રખડતા કૂતરાઓને દૂર કરવાનો ‘સુપ્રીમ’ આદેશ યથાવત્

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને લગતો વર્ષ 2025નો પોતાનો જૂનો ચુકાદો યથાવત્ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાઓ પરથી રખડતા કૂતરાઓને દૂર કરવાના આદેશમાં ફેરફાર કરવાની માગ કરતી ડોગ લવર્સની તમામ અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે 7 નવેમ્બર 2025એ પુનર્વસન અને નસબંધી અંગે આપેલા પોતાના આદેશને યથાવત્ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે સાથે-સાથે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા રખડતાં પ્રાણીઓ અંગે જાહેર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ની માન્યતાને પડકારતી તમામ અરજીઓ પણ ફગાવી દીધી છે.

રખડતા કૂતરાઓની વધતી વસ્તી અંગે SC ચિંતિત

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે એનિમલ વેલફેર બોર્ડના નિર્ણયમાં હાલ હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી. કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે તે આ હકીકતને અવગણી શકતી નથી કે એનિમલ બર્થ કંટ્રોલ (ABC) નિયમો વર્ષ 2001માં અમલમાં મૂકવામાં આવ્યા હતા. છતાં પણ રખડતા કૂતરાઓની વધતી વસ્તીને અનુરૂપ માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો નથી.

કોર્ટે જણાવ્યું હતું કે આ દિશામાં કરવામાં આવેલા પ્રયાસો માત્ર છૂટાછવાયા રહ્યા અને તેમાં સંસ્થાગત સ્તરે ગંભીરતા તથા મજબૂત આયોજનનો અભાવ જોવા મળ્યો છે. નસબંધી અને રસીકરણ અભિયાન પણ કોઈ વ્યાપક વ્યૂહરચના વિના ચલાવવામાં આવતા રહ્યા, જેને કારણે આ વ્યવસ્થાના મૂળ હેતુઓ જ પ્રભાવિત થયા છે. કોર્ટે આગળ જણાવ્યું કે જો રાજ્યો સમયસર દૂરંદેશી દાખવી અસરકારક પગલાં લીધાં હોત તો આજે પરિસ્થિતિ એટલી ગંભીર અને ચિંતાજનક બની ન હોત.

કૂતરાઓના કરડવાના કેસ સતત વધી રહ્યા છે

અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કોર્ટ એ ટિપ્પણી કરવા મજબૂર છે કે એનિમલ બર્થ કંટ્રોલ (ABC) માળખાને અસરકારક રીતે અમલમાં મૂકવામાં થયેલી ગંભીર બેદરકારીને કારણે રઝળતા કૂતરાઓની સમસ્યા વધુ વિકરાળ બની ગઈ છે. કોર્ટે કહ્યું હતું કે દેશભરમાં ડોગ બાઇટના કેસ સતત વધી રહ્યા છે અને સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે.