓએ આ હુમલો એકલા કર્યો હતો કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ હુમલો પૂર્વઆયોજિત હતો કે સ્વયંભૂ કૃત્ય હતું તે નક્કી કરવા માટે પણ તપાસ ચાલી રહી છે. મીરા રોડની આ ઘટના માત્ર એક ગુનો નથી પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સમાજમાં કટ્ટરવાદ કેવી રીતે ફેલાઈ રહ્યો છે તેનો ગંભીર સંકેત છે. આખો મામલો હવે ATSના હાથમાં છે, અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

રાજ્યમાં ભાજપની સુનામીઃ તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભારે લીડ

અમદાવાદઃ રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ માટે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતગણતરીનો પ્રારંભ આજે સવારે આઠ વાગ્યાથી થયો છે. આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આ પરિણામોને મતદાતાઓના મિજાજનો સંકેત માનવામાં આવી રહ્યો છે. 26 એપ્રિલ 2026એ પાંચ મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાયું હતું, જેમાં કુલ 9200 બેઠકો સામેલ હતી. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 15 મહાનગરપાલિકાઓમાં 55.1 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે નગરપાલિકાઓમાં 65.53 ટકા, જિલ્લા પંચાયતોમાં 66.64 ટકા અને તાલુકા પંચાયતોમાં 67.26 ટકા મતદાન થયું હતું.

આ ચૂંટણીમાં 4.18 કરોડથી વધુ મતદાતાઓ મતાધિકાર માટે પાત્ર હતા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ઉમેદવારોના ભાગ્યનો આજે નિર્ણય થવાનો છે. ચૂંટણીની ટકાવારી જોતા લાગી રહ્યું છે કે શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો છે.

સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોમાંથી ભાજપે 43 બેઠકો જીતી

સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોમાંથી ભાજપે 43 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે એક બેઠક જીતી છે. AAP હજી સુધી શૂન્ય પર છે.  સુરત વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય થયો છે. જેમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનાં પત્ની કાવ્યા કથીરિયાની જીત થઈ છે. આ ઉપરાંત સુરતના માંડવી નગરપાલિકામાં ભાજપે કબજો કર્યો છે. માંડવી પાલિકાની મતગણતરીમાં ભાજપની જીત થઈ છે. 24 બેઠકોમાંથી 22 બેઠક સાથે ભાજપ આગળ છે. જયારે 2 બેઠક પર કોંગ્રેસ આગળ છે. માંડવીમાં આપ અને કોંગ્રેસનાં સૂપડા સાફ થયાં છે.

AAPમાંથી ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બંને બેઠકો ગુમાવી હતી.

બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની જીત,  અમદાવાદમાં ભાજપનું પ્રભુત્વ

ભાજપે બાવળા તાલુકા પંચાયતની તમામ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. અત્યાર સુધી ભાજપે કુલ છ બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી છે. ભાયલા, શિયા, ગગડ અને રોયકા બેઠક બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. જ્યારે કોંગ્રેસે કેસાર્ડી બેઠક જીતી છે. અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. પાર્ટીએ ઇસનપુર વોર્ડ નંબર 45 અને નવરંગપુરા વોર્ડમાં પણ જીત મેળવી છે.

ન્યાયની કોઈ આશા નથી, હવે માત્ર સત્યાગ્રહ જ રસ્તોઃ મનીષ સિસોદિયા

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ મંગળવારે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ પોતે પણ નહીં અને તેમના વકીલ પણ આબકારી નીતિ (Excise Policy) કેસની સુનાવણીમાં તેમના તરફથી હાજર નહીં રહે. મનીષ સિસોદિયાએ પણ અરવિંદ કેજરીવાલની જેમ આરોપ લગાવ્યો કે જજનાં બાળકોને કેન્દ્ર સરકારના વકીલો તરીકે પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે. કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ તુષાર મહેતા કરી રહ્યા છે. તેમણે લખ્યું હતું કે તમારાં બાળકોનું ભવિષ્ય તુષાર મહેતાના હાથમાં છે અને તેમને ન્યાયની કોઈ આશા નથી. તેમણે કહ્યું હતું કે હવે તેઓ સત્યાગ્રહના માર્ગ પર આગળ વધશે. એક દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલે પણ દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ શર્માની બેન્ચ સમક્ષ આવી જ રીતે સુનાવણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.  કેજરીવાલે જસ્ટિસ શર્માને કેસમાંથી અલગ થવાની માગ કરી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની તે અરજી ફગાવ્યા બાદ તરત જ સામે આવ્યો, જેમાં તેમણે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને કેસમાંથી અલગ થવાની માગ કરી હતી. પોતાના નિર્ણયમાં કોર્ટે જણાવ્યું હતું કે લગાવવામાં આવેલા આરોપો પૂર્વાગ્રહની યોગ્ય આશંકાના કાનૂની માપદંડ પર ખરા ઊતરતા નથી અને તે મજબૂત પુરાવા કરતાં માત્ર અનુમાન પર આધારિત છે.

