નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમના ભાષણ દરમિયાન સત્તાપક્ષ તરફથી સતત હંગામો થઈ રહ્યો હતો. રાહુલ ગાંધીએ બજેટ અંગે પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા અને પોતાની વાત સમજાવવા માટે માર્શલ આર્ટ્સનું ઉદાહરણ આપ્યું હતું.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ડીલ અંગે પણ વાત કરી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારે ભારતની જનતાને અમેરિકાના હાથમાં વેચી દીધી છે. તેમના મુજબ આ ડીલને કારણે ભારતનો મોટો ડેટા અમેરિકા સુધી જઈ રહ્યો છે.તેઓ આર્થિક સર્વેક્ષણ જોઈ રહ્યા હતા ત્યારે તેમને બે મહત્વની બાબતો સમજાઈ. પહેલી એ કે દુનિયામાં ભૂરાજકીય ટકરાવ વધી રહ્યો છે. અમેરિકાના પ્રભુત્વને હવે ચીન, રશિયા અને અન્ય શક્તિઓ પડકાર આપી રહી છે. બીજી બાબત એ છે કે આપણે ઊર્જા અને નાણાકીય હથિયારકરણના યુગમાં પ્રવેશી રહ્યા છીએ. દુનિયા સ્થિરતાથી અસ્થિરતાની દિશામાં જઈ રહી છે.
વડા પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કહે છે કે યુદ્ધનો યુગ સમાપ્ત થઈ ગયો છે, પરંતુ હકીકતમાં દુનિયા યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશી રહી છે. ડોલરને પડકાર મળી રહ્યો છે અને અમેરિકાનું પ્રભુત્વ પણ સવાલ હેઠળ છે. આપણે એક મહાશક્તિ કેન્દ્રિત દુનિયામાંથી એક નવી અને અનિશ્ચિત વૈશ્વિક વ્યવસ્થાની તરફ જઈ રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
LIVE: Discussion on the Union Budget | 18th Lok Sabha https://t.co/1VcucD9fnD
— Rahul Gandhi (@RahulGandhi) February 11, 2026
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે માર્શલ આર્ટ્સમાં જ્યારે ચોક લાગે છે ત્યારે પકડાયેલી વ્યક્તિની આંખોમાં ડર દેખાય છે. તેવી જ રીતે અહીં નરેન્દ્ર મોદીની આંખોમાં ડર દેખાય છે, તેઓ આંખમાં આંખ મેળવીને વાત કરતા નથી. એપ્સ્ટિન કેસની 3 મિલિયન ફાઇલો હજુ બહાર આવવાની બાકી છે. રશિયન તેલના વિવાદ અંગે પણ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ એવી ડીલ કરી છે જે કદાચ દેશનો કોઈ પણ વડા પ્રધાન ન કરતો. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે દેશના નાગરિકોના ભવિષ્યને સરન્ડર કરી દીધું છે.
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ રાહુલ ગાંધીના તમામ આરોપોને બિનઆધારભૂત ગણાવ્યા. તેમણે કહ્યું હતું કે ભારતને કોઈ વેચી પણ શકતું નથી અને ખરીદી પણ શકતું નથી. તેમણે ઉમેર્યું હતું કે દેશને અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી પ્રધાનમંત્રી મળ્યો હોય તો તે નરેન્દ્ર મોદી છે.




