વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું દુઃખદ નિધન, 36 વર્ષ MLA પદે રહ્યા

વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું દુઃખદ નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી હૃદયરોગની બીમારીથી પીડાતા હતા. તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે દિવસ અગાઉ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આમ ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જોકે પેટાચૂંટણી બાદ તેમના પુત્રની જીત થઈ હતી.યોગેશ પટેલ વડોદરાની જનતામાં અભૂતપૂર્વ લોકચાહના ધરાવતા હતા. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો વિરલ રેકોર્ડ ધરાવે છે. તેમણે શરૂઆતમાં વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટણીઓ જીતીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો. સીમાંકન બદલાયા બાદ તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ જંગી મતોની સરસાઈથી વિજેતા બનતા રહ્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો હતો. તેઓ ગુજરાતના વરિષ્ઠ ધારાસભ્ય તરીકે ઓળખાતા હતા.

યોગેશ પટેલને લોકો કાકાના હુલામણા નામે ઓળખતા હતા. રાજ્ય સરકારમાં પણ તેમણે મહત્વની જવાબદારીઓ સંભાળી છે. રૂપાણીની સરકારમાં તેઓ રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. મંત્રી પદ દરમિયાન વડોદરા અને મધ્ય ગુજરાતના વિકાસ કાર્યોને વેગ આપ્યો હતો. સામાન્ય નાગરિકો માટે તેઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેતા નેતા હતા. વડોદરાના સ્થાનિક પ્રશ્નો, રસ્તા, પાણી, અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ માટે તેઓ પોતાની જ સરકાર સામે પણ અવાજ ઉઠાવવામાં અચકાતા નહોતા. 8 ટર્મની લાંબી સંસદીય સફર અને જનતા સાથેનું સીધું જોડાણ તેમને વડોદરાના રાજકીય ઇતિહાસના સૌથી કદાવર અને આદરણીય નેતા બનાવે છે. તેઓના નિધનના પગલે રાજકારણીઓમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.