કોર્ટે ભારપૂર્વક કહ્યું હતું કે કોર્ટરૂમ ધારણાઓનું મંચ બની શકતું નથી અને કોઈ મજબૂત આધાર વિના ન્યાયિક નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવવાના પ્રયાસો સામે ચેતવણી આપી હતી. કોર્ટે એ પણ કહ્યું કે આવી અરજીઓ સ્વીકારવાથી સંસ્થાગત વિશ્વસનીયતા નબળી પડી શકે છે અને ખોટી પરંપરા  સ્થાપિત થઈ શકે છે.

દલીલો ફગાવતાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર કથિત પૂર્વાગ્રહને આધારે કોઈ જજને કેસમાંથી અલગ થવા કહી શકાય નહીં, ખાસ કરીને જ્યારે હિતોના ટકરાવનો કોઈ સીધો પુરાવો ન હોય. કોર્ટે પણ નોંધ્યું કે ન્યાયિક ક્ષમતાનું મૂલ્યાંકન હાઇકોર્ટો કરે છે, વાદીકારો નહીં અને વ્યાવસાયિક અથવા જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાથી નિષ્પક્ષતા પ્રભાવિત થતી નથી.

નેશનલ ઇકોનોમિક ફોરમ, કેનેડાની CBU વચ્ચે સ્ટુડન્ટ મોબિલિટી, સંશોધન માટે સમજૂતી કરાર

નવી દિલ્હી: કેનેડાની અગ્રણી જાહેર યુનિવર્સિટીઓમાંની એક કેપ બ્રેટન યુનિવર્સિટી (CBU) અને નેશનલ ઇકોનોમિક ફોરમ (NEF)એ આજે બિન-વાણિજ્યિક સેવા અને સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો હેતુ CBUના ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાનો, સંસ્થાકીય જોડાણોને મજબૂત કરવાનો અને ભારત-કેનેડા વચ્ચે ઉચ્ચ શિક્ષણ સહકાર વધારવાનો છે. આ MoU પર CBUના પ્રમુખ અને વાઇસ-ચાન્સેલર માનનીય ડેવિડ સી. ડિંગવાલ અને NEFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જગદીપ રાણા દ્વારા ભારતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કરાર હેઠળ NEFને ભારતમાં CBUના સત્તાવાર સંકલન ભાગીદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમ જ અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સુવ્યવસ્થિત સંવાદ સુનિશ્ચિત કરશે.

આ ભાગીદારી દ્વારા વિદ્યાર્થી ગતિશીલતા, ફેકલ્ટી એક્સચેન્જ, સંસ્થાકીય ભાગીદારી, સંશોધન અને જ્ઞાન સહકાર જેવાં મુખ્ય ક્ષેત્રોમાં આગળ વધવા માટે બંને સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરશે.

કેન્દ્રિત અને પ્રોટોકોલ અનુરૂપ સંવાદને પ્રોત્સાહન આપવા માટે આ MoU હેઠળ NEFને સ્ટેકહોલ્ડર મેપિંગ, સંપર્ક સુવિધા અને જોડાણ માળખું તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આથી CBU માટે ભારતમાં બેઠકો અને સંસ્થાકીય ચર્ચાઓ માટે નવી તકો ઊભી થશે, જે વધુ વ્યૂહાત્મક અને પરિણામલક્ષી જોડાણોને વેગ આપશે.

