તેંડુલકર હોસ્પિટલમાં સારવાર હેઠળ; શુભેચ્છા સંદેશાઓનો વરસાદ

મુંબઈઃ ‘ભારત રત્ન’ સમ્માનિત મહાન બેટ્સમેન સચીન તેંડુલકરને કોરોના બીમારી લાગુ પડી છે અને એમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચારની જાણકારી ખુદ તેંડુલકરે સોશિયલ મિડિયા મારફત આપી છે. એ સાથે જ જલદી સાજા થઈ જવાની શુભેચ્છા આપતા સંદેશાઓનો એમની પર વરસાદ વરસી રહ્યો છે. એમના ઘરમાં બીજા તમામ સભ્યોનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આપ સહુની શુભેચ્છા અને પ્રાર્થનાઓ બદલ આભાર. તબીબી સલાહ અનુસાર અત્યંત કાળજી લેવાની બાબત હોવાથી હું હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છું. થોડાક દિવસોમાં જ ઘેર પાછા ફરવાની આશા છે. દરેક પોતપોતાની કાળજી લેજો અને સુરક્ષિત રહેજો. તમામ ભારતીયો અને આપણી 2011 વર્લ્ડ કપ જીતના 10મા વાર્ષિક દિન અવસરે મારા ટીમસાથીઓને હાર્દિક શુભેચ્છા.

તેંડુલકર ઝટ સાજા થઈ જાય એ માટે એમને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહ, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સંસ્થા, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તથા અન્યોએ ટ્વિટરના માધ્યમ દ્વારા શુભેચ્છા વ્યક્ત કરી છે.