ઈરાન-ઇઝરાયેલ યુદ્ધથી પાકિસ્તાન બેહાલઃ બલૂચિસ્તાનમાં 70 ટકા પેટ્રોલ પંપ બંધ

નવી દિલ્હીઃ ઇઝરાયેલના હુમલાથી શરૂ થયેલા ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર પાકિસ્તાનમાં ઘેરી અવળી જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં ઈંધણ સંકટની સ્થિતિ સર્જાઈ છે અને ત્યાંની સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા પડ્યા છે. ડોન અખબારના અહેવાલ અનુસાર પાકિસ્તાની સરકારે પેટ્રોલના ભાવમાં 4.80 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.95 રૂપિયાનો વધારો કર્યો છે.

આ અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં હાઈ સ્પીડ ડીઝલ (HSD), જે પહેલાં 254.64 રૂપિયા પ્રતિ લિટર મળતું હતું, હવે 262.59 રૂપિયા પ્રતિ લિટરે મળશે. એ જ રીતે પેટ્રોલ જેની કિંમત અગાઉ 253.63 રૂપિયા હતી, હવે 258.43 રૂપિયા પ્રતિ લિટરે મળશે.

બલૂચિસ્તાનમાં ઈંધણ સંકટ

અહેવાલ મુજબ ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષને કારણે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈંધણ સંકટ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઈરાનના સરહદી વિસ્તારોમાંથી જે તેલની સપ્લાય થતી હતી, તે ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. આથી ઘણા પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે.

મકરાન, રખશાન અને ચગાઈ વિસ્તારોમાંથી ઈરાનમાંથી ઓઇલ સપ્લાય બંધ થઈ જવાથી લગભગ 60થી 70 ટકા પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે. તસ્કરી દ્વારા લાવેલા ઈરાની પેટ્રોલ અને ડીઝલ વેચતા પેટ્રોલ પંપોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગયા અઠવાડિયે પહેલેથી જ બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે ક્વેટા અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં, ક્વેટા અને બંદર શહેર વચ્ચેના અનેક પોઈન્ટ્સ પર રોડ બ્લોક થવાને કારણે કરાંચીથી પેટ્રોલ સપ્લાય પણ પ્રભાવિત થઈ છે.