ગાંગુલી ભાજપમાં જોડાશે? બંગાળના CM બનશે?

કોલકાતાઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગઈ કાલે રાજભવનમાં પશ્ચિમ બંગાળના ગવર્નરની આશ્ચર્યજનક ઔપચારિક મુલાકાત લીધી હતી. વળી, રાજ્યપાલની મુલાકાત પછી સૌરવ ગાંગુલી આજે દિલ્હી આવી રહ્યા છે. તેઓ DDCAની એક ઇવેન્ટમાં સામેલ થવાના છે. આ ઇવેન્ટમાં ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે. વળી, કોટલા મેદાનમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. અરુણ જેટલીની મૂર્તિનું અનાવરણ થશે, આ કાર્યક્રમમાં સૌરવ ગાંગુલી હાજર રહેશે.

બીસીસીઆઇના પ્રમુખની રાજ્યપાલ સાથેની મુલાકાતથી આવતા વર્ષે યોજાનારી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ગાંગુલી સક્રિય રીતે રાજકારણમાં જોડાવાના છે, એ વિશે અટકળો તેજ હતી. જેથી નેટિઝન્સ ગાગુલી આગામી વર્ષના પ્રારંભે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્ય પ્રધાનનો ચહેરો બનશે કે કેમ?  એ વિશે અટકળો લગાવી રહ્યા હતા.

રાજ્યપાલને ગાંગુલી મળ્યા એથી અનેક લોકોને સાનંદાશ્ચર્ય થયું હતું. શું જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર વાસ્તવમાં ભાજપમાં જોડાવા તૈયાર છે?  એમ ટ્વિટર યુઝર્સ પૂછી રહ્યા હતા.  ટ્વિટર યુઝર સુરેન્દ્રએ લખ્યું હતું કે બંગાળ ભાજપથી બ્રેકિંગ ન્યૂઝૃ સૌરવ ગાંગુલી ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે, ભાજપના મુખ્ય પ્રધાનનો ચહેરો. અન્ય એક યુઝર્ પ્રસૂને ટ્વીટ કર્યું હતું કે ભલે ભાજપ દાદાને એક CMના રૂપમાં પ્રોજેક્ટ કરતી હોય, પણ તેઓ બંગાળમાં ઢીલા છે, માત્ર એક ચહેરો દીદી છે. સૌરવ સીપીઆઇ-એમની નજીક છે અને હવે તેઓ ભાજપની સાથે છે. જોકે ગાંગુલી કે તેમના પરિવારના સભ્યોમાંથી કોઈ સભ્યએ સત્તાવાર રીતે આ દાવા પર પ્રતિક્રિયા આપી નથી.

ગાંગુલી હાલ ઇન્ડિયન ક્રિકેટ બોર્ડના વડા છે, જ્યારે નંબરની બેની પોઝિશન પર ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ કાર્યરત છે. ગૃહપ્રધાન અમિત શાહ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના મુખ્ય વ્યૂહરચનાકાર છે.