નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાનના તાજેતરના શાંતિ પ્રસ્તાવને “અપૂરતો” ગણાવીને નકારી કાઢ્યો છે. ટ્રમ્પ વહીવટી તંત્રનું કહેવું છે કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમમાં મોટા ફેરફારો નહીં કરે, તો કૂટનીતિક ચર્ચાઓ અટકી શકે છે અને ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ થવાની શક્યતા ઊભી થઈ શકે છે.
પાકિસ્તાન મારફતે પહોંચ્યો પ્રસ્તાવ
ઈરાને પોતાનો પ્રસ્તાવ પાકિસ્તાનની મધ્યસ્થી મારફતે અમેરિકા સુધી પહોંચાડ્યો હતો, પરંતુ આ પ્રસ્તાવમાં ઈરાનના અગાઉના વલણની સરખામણીએ બહુ ઓછા ફેરફારો જોવા મળ્યા હતા. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ- ખાસ કરીને યુરેનિયમ સંવર્ધન અને પરમાણુ પ્રવૃત્તિઓ અંગે કોઈ સ્પષ્ટ ઉકેલ રજૂ કરવામાં આવ્યો નથી. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે હાલ અમેરિકા અને ઈરાન કોઈ અંતિમ કરારની વિગતવાર શરતો પર ચર્ચા કરી રહ્યા નથી. બંને દેશો હાલમાં માત્ર ભવિષ્યમાં સંભવિત વાટાઘાટો માટે એક પ્રાથમિક માળખું તૈયાર કરવાની કોશિશ કરી રહ્યા છે. આ મામલામાં પાકિસ્તાન એક મહત્વપૂર્ણ મધ્યસ્થી તરીકે સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી થોડા દિવસો સુધી ઈરાનમાં રહ્યા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ બંને દેશો વચ્ચે સંદેશવ્યવહારનું કામ કર્યું હતું.
પરમાણુ કાર્યક્રમ સૌથી મોટો વિવાદ
ચર્ચાઓમાં સૌથી મોટો મુદ્દો ઈરાનનો પરમાણુ કાર્યક્રમ છે. અમેરિકા સતત માગ કરી રહ્યું છે કે ઈરાન યુરેનિયમ સંવર્ધનને મર્યાદિત કરે અથવા બંધ કરે અને કડક દેખરેખ સ્વીકારે. જ્યારે ઈરાનનું કહેવું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ તેનો અબાધિત અધિકાર છે અને તે તેને સંપૂર્ણ રીતે છોડવા અથવા નબળો બનાવવા તૈયાર નથી. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે કૂટનીતિક ઉકેલની આશાઓ નબળી પડતી દેખાઈ રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે હવે સમય ઝડપથી હાથમાંથી નીકળી રહ્યો છે। તેમણે સંકેત આપ્યો હતો કે જો ચર્ચાઓમાં કોઈ નક્કર પ્રગતિ નહીં થાય તો અમેરિકા સૈન્ય વિકલ્પો પર પણ વિચાર કરી શકે છે અને કાર્યવાહી વધુ આકરી બની શકે છે.