આ ભાગીદારી અંગે CBUના પ્રમુખ અને વાઇસ-ચાન્સેલર ડેવિડ સી.  ડિંગવાલે જણાવ્યું હતું કે ભારત કેપ બ્રેટન યુનિવર્સિટી માટે પ્રાથમિકતા ધરાવતો વિસ્તાર છે, કારણ કે અહીંના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની ઇકો સિસ્ટમનું વ્યાપક પ્રમાણ, મહત્ત્વાકાંક્ષા અને સતત વિકસતી ક્ષમતા નોંધપાત્ર છે. આ ભાગીદારી અમને અર્થપૂર્ણ સંસ્થાકીય સહકાર, વિસ્તૃત વિદ્યાર્થી માર્ગો અને વૈશ્વિક પ્રાથમિકતાઓને અનુરૂપ સંશોધનાત્મક ભાગીદારી દ્વારા જોડાણોને વધુ મજબૂત કરવાની તક આપે છે. NEFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જગદીપ રાણાએ જણાવ્યું હતું કે આ સહકારનો મુખ્ય હેતુ વૈશ્વિક શૈક્ષણિક ઇરાદાને ભારત માટે સુવ્યવસ્થિત અને અસરકારક સહકારમાં રૂપાંતરિત કરવાનો છે. યોગ્ય સરકારી અને સંસ્થાકીય ભાગીદારોને સાથે લાવીને અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારી માટે વધુ આયોજનબદ્ધ અને પરિણામલક્ષી અભિગમ અપનાવી રહ્યા છીએ, ખાસ કરીને પ્રતિભા ગતિશીલતા, સંશોધન ક્ષમતા અને સંસ્થાકીય વિકાસ જેવાં ક્ષેત્રોમાં.

આ કરાર લાંબા ગાળાના સહકાર માટેનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, જેમાં સંયુક્ત સંશોધન કાર્યક્રમો, શૈક્ષણિક વિનિમય અને પરસ્પર પ્રાથમિકતાઓને અનુરૂપ જ્ઞાન ભાગીદારી માટેના માળખાનો સમાવેશ થશે. આથી ભારત-કેનેડા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં વધુ મજબૂત કરવા માર્ગ વિકસશે.

કરવતી આમ જાય તોય વેરે અને તેમ જાય તોયે વેરે

કરવતી આમ જાય તોય વેરે અને તેમ જાય તોયે વેરે

 

કરવતીના દાંતા તીક્ષ્ણ હોય છે અને એને બંને તરફ ધાર હોય છે. એટલે લાકડું વહેરવા માટે બે માણસો સામસામે એને ખેંચે છે.

આવું થાય ત્યારે કરવતી એક બાજુ જાય તો પણ કાપો પડે એટલે કે વહેરતી જાય અને પરત આવે ત્યારે પણ કાપો પડે એટલે કે વહેરતી આવે.

આમ કોઈ પણ પરિસ્થિતી, જેમાં ગમે તે રીતે કામ કરો, સરવાળે એક ચોક્કસ વ્યક્તિને નુકસાન થાય તે અર્થમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રીટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

કાદર ખાનને અભિનયમાં લાવનાર દિલીપકુમાર હતા!

કાદર ખાનને ફિલ્મી દુનિયામાં લાવવાનું શ્રેય મહાન અભિનેતા દિલીપ કુમારને જાય છે. કાદર ખાને સૌથી પહેલા ફિલ્મ સગીના (1974) માટે શૂટિંગ કર્યું હતું, પરંતુ રિલીઝના ક્રમમાં તેમની રાજેશ ખન્ના સાથેની ફિલ્મ દાગ (1973) પહેલા આવી હતી. તેથી રેકોર્ડ મુજબ દાગ તેમની પ્રથમ ફિલ્મ માનવામાં આવે છે. જોકે, કાદર ખાનને પહેલી વાર અભિનય કરવાની તક આપનાર દિલીપકુમાર જ હતા. તેઓ કાદર ખાનના નાટકથી એટલા પ્રભાવિત થયા કે તરત જ તેમને સગીનામાં કામ આપવાનું નક્કી કર્યું.

ફિલ્મોમાં આવતાં પહેલા કાદર ખાન મુંબઈની એમ.એચ. સાબુ સિદ્દીક એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર હતા. સાથે સાથે તેઓ નાટકો લખતા અને તેમાં અભિનય પણ કરતા હતા. તેમનું નાટક તાશ કે પત્તે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ નાટકની ચર્ચા પ્રસિદ્ધ કોમેડિયન આગા મારફતે દિલીપકુમાર સુધી પહોંચી. દિલીપકુમાર આ નાટક જોવા એટલા ઉત્સુક થયા કે તેમણે પોતે જ કાદર ખાનને ફોન કર્યો.

આ ફોન કોલનો પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે. જ્યારે કાદર ખાન કોલેજમાં હતા ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે “યુસુફ ખાન” નામના કોઈ વ્યક્તિનો ફોન છે. શરૂઆતમાં તેઓ ઓળખી ન શક્યા, પરંતુ જ્યારે સામેથી અવાજ આવ્યો કે “જેને દુનિયા દિલીપકુમાર તરીકે ઓળખે છે,” ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. દિલીપકુમારે નાટક જોવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે કાદર ખાને બે શરતો મૂકી—સમયસર આવવું અને આખું નાટક જોવું. દિલીપકુમારે ખુશીથી બંને શરતો સ્વીકારી.

