કોંગ્રેસની બેઠક બહાર દલિત CMની માગને લઈને વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક ચાલી રહી હતી, એ જ સમયે પાર્ટીની અંદર રાજકીય હલચલ જોવા મળી ઠે. કોંગ્રેસ મુખ્યાલય (AICC), દિલ્હી બહાર દલિત મુખ્યમંત્રી બનાવવાની માગ સાથે અચાનક ધરણાં શરૂ થયાં છે. CWCની મહત્વપૂર્ણ બેઠક માટે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે AICC મુખ્યાલય પહોંચ્યા હતા. ત્યાર બાદ તમામ નેતાઓ સાથે બેઠકમાં સામેલ થયા હતા.

AICC મુખ્યાલયની બહાર પ્રદર્શન

દિલ્હીના AICC મુખ્યાલયની બહાર આશરે એક ડઝન જેટલા પ્રદર્શનકારીઓ પહોંચ્યા હતા. તેમણે કર્ણાટકના વર્તમાન ગૃહમંત્રી જી. પરમેશ્વરને આગામી CM બનાવવાની માગ ઉઠાવી હતી. પ્રદર્શનકારીઓએ પાર્ટી હાઈકમાન્ડનું ધ્યાન ખેંચવા માટે નારા લગાવ્યા અને પોસ્ટર બતાવ્યાં હતાં. પોસ્ટરમાં રાજ્યમાં દલિત CM બનાવવાની માગ લખેલી હતી.

મહત્વપૂર્ણ બેઠક

પ્રદર્શનકારીઓએ પોસ્ટર લઈને હાઈ કમાન્ડનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો અને કહ્યું હતું કે હવે દલિત નેતૃત્વને આગળ લાવવાનો સમય આવી ગયો છે. આ પ્રદર્શન એ જ સમયે થયું જ્યારે અંદર CWCની મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી હતી.

અરાવલી મુદ્દે બેઠક

CWC બેઠકમાં આજે અનેક મહત્વપૂર્ણ રાજકીય અને સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે, તેથી ટોચના નેતાઓની હાજરી ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. બેઠકમાં વીજી રામ જી કાયદા સામે મોટા આંદોલનની વ્યૂહરચના પર ગંભીર મંથન થશે. ઉપરાંત નેશનલ હેરાલ્ડ કેસ, અરાવલી સાથે જોડાયેલા મુદ્દાઓ અને અન્ય રાજકીય વિષયો પર પણ ચર્ચાની શક્યતા છે.

રાજ્યોના મુખ્ય મંત્રીઓ પણ હાજર

  • કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા પાર્ટી મુખ્યાલય પહોંચ્યા છે.
  • હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદર સુખ્ખુ બેઠકમાં હાજર છે.
  • તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડી પણ CWC બેઠકમાં સામેલ થઈ રહ્યા છે.

આ ઉપરાંત શશિ થરૂર પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.