ઉજ્જૈનના તરાણામાં હિંસા ભડકીઃ અનેક ઘરો પર પથ્થરમારો

ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાણા વિસ્તારમાં ગુરુવાર રાત્રે થયેલો વિવાદ શુક્રવાર બપોર બાદ હિંસા, પથ્થરમારા અને આગજનીમાં ફેરવાઈ ગયો. શોર્ટ સર્કિટને કારણે એક દુકાનમાં આગ લાગી હતી, પરંતુ શહેરમાં અફવા ફેલાઈ કે અજાણ્યા લોકોએ જ દુકાનમાં આગ લગાવી છે. આ અફવાને કારણે પરિસ્થિતિએ નવો વળાંક લીધો હતો.

શુક્રવારના દિવસની નમાજ બાદ કેટલાક વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાઓ થઈ હોવાનો આરોપ છે, જેના વિડિયો પણ સામે આવ્યા છે. પોલીસ પ્રશાસન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું છે અને મામલાની તપાસ કરી રહ્યું છે.

કેમ બગડ્યું વાતાવરણ

પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે લોકો એકબીજા પર પથ્થર ફેંકવા લાગ્યા ત્યારે હાલત વધુ ખરાબ થઈ. આ દરમિયાન પોલીસ સાથે પણ બોલાચાલી થઈ. પથ્થરમારામાં એક યુવાન ઘાયલ થયો છે. ઉજ્જૈનના તરાણામાં ગુરુવાર સાંજે બે પક્ષો વચ્ચે શરૂ થયેલો વિવાદ શુક્રવારે હિંસક સ્વરૂપ લઈ ગયો. ઉપદ્રવીઓએ ઘરો પર પથ્થરમાર કર્યો અને એક બસને આગ ચાંપી દીધી. પરિસ્થિતિની ગંભીરતા જોતાં પોલીસ-પ્રશાસને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને તરાણાને છાવણીમાં ફેરવી દીધું છે.

હકીકતમાં, ગુરુવાર સાંજે તરાણામાં કેટલાક યુવકો વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન સોહેલ ઠાકુર નામના યુવક પર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. સોહેલ પર થયેલા હુમલાના વિરોધમાં શુક્રવારે માહોલ વધુ ગરમાયો. કેટલાંક અજાણ્યાં તત્ત્વોએ મહોલ્લાઓમાં ઘૂસીને ઘરો પર પથ્થરમારો કર્યો, જેને કારણે બારીઓના કાચ તૂટી ગયા. શરારતી તત્ત્વોએ ઉગ્ર બનીને એક બસમાં આગ લગાવી દીધી, જેથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્માએ પોતે મોરચો સંભાળી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. સોહેલ ઠાકુરની ફરિયાદને આધારે પોલીસે 6 લોકો સામે જાનલેવા હુમલાનો કેસ નોંધ્યો છે, જેમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. છઠ્ઠા આરોપીની શોધ ચાલુ છે. સોહેલ ઠાકુર હાલ હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને તેની હાલત હવે ખતરાથી બહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.