નાટક જોયા પછી દિલીપકુમાર એટલા પ્રભાવિત થયા કે તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ સ્ટેજ પર જઈ કાદર ખાનને ગળે મળ્યા અને તરત જ પોતાની ફિલ્મ સગીના માટે સાઈન કરી લીધા. આ ફિલ્મમાં કાદર ખાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ત્યારબાદ દિલીપકુમારે તેમને પોતાની બીજી ફિલ્મ બૈરાગમાં પણ તક આપી અને સંવાદ લખવાનું કામ પણ સોંપ્યું.

કાદર ખાનની કારકિર્દીની શરૂઆત લેખક તરીકે ફિલ્મ જવાની દીવાની (1972)થી થઈ હતી, જે તેમને નરેનદ્ર બેદીએ આપી હતી. તેમના સંવાદો એટલા પ્રભાવશાળી હતા કે તેઓ ઝડપથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા બન્યા. આગળ જતાં કાદર ખાને 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને 250થી વધુ ફિલ્મોના સંવાદો લખ્યા.

કાદર ખાન હંમેશા કહેતા કે દિલીપકુમાર જ તેમને ફિલ્મી દુનિયામાં લાવનાર અને સાચા અર્થમાં “સ્ટાર” બનાવનાર વ્યક્તિ હતા. એક સામાન્ય પ્રોફેસરથી લઈને બોલિવૂડના દિગ્ગજ બનવાની તેમની સફર એક ફોન કોલથી શરૂ થઈ—અને આ કિસ્સો ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય બની ગયો.

૨૮ એપ્રિલ ૨૦૨૬

પંચાંગ 28/04/2026

ભારત અને ન્યુ ઝીલેન્ડે મુક્ત વેપાર કરાર પર કર્યા હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારત અને ન્યુ ઝીલેન્ડે નવી દિલ્હીના ભારત મંડપમમાં ભારતની વૈશ્વિક આર્થિક ભાગીદારીઓને વધુ મજબૂત બનાવવા માટે મુક્ત વેપાર કરાર (IN-NZ FTA) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુ ઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેક્લેએ હસ્તાક્ષર કર્યા. આ હસ્તાક્ષર સમારોહમાં બંને દેશોના વેપારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ એકત્ર થયા હતા. આ પ્રસંગે વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેક્લેએ સાંસદોના સર્વપક્ષી પ્રતિનિધિમંડળ અને ન્યુ ઝીલેન્ડની 30થી વધુ કંપનીઓનું નેતૃત્વ કર્યું હતું.

મેક્લેએ જણાવ્યું હતું કે ભારત-ન્યુ ઝીલેન્ડ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર દ્વિપક્ષી સંબંધોમાં એક નવા અને મહત્વપૂર્ણ અધ્યાયની શરૂઆત છે, જે સંયુક્ત આશાઓ, ગાઢ જોડાણ અને પરસ્પર લાભકારી વૃદ્ધિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ભારત-ન્યુ ઝીલેન્ડ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષરના અવસરે ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને તેને ઐતિહાસિક માઇલસ્ટોન ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કરાર બંને દેશો માટે વેપાર, મૂડીરોકાણ અને ઇનોવેશનનાં ક્ષેત્રોમાં મોટી તકો ઊભી કરશે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આથી બજારમાં પહોંચ વધશે, નિકાસમાં વૃદ્ધિને પ્રોત્સાહન મળશે અને કૃષિ જેવાં ક્ષેત્રોમાં સહકાર વધશે. એ સાથે જ,આ કરાર સ્થિર, નિયમ આધારિત વેપાર અને લોકો વચ્ચેના ગાઢ સંબંધોને પણ વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે મેક્લેએ કહ્યું કે આ કરાર “એક પેઢીમાં એક વાર મળતો અવસર” છે, જે નિકાસકારો માટે નવા માર્ગો ખોલશે, રોજગારીની તકો ઊભી કરશે અને મહત્વપૂર્ણ આર્થિક સંભાવનાઓને સાકાર કરશે.

પીએમ મોદીએ શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું હતું કે મને ખુશી છે કે આજે ભારત-ન્યુ ઝીલેન્ડ FTA પર થયેલા હસ્તાક્ષર અમારી વિકાસ ભાગીદારીને અભૂતપૂર્વ ગતિ આપશે. આ અમારા બંને દેશોને જોડતા ગાઢ વિશ્વાસ, સંયુક્ત મૂલ્યો અને મહત્ત્વાકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.